ઊપક્રમ એવો હતો કે નડિયાદની આયુર્વેદિક કોલેજના પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓ સમક્ષ મારે નડિયાદના ગોવર્ધનરામ સ્મૃતિમંદિરમાં છેલ્લા બાર વર્ષથી ચાલી રહેલી વિદ્યાર્થીલક્ષી પ્રવૃત્તિ 'સ્ટડી સર્કલ' વિશે વાત કરવી. નિવૃત્ત સનદી અધિકારી અને વિદ્યાપુરુષ (સ્વ.) કુલીનચંદ્ર યાજ્ઞિકે આ પ્રવૃત્તિનો આરંભ કરેલો. દર ગુરુવારે સાંજના છ વાગ્યે કુલીનકાકા ગોવર્ધન સ્મૃતિમંદીરે આવે અને વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરે. સંખ્યા ક્યારેક બે પણ હોય તો ક્યારેક બાવીસ પચીસ પણ હોય. કુલીનકાકાનું આવવું અને વાત કરવું અચળ. છેક એમના અવસાનના થોડા સમય પહેલાં સુધી તેમણે આ ચાલુ રાખેલું. એમના પુત્ર પ્રો. નીરજ યાજ્ઞિક, પ્રો. આશિષ શાહ, ઉર્વીશ કોઠારી અને હું- પણ સંકળાયા. પ્રો. હસિત મહેતા આ આખી પ્રવૃત્તિ પાછળનું ચાલકબળ. અહીં મજા એ આવતી કે વિદ્યાર્થીઓ સમક્ષ વક્તવ્ય નહીં, તેમની સાથે સંવાદ સધાતો, જેમાં સૌના મનની અને જ્ઞાનની ક્ષિતિજો વિસ્તરતી. કોઈ પણ વિષય અંગે અહીં મુક્તતાથી વાત થઈ શકે એવું વાતાવરણ કુલીનકાકાએ ઊભું કરેલું. અમારા સૌની જવાબદારી એને જાળવી રાખવાની. બારેક વર્ષ થયા એટલે હવે અહીં આવનારા વિદ્યાર્થીઓની પણ બીજી- ત્રીજી પેઢી આવી. પણ એક સમયે અહીં સંકળાઈ ચૂકેલા વિદ્યાર્થીઓ આજે ભલે ગમે ત્યાં હોય, હજી તેઓ માનસિક રીતે અહીં સંકળાયેલા રહ્યા છે. આમ, એક બિરાદરી ઊભી થઈ છે એમ કહીએ તો ખોટું નહીં.
Wednesday, November 19, 2025
સર્જકતાની શોધ: શા માટે? શી રીતે?
વિદ્યાર્થીઓ સાથે સંવાદ સાધવાનું મહત્ત્વ જેટલી તેમની જરૂરિયાત છે, એટલી જ આપણી પણ જરૂરિયાત છે, કેમ કે, એ વિના તેમની સમસ્યાઓ કે વિચારજગતનો અંદાજ આવી શકે જ નહીં. હજી વધુ વિદ્યાર્થીઓને આ બાબતે માહિતગાર કરવા અમે નડિયાદની વિવિધ કોલેજોમાં જવા વિચાર્યું છે. આ ઉપક્રમની શરૂઆત ગઈ કાલે થઈ ગઈ. 'સ્ટડી સર્કલ'ના જ બિરાદર અને નડિયાદની આયુર્વેદિક કોલેજના ચોથા વર્ષમાં અભ્યાસ કરતા મિત્ર ભાર્ગવે સુશ્રી ભાગ્યશ્રી ટંડેલના સહયોગથીપોતાની કોલેજમાં આ ઊપક્રમ ગોઠવ્યો. આ કોલેજના કેયુર અને વશિષ્ઠ પણ 'સ્ટડી સર્કલ' સાથે સંકળાયેલા છે.
એ મુજબ વિદ્યાર્થીમિત્રો નાઝનીન અને જૈનિક સહિત અમે ત્યાં પહોંચી ગયા. 'સર્જકતાની શોધ' જેવા વિષય પર વાતનો આરંભ કર્યો અને જીવનમાં સર્જકતાનું મહત્ત્વ કેટલું તેમજ કેવી રીતનું હોય એ વિશે વાત કરી. ત્યાર પછી ટૂંકમાં નડિયાદના અ.સૌ.ડાહીલક્ષ્મી પુસ્તકાલય તેમજ ગોવર્ધનરામ સ્મૃતિમંદિર વિશે તેમજ ત્યાં ચાલતી વિદ્યાર્થીલક્ષી પ્રવૃત્તિઓ વિશે જણાવ્યું. એ પછી ભાર્ગવ અને જૈનિકે આ સ્થળ સાથે પોતે સંકળાયા તેના અનુભવ ટૂંકમાં કહ્યા.
સમય પ્રમાણમાં ઓછો હોવાથી પ્રશ્નોત્તરી થઈ શકી નહીં. પણ આવા સ્થળે જઈએ ત્યારે એક વાત વિદ્યાર્થીઓને ખાસ કહેતા હોઈએ છીએ કે 'સ્ટડી સર્કલ' સાથે સંકળાવ કે ન સંકળાવ એનું મહત્ત્વ એક હદથી વધુ નથી. પણ તમે સમરસિયાઓ ભેગા મળીને આવું કશુંક અનૌપચારિક મિલન કરતા રહો અને વિવિધ વિષય પર વાત કરવાનું રાખો. કેમ કે, હવે વ્યક્તિગત સંવાદની જરૂર વધુ છે. ક્યારેક ક્યાંકથી અમને જાણવા મળે કે અમુક સ્થળે વિદ્યાર્થીઓ આને અનુસરે છે ત્યારે એ જાણીને આનંદ થાય.
કાર્યક્રમની કેટલીક તસવીરો.
(તસવીર સૌજન્ય: કેયુર અને નાઝનીન)
Labels:
Ayurvedic College,
Nadiad,
report,
અહેવાલ,
આયુર્વેદિક કોલેજ,
નડિયાદ
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment