- યેસુદાસન
એક દિવસ તેમણે મને પૂછ્યું, 'તેં વેશ્યાગૃહ જોયું છે?' આ સવાલથી હું દિગ્મૂઢ થઈ ગયો અને મેં ના પાડી. એટલે તે અકળાઈ ગયા. મારું જ્ઞાન તો મેં ફિલ્મોમાં જે જોયેલું એના પૂરતું સીમિત હતું. તેમણે તરત પોતાના ઓફિસ સહાયક રાધેલાલને બોલાવ્યા અને મને જી.બી.રોડ પરના રેડ લાઈટ એરિયામાં લઈ જવાની એમને સૂચના આપી. સવારના સાડા નવ આસપાસ એમની લીલા રંગની એમ્બેસેડર કારમાં મને લઈ જવામાં આવ્યો. એ સાંકડી ગલીઓમાં નાના નાના વેપારીઓ પોતાનો વ્યવસાય કરતા હતા અને ઊપરના માળે મહિલાઓ કતારબંધ પોતાના દેહવિક્રય માટે ઊભેલી હતી.
સાડા અગિયાર સુધી હું પાછો આવ્યો કે એમણે પૂછ્યું, 'તેં બધું બરાબર જોયું?'
એ પછી શંકરે એ દિવસનું પોતાનું કાર્ટૂન પૂરું કર્યું અને એનો વિષય જોઈને હું આશ્ચર્યચકિત થઈ ગયો. કોંગ્રેસના તત્કાલીન વડા યુ.એન.ઢેબરે એક નિવેદન આપેલું કે કોંગ્રેસ તરફ વધુ લોકોને આકર્ષિત કરવા માટે પક્ષે પોતાની નીતિઓમાં ફેરફાર કરવો જોઈએ. આ નિવેદનના આધારે શંકરે કાર્ટૂન બનાવેલું, જેમાં તેમણે નહેરુ, વી.કે.કૃષ્ણમેનન, કરણસિંઘ, જગજીવનરામ, ગુલઝારીલાલ નંદા, અને લાલ બહાદુર શાસ્ત્રીને રેડ લાઈટ એરિયામાં પોતાનું દેહપ્રદર્શન કરતા ઊભા રહેલા ચીતરેલા. કૃષ્ણમેનનને બહુ કામુક રીતે બસો રૂપિયા માંગી રહેલા બતાવેલા. મને નવાઈ લાગી કે મારા એ ગુરુએ સવારના મારા નિરીક્ષણને યથાતથ કાગળ પર ઊતારેલું. કાર્ટૂન દોરતી વખતે તેઓ કહીસુની વાતને બદલે જાતઅનુભવમાં માનતા. આર.શંકરની દેહમુદ્રાને બરાબર ન બતાવીએ કે પી.ટી.પિલ્લાઈના નાક પરના મસાને બરાબર ન ચીતરીએ તો શંકર અકળાઈ જતા. નેતાઓના નિરીક્ષણ માટે તેમણે મને સંસદ ભવનમાં નિયમીતપણે જવાની સૂચના આપેલી. 'મનોરમા'માંથી હું 2008માં નિવૃત્ત થયો ત્યાં સુધી મેં આ સીલસીલો ચાલુ રાખેલો.
(Excerpt from 'Finishing Lines', an autobiography by Cartoonist Yesudasan.)
(નોંધ: પુસ્તકના આ અંશનો અનુવાદ કેવળ પુસ્તક અંગેની જાણકારી અને આસ્વાદ પૂરતો કર્યો છે.
(Published by: The Alcove publishers, Gurgaon, 2025)
(કાર્ટૂનિસ્ટ યેસુદાસન પોતાના ગુરુ કાર્ટૂનિસ્ટ શંકર વિશે)
No comments:
Post a Comment