Saturday, July 12, 2025

રજનીકુમાર પંડ્યા (7): પસ્તી ખૂટતી નહીં હમારી

(રજનીકુમાર પંડ્યા સાથેનાં સ્મરણો) 

માની લો કે કોઈક વ્યક્તિનું હાડકું તૂટી ગયું છે અને નજીક દેખાતા પહેલા દવાખાનામાં એ પહોંચી જાય છે. એને મન બધા ડૉક્ટર સરખા છે. કોઈ પ્રકારભેદ નથી. ડૉક્ટરને એ પોતાની વિગત જણાવે છે. યોગાનુયોગે એ ડૉક્ટર કાર્ડિયોલોજિસ્ટ છે. સ્વાભાવિક છે કે એમણે પહેલાં એમ.બી.બી.એસ.કર્યું જ હોય, અને એ પછી જ સ્પેશ્યાલિટી બ્રાન્ચ લીધી હોય. સામે આવી પડેલા દર્દીને જોઈને એનું એમ.બી.બી.એસત્વ જાગી ઊઠે કે આપણેય ડૉક્ટર તો ખરા ને! પ્લાસ્ટર લગાવવાનું તો એમ.બી.બી.એસ.માં આવતું હતું. લાવો ને, મારી દઈએ, અને રૂપિયા ખંખેરી લઈએ. પણ આમ કરવાને બદલે એ ડૉક્ટર જણાવશે કે પોતે કાર્ડિયોલોજિસ્ટ છે, જ્યારે એ દર્દીના દર્દનો ઈલાજ કરવાનું કામ ઓર્થોપેડિક સર્જનનું છે.

આવું વિચિત્ર ઉદાહરણ વાંચીને કોઈને પણ થાય કે આમાં નવું શું? એ તો એમ જ હોય ને! પણ ના, એમ નથી હોતું. ડૉક્ટર બાબતે એમ હોઈ શકે, પણ જીવનચરિત્ર લખાવવા બાબતે એમ નથી જ હોતું.
જીવનચરિત્ર લખાવનારને મન લેખકના પ્રકારભેદ નથી હોતા. એ તો 'જાણીતા' લેખક પાસે ઑફર લઈને આવે છે. 'જાણીતા' લેખક એને કદી એમ નથી જણાવતા કે પોતે તો અખબારમાં ચિંતન, આયુર્વેદ, મોટીવેશનલ કે એવી કોઈ કોલમ લખે છે, અને જીવનચરિત્ર પોતાનો વિષય નથી. એને એમ થાય કે લખતાં તો પોતાને આવડે જ છે ને! તો આને ક્યાં પાછો ધકેલવો?
પણ એક વાર જીવનચરિત્ર લખાઈ જાય એ પછી મુશ્કેલી શરૂ થાય. લખાવનારને લાગે કે પોતાના મનમાં જે હતું એવું આ નથી થયું. પણ 'જાણીતા' લેખકને એ કહેવાય શી રીતે? આથી એને એ 'મહેનતાણું' ચૂકવી દે, પણ પછી નવા ચરિત્રકારની શોધ આદરે.
રજનીભાઈ પાસે આવા અનેક લોકો આવતા. હું એમની સાથે સંકળાયો પછી મેં આ નજરે જોયું. એમાં બે-ચાર નામ સામાન્ય રહેતા. લખાવનાર એ લેખકો પાસે લખાવીને આવે, ન ગમે અને પછી શોધતા શોધતા રજનીભાઈને મળે. ઘણા કિસ્સામાં એ નામ ન આપે કે પોતે કોની પાસે અગાઉ લખાવડાવ્યું, પણ શૈલી જોતાં અમને ખ્યાલ આવી જાય કે એ કોણ હોઈ શકે. એક તબક્કો એવો આવ્યો કે ઊપરાઊપરી આવાં કામ અમારી પાસે આવવા લાગ્યા.
ચરિત્રલેખનનું કામ આવે એટલે સામગ્રીના પણ ઢગલા ઠલવાય. એ ઢગલા ફેંદતાં ફેંદતાં રજનીભાઈએ એક પેરડી બનાવી. મૂળ પંક્તિ ઈકબાલની રચના 'સારે જહાં સે અચ્છા'માંની નીચે મુજબ છે:
યૂનાન-ઓ-મિસ્રરોમાં સબ મિટ ગયે જહાં સે,
ક્યા બાત હૈ કિ હસ્તી મિટતી નહીં અમારી.
રજનીભાઈએ પેરડી બનાવી:
---,ઓ-------- સબ ફૂટ ગયે યહાં સે,
ક્યા બાત હૈ કિ પસ્તી ખૂટતી નહીં હમારી.
ખાલી જગ્યામાં ત્રણ લેખકોના નામ હતાં. આ પેરડી પર અમે એવા આફરીન કે ન હોય ત્યાંથી એને વચ્ચે લાવીએ અને ટાંકીએ. એકાદ બે વાર મારે નવા કામ માટે કોઈને મળવા જવાનું હતું. રજનીભાઈ એ જાણતા જ હોય. ત્યાં પ્રાથમિક મુલાકાતમાં જ મને ખબર પડી કે આ કામ અગાઉ કોઈકની પાસે થઈને આવ્યું છે. એટલે મેં ત્યાં બેઠે બેઠે જ રજનીભાઈને મેસેજ કર્યો, 'Here also yunano-misra-romaan syndrome.' (મેં પેરડીવાળા લેખકોના નામ લખેલા.) તરત જ જવાબમાં રજનીભાઈનું સ્માઈલી આવી ગયું.

