Thursday, May 1, 2025

અન્ના કરેનીનાએ કુમુદસુંદરીને ટોલ્સ્ટોય વિશે શી ફરિયાદ કરી?

(યોગાનુયોગે આ બ્લૉગની આ સાતસોમી પોસ્ટ છે. 12 જૂન, 2011થી આરંભાયેલી આ સફરના ચૌદ વર્ષ પૂરા થવામાં છે. મનગમતા અનેક વિષયોનું આમાં ખેડાણ થઈ શક્યું એનો આનંદ છે. વાંચનારા, પ્રતિભાવ આપનારા સૌ વાચકમિત્રોનો પણ આભાર. 

  - બીરેન કોઠારી

અગાઉ પણ એક કાર્યક્રમના રીહર્સલનો અહેવાલ લખેલો. એ કાર્યક્રમમાં હાજર રહેવાનું પણ બનેલું. અને એ કાર્યક્રમનો અહેવાલ ઉર્વીશે પોતાના બ્લૉગ પર લખેલો. આ વખતે સ્થિતિ અમુક અંશે એવી જ છે. આજે થયેલા રીહર્સલનો અહેવાલ લખવાનો છે, અને કાર્યક્રમ આવતી કાલે છે.

એ પણ મુંબઈમાં, જેમાં મારે હાજર રહેવાનું નથી. આવાં, સીધેસીધાં ન ઊતરે એવાં, કાર્યક્રમને બદલે રીહર્સલનો અહેવાલ લખવાની આપણને ફરજ પડે એવાં કામ પાછળ જવાબદાર એક જ વ્યક્તિ હોય! એ વ્યક્તિ એટલે હસિત મહેતા. એકેડેમિક શૈલીમાં કહીએ તો પ્રા.ડૉ. હસિત મહેતા. શૈક્ષણિક જગતમાં એમની બહુવિધ ઓળખ છે, અને શિક્ષણેતર જગતમાં પણ. હસિતભાઈના વિશેષ પરિચયને બદલે મૂળ વાત પર આવી જઈએ.
અંધેરી, મુંબઈના ભવન્સ ખાતે 2, 3 અને 4 મેના રોજ 'વ્યાપન પર્વ' નામનો સાહિત્યિક કાર્યક્રમ છે. સાહિત્ય અને સંસ્કૃતિ જગતનાં અનેક મોટાં માથાં (પોતાના ધડ સહિત) એમાં ઉપસ્થિત રહેવાનાં છે. હસિતભાઈની દૃષ્ટિ અને અમલનું સુફળ એટલે નડિયાદની ઝગડીઆ પોળમાં આવેલું 'ગોવર્ધન સ્મૃતિમંદીર'. આ વર્ષ 'સરસ્વતીચંદ્ર' લખાયાનું સવાસોમું વરસ છે. હસિતભાઈએ વિચાર્યું કે આ નિમિત્તે 'સરસ્વતીચંદ્ર' અને ગોવર્ધનરામને લોકો સુધી પહોંચાડીએ. એનો ગુજરાતી અનુવાદ એ કે આ વિષયને પરિસંવાદમાંથી અને શૈક્ષણિક જગતમાંથી બહાર કાઢીએ. પોતે નડીયાદની અને ખરેખર તો ખેડા જિલ્લાની એક માત્ર મહિલા કૉલેજના આચાર્ય હોવાને કારણે એમને પહેલો વિચાર આમાં વિદ્યાર્થીઓને સાંકળવાનો આવે એમાં નવાઈ નથી. પણ મુખ્ય પ્રશ્ન એ હતો કે એમને સાંકળીને કરવું શું?
હસિતભાઈ પાસે આવા બધા સવાલોના એક કહેતાં અનેક જવાબ મળે. કોઈ એમને ન પૂછે તો એ જાતે જ જાતને સવાલ પૂછે અને એના જવાબ મેળવતા રહે. અહીં સુધી વાંધો નહીં, પણ પછી એના અમલીકરણમાં વિવિધ સૃષ્ટિના જીવોનો પ્રવેશ થતો જાય. આ બાબતે પણ કંઈક આવું જ થયું.
ગોવર્ધનરામ ત્રિપાઠી અને 'સરસ્વતીચંદ્ર'ને હસિતભાઈ ઘોળીને પી ગયા છે એમ કહેવામાં જરાય અતિશયોક્તિ નથી. એમણે 'સરસ્વતીચંદ્ર'ના નાયક અને નાયિકાઓને વૈશ્વિક ફલક પરની, એની આસપાસના સમયગાળામાં સર્જાયેલી કૃતિઓનાં નાયકનાયિકાઓ સમક્ષ રજૂ કરવાનું વિચાર્યું. આમાંથી એમણે ત્રણ બાબત નક્કી કરી.
અન્ના (નાઝનીન) અને કુમુદ (પૂજા)
લીઓ ટોલ્સ્ટોયની 'અન્ના કરેનીના' 1878માં પ્રકાશિત થઈ. 'સરસ્વતીચંદ્ર'ના પહેલા ભાગના પ્રકાશનના લગભગ દાયકા પહેલાં. આથી એમણે અન્ના અને કુમુદસુંદરી વચ્ચેનો સંવાદ કલ્પ્યો અને એના થકી સર્જકના વિચાર શી રીતે વ્યક્ત કરાયા છે એ વિચાર્યું. આખો વિચાર એમણે આ બન્ને પાત્રો વચ્ચેના સંવાદ થકી વ્યક્ત કરીને એને લખ્યો. એમાં ક્યાંક ફ્લેશબેકની જેમ મૂળ કથાના એકાદ બે પ્રસંગ પણ આવે. આના લેખનને આખરી ઓપ અપાઈ ગયો એટલે હવે વાત આવી એની મંચ પર ભજવણીની. બે વિદ્યાર્થીનીઓ પૂજા અને નાઝનીનની પસંદગી થઈ. એ ઊપરાંત અન્ય પાત્રોમાં મિતાલી અને અલ્ફીના પણ ખરાં. આ લોકો લુણાવાડા જઈને પ્રો. કમલ જોશી પાસે એનું રીહર્સલ કરે એવી ગોઠવણ થઈ. ચાર-પાંચ દિવસ આ ચાલ્યું અને એક આખું સ્વરૂપ નજર સમક્ષ ઊઘડવા લાગ્યું. આ પહેલી વાત.

