આઠેક મહિનાથી જેની તૈયારી ચાલતી હતી, અને ખાસ તો 7 સપ્ટેમ્બર, 2025ના રોજ ઘોષિત કરાયા પછી વરસાદને કારણે મુલતવી રખાયેલો કાર્યક્રમ '...ફિર ભી રહેગી નિશાનીયાં' આખરે 21 સપ્ટેમ્બર, 2025ને રવિવારની સાંજે અમદાવાદના સ્ક્રેપયાર્ડ ખાતે યોજાઈ ગયો. આ વખતે આયોજન એવું ખીચોખીચ હતું કે શનિવાર, 20 મીએ સાંજે માંડવી (કચ્છ) ખાતે સરસ્વતીચંદ્રના સવાસો વર્ષ નિમિત્તે કાર્યક્રમ હતો. (એનો અહેવાલ બાકી) એ પતાવીને પ્રો. હસિત મહેતાએ મને અને કામિનીને ભૂજથી પોણા અગિયારે ઊપડતી ટ્રેનમાં વડોદરા આવી જવાની વ્યવસ્થા કરેલી. આથી રવિવારે સવારે અમે પાછા વડોદરા આવી ગયા. બે દિવસથી અહીં વરસાદ હતો, એટલે રવિવાર માટે અમે સહેજ ચિંતીત હતા. કબીરભાઈ સાથે સતત વાત થતી રહેતી હતી, એટલે છેવટે અમે એ તારણ પર આવેલા કે કોઈક કારણસર વરસાદ આવે તો પણ એટલો બધો આવે એમ જણાતું નથી કે બધું ખોરવાઈ જાય. એ સંજોગોમાં હૉલમાં પણ વ્યવસ્થા કરીશું. છેવટનો નિર્ણય કબીરભાઈ અને તેમની ટીમ સાંજના પાંચ આસપાસ લઈ લેશે. અમે નિર્ધારીત સમય મુજબ બપોરના સાડા ચાર આસપાસ અમદાવાદ જવા નીકળી ગયા. કબીરભાઈએ જણાવેલું કે રજિસ્ટ્રેશન ઘણાં થયાં છે, અને એ ઊપરાંત પણ અનેક મિત્રોએ આવવા જણાવ્યું છે. આ જાણીને આનંદ થયો.
Monday, September 22, 2025
...ફિર ભી રહેગી નિશાનીયાં
સ્ક્રેપયાર્ડ પહોંચ્યા ત્યારે સ્ક્રેપયાર્ડની ટીમે રાજ કપૂરની ફિલ્મોનાં ગીતો વગાડવાનાં શરૂ કરી દીધેલાં. અમે નાની મોટી વ્યવસ્થાઓ ગોઠવી. જોતજોતાંમાં બહાર લોકો આવવા લાગ્યા હતા. ઘણા બધા મિત્રોની પૃચ્છા હતી કે આમાં રાજકપૂરની ફિલ્મોનાં ગીતોબીતો ગાવાનાં? અમે 'ના' કહીએ એટલે પૂછાતું, 'તો પછી કાર્યક્રમમાં છે શું?' આ સમજાવવું મુશ્કેલ હતું, છતાં અમે શક્ય એટલી ધીરજથી એ કહેવા પ્રયત્ન કરતા.
અંદર પ્રવેશ શરૂ થયો એ સાથે જ અનેક જાણીતા, અજાણ્યા ચહેરાઓ જોવા મળ્યા. જોતજોતાંમાં બેઠકવ્યવસ્થા ભરાઈ ગઈ. ભોંય પર પણ શેતરંજી પાથરવામાં આવી હતી. ત્યાં પણ કેટલાક ગોઠવાયા. કબીરભાઈ દ્વારા સ્ક્રેપયાર્ડ અને તેની પ્રવૃત્તિઓના ટૂંકા પરિચય પછી આખરે '...ફિર ભી રહેગી નિશાનીયાં' કાર્યક્રમ શરૂ થયો. મારા શોખના આ વિષયમાં મારું ઘડતર કરનાર ત્રણ ગુરુઓ- હરીશ રઘુવંશી, રજનીકુમાર પંડ્યા અને નલિન શાહને આ કાર્યક્રમ સમર્પિત કરવો એ તો કાર્યક્રમની સામગ્રી વિશે વિચારતાં પહેલાં નક્કી હતું. ધીમે ધીમે એક પછી એક વિગતો રજૂ થતી ગઈ. રાજ કપૂરની ફિલ્મોના સંગીતનો કાર્યક્રમ હોય, એના ગીતોના પૂર્વસંગીત, સેતુસંગીત અને સમાપનસંગીતનો ખ્યાલ આપવા પૂરતું સંબંધિત ગીતની અડધી કે એક લીટી જ વગાડવી એ કેટલું અઘરું હતું એ મને ખબર હતી. પણ એય સ્પષ્ટ હતું કે કાર્યક્રમનું ફોકસ સંગીત પરથી હટવું ન જોઈએ. અડધી કે