Friday, July 11, 2025

રજનીકુમાર પંડ્યા (6): પસ્તી કા ખામોશ સફર હૈ

(રજનીકુમાર પંડ્યા સાથેનાં સ્મરણો)

ચરિત્રલેખન વિશે ગુજરાત અને ગુજરાતીમાં વ્યાપક ગેરસમજ પ્રવર્તે છે. એના વિશે લોકોની પૂર્વધારણાઓ એટલી બધી સજ્જડ અને કાલ્પનિક હોય છે કે એ વિશે સ્વસ્થ ચર્ચાને ભાગ્યે જ અવકાશ હોય. પૂર્ણ સમયના લેખક તરીકે મારી ઓળખ 'ચરિત્રકાર'ની હતી, પણ રજનીભાઈની મુખ્ય ઓળખ વાર્તાકારની. એમની વાર્તાઓનું મૂલ્યાંકન કરતાં કરતાં મોટે ભાગે લોકો એમના વ્યાવસાયિક ચરિત્રલેખનની ટીકા કરવા પર ચડી જતા. એટલેથી ન અટકતાં એને નૈતિકતાને ત્રાજવે તોળવાની ચેષ્ટા કરતા. વાર્તાકારની કલમે કોઈનું જીવનચરિત્ર લખાય તો એ કેવું હોય એનો નમૂનો જોવો હોય તો રજનીભાઈએ લખેલાં જીવનચરિત્રોને પૂર્વગ્રહના ચશ્મા ઊતારીને વાંચી જોવા. તેઓ અખબારમાં કટારલેખન કરતા. આને કારણે તેમનું નામ ઘણું જાણીતું. મુખ્યત્વે તેઓ સંસ્થાવિષયક લેખો લખતા એને કારણે સંસ્થાવાળાઓ એમનો સંપર્ક કરતા. આ બધાને પરિણામે રજનીભાઈ પાસે પુષ્કળ કામ રહેતું. સંસ્થાવિષયક વિગતો તેમજ ચરિત્રલેખનને કારણે પુષ્કળ સામગ્રીના ઢગ ખડકાયેલા રહેતા. આ ઊપરાંત તેમને કોઈ પણ વસ્તુની ઝેરોક્સ નકલ કઢાવવાની આદત. એક તબક્કે તેઓ પોતાની જાતને 'ઝેરોક્સ મેનિયાક' તરીકે ઓળખાવતા. 

