Friday, July 25, 2025

રજનીકુમાર પંડ્યા (20): પાત્ર આલેખકથી દોરવાયું

 શબ્દચિત્રો, જીવનચરિત્રોની જેમ રજનીભાઈએ 'ડોક્યુનોવેલ' પણ લખી હતી 'પુષ્પદાહ' અને એથી પહેલાં 'પરભવના પિતરાઈ'. 'ડોક્યુનોવેલ'માં સ્વરૂપ અને શૈલી નવલકથાનાં, પણ વિગતો વાસ્તવિક. 'પુષ્પદાહ'ના મૂળ પ્રણેતા ઈશ્વરભાઈ તેની સિક્વલ લખાવવા ધારતા હતા. રજનીભાઈને તેમણે એ વિશે જણાવ્યું, પણ રજનીભાઈ અતિ વ્યસ્ત હોવાથી તેમણે એ માટે ના પાડી. તેમણે અન્ય એક બે નામ પણ ચીંધ્યાં. (અગાઉ એક પોસ્ટમાં જણાવેલી 'સબ ફૂટ ગયે યહાં સે'...પંક્તિમાં મેં જે ખાલી જગ્યા રાખી છે એમાંનાં એ નામ) આ વાત ચાલતી હતી એ વિશે તેમણે મને જણાવેલું. નવલકથા કે વાર્તા લખવાની મારી ફાવટ નહીં, છતાં મેં પૂછ્યું, 'તમે ના પાડો છો તો હું એ કરું?' મારા મનમાં રજનીભાઈની જરૂરિયાત સ્પષ્ટ હતી, એટલે મને એમ કે હું એમને જરૂરી માળખું કરી આપું તો બાકીનું કામ કરવામાં તેમને સરળતા રહે. તેમણે મને કહ્યું, 'તને 'એચ.એ.એચ.' (એમની એક વાર્તાનો સંદર્ભ, જેમાં એક પાત્રને થાય છે કે 'હું આમાંય હાલું') તો નથી ને?' મેં કહ્યું, 'ગુરુ, તમારી જેમ મનેય ખબર છે કે આ મારી 'લેન' નહીં. પણ મને એમ છે કે હું આટલું કરી દઉં તો પછી તમને બહુ સરળતા રહે.' એ કહે, 'ના. રહેવા દે ને! મેં ઈશ્વરભાઈને બીજાં નામ આપેલાં છે.' ઈશ્વરભાઈએ એ મુજબ સંપર્ક કર્યો હશે, પણ ફાવ્યું નહીં. એટલે હરીફરીને વાત આવી પાછી રજનીભાઈ પાસે. આ વખતે તેમણે જ ઈશ્વરભાઈને મારું નામ સૂચવ્યું. અમે ત્રણે મળ્યા. રજનીભાઈએ એ શરતે તૈયારી બતાવી કે આ કામ હું કરું. એટલે કે માળખાકીય કામ મારે કરવાનું અને પછી એના આધારે તેઓ સિક્વલ લખે. ઈશ્વરભાઈનો મેં ઈન્ટરવ્યૂ કર્યો. એમાં જ રજનીભાઈને અને મને ખ્યાલ આવી ગયો કે સિક્વલમાં બહુ મજા નહીં આવે. રજનીભાઈએ એ મુજબ જણાવ્યું પણ ખરું, છતાં ઈશ્વરભાઈ આગ્રહી રહ્યા. છેવટે થોડા સમય પછી તેમણે આ કામ પડતું મૂકવા કહ્યું અને અમે બન્નેએ હાશકારો અનુભવ્યો.

'પરભવના પિતરાઈ'નો એક કિસ્સો નમૂનેદાર છે, જે એમાં ઉલ્લેખાયેલો છે. સાબરકાંઠા વિસ્તારના આદિવાસીઓ માટે જીવન સમર્પી દેનારા નરસિંહભાઈ ભાવસારના જીવનકાર્ય પર આધારિત આ દસ્તાવેજી નવલકથાના આલેખન માટે રજનીભાઈ એ વિસ્તારમાં ગયેલા અને નરસિંહભાઈની સાથે ફરેલા. આજીવન અપરિણીત રહેનારા નરસિંહભાઈએ વાસ્તવમાં તો પોતાની મરતી માને વચન આપેલું કે પોતે લગ્ન કરશે. એમ વિચારીને કે એ બહાને માને આશ્વાસન મળે અને એનો જીવ ભરાયેલો ન રહે. એટલે આમ જોઈએ તો એમણે મા સાથે વચનભંગ કર્યો ગણાય. આ ઘટના પુસ્તકમાં આલેખતી વખતે રજનીભાઈમાં રહેલો વાર્તાકાર ખીલી ઊઠ્યો. માણસ મરતી મા સાથે વચનભંગ કરે અને એના દિલમાં કશો ખટકો ન હોય એ શી રીતે બને? એટલે એમણે એ 'વચનભંગ'ને ન્યાયી ઠેરવવા એક કાલ્પનિક કિસ્સો ઊમેર્યો. એ મુજબ, નરસિંહભાઈ ખુલ્લા આકાશ નીચે ખાટલો નાખીને સૂતેલા. આકાશમાં દેખાતા અસંખ્ય તારાઓમાંના એકમાં એમણે પોતાની માનો ચહેરો કલ્પ્યો. એની સાથે સંવાદ કર્યો અને પોતે એને આપેલા વચનમાંથી મુક્તિ માગી. આ કાલ્પનિક કિસ્સો લખીને તેમણે નરસિંહભાઈને વંચાવ્યો, જે એમની સંમતિથી પુસ્તકમાં આલેખાયો. પછી?
એ રાતે નરસિંહભાઈએ ખાટલો ખેંચ્યો અને કહ્યું, 'આજે રાતે હું ખુલ્લા આકાશ નીચે સૂઈશ અને મારી મા સાથે સંવાદ કરીશ.' કોઈક ઘટનાનાં પાત્રો વાર્તાકારને દોરે એવું અનેક વાર બન્યું છે, પણ આ કિસ્સે વાર્તાકારે પોતાના પાત્રને દોરવ્યું હતું. ખરેખર! એ રાતે નરસિંહભાઈ ખુલ્લા આકાશ નીચે સૂતા અને પોતાની મૃત મા સાથે સંવાદ સાધવા પ્રયત્ન કર્યો.

