Sunday, September 14, 2025

મેરે કદમ જહાં પડે...

"આ દેવાલય રાજેશ્વર મહાદેવનું હતું. તે સુવર્ણપુરના અમાત્ય બુદ્ધિધનના પૂર્વજોનું બંધાવેલું હતું. દેવાલયની આસપાસ ફરતો ફરસબંધી ચોક હતો અને તેની આસપાસ છાપરીવાળી ઓસરી હતી. ઓસરીમાંથી પછીતમાં એક બારી પડતી હતી, તેની પાછળ એક વાડો હતો જેમાં મહાદેવને ઉપયોગમાં આવે એવાં ફળફૂલના છોડ તથા બીલીનું એક વૃક્ષ હતું. જમણી બાજુએ એક નાનું સરખું આરાવાળું તળાવ હતું જેનું નામ રાજસરોવર રાખેલું હતું. દેવાલયની સામી બાજુએ એક કૂવો પણ હતો."

(સુવર્ણપુરનો અતિથિ, સરસ્વતીચંદ્ર, ભાગ 1)
"મહાદેવની પાછળના વાડામાં થોડા દિવસ થયા મોગરો, ગુલાબ, ચંપો, અને એવાં એવાં કુલની વાડી જેવું બનાવવા યત્ન કરવામાં આવ્યો હતો. મૂર્ખદત્તનો એક સુતળીનો ભરેલો ઉંચાનીચા પાયાવાળો ખાટલો વચ્ચોવચ પડ્યો રહેતો, તેમાં એકલો હોય ત્યારે તે ચત્તો સુતો સુતો કઠોર ગાયન કરતો અથવા અશુદ્ધ શ્લોક ગાતો."
(વાડામાં લીલા, સરસ્વતીચંદ્ર, ભાગ 1)
સર્જક કોઈક કાલ્પનિક વિશ્વ રચે ત્યારે તેમાં ઘણી વાર તેના સ્વાનુભવો પડઘાતા જોવા મળે છે. એમ થવું અનિવાર્ય નથી, પણ એમ થવાની શક્યતા પૂરેપૂરી રહે છે. ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠીની મહાનવલ 'સરસ્વતીચંદ્ર' સંપન્ન થયાનું આ સવાસોમું વર્ષ ચાલી રહ્યું છે. ત્રણેક વર્ષથી હું નડિયાદના 'ગોવર્ધનરામ સ્મૃતિમંદિર' સાથે સંકળાયો છું. (અહીં થઈ રહેલી વિવિધ પ્રવૃત્તિઓ વિશે એક વારમાં લખી શકાય એમ નથી. એ ઉપક્રમ ફરી ક્યારેક). આ સ્થળ એટલે ગોવર્ધનરામનું નિવાસસ્થાન. અહીં તેમણે બાલ્યાવસ્થા તેમજ ઉત્તરાવસ્થા ગાળી હતી. 'સરસ્વતીચંદ્ર'નો ચોથો ભાગ તેમણે આ જ મકાનમાં લખેલો. આ કૃતિને ઘોળીને પી ગયા છે એવા મિત્ર પ્રો. હસિત મહેતા અવારનવાર આ મકાન અને તેના આસપાસના સ્થળોનો 'સરસ્વતીચંદ્ર'માં અપાયેલો સંદર્ભ આપતા હોય છે. પ્રો. નીરજ યાજ્ઞિક પણ આ સમગ્ર બાબતે જાણકાર. શબ્દશ: નહીં, પણ ગોવર્ધનરામે અમુક દૃશ્યો લખ્યાં ત્યારે તેમના મનમાં કયું લોકેશન હશે એનો કંઈક અણસાર આ રીતે મળતો રહે છે.
'ગોવર્ધનરામ સ્મૃમંદિર'નું મુખ્ય પ્રવેશદ્વાર નાગરવાડામાં આવેલી ઝગડીયા પોળ તરફથી છે. તો તેનું પાછલું બારણું વ્યાસફળિયામાં પડે છે. અહીંથી એક નાનકડો રસ્તો સંતરામ મંદિર તરફ નીકળે છે. પણ એ પહેલાં મહાદેવનું એક મંદિર આવે છે, અને ત્યાંથી પગથિયાં ઊતરીએ કે એક તળાવ છે. તળાવ જાળવણીની આપણી પરંપરા અનુસાર તેમાં નકરો કચરો ઠલવાયેલો છે અને ગંદકીનું ઘર છે. આ તળાવનું નામ 'મલાવ તળાવ'. ગોવર્ધનરામ અહીં વાંચવા કે ટહેલવા માટે આવતા હતા. હજી આજે પણ આ વિસ્તારમાં પાંખી અવરજવર જોવા મળે છે, તો સવાસો દોઢસો વરસ પહેલાં આ સ્થળ કેવું રમણીય હશે એનો કંઈક અણસાર મળી રહે છે.

મલાવ તળાવથી આ પગથિયાં ચડીએ એટલે મહાદેવ
આવે, અને એ પછી થોડાં ડગલાં ચાલતાં
ગોવર્ધન સ્મૃતિમંદિર પહોંચાય.

ક્યારેક મારે કાર લઈને નડિયાદ આવવાનું થાય, યા કારમાં કોઈક મુલાકાતી આવે અને તેમને કાર પાર્ક કરવાની હોય તો આ તળાવ આગળ કાર પાર્ક કરાવીએ છીએ. અને તળાવના પરિચયથી જ 'ગોવર્ધનતીર્થની યાત્રા'નો આરંભ થાય છે. એ નાનકડું મહાદેવ પણ મસ્ત છે.
સરસ્વતીચંદ્ર'ના ભાગ 1ના બે પ્રકરણમાં તળાવ અને મહાદેવનું જે વર્ણન કરાયું છે એ આ સ્થળને ઘણું મળતું આવે છે. અહીંથી જેટલી પણ વાર પસાર થવાનું બને ત્યારે એ વિચારે રોમાંચ થાય છે કે ક્યારેક ગોવર્ધનરામનાં પગલાં અહીં પડ્યાં હશે.

વર્ષના બાકીના મહિનાઓમાં મલાવ તળાવ

વરસના બાકીના મહિના કચરાના ઢગ જેવું બની રહેલા આ મલાવ તળાવનું ચોમાસાનું સૌંદર્ય જોવા જેવું છે. આપણે આપણા કામની ન હોય એવી તમામ ચીજોને 'નકામી' માની લઈએ છીએ, પણ અત્યારે પાણી પર પથરાયેલી લીલ તળાવને કેટલું અદ્ભુત સૌંદર્ય બક્ષે છે!

ચોમાસામાં મલાવ તળાવનું સૌંદર્ય

No comments:

Post a Comment