ક્યારેક અમારે કામ માટે બહારગામ જવાનું હોય ત્યારે હું આગલી રાતે તેમને ઘેર પહોંચી જતો, જેથી સવારે વહેલા સાથે નીકળી શકાય. એ વખતે રાતે અમે જાતભાતની વાતો કરીએ, જેમાં કરવાના કામની પણ ચર્ચા રહેતી. એ દરેક ચર્ચા દરમિયાન અમે 'ગર્લફ્રેન્‍ડ' ફિલ્મનું કિશોરકુમાર અને સુધા મલ્હોત્રાએ ગાયેલું ગીત 'કશ્તી કા ખામોશ સફર હૈ, રાત ભી હૈ, તનહાઈ ભી' અચૂક યાદ કરતા.  રજનીભાઈ એની પેરડી બનાવીને આસપાસ ફેલાયેલા ઢગ તરફ હાથ કરીને કહેતા, 'પસ્તી કા ખામોશ સફર હૈ, રાત ભી હૈ, તનહાઈ ભી'.. મોડી રાતે બહાર બધું શાંત હોય, અમે બન્ને એકલા બેઠા હોઈએ એટલે ગીતની પંક્તિને અનુરૂપ 'રાત' અને 'તનહાઈ'નો માહોલ પણ બરાબર તાદૃશ્ય થતો. 

આજે પણ કિશોરકુમાર અને સુધા મલ્હોત્રાના સ્વરમાં એ ગીત સાંભળું તો મને 'કશ્તી'ને બદલે 'પસ્તી' જ સંભળાય છે. 

Thursday, July 10, 2025

રજનીકુમાર પંડ્યા (5): ટ્રીપલ વી

(રજનીકુમાર પંડ્યા સાથેનાં સ્મરણો)

'વલંદા' અટકવાળું એક વાસ્તવિક પાત્ર. વ્યવસાયે વકીલ. વતન જેતપુર. એની ફિતરત એવી કે જેનો કેસ લડતો હોય એ અસીલ વલંદાને મારવા લે. કેમ? કેમ કે, કોર્ટમાં વલંદો વકીલ અસીલની વિરુદ્ધમાં દલીલ કરે અને પરિણામે અસીલ કેસ હારી જાય એમ બનતું. વલંદા વકીલ વંદાના રંગની તપખીરી પાઘડી પહેરતા. આ પાત્રને રજનીભાઈએ પોતાના બચપણમાં જોયેલું. નાના હતા ત્યારે ઘરમાં વડીલોની સામું દલીલ કરે તો વડીલો ધમકાવતા અને કહેતા, 'આવતે જન્મે વલંદાનો અવતાર લેવાનો છે?' અથવા તો 'વલંદોવકીલ થા મા.' સ્વાભાવિક રીતે જ આ પાત્રને મળવાનું મારે કદી બન્યું ન હોય. છતાં અમે એ પાત્ર જીવતા. એ શી રીતે?

ચરિત્રલેખનના અમારા સહિયારા કામ બદલ રજનીભાઈ સાથે મારે અનેક સ્થળે મળવાનું અને કેટલાય લોકોના ઈન્ટરવ્યૂ લેવાનું બનતું. ઘણા કિસ્સામાં વાતચીત કરનાર પાસે કશું નક્કર હોય નહીં, અને એ કેવળ ગુણાનુરાગમાં સરી પડે. પ્રામાણિકપણે કહે નહીં કે પોતાની પાસે કશી માહિતી નથી. અમારે કામના ભાગરૂપે ઈન્ટરવ્યૂ લેવા સિવાય કોઈ આરો નહીં. પહેલી બે-ત્રણ મિનીટમાં ખ્યાલ આવી જાય કે આ તલમાં તેલ નથી, પણ એમ વાત આટોપાય નહીં. એવે વખતે અનેક વાર એવું થઈ આવે કે અસીલ (અમારા કિસ્સામાં અમને કામ સોંપનાર) સાથે અમે ઝઘડીને કામ પાછું આપી દઈએ. પણ એ શક્ય ન હોય, કેમ કે, આખરે આ કામ આજીવિકાનો હિસ્સો હતું. તો શું કરવું?
એક વાર કોઈકનો ઈન્ટરવ્યૂ લીધા પછી હું બહુ કંટાળી ગયો. એવી અતિશયોક્તિભરી પોલી વાતો, જે માની શકાય એમ નહોતી. એટલે ત્યાંથી નીકળ્યા પછી મેં રજનીભાઈને કહ્યું, 'પેલા ભાઈ બોલતા જતા હતા અને મારા મનમાં એમના વાક્યે વાક્યે વલંદો બેઠો થઈ જતો હતો.' બસ, આ 'વાક્યે વાક્યે વલંદો' પછી અમારો કોડવર્ડ બની ગયો. ટૂંકમાં 'વી.વી.વી.' એટલે કે 'ટ્રીપલ વી.' એ પછી જ્યારે આવું બને ત્યારે ચાલુ ઈન્ટરવ્યૂએ જ રજનીભાઈ મારી સામું જોતા અને સહેજ હસીને કહેતા, 'બહુ સરસ. ટ્રીપલ વી.' ક્યારેક હું પણ એમને કહું, 'ટ્રીપલ વી લાગે છે.' આ કોડવર્ડ વાપરવાનો શરૂ કર્યા પછી આવી પરિસ્થિતિનો અમે આનંદ લેવા લાગ્યા.