સરસ્વતીચંદ્ર (મિતાલી) અને કુમુદ (પૂજા)

બીજો મુદ્દો સ્વરૂપની રીતે સાવ જુદો. સ્વ. કુલીનચંદ્ર યાજ્ઞિક દ્વારા છેક 2013થી, એમની 86 વર્ષની વયે આરંભાયેલી એક અનન્ય પ્રવૃત્તિ તે 'ગુરુવારિયું', જે 'જી.ડી.' (ગૃપ ડિસ્કશન) કે 'સ્ટડી સર્કલ' તરીકે ઓળખાય છે. કુલીનકાકા દર ગુરુવારે સાંજના છ વાગ્યે ગોવર્ધન સ્મૃતિમંદીરમાં આવે અને વિવિધ વિદ્યાશાખાના વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરે. પ્રો. નીરજ યાજ્ઞિક અને વિદ્યાર્થીપ્રિય પ્રો. આશિષ શાહ પણ આમાં સંકળાયા. ત્રણેક વર્ષથી ઉર્વીશ અને હું પણ આમાં સંકળાયા છીએ. અહીં મજા અનૌપચારિક ચર્ચાની. એટલે હસિતભાઈએ વિચાર્યું કે આપણે આ 'જી.ડી.'ને મંચ પર ભજવીએ અને એની ચર્ચા થકી 'સરસ્વતીચંદ્ર'ના કોઈક પાસાને ઉજાગર કરીએ. એ મુજબ રમણભાઈ નીલકંઠના નાટક 'રાઈનો પર્વત'નો રાઈ અને 'સરસ્વતીચંદ્ર'ના નાયક સરસ્વતીચંદ્રનાં પાત્રોમાં ઝીલાયેલું ભારતીય રેનેસાં (નવજાગરણ)નું પ્રતિબિંબ શી રીતે ઝીલાયું છે એ દર્શાવવું. પ્રાથમિક મુસદ્દો એમણે તૈયાર કરી દીધો, પણ એને 'જી.ડી.'ના સંવાદસ્વરૂપમાં ફેરવવાનું કામ ઉર્વીશને અને મને સોંપ્યું. એટલે આ થઈ બીજી વાત.

વાસ્તવિક 'જી.ડી.' વખતે 'ભજવાનારી જી.ડી.'નું રીહર્સલ

'જી.ડી.'ના રીહર્સલની એક ઝલક

હજી ત્રીજી વાત બાકી હતી. 'સરસ્વતીચંદ્ર'માં આવતાં અનેક ગીત પૈકીનાં અમુક તેમણે પસંદ કર્યાં. એનું સ્વરાંકન કરાવીને એની મ્યુઝીકલ ટ્રેક બનાવડાવી. અને બે વિદ્યાર્થીનીઓ આસ્થાના તેમજ પૂજા એ ગીતો 'લાઈવ' રજૂ કરે એમ નક્કી કર્યું.

આસ્થાનાના ગાયનની એક ઝલક

આમ, 'સરસ્વતીચંદ્ર' અને ગોવર્ધનરામ ખરા અર્થમાં વિદ્યાર્થીઓ થકી લોકો સુધી પહોંચાડવાનો આ પ્રયાસ કહી શકાય. આજે બપોરના સમયે ગોવર્ધન સ્મૃતિમંદીરમાં ગાયન સિવાયની બન્ને આઈટમોનું રીહર્સલ હતું. વિદ્યાર્થીનીઓ જે તલ્લીનતાથી પોતાનો પાઠ ભજવી રહી હતી, વિદ્યાર્થીઓ જે રીતે ચર્ચાને લાઈવ બનાવતા હતા એના સાક્ષી બનવાની બહુ મજા આવી. આરંભે દેવાંગ દ્વારા 'જી.ડી.'ના અપાયેલા પરિચય પછી તપન, દીપ, મોક્ષિતા, અલ્ફીના, નાઝનીન અને જીગર વચ્ચેની ચર્ચાનું સુકાન પ્રો. ઝંખનાબહેને સંભાળેલું. જૈનિક, સ્મિત, પ્રો. હરીશભાઈ, પારૂલબહેન, ડૉ. અલ્પાએ પૃષ્ઠભૂમિમાં વિવિધ જવાબદારીઓ સંભાળેલી.
આવતી કાલે પહેલવહેલી વાર આ તમામ વસ્તુઓ મંચ પર ભજવાશે, પણ એ એક જ વાર નહીં હોય. ગુજરાત આખામાં અનેકવિધ શાળા-કોલેજે આને પહોંચાડવાની નેમ છે. એ માટે બે-ત્રણ ટીમ તૈયાર થઈ રહી છે, પણ આજે આ રીહર્સલનો કંઈક અનોખો રોમાંચ છે. આવા કામનો એક નાનકડો હિસ્સો બનવાનું થાય ત્યારે જે આનંદ આવે એની વાત જ ઓર છે.
આ રીહર્સલની કેટલીક તસવીરો.

(તસવીર/વિડીયો ક્લીપ સૌજન્ય: દેવાંગ, જૈનિક, હસિત મહેતા)

Thursday, April 17, 2025

આ છોકરો આ બધી છોકરીઓને મળે ત્યારે શું શું થઈ શકે?

નૌશિલ મહેતાએ એના વિશે લખ્યું છે તે એમના જ શબ્દોમાં : “એ સવા૨ અન્ય સવારોથી ખાસ જુદી નહોતી. ભૂપેન એમના વાતાવરણ સાથે ઇમ્પ્રોવાઇઝ કરી રહ્યા હતા, ખેલ રચી રહ્યા હતા. ‘સ્વદેશાગમન’ મથાળાવાળી ‘કન્યા જોઈએ છે’ વિભાગમાં ટચૂકડી જાહેરખબર જડી. એમાં લગ્નોત્સુક યુવકનાં ગુણગાન ગાયેલાં અને હુકમના એક્કા સમી જાહેરાત કરેલી : ટૂંક સમય માટે આવે છે અને ગ્રીન કાર્ડ ધરાવે છે. કન્યાના વાલીઓને આગ્રહ હતો કે કન્યાનો ફોટો અને વિગતો (ફોટો returnable) બનતી ત્વરાએ અમુકતમુક પોસ્ટ ઓફિસ બોક્સના સ૨નામે મોકલવાં.

“આ જોઈને ભૂપેનને એ વિચાર ન આવ્યો કે લોકો જીવનના આટલા મહત્ત્વના નિર્ણયો આટલી ઉતાવળે કેવી રીતે લેતા હશે? એણે મધુને પૂછ્યું, ‘આ છોકરો આ બધી છોકરીઓને મળે ત્યારે શું શું થઈ શકે?’
“એ જાણવા ભૂપેન અને મધુએ આદર્યું ઇમ્પ્રોવાઇઝેશન. પહેલાં ભૂપેન બન્યા લગ્નોત્સુક યુવક અને મધુ બન્યા (એક પછી એક) કન્યા. બન્ને ખૂબ હસ્યા. પછી ભૂમિકાઓની અદલાબદલી કરી. હવે પ્રશ્નોત્તરી અશ્લીલ પ્રદેશમાં પ્રવેશી, હાસ્ય ખડખડાટ થયું.

આના સર્જનના મૂળમાં રહેલા મધુ રાય (ડાબેથી બીજા)
અને ભૂપેન ખખ્ખર (છેક જમણે), બન્નેની વચ્ચે ઉમાશંકર જોશી
અને છેક ડાબે રોહિત શાહ
(તસવીર સૌજન્ય: 
https://www.umashankarjoshi.in/)
“એ સવાર પછી અઠવાડિયાંઓ સુધી, બન્નેની ગમે ત્યાં, ગમે ત્યારે મુલાકાત થાય, ત્યારે આસપાસના કોઈને ચેતવ્યા વિના, એ લગ્નોત્સુક યુવક અને કન્યાનાં પાત્રોમાં સરી પડતા અને ‘અંગત પ્રશ્નોત્તરીઓ’ જાહેરમાં કરતા. બે-એક વર્ષ પછી મધુ રાય શિકાગો સ્થાયી થયા અને ત્યાંથી એમણે ‘કિમ્બલ રેવન્સવુડ' નામની ધારાવાહિક નવલકથા મૂળ જાહેરાત છાપનારા અખબારમાં છપાવી. નવલકથાનો નાયક, લગ્નોત્સુક યોગેશ પટેલ, શિકાગોથી ભારત આવે છે કન્યા પસંદ કરવા. એનું સપનું છે કે નિર્ણય લેતાં પહેલાં દરેક રાશિની કન્યા સાથે મુલાકાત ક૨વી. 1980માં નવલકથા પુસ્તક સ્વરૂપે છપાઈ, 1982માં કેતન મહેતાએ પુસ્તક પર આધારિત ટી.વી. સીરિયલ બનાવી. 1996માં મેં એ પુસ્તક પર આધારિત અંગ્રેજી નાટક બનાવ્યું.”

'કિમ્બલ રેવન્સવૂડ'નું મુખપૃષ્ઠ
મધુ રાય લિખિત એ નવલકથા હતી ‘કિમ્બલ રેવન્સવુડ’. કેતન મહેતાએ તેની પરથી બનાવેલી ટી.વી. ધારાવાહિકનું નામ ‘મિસ્ટર યોગી’. નૌશિલ મહેતાએ એની પરથી રચેલું નાટક ‘મનગમતી કન્યાની શોધમાં’ અને આશુતોષ ગોવારીકરે આ જ કથા પરથી બનાવેલી ફિલ્મ હતી ‘વોટ્સ યોર રાશિ?’
'વૉટ્સ યોર રાશિ?'નું પોસ્ટર

'મિ. યોગી' ટી.વી.ધારાવાહિક

(ભૂપેન ખખ્ખર: લેખન-સંપાદન: બીરેન કોઠારી, પુસ્તકની કિંમત 450/, પુસ્તક મંગાવવા માટે સંપર્ક: કાર્તિક શાહ 98252 90796)

Wednesday, April 16, 2025

લાકડાનું નહીં, ચાંદીનું બ્રશ

"આચાર્ય મિસ્ત્રી અંકગણિતના દાખલા તપાસતા હોય એમ વિદ્યાર્થીઓએ દોરેલાં ચિત્રોમાં સહેજસાજ સુધારાવધારા સૂચવતા. ક્યારેક વિદ્યાર્થીઓને તેમના વિદ્વત્તાપૂર્ણ વક્તવ્યનો લાભ પણ મળતો. જેમ કે, એક વાર તેમણે કહ્યું : ‘આજે ચિત્રકલામાં વાસ્તવવાદ વિશે તમને થોડી વાતો કરવી છે. એક રાણીએ યોજેલી ચિત્રસ્પર્ધામાં મેં ભાગ લીધો હતો. રાણીને બેસાડીને એમનું પોર્ટ્રેઇટ બનાવવાનું હતું. મેં જે વાસ્તવિકતા દર્શાવી એનાથી રાણીને ખુશી થઈ. એમના ચહેરા પર એક નાનો ઉઝરડો હતો, તે મેં બરાબર ચીતરેલો. કલાવિવેચકોએ મને ઇનામ તો ન આપ્યું, પણ એ તો સમજ્યા હવે. કહેવાનું એટલું કે આનું નામ વાસ્તવિકતા.’

