પ્રત્યાયનનાં નવાં નવાં સાધનો રજનીભાઈ બહુ હોંશભેર વસાવતા, અપનાવતા અને એનો કસ કાઢતા. પેજર નવા આવ્યાં કે એમણે તરત જ એ વસાવી લીધું અને એનો ભરપૂર ઊપયોગ કરવા લાગ્યા. ડીજીટલ ડાયરીઓ તેમની પાસે બબ્બે રહેતી. તેમાં તેઓ શહેર મુજબ મિત્રો-સ્નેહીઓ-વાચકોના નામ સ્ટોર કરતા. એ પછી સેલફોન નવા નવા આવ્યા કે એમણે એ વસાવી લીધો. એ સમયે ઈનકમિંગ કૉલ પણ ચાર્જેબલ હતા. આ પહેલાં માત્ર લેન્ડલાઈન ફોન હતા ત્યારે પણ તેઓ એનો ભરપૂર ઊપયોગ કરતા. તેમણે ક્યાંક એ મતલબનું લખેલું કે 'પોતે જ્યાં પણ જાય ત્યાં ફોન હોવો જોઈએ એમ તેઓ ઈચ્છે.'
એક વાર અમે લાઠી ગયેલા. લાઠી આવવામાં હતું કે એમણે પોતાની ડીજીટલ ડાયરી કાઢી અને લાઠીમાં પોતાના પરિચીત કોણ કોણ છે એમનાં નામ કાઢ્યાં. એ સૌને ફોન લગાવ્યા અને પછી મળવાનું પણ ગોઠવ્યું.
રાજકોટના લોકસેવક રતિભાઈ ગોંધિયાની જીવનકથા લખવા માટે તેઓ રાજકોટ પહોંચેલા. હું પણ એક અઠવાડિયા માટે ત્યાં ગયેલો. અમને એ વખતની 'ગોંધિયા હોસ્પિટલ' (હવે વોકહાર્ટ હોસ્પિટલ)માં રૂમ આપવામાં આવેલી. રાજકોટ તો એક સમયે એમની કર્મભૂમિ. આથી રોજ કોઈ ને કોઈ મિત્રોને મળવાનું બનતું. કામના સમયે કામ, મુલાકાતો વગેરે ખરું જ, પણ મિત્રમિલન પણ ચાલતું. હું રહ્યો ત્યાં સુધી મને પણ તેઓ સાથે લઈ જતા.
રાજકોટના એક સજ્જન હતા મોહનભાઈ માકડિયા. એમનો એક વાર રજનીભાઈ પર ફોન આવ્યો. તેઓ એક વાચક હતા. રજનીભાઈએ જણાવ્યું કે પોતે રાજકોટમાં જ છે. તેમને મળવાનું પણ ફટાફટ ગોઠવી દીધું. એક સાંજે અમે બન્ને એમને મળવા ઊપડ્યા. અમુક ઠેકાણે પહોંચ્યા પછી મોહનભાઈ અમને સામા લેવા આવ્યા. ઈસ્ત્રીબંધ શર્ટને પેન્ટમાં ખોસેલું. ઊપલું બટન બંધ. પહેલી નજરે જ ખ્યાલ આવી જાય કે માણસ એકદમ સુઘડ રહેનારો છે. મોહનભાઈ અમને પોતાને બંગલે લઈ ગયા. રસ્તામાં છોકરાં સામાં મળે એટલે મોહનભાઈ કહે, 'હા..પછી. આ મહેમાન આવ્યા છે.' અમને સમજાતું નહીં કે આ શો સંવાદ થઈ રહ્યો છે.