Wednesday, July 9, 2025

રજનીકુમાર પંડ્યા (4): પેરડી

(રજનીકુમાર પંડ્યા સાથેનાં સ્મરણો) 

જૂનાં, ખાસ કરીને પચાસના દાયકાનાં ફિલ્મી તેમજ બિનફિલ્મી ગીતો રજનીભાઈને અતિ પ્રિય. એમનું અનુસંધાન એની સાથે હતું. એમની વિશેષતા એ હતી કે એમને સેંકડો ગીતો આખાં ને આખાં કંઠસ્થ. 'સેંકડો' જરાય અતિશયોક્તિ વગર લખું છું. પોતાની યુવાનીના સમયગાળામાં સાંભળેલાં ગીતો એમના મનમાં છપાઈ જતાં હોવાનું એમણે લખ્યું પણ છે. આને કારણે કોઈ પરિસ્થિતિને અનુરૂપ ગીતની પંક્તિ એમને તરત જ સૂઝી આવે. ઘણી વાર એમ બને કે ગીત અમને ખબર હોય, પણ એની વચ્ચેની પંક્તિ તેઓ બોલે તો ખ્યાલ ન આવે કે આ કયું ગીત છે. એક પંક્તિનો તેઓ ખાસ ઉપયોગ કરતા. પોતાના મોબાઈલ ફોનમાં કે કમ્પ્યુટરમાં રહેલા કોઈ ફીચર વિશે તેમને જાણ ન હોય અને ક્યારેક એના વિશે હું કહું તો તેઓ તરત બોલે, 'આજ માલૂમ હુઆ, પહલે યે માલૂમ ન થા'. પહેલી વાર તેમણે આ પંક્તિનો ઉપયોગ કર્યો પછી મને પૂછ્યું, 'બોલ, કયું ગીત છે?' મેં કહ્યું, 'ગાઈને કહો તો કદાચ ખ્યાલ આવે.' એટલે એમણે એ ગાઈ બતાવ્યું અને મેં કહ્યું, 'આ તો જિંદગી ઈત્તેફાક હૈ'માં આવે છે.

એમનો બીજો રસ હતો પેરડીમાં. ફિલ્મના ગીતની પંક્તિ એમને સૂઝે એટલી જ ઝડપથી એની પેરડી પણ એ બનાવે. ફિલ્મના ગીત સિવાય પણ પેરડી બનાવે. એક વખતે તેઓ મારે ત્યાં વડોદરા આવેલા. મારા ઘરથી નજીક એક બહેનને ઘેર અમારે જવાનું હતું, જ્યાં એ બહેનના પતિ પોતાનો સંગ્રહ મૂકી ગયેલા. અમે બન્ને રજનીભાઈની કારમાં ત્યાં ગયા, ઘણી બધી વસ્તુઓ લીધી. કોથળા પણ ત્યાંથી જ મળ્યા એટલે એમાં બધું ભર્યું. બહેનને નાણાં ચૂકવ્યા. હવે સવાલ આવ્યો કે આ કોથળા પહેલે માળેથી ઊંચકીને નીચે કારમાં કેમના ગોઠવવા. એવામાં એક માણસ ઊપલા માળે ચડતો દેખાયો. એ કશુંક આપવા આવેલો. રજનીભાઈએ એને પૂછ્યું, 'બેટા, આ બે કોથળા ગાડીમાં મૂકી આપીશ?' પેલાએ હા પાડી અને બન્ને કોથળા વારાફરતી કારની ડીકીમાં ગોઠવી દીધા. એના હાથમાં પચાસેક રૂપિયા રજનીભાઈએ પકડાવ્યા. અમે કારમાં પાછા આવવા ગોઠવાયા. મેં કહ્યું, 'સારું થયું પેલો ભાઈ મળી ગયો. નહીંતર આ બધું ઊંચકીને મૂકવું અઘરું પડત.' એટલે રજનીભાઈએ તત્ક્ષણ પેરડી કરી, 'હતા ખજાના એવા કે હમાલો દોડતા આવ્યા.' ઘાયલસાહેબના શેરના આ એક જ મિસરાની પેરડી સાંભળીને અમે બહુ હસ્યા.
મારે ઘેર પાછા આવ્યા અને કારમાંથી કોથળા ઊતાર્યા. એ જોઈને કામિની કહે, 'આટલા કોથળા તમે શી રીતે ઊંચક્યા?' એટલે રજનીભાઈએ ફરી કહ્યું, 'હતા ખજાના એવા કે હમાલો દોડતા આવ્યા.' પછી તો 'દોડતા આવ્યા' વાળી પંક્તિઓની આગળ બીજા શબ્દો લગાડીને એ ચાલતું રહ્યું, પણ એના મૂળમાં આ પંક્તિ.