Thursday, July 24, 2025

રજનીકુમાર પંડ્યા (19): ભીનું પોતું

'ચિત્રલેખા'માં દર સપ્તાહે તારકભાઈ 'દુનિયાને ઉંધાં ચશ્મા' લખતા ત્યારે એમાં ઘણી વાર વાસ્તવિક પાત્રોને પણ આલેખતા. એક વાર તેમણે એવી એક કથા લખેલી, જેમાં રજનીકુમાર પંડ્યાની ચીઠ્ઠી લઈને ગુણવંત પરબાળા નામનો એક યુવક તારકભાઈ પાસે આવે છે. ચીઠ્ઠીમાં તારકભાઈએ રજનીભાઈની શૈલી બરાબર પકડેલી. કામ અંગેની વિગત પછી લખેલું, 'કશો ભાર રાખતા નહીં.' મતલબ કે કામ ન થાય તો ભાર ન રાખતા. આ વાંચીને અમે રજનીભાઈને પૂછેલું કે તમે આવી કોઈ વ્યક્તિને ખરેખર મોકલેલી? રજનીભાઈએ હસીને કહેલું, 'ના, આ ચોક્કસ વ્યક્તિને નથી મોકલી. પણ તારકભાઈએ મારી શૈલી બરાબર પકડી છે.' રજનીભાઈ માટે તારકભાઈને એટલો ભાવ હતો કે તેમણે આત્મકથામાં લખેલું, '(મુંબઈથી) અમદાવાદ આવવા માટેનાં કારણોમાંનું એક મહત્ત્વનું કારણ એટલે રજનીકુમાર પંડ્યા.' (શબ્દો સહેજસાજ જુદા હોઈ શકે)

રજનીભાઈએ 'આપ કી પરછાંઈયાં'ની પ્રસ્તાવનામાં બિનીત મોદી માટે લખેલું, 'એ મારો મહાદેવ દેસાઈ છે. અલબત્ત, હું ગીતગાંધી નથી.' તારકભાઈને આ યાદ રહી ગયેલું. એટલે અમદાવાદ સ્થાયી થવા આવ્યા એ સાથે જ તેમણે રજનીભાઈ પાસે 'પેલા મહાદેવ દેસાઈ'ની માગણી કરી. એ રીતે બિનીત તારકભાઈ સાથે સંકળાયો અને છેક સુધી એ પરિવારનો આત્મીયજન બની રહ્યો. 'ઉંધા ચશ્મા'ના એ હપતામાં તારકભાઈએ રજનીભાઈના પરિચયમાં લખેલું, 'લાગણીના ઊંડા પાણીમાં તરવું હોય તો રજનીકુમાર પંડ્યા (નાં લખાણો) ટાયરનું કામ આપે છે.' આ એક જ વાક્યમાં તારકભાઈએ રજનીભાઈની શૈલીનો પરિચય કરાવી દીધેલો.
સંવેદનાત્મક લખાણ જરાય નરમનરમ કે પોચકાં મૂક્યા વિના લખવું રજનીભાઈની વિશેષતા હતી. જીવનકથા લખવાના અમારા સંયુક્ત પ્રોજેક્ટમાં અમારા ભાગે જે શ્રમવિભાજન થતું એમાં કથાનાયકની માતા કે જીવનસાથી વિશે લખવાનું રજનીભાઈ જ કરતા. અન્ય આનુષંગિક વિગતોની પૂર્તિ હું કરતો. એકાદ બે વખત એવું બનેલું કે સાવ ટૂંકી સમયમર્યાદામાં અમારે કામ પૂરું કરવાનું હતું. એટલે રજનીભાઈએ મને કહ્યું, 'તું વિગતોથી લેખનું માળખું બનાવી દે. વચ્ચે ખાલી જગ્યા છોડજે. એમાં હું (લાગણીનું) 'ભીનું પોતું' મારી દઈશ. એ પછી આ 'ભીનું પોતું' શબ્દ અમારી વચ્ચે ઠીક ઠીક ચલણી બન્યો. મેં એનુંય એક નામ આપ્યું.
થયેલું એવું કે મારું મકાન બનાવડાવવાનું કામ બે એક વરસ ચાલ્યું એમાં અનેક એજન્સીઓ સાથે કામ પાર પાડવાનું બન્યું. તેઓ 'ડૂઘો' શબ્દ વાપરતા. પ્લાસ્ટર કરવાનું હોય કે ટાઈલ્સ લગાવવાની હોય ત્યારે તેઓ કહેતા, 'પહેલા ડૂઘો મારી દો. પછી કામ શરૂ કરજો એટલે તિરાડો ન પડે.' પૂછતાં સમજાયું કે 'ડૂઘો' એટલે સિમેન્ટના પાણીમાં બોળેલું પોતું. ઘણા 'ડૂઘો ફેરવી દો' એમ પણ કહેતા.
એટલે હું આવા કોઈ પ્રકરણનું માળખું બનાવું પછી રજનીભાઈને કહું, 'લો, હવે તમે ડૂઘો મારી દેજો એટલે પ્રકરણ તૈયાર.' રજનીભાઈ એનો 'ડૂંઘો' ઉચ્ચાર કરતા. કહેતા, 'આ જોઈ લે. મેં ડૂંઘો મારી દીધો છે.' એમનો 'ડૂઘો' ફરતો એ એવો અદ્ભુત હતો કે એ વાંચીને લોકોની આંખ છલકાઈ ઉઠતી. અમે આ શબ્દનું મૂળ શોધવા પ્રયત્ન કરેલો, પણ સફળતા મળી નહોતી. એક જીવનકથાના આલેખન દરમિયાન એને લખાવનારા રજનીભાઈને કામ જલ્દી કરવા ઉતાવળ કરાવતા, લગભગ ધમકીના સ્વરે કહેતા કે પોતે બીજા કોઈકને એ સોંપી દેશે...વગેરે. પણ રજનીભાઈનું લખેલું પ્રકરણ વાંચે ત્યારે આંસુ માંડ ખાળી રાખતા. એકબીજાને કહેતા, 'આ રજનીભાઈ સિવાય કોઈનું કામ નહીં.' અમને આ અભિપ્રાયની જાણ થતી જ, પણ સીધેસીધી નહીં. એટલે અમે હસતા. ક્યારેક એવી મજાક પણ કરતા, જે બાંધકામની પરિભાષામાં રહેતી, 'હવેથી ડૂંઘો બહુ 'તર' નહીં કરીએ. નકામું પાણી દદડે અને ડાઘ પડે.'

