રજનીભાઈ સાથે એક વખત એક કાર્યક્રમમાં મારે જવાનું બનેલું. કાર્યક્રમ સેમિ-ધાર્મિક પ્રકારનો હતો, પણ રજનીભાઈએ મિત્રદાવે ત્યાં જવાનું હતું. એટલે એમણે સાથે મનેય લીધો, કેમ કે, એના વિશે લેખ પણ લખવાનો હતો. આ પ્રકારના કાર્યક્રમમાં- જે સામાન્ય રીતે આપણી રુચિને અનુકૂળ ન હોય, પણ એને લીધે તેને સાવ કાઢી ન નખાય, અને એનો અહેવાલ શી રીતે લખાય એ મારે જાણવું હતું.
એમની સાથે પરિચયના સાવ શરૂઆતના ગાળામાં ઉર્વીશ અને હું અમુક બાબતે આત્યંતિક વલણ ધરાવતા. જેમ કે, રજનીભાઈ મહેન્દ્ર કપૂરનું કોઈક ગીત ગણગણે તો અમે કહેતા, 'અમને એ જરાય નથી ગમતા, કેમ કે, એમણે હવે માતાજીની આરતી અને ભજનો ગાવાનું શરૂ કરી દીધું છે.' રજનીભાઈને અમારી દલીલો સાંભળવાની મજા આવતી. પણ એ કહેતા, 'ભાઈ, વ્યવસાયમાં હોય એટલે બધું કરવું પડે.' તેમની આ વાત ઉર્વીશ અને હું અલગ અલગ રીતે લેખનમાં પ્રવેશ્યા ત્યારે બરાબર સમજાઈ. એમાંય હું એમની સાથે જીવનચરિત્રો લખતો થયો ત્યારે મને ડગલે ને પગલે એનો અહેસાસ થતો ગયો.
આ પ્રવાસ એવો જ હતો. મારે એ જોવું હતું કે રજનીભાઈ શી રીતે અને કઈ બાબતને ફોકસમાં રાખીને એનો અહેવાલ લખે છે. એમણે એ 'ચિત્રલેખા' માટે મોકલવાનો હતો.
આખી રાતના કાર્યક્રમ પછી અમે સવારે અગિયારેક વાગ્યે વડોદરા આવવા નીકળ્યા. ક્યાં જમવું એ વિચારતાં મેં એમને મારે ઘેર આવવા કહ્યું. રજનીભાઈ કંઈક બીજી વ્યવસ્થા ગોઠવવાનું વિચારતા હતા. એમણે વડોદરાની ભાગોળે આવેલી એક સંસ્થાના સંચાલકને ફોન કર્યો. પેલા ભાઈ બહુ રાજી થઈ ગયા. એટલે રજનીભાઈ કહે, 'હું અને બીરેન તમારે ત્યાં આવીએ છીએ. જમાડશો ને?' પેલા ભાઈએ 'ના' કહેવાનો કોઈ સવાલ જ નહોતો. આ ફોન થઈ ગયો એટલે અમે ગમ્મતે ચડ્યા. રજનીભાઈ ઘેરા અવાજમાં કહે, 'ભોજનનો પ્રબંધ થઈ ગયો છે.' હકીકતમાં તેઓ બાળપણમાં જેતપુરના એક મંદિરમાં જતા તેના એક મહંતની શૈલીમાં એ બોલેલા. મેં કહ્યું, 'કોઈ રાજકારણી હોય તો કહે, ખાવાનો વહીવટ પડી ગયો છે.' એ કહે, 'અને પોલિસ અધિકારી હોય તો કહે કે ભોજનનો બંદોબસ્ત ગોઠવાઈ ગયો છે.' મેં કહ્યું, 'કોઈ દારૂડિયો હોય તો કહે કે બાઈટિંગનો મેળ પડી ગયો છે.' એમાં પછી ઉમેર્યું, 'અને એ ચરોતરનો હોય તો એમ કહે કે ઝાપટવાનો મેર પડી ગયો છે.' એટલે પછી વાત આખી પ્રાદેશિક બોલી તરફ ફંટાઈ. કાઠિયાવાડી, સુરતી, મહેસાણા જેવા અનેક પ્રદેશોના વિવિધ શ્રેણીના લોકોની બોલીમાં આ આગળ વધતું રહ્યું.
અમારી આવી કવ્વાલી ચાલી એમાં ને એમાં રસ્તો કપાઈ ગયો. સંસ્થાના દરવાજે અમે આવી પહોંચ્યા એટલે તેમણે સમાપન કરતાં કહ્યું, 'વત્સ, હવે વિતંડાવાદ છોડ, અને ભૂખ પર ધ્યાન કેન્દ્રિત કર.' મેં પણ સમાપનનો સ્વીકાર કરતાં કહ્યું, 'જેવી આજ્ઞા, ગુરો. હવે તો ભોજન એ જ કલ્યાણ. ચાલો, હવે ચડાવીએ બાણ.'
સંસ્થાના સંચાલક એમને જોઈને બહુ રાજી થઈ ગયા. ભાવપૂર્વક અમને તેમણે જમવા બેસાડ્યા. જમતાં જમતાં અમને પેલી રસ્તામાં ચાલેલી અમારી કવ્વાલી યાદ આવતી અને અમે એકમેકની સામું જોઈને હસતા રહ્યા. પેલા સંચાલક સમજ્યા કે અમે પણ એમને મળીને રાજી થઈ ગયા છીએ.
No comments:
Post a Comment