મિસ્ત્રીસાહેબ પોતાના વિદ્યાર્થીઓનાં ચિત્રો શી રીતે તપાસતા? ‘ભૂપેન, તેં આજે શું ચીતર્યું છે? આ શું, બ્રશ દોર્યું છે? જો, આ બ્રશ તેં લાકડાનું દોર્યું છે. ચાંદીનું બ્રશ ચીતરવાના આપણને પૈસા પડતા નથી. તો લાકડાનું શા માટે દોરવું? તને બતાવું.’
(ભૂપેન ખખ્ખર: લેખન-સંપાદન: બીરેન કોઠારી, પુસ્તકની કિંમત 450/, પુસ્તક મંગાવવા માટે સંપર્ક: કાર્તિક શાહ 98252 90796)

(તસવીર: જ્યોતિ ભટ્ટ)

Tuesday, April 15, 2025

દોસ્તીનું તર્પણ

ભૂપેનની જીવનકથાના આલેખન વેળા જે લોકોને મળવાનું અમે આરંભ્યું એ આમ જોઈએ તો છેક પરિઘ પરથી. વલ્લવભાઈ કોન્ટ્રાક્ટર સાથે તેમને ગાઢ મૈત્રી હતી. વલ્લવભાઈ 'રાધાસ્વામી'ના અનુયાયી હોવાથી તેના સત્સંગમાં એ નિયમીત હાજરી આપતા. આ સત્સંગ ત્યારે તો સૂરસાગર નજીક આવેલા એક સત્સંગીને ઘેર થતો. ભૂપેન પોતાનું સ્કૂટર લઈને સત્સંગ પૂરો થવાના સમયે આવી જતા અને નીચે ઊભા રહેતા. વલ્લવભાઈ આવે એ પછી તેઓ સ્કૂટર પર બેસીને નીકળતા. વલ્લવભાઈનું એમના સત્સંગી વર્તુળમાં આદરમાન બહુ. સત્સંંગીઓ રોજ જુએ કે 'વલ્લવકાકા'ના એક મિત્ર રોજ એમની રાહ જોઈને ઊભા રહે છે. આથી એ સત્સંગીઓ પણ 'વલ્લવકાકા'ના મિત્રને 'કેમ છો?' કરતા થયા. ધીમે ધીમે તેમને 'ભૂપેનકાકા'ના નામથી બોલાવતા થયા. એ પછી એક વાર ભૂપેનનાં ચિત્રોનું પ્રદર્શન વડોદરામાં યોજાયું ત્યારે વલ્લવકાકા સાથે કેટલાક સત્સંગીઓ પણ 'ભૂપેનકાકા'નાં ચિત્રો જોવા ગયેલા. એમને ત્યારે ખબર પડી કે 'ભૂપેનકાકા' તો મોટા ચિત્રકાર છે. ધીમે ધીમે 'ભૂપેનકાકા' પણ સત્સંગમાં આવતા અને બેસતા થયા.

આથી મેં પહેલવહેલી ઈચ્છા વ્યક્ત કરી કે આપણે આ સત્સંગમાં જઈએ. બેસીએ અને જોઈએ કે એમાં શું શું થાય છે. વલ્લવભાઈના દીકરા અમરીશભાઈએ એ વ્યવસ્થા કરી આપી. લાલબાગ નજીક નિમિષ બહલ નામના એક સત્સંગીને ઘેર નિયત સમયે સત્સંગ યોજાતો હતો. અમે ત્યાં ગયા. છેક સુધી બેઠા. સત્સંગ પૂરો થયા પછી કેટલાક એવા સત્સંગીઓને મળ્યા કે જેમણે 'ભૂપેનકાકા'ને જોયા હતા.

રાધાસ્વામી સંપ્રદાયના બાબુજી મહારાજનું
ભૂપેને દોરેલું ચિત્ર

વલ્લવભાઈ અને ભૂપેન

પત્રના અંતે ભૂપેનનું લખાણ

રાધાસ્વામી સત્સંગ (છેક જમણે નિમિષ બહલ)