Wednesday, July 23, 2025

રજનીકુમાર પંડ્યા (18): વરાળે ઢોકળાં

રાજકોટના સ્વ. રતિભાઈ ગોંંધિયાની જીવનકથા આલેખવાનું કામ રજનીભાઈને સોંપાયું એ અગાઉ અમે બન્નેએ અમારા જોડાણ થકી એક પ્રોજેક્ટ સફળતાથી પૂરો કર્યો હતો. આથી આ પ્રોજેક્ટમાં પણ મને તેમણે સાથે લીધેલો. તેઓ રાજકોટ પહોંચી ગયેલા અને ત્યાં જ મહિનોમાસ રોકાયા હશે. મારી નોકરી ચાલુ હોવાથી હું એક અઠવાડિયાની રજા લઈને ગયેલો. હું ત્યાં હતો એ દરમિયાન રતિભાઈ જે સ્થળો કે વ્યક્તિઓ સાથે સંકળાયેલા એ સૌની મુલાકાતનું આયોજન ગોઠવાયેલું. રજનીભાઈની ઈચ્છા એવી કે એ બહાને હું તળ કાઠિયાવાડ ફરું, અને એ પણ એમની સાથે. અમારો ઉતારો પણ (ત્યારની) ગોંધિયા હોસ્પિટલ'માં હતો. અમારા માટે એક એમ્બેસેડરની વ્યવસ્થા હતી. અમારી સાથે રાજકોટના શ્રી ધનસુખભાઈ, ડ્રાઈવર મુકેશ હતા. (રજનીભાઈનાં પત્ની) તરુબહેન પણ સાથે હતાં. અમે ત્રણે પાછલી સીટમાં બેસતાં. વચ્ચે રજનીભાઈ, એમની એક તરફ તરુબહેન અને બીજી તરફ હું. ધનસુખભાઈ આગળ બેસતા. ડ્રાઈવિંગ ન કરવાનું હોવાથી બહુ નિરાંત રહેતી. આખે રસ્તે અનેક પ્રકારની વાતો, રમૂજ સતત ચાલ્યા કરતાં. ધનસુખભાઈ ત્યારે સીત્તેરેકના હશે, પણ એટલા ચપળ કે કાર ઊભી રહે અને અમે હજી બહાર નીકળીએ એ પહેલાં તો તેઓ ઊતરીને આગળ જઈને સામેની વ્યક્તિ સાથે વાત કરી રહ્યા હોય. રજનીભાઈએ એમને કહ્યું, 'તમે ચકલી જેવા ચપળ છો. ફર્રર્ર કરતાંકને પહોંચી જાવ છો.'

અનેક સ્થળોએ અમે ફર્યા. અમે બન્ને હોવાથી કામ વહેંચાઈ જતું. ઈન્ટરવ્યૂ લેવા માટે પણ અમે માણસોને વહેંચી લેતા. અમુકની સાથે તેઓ વાત કરે, અને અમુકની સાથે હું. મારું કામ પતે પછી હું એ સ્થળ અને વ્યક્તિઓના ફોટા પણ લઈ લેતો.
રજનીભાઈ ત્યાં હતા એ જ સમયે તેમને રાજકોટની 'રાજબૅન્ક'ના દસ્તાવેજીકરણનું કામ પણ સોંપાયું. મારું જવાનું એ પછીના અરસામાં ગોઠવાયેલું. એટલે હું રહ્યો એ દરમિયાન અમે 'રાજબૅન્ક'ને લગતા ઈન્ટરવ્યૂ પણ કરતા. સમયનું વ્યવસ્થાપન એ રીતે કરાતું કે બધું સરસ રીતે ગોઠવાઈ જાય. રતિભાઈના કામ માટે હું ત્યાં ગયેલો, અને સાથે 'રાજબૅન્ક'નું કામ પણ થતું એટલે રજનીભાઈ કહેતા, 'તારે તો વરાળે ઢોકળાં બફાય છે.' આ શબ્દપ્રયોગ મને એવો ગમી ગયો કે પછી હું એનો ઘણી વાર ઉપયોગ કરતો. એક વાર મારે એક પુસ્તક વિશે બોલવા જવાનું હતું. હું સહેજ વહેલો પહોંચવાનો હતો એ જાણીને ત્યાંની એક સંસ્થાના પરિચીત સંચાલકે મને પોતાની સંસ્થામાં મુલાકાતે આવવા વિનંતી કરી. મેં હા પાડી અને મનમાં કહ્યું, 'તમે વરાળે ઢોકળા બાફી લીધા.' પછી તો આ શબ્દપ્રયોગના જુદા જુદા ઊપયોગ અહીં ફેસબુકની કમેન્ટોમાં પણ કરાતા. 'કોકની વરાળ અને આપણાં ઢોકળાં' એમાંનો સૌથી પ્રચલિત.