Tuesday, July 8, 2025

રજનીકુમાર પંડ્યા (3): તાલીબાન

(રજનીકુમાર પંડ્યા સાથેનાં સ્મરણો)

રજનીભાઈનું મિત્રવર્તુળ અતિશય બહોળું. વિવિધ ક્ષેત્રના લોકો સાથે એમને અંગતતા. એમાંય જૂના ફિલ્મસંગીતની બિરાદરીની વાત જ અલગ.

એમના એક મિત્ર પ્રભાકર વ્યાસ જૂના ફિલ્મસંગીતના ઝનૂની ચાહક. પહેલાં મુંબઈ રહેતા અને પછી તેઓ વડોદરા આવી ગયેલા. દિલના બહુ પ્રેમાળ, પણ ફિલ્મસંગીત અને અમુક ગીત, કલાકારો માટે એમનો ભાવ ઝનૂનની કક્ષાનો. રેડિયો સિલોનના અને એના ઉદઘોષક મનોહર મહાજનના એવા પ્રેમી કે ફોન પર કે રૂબરૂ મળે ત્યારે 'જય સિલોન' અને 'જય મહાજન'થી જ અભિવાદન કરે. એક સમયે તેઓ રેડિયો સિલોન માટે નાણાંકીય ભંડોળ એકઠું કરવાનું અભિયાન ચલાવવાનું વિચારતા હતા. વ્યાસસાહેબને એક ટેવ એવી કે તેઓ વાતે વાતે તાલી દેવા માટે પોતાનો હાથ ઊંચો કરે. સામેવાળાએ હથેળી ધરી તો મર્યો સમજવો, કેમ કે, પછી એણે સતત એમ જ કરતા રહેવું પડે. વ્યાસસાહેબની આ ટેવથી પ્રેરાઈને રજનીભાઈએ એમનું નામ પાડ્યું 'તાલી'બાન. એમના વિશેના એક લેખનું શિર્ષક રજનીભાઈએ આપેલું, 'આ તાલીબાન જબરો સંગીતપ્રેમી છે.' વ્યાસસાહેબ રજનીભાઈના પણ એવા પ્રેમી કે એમણે આ નામ જાણે કે તખલ્લુસ લેખે અપનાવી લીધું. ફોન આવે ત્યારે કહે, 'હેલો બીરેનભાઈ! પ્રભાકર બોલું!' પછી તરત જ ઉમેરે, 'અરે યાર, તાલીબાન..!' આ નામ એવું સ્વીકૃત થઈ ગયું કે (રજનીભાઈનાં પત્ની) તરુબહેન પણ તેમને પૂછે, 'તાલીબાનભાઈ, તમે ચા લેશોને?' પ્રભાકરભાઈ પહેલી વાર મારે ઘેર આવ્યા ત્યારે મારી દીકરી શચિ નાની. એટલે મેં એને શીખવેલું કે આ કાકા આવે ત્યારે એમને 'જય સિલોન' કહેજે. પ્રભાકરભાઈ શચિના મોંએ એ અભિવાદન સાંભળીને એવા ભાવવિભોર થઈ ગયેલા અને એમ માની બેઠેલા કે એ પણ એમની જેમ જ 'રેડિયો સિલોન'ની પ્રેમી છે. છેક સુધી તેઓ શચિને એ રીતે યાદ કરતા, 'શું કરે છે સિલોનવાળી બેબલી?'

