Sunday, November 23, 2025

ભૂપેન ખખ્ખરનાં સ્મરણોની વહેંચણી

22 નવેમ્બર, 2025ને શનિવારની સાંજે ભરૂચના બી.ડી.એમ.એ. ખાતે બુક લવર્સ મીટની 261મી કડી અંતર્ગત ભૂપેન ખખ્ખર વિશેના મારા પુસ્તકનો વાર્તાલાપ યોજાઈ ગયો. મઝાની વાત એ હતી કે આ પુસ્તકનું સાવ આરંભકાળે બીજ બાર- તેર વરસ અગાઉ ભરૂચના આ જ કાર્યક્રમમાં રોપાયેલું. મારા કોલેજકાળના મિત્ર દેવેન્દ્રસિંહ ગોહિલ દ્વારા પ્રો.રાવજીભાઈ પટેલ 'મોટા' વિશેનું મારું પુસ્તક 'ક્રાંતિકારી વિચારક' અમરીશભાઈ કોન્ટ્રાક્ટર પાસે પહોંચ્યું. એ વાંચ્યા પછી તેમને થયું કે ભૂપેન ખખ્ખર વિશે આવું પુસ્તક થવું જોઈએ.

એ પછીના લાંબા ઘટનાક્રમ પછી આખરે આ વર્ષના માર્ચમાં એ પુસ્તક પ્રકાશિત થયું. આ પુસ્તક વિશે કળાક્ષેત્રના તેમજ અન્ય વાચનરસિક લોકો પણ પરિચીત થાય એ હેતુથી તેના વિશેના વિવિધ વાર્તાલાપનું આયોજન થતું રહ્યું છે. વડોદરા અને સુરતની ફાઈન આર્ટ્સ કોલેજમાં તેમજ વડોદરાની 'ગ્રંથગોષ્ઠિ' પછી ભરૂચની બુક લવર્સ મીટમાં પણ એ થયું. આ ગોષ્ઠિના સંયોજક અંકુર બેન્કરે મુદ્દાસર કાર્યક્રમની ઔપચારિકતાઓને પૂરી કરીને સીધા વક્તવ્ય માટે આમંત્રણ આપ્યું. મીનલબહેન દવે, ઋષિભાઈ દવે, જે.કે.શાહ, દેવાંગ ઠાકોર આ કાર્યક્રમને સતત સંવારતા રહ્યા છે. એ સૌની હાજરી બહુ ઉત્સાહજનક બની રહી. તો ભરૂચના એમિટી પરિવારના શ્રીમતિ અને શ્રી રણછોડભાઈ શાહ, શ્રીમતિ અને શ્રી પ્રકાશભાઈ મહેતા પણ પધાર્યા. બકુલભાઈ પટેલ, શિલ્પકાર મિત્ર રોહિત પટેલ, નરેન સોનાર તેમજ રમણિકભાઈ અગ્રાવતને મળવાની તક મળી. એમ શૈલેષભાઈ પુરોહિત, કાજલબેન પુરોહિત સાથે પરિચય થયો. કામિની તેમજ મિત્રદંપતિ દેવેન્દ્રસિંહ ગોહિલ અને કાનન ગોહિલ સાથે અમરીશભાઈ તો ખરા જ. પણ આ બધાં નામ મેં એ હેતુથી નથી લખ્યાં કે અમે એકમેકને 'ઓબ્લાઈજ' કરીએ.
અસલમાં ભરૂચ સાથેનો મારો પરિચય કશો નહોતો. કોલેજના અભ્યાસ પછી મિત્ર દેવેન્દ્રસિંહે જી.એન.એફ.સી. ખાતે નોકરી લીધી અને એ ત્યાં રહેવા ગયો. એ પછી વરસો સુધી મારા માટે ભરૂચની એક માત્ર ઓળખ એટલે એનું ઘર બની રહેલી. કદી વિચાર્યું નહોતું કે ભરૂચમાં આટલા બધા પરિચય કેળવાશે. એટલે કાલે લગભગ પૂરેપૂરા ભરાયેલા હોલમાં જાણે કે સૌ પરિચીતો જ હોય એમ લાગતું હતું. ભૂપેનના જીવન, પુસ્તકની પ્રક્રિયા વિશે વાત કર્યા પછી અમરીશભાઈએ પોતાના તરફથી પણ ટૂંકમાં વાત મૂકી આપી.
કાર્યક્રમ પછી સૌને હળવામળવાનું પણ આકર્ષણ હોય છે. છેલ્લે મીનલબહેન, વિનોદભાઈ, ઋષિભાઈ સાથે ભોજન પછી વડોદરા આવવા નીકળ્યા.
કાર્યક્રમ લાઈવ કરવામાં આવ્યો હતો, જે આ લીન્ક પર સાંભળી શકાશે.

દીપપ્રાગટ્ય દ્વારા કાર્યક્રમનો આરંભ
(પોડિયમ પર અંકુર બેન્
કર, નીચે બીરેન કોઠારી, દેવાંગ ઠાકોર,
અમરીશ કોન્
ટ્રાક્ટર, મીનલબહેન દવે) 

વક્તાનું સ્વાગત : (ડાબેથી) મીનલબહેન દવે, બીરેન કોઠારી,
દેવાંગ ઠાકોર, ઋષિ દવે

ભૂપેન વિશેની વિવિધ વાતો

અમરીશભાઈ દ્વારા બે મિત્રોની મૈત્રી વિશેની લાગણીસભર વાત

(તસવીર સૌજન્ય: અંકુર બેન્કર)






No comments:

Post a Comment