Tuesday, July 22, 2025

રજનીકુમાર પંડ્યા (17): મુંબઈના મિત્રો

રજનીભાઈ સાથે બહાર જવાનું બને ત્યારે જાતભાતની વાતો થાય, વિવિધ લોકોને મળવાનું બને, એમ લોકોના અને એમની પ્રકૃતિનાં વિવિધ પાસાં પણ જોવા મળે. મુંબઈમાં પછીના ગાળામાં તેમના મિત્ર બનેલા એડવોકેટ ગિરીશભાઈ દવે પોતાની કાર અને ડ્રાઈવરને મોકલી આપતા. એ જ રીતે તેમનો ઉતારો મિત્ર બદરૂદ્દીન બોઘાણીને ત્યાં રહેતો. બોઘાણીસાહેબ એકલા જ હતા. તેમનાં સંતાનો વિદેશમાં તેમજ મુંબઈમાં અન્યત્ર રહેતા. એક વખત રજનીભાઈ સાથે હું પણ બોઘાણીસાહેબને ત્યાં ઊતર્યો. સામાન્ય રીતે મુંબઈમાં મારો ઊતારો મારા કાકા શૈલેષ પરીખને ત્યાં રહેતો.

બોઘાણીસાહેબના પિતાજી હબીબ ખાંભાવાળાના નામે પ્રસંગકથાઓ લખતા, જે વાર્તાત્મક રહેતી. બોઘાણીસાહેબ પણ જબરા વાતરસિયા. દિવસે તો રજનીભાઈ અને હું કામ માટે ફરતા રહ્યા. રાત્રે ઘેર આવીને તેમણે બોઘાણીસાહેબને કહ્યું, 'બીરેનને તમે પેલી એક બે વાત કહો.' એ પછી બોઘાણીસાહેબે વાત માંડી. એમનું કથન અને વાર્તારસ એટલો પ્રબળ હતો કે આપણે જાણે કે એ આખી ઘટનાનું પાત્ર હોઈએ એમ લાગે. યાદશક્તિના આધારે પછી એ આખી વાત મેં મારા બ્લૉગ પર લખેલી. એમણે બીજી ત્રણ-ચાર વાતો કરેલી. મને થયું કે એમની વાતો રેકોર્ડ કરી લેવી જોઈએ અને પછી એનું આલેખન કરવું જોઈએ. એ જો કે, થઈ શક્યું નહીં, પણ બોઘાણીસાહેબને મારા માટે એક પ્રકારનો ભાવ થઈ ગયેલો. એ પછી તેઓ મને ફોન કરતા અને ફોનમાં એ ઘટનાઓના ડાયલોગ જણાવતા. એમનો ફોન આવે એટલે મોટે ભાગે હું ઊપાડતો જ, કેમ કે, બોઘાણીસાહેબે કહેલું એક વાક્ય રજનીભાઈના અને મારા હૃદયની આરપાર નીકળી ગયું હતું. એકલતા કેવી અઘરી ચીજ છે એનો ખ્યાલ આવેલો. એમણે કહેલું, 'રોજ સાંજે વૉક માટે ઘરની બહાર નીકળું છું. પાછો આવીને તાળું ખોલું છું. ક્યારેક એમ થશે કે તાળું ન પણ ખોલી શકું.' થોડા વરસ પછી તેમનું અવસાન થયેલું ત્યારે રજનીભાઈએ અને મેં ફોન પર એમની ઘણી વાતો કરેલી.
મુંબઈની એ મુલાકાતમાં એક ભાઈને કંઈક કામ અંગે રજનીભાઈને મળવું હતું. એમણે મુંબઈની રીતરસમ અનુસાર 'ગરવારે ક્લબ'માં અમને નિમંત્ર્યા. ગિરીશભાઈના વાહનમાં અમે બન્ને ત્યાં પહોંચ્યા. અંદર પ્રવેશ્યા તો ઘોંઘાટ, ધુમાડો અને આછા અંધારાનો માહોલ. એક ટેબલ પર અમે ગોઠવાયા. વાનગીઓ મંગાવી અને વાત શરૂ થઈ. પણ અમારી સામેના એક મોટા ટેબલ પર આઠ દસ મહિલાઓ બેઠેલી. તેઓ એટલી મોટેથી વાતો કરી રહી હતી કે અમને વાત કરવામાં બહુ મુશ્કેલી પડતી હતી. થોડી વાર તો અમે એ સહન કર્યું, પણ પછી અમને એકબીજાનો અવાજ સંભળાય નહીં એ હદે તેમની વાતોનું વોલ્યુમ વધ્યું. રજનીભાઈ ઊભા થયા અને કહે, 'હું એમને કહું છું.' આ જોઈને અમારા યજમાન ગભરાયા. એમણે રજનીભાઈને વારવા પ્રયત્ન કર્યો. પણ રજનીભાઈ કહે, 'તમે ચિંતા ન કરો. કશું નહીં થાય.' પેલા ભાઈ રીતસર ગભરાયા અને કહે, 'તમે રહેવા દો. નકામો ઝઘડો થશે.' પણ રજનીભાઈ પેલા ટેબલ સુધી પહોંચી ગયેલા. અમારા યજમાન ઊંચા શ્વાસે એ તરફ જોઈ રહ્યા હતા. મેં એમને કહ્યું, 'ચિંતા ન કરો. કશું નહીં થાય.' પણ એમને વિશ્વાસ નહોતો બેસતો. રજનીભાઈ કશીક વાત કરતા હતા એ અમને દેખાતું હતું, પણ સંભળાતું નહોતું. પેલી બહેનો પણ હસીને તેમની સાથે વાત કરી રહી હતી. થોડી વારમાં તેઓ પાછા આવ્યા. પેલા ટેબલ પરથી અવાજ સાવ તો બંધ ન થયો, પણ ઓછો અવશ્ય થયો. અમે શાંતિથી પછીની વાત કરી શક્યા. આ જોઈને પેલા યજમાનભાઈને રજનીભાઈ માટે 'એન.ઓ.બી.' થઈ ગયું. એકદમ અહોભાવથી કહે, 'સાહેબ, તમે એવું તો શું કહ્યું? મને તો એમ કે આજે ઝઘડો જ થઈ જશે.' રજનીભાઈ હસીને કહે, 'મેં કહ્યું કે જુઓ બહેનો, હું તમારા પિતાની ઉંમરનો છું. અને તમને એક વિનંતી કરું છું.' બસ, એમના આ વાક્યે ધારી અસર નીપજાવી. અલબત્ત, પેલી બહેનોએ હસીને કહ્યું, 'અંકલ, અમે પ્રયત્ન કરીશું, પણ લેડીઝ છીએ એટલે વાતો તો થવાની જ.' રજનીભાઈએ કહેલું, 'તમે વાતો કરજો, કેમ કે, તમે એના માટે જ આવ્યા છો, એમ અમનેય કરવા દેજો, કેમ કે, અમેય એના માટે આવ્યા છીએ.' શબ્દો કદાચ આ નહીં તોય ભાવ આવો. એ પછી અમે મુખ્ય વાત કરી અને છેવટે જવા નીકળ્યા. એ વખતે રજનીભાઈ ફરી એક વાર પેલા ટેબલ પાસે જઈને બહેનોને 'થેન્ક યુ' કહી આવ્યા. પેલી બહેનોએ પણ એમને 'આવજો, અંકલ' કહીને વિદાય આપી. આ જોઈને અમારા યજમાનને રજનીભાઈ માટે નવેસરથી 'એન.ઓ.બી.' થયું.
(એન.ઓ.બી. એટલે 'ન ઓળખ્યા ભગવંતને'નું રજનીભાઈએ બનાવેલું ટૂંકું રૂપ)

