Saturday, July 29, 2023

લદાખના રેખાંકનો (5)

અત્યાર સુધી જોયેલા મહેલોની સાથે સરખાવતાં એ જરા જુદો જણાઈ આવે, પણ લેહમાં ઠીક ઠીક ઊંચાઈએ બનાવાયેલો આ મહેલ તરત જ ધ્યાન ખેંચે એવો છે. ચારસો વર્ષ જૂના આ પ્રસાદનું નિર્માણ રાજા સિંગે નામગ્યાલના શાસનકાળમાં હાથ ધરાયેલું. પોતાના બળનું પ્રદર્શન કરી શકાય એ માટે લેહના ઊંચા પર્વત પર નવ માળનું આ ભવન તૈયાર કરાવાયું. સ્થાનિક કારીગરો અને સ્થાનિક સામગ્રીનો ઉપયોગ કરવામાં આવ્યો. કહેવાય છે કે મહેલ માટે ઉપયોગમાં લેવાયેલા પથ્થરો ફ્યાંગ તથા સાબૂ ગામમાંથી મંગાવાયેલા. લાકડાંને અલમ તિલતથી ઝંસ્કર નદીના પ્રવાહમાં વહેવડાવીને યોગ્ય સ્થાને પહોંચાડાયેલાં. નિર્માણે ત્રણ વર્ષ લીધાં.

એ પછી આક્રમણ અને વાતાવરણની વિષમતાનો તે ભોગ બનતો રહ્યો. ભારતીય પુરાતત્ત્વ સર્વેક્ષણે મોડે મોડે તેનો જિર્ણોદ્ધાર કર્યો. તેને કારણે એ હવે મુલાકાતીઓ માટે ખુલ્લો મૂકાયો છે. જિર્ણોદ્ધાર પહેલાં એ કેવો દેખાતો હશે? 1998માં રજૂઆત પામેલી મણિરત્નમ દિગ્દર્શીત 'દિલ સે'ના ગીત 'સતરંગી રે'માં તેનો કેટલોક હિસ્સો જોઈ શકાય છે. (અને એ ગીત અહીં જોઈ શકાય છે.)


પુરાતત્ત્વ ખાતાએ ઘણું બધું કામ કરવું પડ્યું હશે, પણ એ યોગ્ય રીતે કરાયેલું જણાય છે. અહીં મૂકેલાં બે ચિત્રોમાં દૂરથી દેખાતો લેહ પેલેસ તેમજ એ પેલેસનો અંદરનો એક હિસ્સો ચીતરાયેલાં છે.

લેહ પેલેસ 

લેહ પેલેસની અંદરનો એક ભાગ 

No comments:

Post a Comment