Monday, July 14, 2025

રજનીકુમાર પંડ્યા (9): એક હતા ગેટે

ચરિત્રલેખનને 'ફરમાસુ' કહીને ઊતારી પાડવામાં આવે છે, પણ એમાં રહેલા વાસ્તવિક પડકારો વિશે દૂર રહેનારાને ભાગ્યે જ કશો અંદાજ આવી શકે. એ પણ સવાલ ખરો કે દૂર રહેનારાને એવો અંદાજ મેળવવાની જરૂર પણ શી? વ્યાવસાયિક ચરિત્રલેખનમાં લખાવનારનું સંપૂર્ણ ચિત્ર ઊપસે અને લેખકની શૈલી જળવાય એ રીતે એને આલેખવું પડે. બીજી વાત એ કે કદી કોઈનું પણ પૂર્ણ ચરિત્ર લખી શકાય નહીં. આ બાબત ચરિત્ર લખાવનારને સ્પષ્ટ શબ્દોમાં સમજાવવી પડે.

સંસ્થાકીય આલેખ વળી સાવ જુદી જ વિધા છે. એ પણ આમ તો જીવનચરિત્રનો જ એક પ્રકાર છે. એમાં અલબત્ત, અનેક જીવનચરિત્રો સામેલ હોઈ શકે છે. સંસ્થાઓની પરિચયપુસ્તિકા જુદી જ સમજણ માગી લે છે. એક સંસ્થાની આવી પુસ્તિકા અમારે લખવાની હતી. કામ એ રીતે મળેલું કે એની છપામણી પણ અમારે જ કરાવી આપવાની. હજી યુનિકોડ સાર્વત્રિક નહોતા બન્યા એટલે લખાણનો તમામ મુસદ્દો તૈયાર થાય એ પછી નિર્માણને લગતાં કામમાં અમારે જરા જુદી રીતે વિચારવાનું હતું. પહેલાં અમે લખાણને યુનિકોડમાંથી આકૃતિ ફોન્ટમાં કન્વર્ટ કરાવ્યું. મિત્ર ક્ષમા કટારીયાએ પ્રૂફ વાંચી આપ્યું. ફરીદ શેખ દ્વારા તેનું નયનરમ્ય લે-આઉટ તૈયાર થયું. એની સોફ્ટ કોપી અમે સંસ્થાના સંચાલકને મોકલી, પણ એમને એ જોતાં ખાસ ન ફાવ્યું અને કહ્યું, 'તમે જે કરો એ બરાબર જ હશે. તમારી રીતે જ કરો.'
એટલે અમે પુસ્તિકા છપાવડાવી અને એ સંચાલકને મોકલી આપી. રજનીભાઈએ એ જોયેલી, પણ હું વડોદરા હોવાથી મને એ તરત જોવા નહીં મળેલી. અમને ઉત્સુકતા એ કે સંચાલકને એ કેવી લાગશે? પુસ્તિકા સંચાલકને મોકલ્યાના બે-ત્રણ દિવસ પછી રજનીભાઈનો મારા પર ફોન આવ્યો. મેં પૂછ્યું, 'કેવો પ્રતિભાવ છે? એમને પુસ્તિકા ગમી?' એટલે રજનીભાઈ કહે, 'પૂછ મા. એમણે મને એવું કહ્યું કે પુસ્તિકા એટલી સુંદર છે કે એને માથે મૂકીને નાચવાનું મન થઈ આવ્યું.' આમ કહ્યા પછી અને એ સાંભળ્યા પછી અમે બન્ને બહુ હસ્યા. કેમ કે, કોઈ ગમતું પુસ્તક માથે મૂકીને નાચવાનો સૌથી જાણીતો દાખલો જર્મન કવિ ગેટેનો છે, જે કાલિદાસનું 'શાકુંતલ' માથે મૂકીને નાચેલા. એ પછી આ બીજો દાખલો સાંભળ્યો.
આથી અમે એ સંચાલકનું નામ પાડ્યું 'ગેટે'. અલબત્ત, પહેલાં તેમનું નામ અને પાછળ ગેટે. માનો કે એ ભાઈનું નામ દેવુભાઈ છે. તો અમે અમારી વાતચીતમાં એમનો ઉલ્લેખ 'દેવુ ગેટે' તરીકે કરતા. સંસ્થાની પુસ્તિકા પછી થોડા વરસે એ સંચાલકશ્રીએ પોતાની જીવનકથા લખાવવા માટે પણ રજનીભાઈની પસંદગી કરી. સાથે હું હોઉં જ. લખતાં પહેલાં નક્કી હતું કે અમે બન્ને પુસ્તક લખીએ તો એ જોઈને (વાંચીને નહીં) દેવુ ગેટેને એ માથે મૂકીને નાચવાનું મન થઈ જ જવાનું હતું. એ વખતે રજનીભાઈ અને હું એકમેકને કહેતા, 'બિચારા દેવુ ગેટે આ પંચ્યાસી-સત્યાશીની ઉંમરે માથે ચોપડી મૂકીને નાચશે તો એમને ચક્કર નહીં આવે?'
એ જીવનકથા લખાતી રહી અને એનું વિમોચન થયું ત્યાં સુધી આ વાતને અમે સંદર્ભબિંદુ તરીકે વાપરતા. માનો કે કોઈ પ્રકરણ બહુ સરસ લખાયું હોય તો અમે કહેતા, 'આ વાંચીને ગેટે નાચી ઉઠશે.' પછી કહેતા, 'પણ પ્રકરણે પ્રકરણે આપણે એમને ન નચવવા જોઈએ.' એક કલ્પના અમે એવી કરેલી કે પુસ્તકના વિમોચન વખતે બીજું કશું કરવાને બદલે દેવુ ગેટે માત્ર એને માથે મૂકીને નાચે તો?
હવે તો ગેટે, આઈ મીન, દેવુ ગેટે પણ નથી, અને રજનીભાઈએ વિદાય લીધી. આથી એ પુસ્તક હું જોઉં ત્યારે મને થાય છે કે હવે મારે એકલાએ એને માથે મૂકીને નાચવું કે કેમ?

No comments:

Post a Comment