Monday, July 21, 2025

રજનીકુમાર પંડ્યા (16): તું કહે છે તો એમ જ હશે

રજનીભાઈ સાથે 2002માં પહેલવહેલી વાર હું ચરિત્રલેખનના કામ અંગે સંકળાયો એ પછીના એમને મળેલા દરેક કામમાં મારી ભૂમિકા નિશ્ચિત બની રહેલી. એમાં સહેજ વધારો થયો મુંબઈના ઉદ્યોગપતિ નવનીતરાય આર. ત્રિવેદીની જીવનકથાના લેખનથી. ત્રિવેદીસાહેબ મુંબઈ રહેતા, રજનીભાઈ અમદાવાદ અને હું વડોદરા. ત્રિવેદીસાહેબ સાથે પ્રાથમિક ઈન્ટરવ્યૂ કર્યા પછી નક્કી એવું થયું કે ત્રિવેદીસાહેબ જાતે જ સ્વકથન બોલતા જાય અને કેસેટમાં રેકોર્ડ કરતા જાય. રજનીભાઈએ લીધેલા- રેકોર્ડ કરેલા તમામ ઈન્ટરવ્યૂનું લિપ્યાંતર/Transcription કરવાનું મારા ભાગે હતું. આથી ત્રિવેદીસાહેબ એક એક કેસેટ રેકોર્ડ કરીને મને વડોદરા મોકલતા જાય. હું એમના કથનને કાગળ પર ઊતારું, એને વિષયવાર શિર્ષક આપું, કોઈ સવાલ ઊભો થાય તો એ એમને મોકલું, જેથી તેઓ પછીની કેસેટમાં એનો જવાબ રેકોર્ડ કરીને મને મોકલે. કેસેટવાર તૈયાર થયેલી આ સ્ક્રીપ્ટ હું રજનીભાઈને મોકલું અને એ સામગ્રી પરથી તેઓ જીવનકથાનાં પ્રકરણ લખે. એકલા એકલા બોલવામાં સહેજ આરંભિક મુશ્કેલી પછી ત્રિવેદીસાહેબને પદ્ધતિ ફાવી ગઈ. રજનીભાઈએ એમ રાખેલું કે એક વાર થોડી સામગ્રી એમની પાસે એકઠી થઈ જાય એ પછી જ તેઓ એ વાંચશે અને લેખનનું કામ શરૂ કરશે. આથી એક ચોક્કસ સમયગાળામાં ત્રિવેદીસાહેબના જીવનની, એમણે જણાવેલી તમામ વિગત મને લગભગ મોઢે થઈ ગયેલી. એમની જીવનકથા પણ બહુ ઊતારચડાવવાળી હતી.

