Tuesday, July 15, 2025

રજનીકુમાર પંડ્યા (10): એન.ઓ.બી.

 સાહિત્યકાર- વાર્તાકાર તરીકે તેમજ કટારલેખક તરીકે રજનીભાઈનું નામ ઘણું જાણીતું હતું. એમનું લખાણ ન વાંચ્યું હોય એમને પણ એમનું નામ ખબર હોય એવું ઘણા ખરા કિસ્સે બનતું. ખાસ કરીને 'ફૂલછાબ', 'જન્મભૂમિપ્રવાસી' અને 'કચ્છમિત્ર'માં તેમની 'શબ્દવેધ' કોલમ પ્રકાશિત થતી હોવાના કારણે આ વિસ્તારોમાં તેમનું નામ પરિચીત. જીવનચરિત્ર લખાવવા માટે કોઈ આવે તો એ કાં કોઈની ભલામણથી આવે, કે પછી આ રીતે જાણીતું નામ હોવાને કારણે આવે. ઘણાખરા કિસ્સામાં એમને એ ખ્યાલ ન પણ હોય કે રજનીભાઈના લખાણની શૈલી કેવી છે, યા એમણે અગાઉ કેવાં જીવનચરિત્રો લખ્યાં છે. એટલે કામ સોંપાયા પછી થોડા વખતમાં ખરી મજા આવે.

પ્રાથમિક ધોરણે વાતચીતની બેઠક (ઈન્ટરવ્યૂ) થાય, એનું હું ટ્રાન્સ્ક્રીપ્શન કરું અને એના આધારે શરૂઆતનાં એકાદ બે પ્રકરણ મોકલીએ એટલે એ વાંચીને કામ સોંપનારને બરાબર અંદાજ આવે કે રજનીભાઈની લેખિની શી ચીજ છે! મોટા ભાગના કિસ્સામાં એ આફરીન પોકારી જાય. એને રજનીભાઈ માટે 'એન.ઓ.બી.' થઈ જાય.
આ શબ્દપ્રયોગ રજનીભાઈએ બનાવેલો. કોઈ વ્યક્તિ આપણી પાસે આવે, એને આપણા વિશે કશો ખ્યાલ ન હોય, પણ આપણા વિશે કાં કોઈક બીજું એને જણાવે કે પછી આપણાં લખાણ વાંચીને એને જાતે અહેસાસ થાય અને જે અહોભાવ જન્મે એ આખી ઘટના એટલે 'એન.ઓ.બી.' મતલબ કે 'ન ઓળખ્યા ભગવંતને'.
આવું એકાદ બે વાર થયું હોત તો કદાચ આ શબ્દપ્રયોગની જરૂર ન પડત, પણ રજનીભાઈ સાથે આવું વારેવારે બનતું. આથી તેમણે લાંબી વાત ટૂંકમાં કરવા આ શબ્દપ્રયોગ બનાવ્યો. એટલું જ કહી દેવાનું કે આજે ફલાણાનો મારી પર ફોન હતો. એણે મારી જૂની વાર્તા વાંચી હશે. એ વાંચીને એને એન.ઓ.બી.' થઈ ગયું.
હમણાં, છેલ્લે છેલ્લે કિરીટભાઈ દૂધાત થકી 'સાહચર્ય'વાળા ભરત નાયક રજનીભાઈની કેટલીક વાર્તાઓના પહેલવહેલી વાર પરિચયમાં આવ્યા. અને એમને રજનીભાઈ માટે 'એન.ઓ.બી.' થઈ ગયું. કિરીટભાઈએ પછી ભરતભાઈની વાત રજનીભાઈ સાથે કરાવી હોવાનું મને ઉર્વીશે જણાવ્યું.
આ શબ્દપ્રયોગ અમારી વાતચીતમાં બહુ સામાન્ય બની રહેલો. ખ્યાલ છે ત્યાં સુધી તરુબહેનને પણ એના વિશે ખ્યાલ હતો. જો કે, ગંભીર પ્રકૃતિનાં તરુબહેન એનો ઉપયોગ ભાગ્યે કરતાં.
શબ્દપ્રયોગ એટલો લોભામણો છે કે કોઈને પણ એ વાપરવાનું મન થઈ આવે. એટલે ઘણી વાર તેઓ પોતાનું કોઈ જૂનું લખાણ વાંચે તો પણ કહેતા, 'મને એ વાંચીને મારા માટે 'એન.ઓ.બી.' થઈ ગયું.' યા અમુક જણના એવા લક્ષણને માટે અમે કહેતા, 'એને તો બધા માટે 'એન.ઓ.બી.' થઈ જાય છે, કેમ કે, એણે કોઈનું કશું વાંચ્યું જ નથી.'

No comments:

Post a Comment