મોહનભાઈ બહુ બોલનારા હતા, પણ રજનીભાઈના લેખોના પ્રેમી. તેમનાં પત્નીનું અવસાન થયેલું. એકલા જ રહેતા. સંતાનો કદાચ વિદેશમાં હતા. વાતવાતમાં અમને ખ્યાલ આવ્યો કે મોહનભાઈએ પસંદગીપૂર્વક અહીં રહેવાનું પસંદ કર્યું છે, જેથી તેઓ ખુદ્દારીપૂર્વક રહી શકે. અલબત્ત, તેમનાં સંતાનો પણ સારાં હોવાનું તેમણે કહ્યું. તેમણે અમને જણાવ્યું કે આખી સોસાયટીમાં તેઓ 'માકડીયાબાપા' તરીકે ઓળખાતા. છોકરાં તો ઠીક, યુવાનો પણ એમને એ રીતે જ બોલાવતા. માકડીયાબાપાને એવી ટેવ કે ચોકલેટનાં મોટાં પડીકાં હાથમાં લઈને નીકળે અને જે પણ છોકરું સામું મળે એને ચોકલેટ આપતા જાય. ક્યારેક એમનું ધ્યાન ન હોય તો છોકરું કહે, 'માકડીયાબાપા, ચોકલેટ દ્યો ને?' એટલે માકડીયાબાપા એને ચોકલેટ આપે અને કહે, 'તું રહી ગયો? આ લે. તને બે ચોકલેટ.' તેમના ભોજનની વ્યવસ્થા એક પાડોશી સંભાળતા હતા. અમને આવેલા જોયા એટલે પાડોશીબહેન આવી ગયાં અને ચા-પાણી બાબતે પૂછવા લાગ્યાં. અમે જોયું કે માકડીયાબાપા પોતાની મસ્તીમાં મજેથી રહેતા હતા. ઘણી વાતો કરી. છેવટે અમે નીકળવાની રજા માગી. એટલે માકડીયાબાપા ઊભા થયા. ચોકલેટની એક મોટી કોથળી કાઢી અને એમાંથી મુઠ્ઠો ભરીને ચોકલેટ રજનીભાઈને અને મને આપી. અમે હજી વિચારતા હતા કે આનું શું કરવું? એટલામાં તો એમણે ચોકલેટની એ આખી કોથળી જ રજનીભાઈના હાથમાં પકડાવી દીધી અને કહ્યું, 'રાખો.' 'હા-ના' કરવાનો સવાલ નહોતો. માકડીયાબાપાના પ્રેમાગ્રહ આગળ ઝૂકી જવું પડ્યું.
એ અમારી પહેલી અને આખરી મુલાકાત. પણ અમારા મન પર માકડીયાબાપાએ રીતસર કબજો જમાવી દીધો. એ પછી ત્યાં હું જેટલા દિવસ રહ્યો એટલા દિવસ એમને અમે યાદ કરીએ. પેલી ચોકલેટ એટલી બધી હતી કે એ પૂરી ન થાય. હું ક્યારેક કહું, 'પંડ્યાબાપા, ચોકલેટ દ્યો ને!' એટલે રજનીભાઈ કોથળીમાંથી બે ચોકલેટ કાઢે અને કહે, 'લે, તું બે લે.' એ પછી તેઓ પાછા અમદાવાદ આવી ગયા. ત્યારે પણ તેમને ત્યાં મારે જવાનું થાય તો તેઓ મને ડીશમાં કંઈક ધરે ત્યારે કહે, 'આ લે, પંડ્યાબાપાનો પેંડો.'
થોડા સમય પછી એક વાર તેમણે મને સમાચાર આપ્યા કે માકડીયાબાપાનું અવસાન થયું છે. અમે બન્નેએ ફોન પર તેમની જિંદાદિલી વિશે વાત કરી. પણ એ પછી તેમણે કહ્યું, 'એમની દીકરી રાજકોટ આવેલી છે. મેં એની સાથે વાત કરી. હવે તું પણ એને ફોન કર.' તેમને ખ્યાલ હતો કે એમની દીકરી અને હું એકમેકને નથી ઓળખતાં. એટલે તરત જ મને કહ્યું, 'મેં એમને કહ્યું છે કે તારો ફોન આવશે. એટલે તું હમણાં જ ફોન કર.' મેં અમારી વાત પૂરી કરીને સીધો માકડીયાબાપાની દીકરીને ફોન કર્યો. એ બહેન કહે, 'હા, ભાઈ. પંડ્યાસાહેબનો ફોન હતો કે તમારો ફોન આવશે. બહુ સારું લાગ્યું.'
એ બહેન સાથે પણ એ પહેલી અને અત્યાર સુધીની છેલ્લી વાતચીત. પણ માકડીયાબાપા અમારા મનમાં વસી ગયેલા. અમે અનેક વાર એમને કોઈ ને કોઈ સંદર્ભે યાદ કરતા રહેતા. કહેવાય છે ને કે એક પણ વ્યક્તિની સ્મૃતિમાં કોઈ વ્યક્તિ જીવિત હોય ત્યાં સુધી એ જીવતી જ રહે છે.
No comments:
Post a Comment