એવામાં એક તબક્કે ત્રિવેદીસાહેબનું અમદાવાદ આવવાનું ગોઠવાયું. હજી રજનીભાઈ તેમની સામગ્રીમાંથી પસાર થયા ન હતા. આથી મારે પણ એ મુલાકાત દરમિયાન હાજર રહેવું એમ ઠરાવાયું. ત્રિવેદીસાહેબ રજનીભાઈને ત્યાં આવે એ અગાઉ અમે થોડી પ્રાથમિક ચર્ચા કરી લીધી. એ પછી ત્રિવેદીસાહેબ આવ્યા. જીવનકથાની વાત ગૌણ હતી, કેમ કે, એ કામ હજી ચાલી રહ્યું હતું, છતાં એના વિશે વાત તો કરવી પડે ને! એટલે અમારા પૂર્વઆયોજન મુજબ રજનીભાઈએ વાત શરૂ કરી. એ પછી વાતમાં હું દાખલ થયો અને મેં સવિસ્તર અહેવાલ આપ્યો. ત્રિવેદીસાહેબ એકદમ સ્તબ્ધ! પોતે જે સ્વકથન રેકોર્ડ કરીને મોકલ્યું છે એને અમે લોકોએ આ હદે હૃદયસ્થ કરી લીધું છે એ એમના માટે પરમ આશ્ચર્ય હતું. રજનીભાઈ તો બરાબર, પણ મનેય એ બરાબર યાદ છે એ જાણીને એમને નવાઈ લાગી. એ કહે, 'તમારી કામની પદ્ધતિ શી છે? મને બહુ નવાઈ લાગે છે!'
એ પછી અમારે નજીકની એક હોટેલમાં ભોજન માટે જવાનું હતું. અમે ત્રણે ત્યાં જવા નીકળ્યા. હોટેલની લિફ્ટમાં ચડીને અમે બહાર નીકળતા હતા ત્યારે ત્રિવેદીસાહેબ મારી નજીક આવ્યા અને પૂછ્યું, 'બીરેન, મને પહેલો હાર્ટ એટેક ક્યારે આવેલો?' મેં કહ્યું, '1994માં.' એ કહે, '1993માં નહીં?' મેં કહ્યું, 'ના. 1993માં તો તમે ભારત આવ્યાની રજતજયંતિ ઊજવેલી. એ પછીના વરસે તમે પ્રવાસે ગયા અને એ દરમિયાન તમને એટેક આવેલો.' ત્રિવેદીસાહેબે રીતસર પોતાનો કાન પકડ્યો અને કહે, 'યુ આર રાઈટ. આઈ મે બી રોન્ગ, બટ યુ નો એવરિથિંગ અબાઉટ મી.' આ વાતચીત દરમિયાન રજનીભાઈ આગળ નીકળી ગયેલા.
જમીને ત્રિવેદીસાહેબે વિદાય લીધી એ પછી મેં રજનીભાઈને આ બાબત જણાવી. અમે બન્ને આખી ઘટના યાદ કરી કરીને બહુ હસ્યા. રજનીભાઈએ કહ્યું, 'કાલે ઉઠીને ત્રિવેદીસાહેબને કશું થાય અને ડૉક્ટર આવીને તેમનું નિદાન કરે તો તેઓ કહેશે- પેલા બીરેનને બોલાવો. એ કહે કે હું જીવતો છું તો હું જીવતો હોઈશ.' એ પછીની અમારી અનેક વાતચીતમાં આ ઘટના એક સંદર્ભબિંદુ બની રહી. એના સંવાદ જુદા જુદા રહેતા. જેમ કે, (ત્રિવેદીસાહેબ કહે છે‌) 'ભાઈ બીરેન, જરા જો ને. મારી નાડી આમ તો ધબકે છે, પણ તું કહે એ ફાઈનલ.' ક્યારેક એવો સંવાદ થાય, '(બીરેન કહે), 'માફ કરજો, ત્રિવેદીસાહેબ, આપની નાડી ધબકતી છે, પણ આપ જીવતા નથી.' અને ત્રિવેદીસાહેબ સ્વીકારના ભાવ સાથે કહે, 'સારું, ભાઈ. તું કહે છે તો એમ જ હશે.' હવે ત્રિવેદીસાહેબ નથી રહ્યા, પણ એક વાર અમારી આ મજાક અમે એમનેય કહેલી.
વખતોવખત અમે આ વાત યાદ કરતા અને જુદી જુદી પરિસ્થિતિઓમાં એને સાંકળીને હસતા. એ હદે કે આગળ જતાં આ ઘટનાબીજને કેન્દ્રમાં રાખીને તેમણે 'મેમરી ટ્રેઝર' નામની વાર્તા લખી. 'સાર્થક જલસો'ના અંક નં. 13માં 'વ્યાવસાયિક ચરિત્રલેખન વિશેના મારા લેખ પછી અમે ખાસ એ વાર્તા છાપી, સાથે રજનીભાઈને વિનંતી કરી કે એની સર્જનપ્રક્રિયા તેઓ લખે. તેમણે બહુ ઊલટથી એ લખી આપી, એટલું જ નહીં, એ વાર્તાનું મૂલ્યાંકન કરીને એ 'પરફેક્ટ વાર્તા' નથી એમ પણ લખ્યું.

Sunday, July 20, 2025

રજનીકુમાર પંડ્યા (15): સંગીતપ્રેમીઓની ત્રણ શ્રેણીઓ

 જાણક, માણક અને મારક. અગાઉ ઉર્વીશે લખ્યું છે એમ સંગીતપ્રેમીઓના આ ત્રણ પ્રકાર રજનીભાઈએ પાડેલા. 'આપ કી પરછાઈયાં'ની પ્રસ્તાવનામાં એનો ઉલ્લેખ છે. તેમણે એમ પણ લખ્યું છે કે કોઈ એક જ વ્યક્તિમાં આ ત્રણે વારાફરતી થઈ શકે. મતલબ કે એવું જરૂરી નથી કે આ ત્રણે શ્રેણીની વ્યક્તિ અલગ અલગ હોય.

