Monday, November 17, 2025

મૂલ્યવાન પાઠ ધરાવતા પાઠ્યપુસ્તકથી તેઓ જરાય કમ નહોતા

- યેસુદાસન

શંકરને ઘેર રોજેરોજ રાજકારણીઓનો મેળાવડો થતો. મેં સાંભળેલું કે તેઓ સ્કેચ બનાવવા માટે કાગળ લઈને લોકોની વચ્ચે ફરતા. પછી મને ખ્યાલ આવ્યો કે એ સાચું નહોતું. તેઓ બરાબર સાડા આઠે ઓફિસ પહોંચી જતા, તમામ અખબારો વાંચતા અને પોતાને ગમ્યા હોય એવા સમાચારનાં કટિંગ કરતા. બહુ ઝીણવટપૂર્વક તેઓ લોકોનું નિરીક્ષણ કરતા.
પોતાના પુસ્તકાલયમાં રહેલા પુસ્તકોના વિશાળ સંગ્રહ બાબતે શંકર બહુ ગૌરવ અનુભવતા. મારા માટે તેઓ- મારા બીજા ગુરુ- મૂલ્યવાન પાઠ ધરાવતા પાઠ્યપુસ્તકથી કમ નહોતા. પહેલા દિવસનો એક બનાવ મને યાદ આવે છે. એ કદાચ એટલો મહત્ત્વનો ન લાગે, પણ તેણે મારા વિચારો અને દૃષ્ટિકોણ પર ઘેરો પ્રભાવ પાડ્યો છે.
એમની ઓફિસમાં મારા પહેલા જ દિવસે તેમણે મને જાણીતા બ્રિટીશ કાર્ટૂનિસ્ટ ડેવિડ લોનાં ત્રણ પુસ્તકો લાવવાનું કહ્યું. મને એ જડ્યાં નહીં. જો કે, તેમણે એક જ મિનીટમાં એ શોધી કાઢ્યાં. પોતાના પુસ્તકાલયમાંથી તેમને જણાવ્યા વિના પુસ્તકો લઈ જવાની તેમણે મને ના પાડેલી. ઘણા કાર્ટૂનિસ્ટો એમની પાસેથી લઈ ગયેલાં પુસ્તકો પરત કરતા નહોતા એ બાબતે તેઓ નારાજ હતા.
તેમણે મને શેરીઓમાં ભટકીને ભિક્ષુકો, કાર મિકેનીકો અને બૂટપાલિશ કરતા છોકરાઓનો અભ્યાસ કરતાં શીખવ્યું. સાથોસાથ મિલનસ્થાનોની મુલાકાત, વક્તવ્યમાં ભાગ લેવો તેમજ લોકોની રીતભાતને ઝીણવટથી અવલોકતાં શીખવ્યું.
તેમની પાસેથી હું શીખ્યો કે જગજીવન રામની અને મોરારજી દેસાઈની લાકડી ભલે એક સરખી જણાય, પણ એક કાર્ટૂનિસ્ટની દૃષ્ટિએ એમાં ફરક જણાવો જ જોઈએ.
કાર્ટૂનિંગ બાબતે તેમણે મને (કાર્ટૂનિસ્ટ) ઓ.વી.વિજયનની કે અબુ (અબ્રાહમ)ની શૈલીને ન અનુસરવાની સલાહ આપી. એક કાર્ટૂન એ હદનું બૌદ્ધિક ન હોવું જોઈએ કે એક સરેરાશ માણસ એને માણી ન શકે. જેમ કે, વિજયનનું 'યુ ટૂ, બ્રુટસ' શિર્ષકવાળું કાર્ટૂન કોઈક જુએ તો એ બ્રિટીશ લાયબ્રેરીમાં જાય, સવારે દસ વાગ્યે એ ખૂલે ત્યાં સુધી રાહ જુએ, સીઝર પરનું પુસ્તક ફંફોસે અને પછી પાછો આવીને કાર્ટૂનનું વિશ્લેષણ કરીને હસે એ અશક્ય છે. શંકર માનતા કે એક જ લસરકામાં કોઈકને હસાવી શકે એ સફળ કાર્ટૂન.
(Excerpt from 'Finishing Lines', an autobiography by Cartoonist Yesudasan.)
(નોંધ: પુસ્તકના આ અંશનો અનુવાદ કેવળ પુસ્તક અંગેની જાણકારી અને આસ્વાદ પૂરતો કર્યો છે.
(Published by: The Alcove publishers, Gurgaon, 2025)
(કાર્ટૂનિસ્ટ યેસુદાસન પોતાના ગુરુ કાર્ટૂનિસ્ટ શંકર વિશે)
(આ સાથે અબુ અબ્રાહમ, ઓ.વી.વિજયન, શંકર અને યેસુદાસનનાં એક એક કાર્ટૂન તેમની શૈલીનો અંદાજ આવે એ હેતુથી મૂક્યાં છે.)

અબુ અબ્રાહમનું કાર્ટૂન

ઓ.વી.વિજયનનું કાર્ટૂન
શંકરનું કાર્ટૂન

યેસુદાસનનું કાર્ટૂન (રાજ્યસભાની બેઠક માટે સોનિયા ગાંધી સામે
ઊમેદવારી માટે કરુણાકરણ જૂથ અને કે.એમ.મણિ આગળ આવ્યા)

No comments:

Post a Comment