ધીમે ધીમે અમે સૌએ સંપીને પ્રભાકરભાઈને હાથ ધરવાનો બંધ કર્યો એટલે પ્રભાકરભાઈ સ્વાવલંબી બન્યા. તેઓ પોતાના જ હાથમાં તાલી મારતા.

એક સંસ્થાનું દસ્તાવેજી ચિત્ર બનાવવા માટે અમે સૌ સાથે ગયેલા. એ વખતે લતા મંગેશકરનું એક ગીત રજનીભાઈએ મોબાઈલ ફોન પર સંભળાવ્યું. તાલીબાને પોતાનો આખો હાથ અમને બતાવ્યો. એ ગીત સાંભળીને તેમના રુંવાડાં ઊભા થઈ ગયેલાં. એની મેં વિડીયો લીધેલી. એ જ બેઠકમાં કશીક વાતે પ્રભાકરભાઈએ પોતાના જ હાથ પર એટલા જોશથી તાલી આપી કે રૂમમાં બેઠેલાં તરુબહેન ચમકીને બહાર ધસી આવ્યાં. બહાર અમને ત્રણેને બેઠેલાં જોયા એટલે હાશકારો બતાવીને કહે, 'હં..તાલીબાનભાઈ છે! મને એમ કે કોણે કોને માર્યું?'

Monday, July 7, 2025

રજનીકુમાર પંડ્યા (2): હું આમાંય હાલું

(રજનીકુમાર પંડ્યા સાથેનાં સ્મરણો) 

રજનીભાઈ સાથે 2002માં પહેલવહેલી વાર એક જીવનકથાના લેખન માટે હું સંકળાયો. એમણે મને જોડાવા કહ્યું ત્યારે અમારા બન્નેમાંથી કોઈના મનમાં મારી ભૂમિકા બાબતે સ્પષ્ટતા નહોતી, પણ હું હોઈશ તો કામ લાગીશ એવી ખાત્રી. એ પ્રોજેક્ટ સફળતાપૂર્વક સંપન્ન થયો ત્યાર પછી એમને મળતા જીવનકથાના દરેક પ્રોજેક્ટમાં હું હોઉં જ. એ પછી 2007થી મારી નોકરી મૂકીને હું પૂર્ણ સમયનો ચરિત્રકાર બન્યો અને મને સ્વતંત્રપણે કામ મળતાં થયાં, છતાં તેમના એકે એક પ્રોજેક્ટમાં મારી સામેલગીરી રહેતી.

