- યેસુદાસન
ત્યારે હું મિડલ સ્કૂલમાં હતો. એક દિવસ મેં રામ ઐયર સરને પોતાની છત્રી સાથે શાળાના દરવાજાની બહાર દોડી જતા જોયા. એકાદ બે શિક્ષકો અને થોડા વિદ્યાર્થીઓ તેમની પાછળ દોડી રહ્યા હતા. છેવટે એ લોકોએ સરને આંબી લીધા અને પાછા શાળામાં લઈ આવ્યા.
મારો સહાધ્યાયી એ.સી.જોઝ મારી સાથે હતો. પહેલાં તો મને સમજાયું નહીં કે શાળાના મેદાન પર શું ચાલી રહ્યું છે. અમને કોઈકની બૂમ સંભળાઈ, 'રેડી, 'સ્માઈલ પ્લીઝ.' જેવો એ 'પ્લીઝ' બોલ્યો કે રામ ઐયર સરે ફરી વાર બહારની તરફ દોટ મૂકી. વધુ એક વાર થોડા લોકો તેમની પાછળ દોડ્યા અને તેમને પાછા લેતા આવ્યા. આ બધું શું થતું હતું એ જોવા માટે અમે કમ્પાઉન્ડ વૉલમાંથી અંદર જોયું. ખબર પડી કે ત્યાં વાર્ષિક ફોટો સેશન ચાલી રહ્યું હતું. દરેક શૈક્ષણિક વર્ષના અંતે એ યોજાતું હોય છે. ફોટોગ્રાફર દરેકને તેમની ઊંચાઈ મુજબ ઊભા રાખતો હતો. પણ જેવો તે તસવીર ખેંચવા તૈયાર થતો કે ઐયર સર દોટ મૂકતા અને આ સ્થળેથી દૂર જવાનો પ્રયત્ન કરતા. તેઓ પોતાનો ચહેરો તસવીરમાં આવવા દેવા નહોતા માગતા.
એ વરિષ્ઠ શિક્ષક માનતા હતા કે કોઈ વ્યક્તિની તસવીર ખેંચવામાં આવે તો એનું આયુષ્ય ઘટી જાય. એમના જણાવ્યા અનુસાર, જેટલી વાર પોતાની છબિ નેગેટીવ પર અંકિત થાય કે જીવનનું એક વર્ષ ઘટી જતું. તેમને ડર હતો કે વારેવારે તસવીર લેવડાવવાથી પોતે પેન્શન લેવાપાત્ર નહીં રહે. (ત્યાં સુધી જીવશે નહીંં) આજે તો રામ ઐયર અમારી વચ્ચે નથી, અને પચાસ વર્ષ કરતાંય જૂની પેલી નેગેટીવો પણ કોઈની પાસે સચવાયેલી નથી. તેમના ઘણા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ વિવિધ ક્ષેત્રોમાં મહત્ત્વનાં સ્થાન શોભાવે છે, પણ ઐયર સરના ફોટોગ્રાફી અંગેના વિચારોમાં કોઈ માનતું નથી. તસવીરો લેવા અને લેવડાવવા બાબતે એ સૌ પાગલ કહી શકાય એ હદે જાય છે.
No comments:
Post a Comment