એકાદ લીટી વાગે અને દર્શકો એમાં જે તાલ પુરાવે ત્યાં તો એ વાગતી બંધ થઈ જાય એ ખરું જોતાં દર્શકોમાં અળખામણા બની રહેવા માટે પૂરતું હતું. આમ છતાં, રજૂ કરાતા સંગીતના અંશો, તેનો પરિચય, વાદ્યો વિશે વાત- આ બધામાં સૌને રસ પડતો જોઈ શકાતો હતો. દર્શકોમાંથી એકાદ વાર એવી મીઠી માંગ પણ ઉઠી કે 'એકાદ ગીતો તો આખું સંભળાવો!' એમ ન કરવા બદલ દિલગીરી વ્યક્ત કરીને જણાવ્યું કે એ લપસણી ભૂમિ પર જવું નથી. ખરી મઝા જે તે સંગીતના અંશ પછી મળતા દર્શકોના પ્રતિસાદની હતી. કાર્યક્રમ આગળ વધતો ચાલ્યો અને જોતજોતાંમાં ઈન્ટરવલ થયો. આ ટૂંકા બ્રેકમાં અનેક મિત્રો, પરિચીતો, અપરિચીતો મળ્યા. સૌના વર્તનમાં ખુશી જોઈ શકાતી હતી. ઈન્ટરવલ પછી કાર્યક્રમનો બીજો હિસ્સો હતો. એમાં પણ રાજ કપૂર નિર્મિત ફિલ્મોના સંગીતની કેટલીક લાક્ષણિકતાઓ દર્શાવવાનો પ્રયાસ હતો. એના ટાઈટલ મ્યુઝિક સાથે ચપટીઓ વાગતી સંભળાતી, સાથેસાથે એની ધૂન પણ ગણગણાતી કાને પડતી અને ખ્યાલ પણ આવતો કે કેટલા સજ્જ શ્રોતાઓ આવ્યા છે. કાર્યક્રમમાં સામગ્રી જ એટલી બધી હતી કે મારે બીજી આડીઅવળી વાતો માટે અવકાશ જ ન રહે. આપોઆપ જ મુખ્ય વિષય પર કેન્દ્રિત રહેવાય. વચ્ચે વચ્ચે લેપટોપ કનડતું હતું, છતાં મારે શ્રોતાઓની ધીરજના વખાણ કરવાનો વારો આવે એવી સ્થિતિ દર્શકોએ આવવા ન દીધી અને સ્વયંભૂ શિસ્તનો પરિચય કરાવ્યો. એ તેમની એકાગ્રતા અને સંગીતપ્રેમ સૂચવતાં હતાં.
બધું મળીને કાર્યક્રમ સવા ત્રણ કલાક જેટલો ચાલ્યો, જેમાં મધ્યાંતરનો સમય પણ આવી જાય. કાર્યક્રમની આટલી અવધિ છતાં કેટલા બધા પ્રેમીઓ છેક સુધી બેઠા! અનેક મિત્રો મધ્યાંતર પછી વચ્ચે ઉઠીને ગયા પણ ખરા, કેમ કે, મોટા ભાગના ભોજન વિના આવ્યા હોય.
કાર્યક્રમ પૂરો થયા પછી હાજર રહેલા સૌએ આનંદ વ્યક્ત કર્યો.એટલા બધા મિત્રો હતા કે સૌનાં નામ લખું તો પણ અમુક ચૂકી જવાય. આથી એ સૌના આભાર સાથે એ ઉપક્રમ ટાળું છું.
કાર્યક્રમની આટલી લાંબી અવધિ જોતાં એમ પણ વિચાર્યું કે હવે પછી કદાચ આ કાર્યક્રમ યોજીએ તો એને એક નિર્ધારીત સમયમર્યાદામાં સમેટીએ. જોઈએ એ તો.
ગયા વર્ષના ડિસેમ્બરમાં યોજાયેલા 'નમ્બરિયા 2' કાર્યક્રમમાં આ કાર્યક્રમની ઘોષણા કર્યા પછી તેની પર કામ શરૂ કરેલું. એ બધાના અંતિમ પરિમાણ રૂપે કાર્યક્રમ આખરે યોજાયો, અને બહુ સરસ રીતે પર પડ્યો, મિત્રોએ વધાવ્યો એ પછી જાણે કે એક મોટો પ્રસંગ પાર પડ્યો હોય એવું અનુભવાય છે. એ તો બરાબર, પણ આ પ્રકારના, કેવળ સંગીત આધારિત કાર્યક્રમ પણ તૈયાર કરીએ તો પણ લોકો સુધી એ પહોંચી શકે છે એ અનુભવાયું એનો વિશેષ આનંદ.
(તસવીર સૌજન્ય: પરેશ પ્રજાપતિ, સંતોષકુમાર દુબે, ઈશાન કોઠારી)
Subscribe to:
Post Comments (Atom)
બિરેનભાઈ.....ખુબ ખૂબ અભિનંદન .....
ReplyDelete