એ નિમિત્તે અમારે અનેક વાર સાથે કારમાં પ્રવાસ કરવાના થતા. રાજકોટ, જૂનાગઢ, જેતપુર, સુરત, મુંબઈ, ભરૂચ, વીસનગર, ગાંધીનગર વગેરે અનેક સ્થળોએ અમે સાથે જતા. એ વખતે રસ્તે જતાં અવનવી વાતો થતી, પણ એમાં રમૂજ કેન્દ્રસ્થાને રહેતી. કોઈ વિખ્યાત અને અતિ ચવાઈ ગયેલી જોકનું તેઓ કે હું વિસ્તરણ કરીએ. એને તેઓ 'માળ ચણ્યો' કહેતા.
એમની અનેક વાર્તાઓ- ખાસ કરીને 'બિલોરી' શ્રેણીની-નો અમે સંદર્ભબિંદુ તરીકે ઊપયોગ કરતા. કેમ કે, એમાં દર્શાવેલાં લક્ષણો એવાં હતાં કે એ ગમે એમાં પ્રગટતાં દેખાય.
એવી એમની એક વાર્તા હતી 'મને તો એમ કે હું આમાં ચાલું.' રજનીભાઈ એમની કાઠિયાવાડી જબાનમાં બોલતા ''હું આમાં હાલું.' વાર્તાનો સાર એવો કે એક ગામમાં આવેલી નાટકમંડળીને મેકઅપમેનની જરૂર પડે છે. સાવ નાના ગામમાં એની વ્યવસ્થા ક્યાંથી કરવી? છેવટે ગામનો ટપુ નામે એક વાળંદ એ કામ કરી આપવા તૈયાર થાય છે. નાટકનો ખેલ ભજવાતો અને લોકોને તાળીઓ પાડતા જોઈને ટપુને એમ થાય છે કે ખરી કમાલ પોતાના મેકઅપની છે. દિગ્દર્શક પણ ખુશ હતા. આથી થોડા દિવસ પછી ટપુ દિગ્દર્શનમાં 'સલાહ' આપવા જાય છે. પણ બદલામાં અકળાયેલા દિગ્દર્શકની થપ્પડ એને પડે છે. ટપુને લાવનાર મિત્ર એને સમજાવે છે કે આ એની 'લેન' નહીં. ત્યારે ટપુને ભાન થાય છે અને મનમાં શબ્દો ઊગે છે, 'મને તો એમ કે હું આમાં ચાલું.'
પોતાની 'લેન' ન હોય છતાં એમાં ટાંગ અડાડવા જાય એવી વ્યક્તિના લક્ષણને અમે આ નામ આપેલું. બોલવામાં લાંબું, અને એનો ઊપયોગ વધુ જોઈને અમે એને ટૂંકાવીને કર્યું 'એચ.એ.એચ.' (હું તો આમાંય હાલું) પછી જુઓ મજા.
અમે હજી જીવનચરિત્રના લેખનની વાત કરતા હોઈએ અને સામેનું પાત્ર કદીક પોતાને સાહિત્યમાં કેવોક રસ હતો અને ધારે તો પોતે હજી પોતાની કથા લખી શકે એમ છે એમ કહે એટલે મારી અને રજનીભાઈની નજર એક થાય. તેઓ જરાય હાવભાવ બદલ્યા વિના કહે, 'એચ.એ.એચ.' એક તરફ મને હસવું આવે, સાથે સામેની વ્યક્તિને એવી ગંધ ન આવે કે એની વાત થઈ રહી છે એટલે હું ઠાવકાઈથી કહું, 'હા. બિલકુલ. આપણે ધાર્યું હતું એમ.' અથવા 'એમ જ હોય ને!' અથવા તો બીજું જે સૂઝે એ.
એ હદે કે ક્યારેક અમે બન્ને પણ એકબીજાને આમ કહીએ. તેઓ કદીક કશું ટેક્નિકલ કામ જાતે કરવા જાય તો હું કહું, 'ગુરુ, રહેવા દો. આમાં 'એચ.એ.એચ.' ન કરો.' એક વાર એમની એક નવલકથાનો બીજો ભાગ મેં લખવાની તૈયારી દેખાડી. અલબત્ત, તેઓ એ લખી શકે એમ ન હતા એટલે. તો એ મને કહે, 'તને 'એચ.એ.એચ.' તો નથી ને?'

Sunday, July 6, 2025

રજનીકુમાર પંડ્યા (1): કેળવનમાં ચીસાચીસ

(રજનીકુમાર પંડ્યાનો આજે જન્મદિન છે. 15 માર્ચ, 2025ના રોજ થયેલી તેમની વિદાય પછીનો પહેલો, એટલે ખરું જોતાં જન્મજયંતી કહી શકાય. પણ કેવળ શારિરીક વિદાય કંઈ ઓછું કોઈની સ્મૃતિને મિટાવી શકે? તેમની સાથેના સાડા ત્રણ દાયકાના લાંબા પટના પરિચય દરમિયાન અનેક અનેક બાબતો એવી હતી કે જે એક યા બીજા સમયે સતત યાદ આવતી રહે. તેમની સાથેનાં કેટલાંક છૂટાંછવાયાં સંભારણાં અહીં મૂકવાનો ઉપક્રમ છે.)

રજનીભાઈ આમ તો માનવમનના ઊંડા અભ્યાસી. ઊપરાંત એમની રમૂજવૃત્તિ બહુ નરવી. આથી પોતાનો અભ્યાસ તેઓ ગંભીરતાથી નહીં, બલકે રમૂજ સાથે જણાવે. એક લક્ષણ તરીકે તેને મૂકે. આથી બહુ મજા આવે.