એ પછી અમરીશભાઈએ વિગત આપી કે વડોદરામાં આજવા રોડ પર 'સત્સંગ બિયાસ' છે, જ્યાં અઠવાડિયાના એક દિવસ સાંજે સત્સંગ યોજાય છે. ત્યાં પણ અમે ગયા. સત્સંગમાં હાજરી આપી અને એ પછી અનેક સત્સંગીઓ સાથે મુલાકાત કરી. ત્યાંથી વિગતો ઓછી મળી, પણ સત્સંગીઓમાં 'ભૂપેનકાકા અને વલ્લવકાકાની જોડી'નું સ્થાન શું હતું એનો બરાબર અંદાજ મળ્યો.
વલ્લવભાઈને ઉદ્દેશીને લખેલા તમામ પત્રોમાં છેલ્લે ભૂપેન લખતા: 'લિ. ભૂપેનના રાધાસ્વામી'. આ જ સંપ્રદાયના એક ધર્મગુરુ બાબુજી મહારાજનું ચિત્ર પણ ભૂપેને દોરેલું.
આવી અનેક વિગતો મારા મનમાં ઊતરતી ગઈ, સંઘરાતી ગઈ, જેના અર્કરૂપે લખાયું 'રંગમાં સત્સંગ' પ્રકરણ. વલ્લવભાઈ અને ભૂપેનની દોસ્તીને અપાયેલી એ અંજલિ છે, તો અમરીશભાઈના મતે આ પુસ્તક બન્નેની દોસ્તીનું તર્પણ છે.
(ભૂપેન ખખ્ખર: લેખન-સંપાદન: બીરેન કોઠારી, પુસ્તકની કિંમત 450/, પુસ્તક મંગાવવા માટે સંપર્ક: કાર્તિક શાહ 98252 90796)

(બાબુજી મહારાજના ચિત્રની તસવીર ઈન્‍ટરનેટ પરથી) 

Monday, April 14, 2025

મારો સગો? મને એમ કે એ તમારો ઓળખીતો છે


ભૂપેન ખખ્ખરની જીવનકથામાં ધીમે ધીમે આગળ વધાતું જતું હતું, પણ હજી ઘણું મળવાનું બાકી હતું. અમુક વિગતોની જાણ હતી કે એ ક્યાંથી મળી શકે એમ છે, છતાં ત્યાં સુધી પહોંંચવાનો રસ્તો શોધવાનો હતો. ભૂપેનના અવસાનને ત્યારે માંડ એક સવા દાયકો થયેલો, અને તેમનું અવસાન માત્ર 69ની વયે થયેલું. આથી એવા અનેક લોકો હતા કે જે તેમને જાણતા હતા, તેમને ઓળખતા હતા. મુખ્ય વાત એ હતી કે એમની પાસે કશી નક્કર વાત મળે એમ હતું કે કેમ.

ધીમે ધીમે અમારું કામ ચાલતું, એમાં મારાં બીજાં અનેક કામ પણ સમાંતરે હોય. ભૂપેનના ડ્રાઈવર ઈશ્વર વિશે અમને ખ્યાલ હતો. એય જાણ હતી કે તેની હત્યા થઈ હતી. આથી અમે ઈશ્વરના ભાઈ ભગવાનને મળ્યા. ભગવાને બહુ પ્રેમથી ભૂપેન વિશે વાતો કરી. એમાં કોઈ ખાસ કિસ્સો નહોતો, પણ ખ્યાલ આવ્યો કે ભૂપેનનું વ્યક્તિત્વ એમના ડ્રાઈવરની દૃષ્ટિએ કેવું છે. નવાઈ ત્યારે લાગી કે ભગવાને જણાવ્યું કે પોતે પાંડુની દીકરીના સંપર્કમાં પણ છે. પાંડુ એટલે ભૂપેનની સાથે મુંબઈથી આવેલો તેમનો 'ઘાટી'. બન્નેને એકબીજા વિના ચાલે નહીં. મહેન્દ્ર દેસાઈએ પોતાના પુસ્તકમાં લખ્યું છે એમ: ભૂપેન આપણને પૂછે કે 'ચા પીવી છે?' આપણે 'હા' પાડીએ તો ભૂપેન પોતે ઊભા થઈને ચા મૂકવા જાય. કહે, પાંડુ અત્યારે સૂઈ ગયો હશે.' બન્ને એકમેકની દરકાર રાખે એવા.
એક વાર ભૂપેન કહે, 'પાંડુ, તારો કોઈક સગો રોજ સવારે બાથરૂમમાં નહાવા આવે છે, અને કપડાં ધુએ છે. એ બહુ અવાજ કરે છે. એને કહે ને સહેજ મોડો આવે!' આ સાંભળીને પાંડુ નવાઈથી કહે, 'મારો સગો? હું તો એને ઓળખતોય નથી. મને તો એમ કે એ તમારો કોઈ ઓળખીતો હશે.'
બીજા દિવસે એ ભાઈ આવ્યા એટલે ભૂપેન અને પાંડુ બન્નેએ એની પૂછપરછ કરી. ખબર પડી કે એ તો બાજુના મકાનમાં બાંધકામ ચાલે છે ત્યાંનો સુપરવાઈઝર છે. બન્ને એને વઢ્યા અને કહ્યું કે હવેથી કપડાં ધોવા મોડો આવજે અને અવાજ ઓછો થાય એ રીતે કપડાં ધોજે.

