શનિવારને 22મી નવેમ્બર, 2025ની સાંજે ભરૂચના બી.ડી.એમ.એ.દ્વારા ભૂપેન ખખ્ખર વિશેના મારા પુસ્તક અંગે વાર્તાલાપ હતો. આથી નક્કી એવું થયું કે સવારે જ હું ભરૂચ પહોંચી જાઉં અને એમિટી સ્કૂલમાં પહોંચું. ખરેખર તો એવું થયેલું કે ભરૂચના મારા કાર્યક્રમની જાણ માટે હું રણછોડભાઈને ફોન કરીને કશું કહું એ પહેલાં જ તેમણે 'વેલકમ ટુ ભરૂચ'નું આમંત્રણ આપી દીધું. આ શાળાના 37 વર્ષના કાર્યોનું પુસ્તકસ્વરૂપે દસ્તાવેજીકરણ કર્યું ત્યારે, એ પહેલાં અને એ પછી પણ શાળાનો સતત સંપર્ક રહ્યો છે. આથી એમિટીમાં જવાનું બહાનું શોધતો હોઉં. સવારે વડોદરાથી નીકળીને સીધા મારે એમિટી પહોંચવું એમ નક્કી થયું. વચગાળામાં એમિટીના પ્રકાશભાઈ મહેતાએ સૂચવ્યું કે મારે ત્યાંના શિક્ષકો સમક્ષ હોમાય વ્યારાવાલા વિશે વાત કરવી. પ્રિય વ્યક્તિ વિશે વાત કરવી કેમ ન ગમે? પ્રકાશભાઈએ એ પણ જણાવ્યું કે કેટલાક શિક્ષકોએ હોમાયબહેન વિશેનું મારું પુસ્તક વાંચેલું છે. ખાસ કરીને ગુજરાતી ન વાંચી શકતા શિક્ષકો એમના વિશે થોડું ગૂગલ પર વાંચી લે એવું મેં સૂચન કર્યું, જેથી એમને થોડી પૂર્વભૂમિકા રહે. મેં થોડી તૈયારી કરીને હોમાયબહેનના જીવનનો આલેખ મળી રહે એવું પ્રેઝન્ટેશન તૈયાર કર્યું.
એમિટીમાં પ્રવેશતાં જ એમ લાગે કે આ જાણે કે મારું બીજું ઘર છે, અને અહીં બધાં સ્વજનો જ છે. અહીં જઈએ એટલે પહેલાં હળવામળવાનો અને સાથે ચા-નાસ્તાનો દોર ચાલે. એમાં જાતભાતની વાતો નીકળે. પ્રમેશબહેન મહેતા થોડા નબળા સ્વાસ્થ્ય સાથે પણ ખાસ ઊપસ્થિત રહ્યાં. રણછોડભાઈની સાથે સંગીતાબહેન પણ આવી ગયાં. સાથે 'કોર ગૃપ'નાં સુશ્રી રીના તિવારી, નિવેદીતા ચટ્ટોપાધ્યાય, સુનિતા પાન્ડા, તોરલ પટેલ, સરોજ રાણા, સુબી ઝેવિયર પણ હંમેશ મુજબ જોડાયાં. ચા-નાસ્તા સાથે હસીમજાક સહિત વિવિધ પ્રકારની વાતો થઈ. એ પછી ત્રીજે માળે આવેલા હૉલમાં કાર્યક્રમ હતો.
પ્રકાશભાઈએ ઔપચારિક રીતે કાર્યક્રમ આરંભીને મને સુકાન સોંપ્યું.
 |
| પ્રકાશભાઈ મહેતા દ્વારા પૂર્વભૂમિકા અને પરિચય |
 |
(ડાબેથી) તોરલબહેન, રણછોડભાઈ, બીરેન, કામિની, સંગીતાબહેન, રીનાબહેન અને નિવેદીતાબહેન |
 |
| હોમાયબહેન વિશે વાત |
 |
| રજૂઆત દરમિયાન |
તસવીરો અને એની સાથે સાથે એક વ્યક્તિની જીવંતતાની કથા ઊઘડતી ગઈ અને યોગ્ય રીતે સામે છેડે પહોંચી રહી છે એમ લાગ્યું. એકાદ કલાક ક્યાં પસાર થઈ ગયો એની સૂધ પણ ન રહી. એમાંય હોમાયબહેનની અમારી સાથેની છેલ્લી બની રહેલી મુલાકાતની વિડીયો અને એમણે પોતાના સ્વરમાં બોલેલી અંગ્રેજી કવિતા સાંભળવાની અનુભૂતિ અવર્ણનીય હતી. મારી સાથે હોમાયબહેને જાતે બનાવેલી એકાદ બે ચીજો પણ હું લેતો આવેલો, જે સૌને હાથોહાથ જોવા માટે ફેરવવામાં આવી.
અપેક્ષા મુજબ જ આ રજૂઆત પછી સવાલોનો દોર ચાલ્યો. અને જે વાત રજૂઆતમાં આવી ન હતી એવી વાતો આમાં આવરી શકાઈ. હોમાયબહેન વિશે જ્યારે પણ વાત કરવાની આવે ત્યારે જેટલી મને એ કહેવાની મજા આવે છે એટલી જ સાંભળનારને પણ આવતી હોય એમ અનુભવાયું છે.
કાર્યક્રમ પછી ભોજન હતું. ભોજન દરમિયાન પણ વિવિધ વાતો અને ગપસપ ચાલી. એ પછી દોઢેક વાગ્યે મિત્ર દેવેન્દ્રસિંહ લેવા આવ્યા એટલે એમને ઘેર જવા નીકળ્યા.
આમ, દિવસનો પૂર્વાર્ધ બહુ સરસ રીતે, પરિચીતો- સ્નેહીઓની વચ્ચે વીત્યો. હવે સાંજની પ્રતિક્ષા હતી.
(તસવીર સૌજન્ય: અલ્પેશ પટેલ)
No comments:
Post a Comment