તેમની સાથે જીવનકથાના એક પ્રકલ્પમાં હું પહેલી વાર જોડાયો. એ અનુભવ બહુ વિશિષ્ટ બની રહેલો. એમાં જીવનકથા માટે જરૂરી કૌશલ્ય શીખાતું ગયું, એમ એ પણ શીખવા મળ્યું કે કેવળ એટલું પૂરતું નથી. આ કામમાં માણસો સાથે સંકળાવાનું હોય છે, અને એ એવડું મોટું પાસું છે કે જેને અવગણી શકાય નહીં. એ સમયગાળા દરમિયાન રજનીભાઈ મને આગ્રહ કરતા કે હું કંઈક લખું. પણ શું લખવું એ મને સમજાતું નહોતું.
એ પ્રકલ્પ પૂરો થયા પછી દિવસો સુધી તેના અનુભવો મનમાં રમતા રહ્યા. એ ખબર હતી કે એ સમયે જે બારીકીઓ યાદ રહી છે એ સમય જતાં ભૂંસાતી જશે, અને લાંબે ગાળે કેવળ જાડી, બાહ્ય રેખાઓ જ મનમાં રહેશે. આથી મેં એ સ્મરણો લખવાનું શરૂ કર્યું. એકે એક બાબતને ઝીણવટપૂર્વક આલેખી. ત્યારે હજી લખવા માટે કમ્પ્યુટરનો ઊપયોગ નહોતો કરતો. આથી ફૂલસ્કેપ પાનાંમાં એ લખતો ગયો. બધું તાજું હોવાથી એ વિગતવાર આલેખાયું. એમાં અમુક પ્રકરણનાં શિર્ષક કે અન્ય અમુક બાબતો મેં મૂળ પુસ્તકની પેરડી તરીકે પણ લખેલી. આખું લખાયા પછી એ મેં ઉર્વીશને વાંચવા આપ્યું. એને બહુ મજા પડી. એ પછી એણે એ રજનીભાઈને આપ્યું. રજનીભાઈ એ આખું વાંચી ગયા, એટલું જ નહીં તેમણે એમાં જરૂરી પરામર્શન પણ કર્યું અને મને મોકલ્યું. આ અનુભવકથાનું નામ શું આપવું?
રજનીભાઈએ અગાઉ એક વાર પોતાની વાર્તાની સર્જનકથા લખેલી, જેનું શિર્ષક હતું 'કેળવનમાં ચીસ'. આથી એમણે તત્ક્ષણ કહ્યું, 'આ તો 'કેળવનમાં ચીસાચીસ' છે.' બસ, એ શિર્ષક ફાઈનલ.
રજનીભાઈએ અને ઉર્વીશે એ લખાણ વાંચીને જોયું કે મારી મૂળભૂત 'લેન' હાસ્યની છે. એ પછી રજનીભાઈએ 'ગુજરાતમિત્ર'માં ચં.પુ. (ચંદ્રકાન્ત પુરોહિત)ને મારા વિશે વાત કરી. ચં.પુ.એ મને ફોન કરીને નમૂનારૂપે એકાદ બે હાસ્યલેખ મોકલવા જણાવ્યું. મેં એ મોકલ્યા, એમને પસંદ આવ્યા અને 'ગુજરાતમિત્ર'માં મારી પહેલવહેલી કોલમ શરૂ થઈ. કુલ પંચોતેર હપતા એટલે કે પોણા બે વરસ જેટલું એ ચાલી. મને ખ્યાલ નહોતો આવતો કે કોલમ કેવી જાય છે! પણ કેટલીક મૂળભૂત બાબતો મનમાં બરાબર ગોઠવાઈ, જે આગળઊપર બહુ કામ આવી. ખાસ તો, કોલમલેખનની શિસ્તથી પરિચીત થવાયું. તેમણે કદી એ બાબતે જશ ખાટવા પ્રયત્ન નથી કર્યો કે મારું કોલમલેખન એમણે શરૂ કરાવ્યું.
અમારા સંયુક્ત રીતે લખાયેલા કોઈ પુસ્તકના સર્જન વિશે ક્યારેક વાત થાય ત્યારે 'કેળવનમાં ચીસાચીસ'નાં પણ ઘણાં વર્ઝન અમે ઉપયોગમાં લેતાં, જેમ કે, કેળવનમાં રાડારાડ, કેળવનામાં બૂમબરાડા...વગેરે. પણ એ કેવળ વાતચીત પૂરતાં જ રહ્યાં.