ભૂપેન ખખ્ખર 

(ભૂપેન ખખ્ખર: લેખન-સંપાદન: બીરેન કોઠારી, પુસ્તકની કિંમત 450/, પુસ્તક મંગાવવા માટે સંપર્ક: કાર્તિક શાહ 98252 90796)

(તસવીર: જ્યોતિ ભટ્ટ)

Sunday, April 13, 2025

એક પણ છેડો છૂટવો ન જોઈએ

સર્જકની સર્જકતાના મૂળ સુધી પહોંચવાની કવાયત આપણને સૌને ગમતી હોય છે. જેમ કે, ધૂમકેતુની વાર્તામાં આવતી પોસ્ટ ઑફિસ હકીકતમાં ફલાણા ગામની હતી, યા રજનીકુમાર પંડ્યાની નવલકથા 'કુંતી' મૂળ ફલાણી સત્યઘટના પરથી પ્રેરિત હતી વગેરે...આવી કવાયતમાં આપણે એ ભૂલી જઈએ છીએ કે સર્જક આવાં સ્થળો કે ઘટનાઓનો ઊપયોગ કેવળ 'બીજ' તરીકે કરતો હોય છે. અસલી ચીજ છે તેની સર્જકતા. એ જ ઘટના કે સ્થળ બીજા અનેકોને ખબર હશે, પણ આવું સર્જન સર્જક જ કરી શકે.

ભૂપેનની જીવનકથા પર કામ કરતાં કરતાં શરૂઆતમાં અમારા મનમાંય કંઈક આવો ખ્યાલ હતો. તેમણે કયા સ્થળનું ચિત્ર દોર્યું? કયા માણસનો ચહેરો ચીતર્યો? જો કે, બહુ ઝડપથી એ ખ્યાલ આવી ગયો કે આવી કવાયતનું એક હદથી વધુ મહત્ત્વ નથી. ચિત્રકારે આવાં સ્થળ, વ્યક્તિ કે પ્રસંગનો આધાર લઈને ખરેખર તો પોતાની અલાયદી સૃષ્ટિ રચી છે. ભૂપેને પોતે લખ્યું છે, 'મારા ચિત્રોમાં મારા જીવનને ન શોધશો.'
ભૂપેનની મંડળીમાં હીરાભાઈ પટેલ નામના એક વૃદ્ધ સજ્જન હતા, જે ધોતિયું, ઝભ્ભો અને ટોપીના પોતાના પોષાકથી સાવ આગવા તરી આવતા. ભૂપેનથી વયમાં તે ચૌદેક વર્ષ મોટા. તેમનું અવસાન 2010માં થઈ ગયું, પણ અમે તેમના દીકરા હર્ષદભાઈને મળ્યા. હીરાભાઈ મૂળ કુંવરપુરા ગામના હતા, જે કાયાવરોહણ નજીક આવેલું છે. ભૂપેને ચીતરેલા 'સત્સંગ' શિર્ષક ધરાવતા ચિત્રમાં કુંવરપુરાનું દૃશ્ય છે કે કેમ, એ માટેના સ્કેચ દોરવા ભૂપેન કુંવરપુરા ગયેલા કે કેમ વગેરે પ્રશ્નો અમે કર્યા. જો કે, હર્ષદભાઈએ સ્પષ્ટપણે જણાવ્યું કે ભૂપેન કદી કુંવરપુરા આવ્યા નહોતા.
ભૂપેનના અમેરિકન ચાહક બ્રાયન વેઈનસ્ટાઈનને હીરાકાકા પોતાના પોષાકને લઈને યાદ રહી ગયેલા. હીરાકાકાને ભૂપેને એકાદ ચિત્રમાં પણ સ્થાન આપ્યું છે. મૂળ વાત એટલી કે જીવનકથાના આલેખન દરમિયાન એક પણ છેડો છૂટવો ન જોઈએ. એનું આલેખન થાય કે ન થાય, પણ એને તપાસવાનો બાકી ન રખાય.

'ગુરુ જયંતિ'માં ડાબે વચ્ચે ઊભેલા સજ્જન કદાચ હીરાભાઈ છે.

