(રજનીકુમાર પંડ્યા સાથેનાં સ્મરણો)
માની લો કે કોઈક વ્યક્તિનું હાડકું તૂટી ગયું છે અને નજીક દેખાતા પહેલા દવાખાનામાં એ પહોંચી જાય છે. એને મન બધા ડૉક્ટર સરખા છે. કોઈ પ્રકારભેદ નથી. ડૉક્ટરને એ પોતાની વિગત જણાવે છે. યોગાનુયોગે એ ડૉક્ટર કાર્ડિયોલોજિસ્ટ છે. સ્વાભાવિક છે કે એમણે પહેલાં એમ.બી.બી.એસ.કર્યું જ હોય, અને એ પછી જ સ્પેશ્યાલિટી બ્રાન્ચ લીધી હોય. સામે આવી પડેલા દર્દીને જોઈને એનું એમ.બી.બી.એસત્વ જાગી ઊઠે કે આપણેય ડૉક્ટર તો ખરા ને! પ્લાસ્ટર લગાવવાનું તો એમ.બી.બી.એસ.માં આવતું હતું. લાવો ને, મારી દઈએ, અને રૂપિયા ખંખેરી લઈએ. પણ આમ કરવાને બદલે એ ડૉક્ટર જણાવશે કે પોતે કાર્ડિયોલોજિસ્ટ છે, જ્યારે એ દર્દીના દર્દનો ઈલાજ કરવાનું કામ ઓર્થોપેડિક સર્જનનું છે.
આવું વિચિત્ર ઉદાહરણ વાંચીને કોઈને પણ થાય કે આમાં નવું શું? એ તો એમ જ હોય ને! પણ ના, એમ નથી હોતું. ડૉક્ટર બાબતે એમ હોઈ શકે, પણ જીવનચરિત્ર લખાવવા બાબતે એમ નથી જ હોતું.
જીવનચરિત્ર લખાવનારને મન લેખકના પ્રકારભેદ નથી હોતા. એ તો 'જાણીતા' લેખક પાસે ઑફર લઈને આવે છે. 'જાણીતા' લેખક એને કદી એમ નથી જણાવતા કે પોતે તો અખબારમાં ચિંતન, આયુર્વેદ, મોટીવેશનલ કે એવી કોઈ કોલમ લખે છે, અને જીવનચરિત્ર પોતાનો વિષય નથી. એને એમ થાય કે લખતાં તો પોતાને આવડે જ છે ને! તો આને ક્યાં પાછો ધકેલવો?
પણ એક વાર જીવનચરિત્ર લખાઈ જાય એ પછી મુશ્કેલી શરૂ થાય. લખાવનારને લાગે કે પોતાના મનમાં જે હતું એવું આ નથી થયું. પણ 'જાણીતા' લેખકને એ કહેવાય શી રીતે? આથી એને એ 'મહેનતાણું' ચૂકવી દે, પણ પછી નવા ચરિત્રકારની શોધ આદરે.
રજનીભાઈ પાસે આવા અનેક લોકો આવતા. હું એમની સાથે સંકળાયો પછી મેં આ નજરે જોયું. એમાં બે-ચાર નામ સામાન્ય રહેતા. લખાવનાર એ લેખકો પાસે લખાવીને આવે, ન ગમે અને પછી શોધતા શોધતા રજનીભાઈને મળે. ઘણા કિસ્સામાં એ નામ ન આપે કે પોતે કોની પાસે અગાઉ લખાવડાવ્યું, પણ શૈલી જોતાં અમને ખ્યાલ આવી જાય કે એ કોણ હોઈ શકે. એક તબક્કો એવો આવ્યો કે ઊપરાઊપરી આવાં કામ અમારી પાસે આવવા લાગ્યા.
ચરિત્રલેખનનું કામ આવે એટલે સામગ્રીના પણ ઢગલા ઠલવાય. એ ઢગલા ફેંદતાં ફેંદતાં રજનીભાઈએ એક પેરડી બનાવી. મૂળ પંક્તિ ઈકબાલની રચના 'સારે જહાં સે અચ્છા'માંની નીચે મુજબ છે:
યૂનાન-ઓ-મિસ્રરોમાં સબ મિટ ગયે જહાં સે,
ક્યા બાત હૈ કિ હસ્તી મિટતી નહીં અમારી.
રજનીભાઈએ પેરડી બનાવી:
---,ઓ-------- સબ ફૂટ ગયે યહાં સે,
ક્યા બાત હૈ કિ પસ્તી ખૂટતી નહીં હમારી.
ખાલી જગ્યામાં ત્રણ લેખકોના નામ હતાં. આ પેરડી પર અમે એવા આફરીન કે ન હોય ત્યાંથી એને વચ્ચે લાવીએ અને ટાંકીએ. એકાદ બે વાર મારે નવા કામ માટે કોઈને મળવા જવાનું હતું. રજનીભાઈ એ જાણતા જ હોય. ત્યાં પ્રાથમિક મુલાકાતમાં જ મને ખબર પડી કે આ કામ અગાઉ કોઈકની પાસે થઈને આવ્યું છે. એટલે મેં ત્યાં બેઠે બેઠે જ રજનીભાઈને મેસેજ કર્યો, 'Here also yunano-misra-romaan syndrome.' (મેં પેરડીવાળા લેખકોના નામ લખેલા.) તરત જ જવાબમાં રજનીભાઈનું સ્માઈલી આવી ગયું.
No comments:
Post a Comment