આ પ્રકાર વિશે અમે પહેલી વાર જાણ્યું ત્યારે હજી સંગીતપ્રેમીઓના વિશ્વમાં અમારો પ્રવેશ થયેલો. એમના પ્રકાર-પેટાપ્રકાર વિશે ખાસ જાણ નહોતી, જે ધીમે ધીમે થતી ગઈ. આ પેટાપ્રકારભેદ કોઈ સંપ્રદાયની વાડાબંધીથી જરાય ઉતરતો નહીં. ચાહકો ઉગ્ર અવાજે પોતાના પ્રિય કલાકાર વિશે દલીલો કરે અને અન્ય કલાકારને નીચે દેખાડવા જાય. રજનીભાઈની હાજરી હોય ત્યારે આવા પેટાસંપ્રદાયો નિયંત્રણમાં રહેતા. એક વખત પ્રભાકર વ્યાસ 'તાલિબાને' રજનીભાઈની અને મારી હાજરીમાં કાનપુરના હરમંદિરસીંઘ 'હમરાઝ' વિશે સહેજ ઘસાતું બોલવાનો પ્રયત્ન કર્યો. આથી અમે બન્ને ઊકળી ઉઠ્યા, અને 'તાલીબાન'ને બરાબર ધમકાવ્યા. કેમ કે, 'હમરાઝે' જે કક્ષાનું કામ કર્યું છે એ બાબતે સૌ કોઈ એકમત છે. અમે બન્ને એમને બહુ જ આદરથી જોતા. આથી અમારો આક્રોશ જોઈને 'તાલિબાન' ઠંડા થઈ ગયા અને એ બાબતે વધુ દલિલ કરવાનું માંડી વાળ્યું.
મિત્ર ચંદ્રશેખરભાઈ વૈદ્યે કે.જે.શુક્લસાહેબનો ઉલ્લેખ કર્યો છે. ચંદ્રશેખરભાઈ વૈદ્ય સાથેનો અમારો પરિચય 'ગ્રામોફોન ક્લબ' થકી થયો હતો. તેમનું આટલું લાંબું નામ અને પાછળ 'ભાઈ' લગાવવાનું. આથી રજનીભાઈએ ટૂંકાવીને એમની મંજૂરીથી જ 'શેખરભાઈ' કરી દીધું. એ જ રીતે 'ગ્રામોફોન ક્લબ'ના તત્કાલીન પ્રમુખ હતા અરવિંદ દેસાઈ. 'ગ્રેસ' અને 'પ્રભાવ'નું આબેહૂબ મિશ્રણ. જાણકાર પણ એટલા જ. કોઈ પણ બાબતે મતભેદ હોય ત્યાં અરવિંદભાઈ પોતાનો નિર્ણય જણાવે એટલે પછી એનો વિરોધ ન હોય. બસ, વાત પૂરી. એમનો આવો પ્રભાવ જોઈને રજનીભાઈએ એમનું નામ રાખ્યું 'મહાબલિ'. આ નામ એટલું સર્વસ્વીકૃત થઈ ગયું કે ખુદ અરવિંદભાઈએ પણ એ સ્વીકારી લીધેલું. અરવિંદભાઈ પ્રેમ વરસાવવામાં પણ એટલા જ ઉદાર. ઉર્વીશની દીકરી આસ્થાના જન્મદિન 1 જાન્યુઆરીએ સવારમાં પહેલો જ ફોન એમનો હોય. એક વખત એ ફોન મારા પપ્પાએ ઊપાડ્યો. સામેથી કહેવાયું હશે, 'હું અરવિંદ દેસાઈ.' પપ્પાએ બહુ સહજતાથી કહ્યું, 'હા, બોલો મહાબલિ.' પછી તરત પપ્પાને ખ્યાલ આવ્યો હશે એટલે તેમણે કદાચ 'સોરી' કહેવાનો પ્રયત્ન કર્યો, પણ મહાબલિ કોને કહ્યા! એ દિલ ખોલીને હસી પડ્યા.
કે.જે.શુક્લસાહેબ સંગીતના એવા ઘાયલ કે અમુક ગીત વાગે કે વિલંબીત ગતિએ બોલે, 'ચીરે છે....રજનીભા...આ....ઈ, ચીરે છે.' મતલબ કે આ ગીત દિલને ચીરી નાખે એવું છે. આથી રજનીભાઈએ એમનું નામ રાખી દીધું 'ચીરે છે.' વાતચીત આવી કંઈક થાય, 'આજે 'ચીરે છે'નો ફોન હતો.'

અરવિંદભાઈના અકાળ અવસાન પછી મહેશભાઈ પ્રમુખ બન્યા. મહેશભાઈ અને ગીતાબહેન રજનીભાઈને બહુ આદર આપતા. ગ્રામોફોન ક્લબના સૌ સભ્યો રજનીભાઈ માટે બહુ પ્રેમ રાખતા. છેક સુધી એ પ્રેમસંબંધ જળવાયેલો રહ્યો.
ફિલ્મસંગીતના પ્રેમીઓમાં એક પેટાપ્રકાર સંગ્રાહકોનો પણ ખરો. રજનીભાઈ સંગ્રાહક ખરા, પણ તેઓ પહેલા તો માણક હતા. અને બીજું, પોતાનો ખજાનો તેઓ વહેંચવામાં માનતા, નહીં કે એની પર સાપ બનીને બેસી જવામાં, જે મોટા ભાગના સંગ્રાહકોનું લક્ષણ હોય છે.

Saturday, July 19, 2025

રજનીકુમાર પંડ્યા (14): રીક્ષા કરવાની, પણ બેસવાનું નહીં

રજનીભાઈ પાસે શરૂઆતમાં ફિયાટ કાર હતી. એના હેન્ડ ગિયર હતા. સૌરાષ્ટ્રના એક પ્રવાસ દરમિયાન મેં ઈચ્છા વ્યક્ત કરી કે મને આ ચલાવવા દો. એ વખતે મારી પાસે કાર આવી ગયેલી અને મને ડ્રાઈવિંગ ફાવતું હતું. રજનીભાઈએ મને હેન્ડ ગિયર શી રીતે પાડવા એ સમજાવ્યું અને કાર ચલાવવા આપી. મેં થોડે સુધી ચલાવી લીધી. કાર ચલાવતાં એમની પર અનેક ફોન કોલ્સ આવતા રહે. રજનીભાઈ એકે એક ફોનના જવાબ આપે. ક્યારેક કાર બાજુમાં ઊભી રાખીને ટેક્સ્ટ મેસેજ કરે. આ બધું ચાલતું રહેતું.

પછી થોડા સમયે તેમણે ફિયાટ કાઢીને ઝેન કાર લીધી. મારી પાસે પણ ઝેન જ હતી. આથી આવા એક પ્રવાસ દરમિયાન મેં કહ્યું કે તમે બાજુએ બેસો અને મને કાર ચલાવવા દો. તેઓ સૌને કહેતા એમ મને પણ કહ્યું, 'મને કાર ચલાવવી ગમે છે.' પછી કહે, 'મોટી ઉંમરે કાર મળી છે ને..એટલે..' મેં કહ્યું કે ભલે તમને ડ્રાઈવિંગ ગમતું હોય, પણ આપણે સાથે હોઈએ ત્યારે કાર હું જ ચલાવીશ. આખરે તેમણે નમતું જોખ્યું અને મને કાર આપી. તે બાજુની સીટમાં ગોઠવાયા. હવે એમના બન્ને હાથ ખુલ્લા હતા. આગળ ધ્યાન રાખવાનું ન હતું. તેમને મજા આવી ગઈ. એ કહે, 'આ તો મજા આવે છે. સરસ ફાવે છે.' મેં કહ્યું, 'એટલે તો હું તમને કહેતો હતો.' આ સુવિધા એમને એટલી ફાવી કે વારેવારે એ બાબતે આનંદ વ્યક્ત કરે. એથીય આગળ એમણે એક ગીત આ પરિસ્થિતિને અનુરૂપ યાદ કર્યું. 'બહોત શુક્રિયા, બડી મહેરબાની...' પછી કહે, 'મેરી કાર મેં હુજુર આપ આયે...' એ ગીતને આગળ વધારતાં ગણગણ્યા, 'કદમ ચૂમ લું યા આંખે બિછા દૂં' તેઓ આવું બોલ્યા એટલે મેં એમની સામે જોયું. એ અર્થમાં કે 'કદમ ચૂમ લું' શી રીતે આવે? એટલે તેઓ કહે, 'કદમ ચૂમ લું' એટલે 'મેરે કદમ'.' પોતાના કદમ શી રીતે ચૂમાય એવી ચેષ્ટા એમણે કરી બતાવી એટલે અમે બેય બરાબર હસ્યા.
બહાર જઈએ ત્યારે અજાણ્યા સરનામે જવાનું હોય એ વખતે એમની આદત એવી કે એક રિક્ષાવાળાને રોકી લેવાનો. એને પૂછી લેવાનું કે સરનામું જોયું છે? એ હા પાડે એટલે એને આગળ કરવાનો અને પાછળ પોતે કાર ચલાવતા આવે. એક વાર અમે સુરત ગયેલા. કાર હું ચલાવતો અને તેઓ બાજુમાં બેઠેલા. અમારે ક્યાંક જવાનું હતું. એક જગ્યાએ રીક્ષાઓ ઊભેલી જોઈ એટલે મેં કાર ઊભી રાખી. રજનીભાઈએ કાચ ઊતારીને સરનામું પૂછ્યું અને એક રીક્ષાવાળાને આવવા કહ્યું. રજનીભાઈ અતિશય ઝડપથી બોલતા એ પેલાને સમજાતું નહીં અને રીક્ષાવાળો દક્ષિણ ગુજરાતી બોલે એ રજનીભાઈને સમજતાં વાર લાગતી. રીક્ષાવાળો કહે, 'ટમે આમ ઠઈને આમ વરી જજો એટલે એમ બાવલું આવસે...' આમ કહીને એ બન્ને હાથ અદબમાં વાળતો. એક તો એ રીક્ષાવાળો ઊંચો અને એણે વાત કરવા નીચું નમવું પડતું. એમાં એ આવી એક્શન કરી દેખાડે. મને એક બાજુ બરાબર હસવું આવે. છેવટે અમે નક્કી કર્યું કે રીક્ષાવાળો આવવા તૈયાર નથી, કેમ કે, એને આ સ્કીમ સમજાતી નથી. એટલે આપણે એની નિશાનીએ આગળ વધીએ. અમે વિચારતા હતા કે 'બે હાથે અદબ વાળેલું 'એમ બાવલું' આવશે એ આપણી નિશાની. સહેજ આગળ જઈને અમે વળ્યા અને સ્વામી વિવેકાનંદનું પૂતળું દેખાયું. ઓહોહો! હવે અમારા મગજમાં અજવાળું થયું કે 'એમ બાવલું' એટલે આ. સહેજ વાર કારને બાજુએ ઊભી રાખીને અમે બરાબર હસ્યા. એ પછી આગળ વધતાં બીજાં જાણીતા નેતાઓનાં બાવલા વિશે પેલો રીક્ષાવાળો શી રીતે નિશાની દેખાડે એની કલ્પના કરતા રહ્યા. જેમ કે, બાબાસાહેબનું બાવલું હોય તો એ આંગળી ચીંધતું બાવલું બતાવે, ગાંધીજીનું હોય તો એ લાકડીથી ચાલવાની નિશાની કરે.. વગેરે.
એ નિશાની અમારા માટે તો કાયમી સંદર્ભબિંદુ બની, પણ મુંબઈ જાઉં ત્યારે મારી કઝીન પૌલા કાયમ મારી પાસે એ ડાયલોગ હજી બોલાવે છે.