'સત્સંગ' ચિત્ર

અતુલ ડોડિયાએ 'શ્રી ખખ્ખર પ્રસન્ન' પ્રદર્શનમાં 
'ભૂપેન મંડળી'ના સભ્યોને આપેલી અંજલિ

ભૂપેન મંડળી (ડાબેથી): વલ્લવભાઈ, ભૂપેન,
હીરાભાઈ અને બ્રાયન
(ભૂપેન ખખ્ખર: લેખન-સંપાદન: બીરેન કોઠારી, પુસ્તકની કિંમત 450/, પુસ્તક મંગાવવા માટે સંપર્ક: કાર્તિક શાહ 98252 90796)

(પ્રથમ ત્રણ તસવીરો: ઈન્‍ટરનેટ પરથી) 

Saturday, April 12, 2025

રામભક્ત હનુમાન

ભૂપેન ખખ્ખરે મુખ્યત્વે તૈલ રંગોમાં ચિત્રો કર્યાં. તેમણે જળરંગોનો ઊપયોગ પણ કર્યો છે ખરો, અને એ માધ્યમમાં બનાવાયેલાં ચિત્રો તેની માવજતને કારણે નોખાં તરી આવે છે.

1998માં બનાવેલા આ ચિત્રનું શિર્ષક ભૂપેને 'રામભક્ત હનુમાન' રાખ્યું. પહેલી નજરે જ આ ચિત્ર ભરચક રંગોને બદલે સાદગીયુક્ત જણાય છે. તેમાં અવકાશ ઘણો છે. રંગોનો ઊપયોગ આકૃતિની ધાર પર વધુ છે, અને અંદર રંગો ભરેલા નથી. આમ છતાં, આ ચિત્રમાં કશુંક એવું છે કે તેની પરથી નજર હટાવવી મુશ્કેલ લાગે છે. શું છે એ?
ચિત્રમાં રામનો રંગ ભૂરો દેખાડ્યો છે, જે તેમની દિવ્યતા સૂચવે છે. એ સિવાય તેમના માથે મુગટ છે, અને કમરે ચર્મવસ્ત્ર વીંટાળેલું છે. ગળામાં પણ કંઈક પહેરેલું છે. મુગટનો રંગ સાવ આછો છે. હનુમાનજીનો ચહેરો આમાં વાનરનો છે, એટલે કે સીધાસાદા વાનરનો. પરંપરાગત ચિત્રોમાં જોવા મળે છે એવા મુગટ અને આભૂષણધારી વાનરનો નહીં.


રામ અને હનુમાન એક રીતે મનુષ્ય અને પ્રાણીના સહઅસ્તિત્વને ઉજાગર કરે છે. અહીં રામના બન્ને હાથ અસાધારણ રીતે લાંબા છે. તેઓ 'આજાનબાહુ' (જેમના હાથ ઘૂંટણ સુધી પહોંચે એ) હતા, પણ અહીં તેમના લાંબા હાથ કંઈક જુદા હેતુથી ચીતરાયા છે. ચિત્રસંયોજનની રીતે હનુમાનના આખા શરીર ફરતે હાથ વીંટાળવો હોય અને બીજો હાથ તેમના ખભે મૂકેલો બતાવવો હોય તો એ બીજી શી રીતે શક્ય બને? ભૂપેને શરીરના પ્રમાણમાપમાં છૂટછાટ લઈને એ બતાવ્યું છે. એ જ રીતે હનુમાનજીનો એક હાથ પણ ઘણો લાંબો દેખાડ્યો છે, જેને રામે જમણે હાથે કાંડાની સહેજ ઊપરથી પકડેલો છે. ચિત્રકારને આવી છૂટછાટ સહજ હોય છે. હનુમાનજીનો બીજો હાથ પાછળના ભાગે હોવાથી આખા ચિત્રમાં વ્યક્તિ બે, અને હાથ ત્રણ દેખાય છે.
આ ઊપરાંત આખા ચિત્રમાં ભૂપેનની ખાસિયત કહી શકાય એવી બાબત એ કે રામ સીધા જ દર્શકની આંખમાં જુએ છે. તેમના સહેજ જ પહોળા થયેલા હોઠ પર આછેરું સ્મિત હોવા છતાં તેમની આંખોમાં આંખ મિલાવતાં દર્શક જાણે કે વિહ્વળ બની જાય છે- ભૂપેને ચીતરેલાં બીજાં અનેક પાત્રો સાથે પણ આમ બને છે.
(નોંધ: ભૂપેન ખખ્ખરની જીવનકથા પર કામ કરતાં કરતાં તેમનાં અનેક ચિત્રો, ચિત્રશૈલી પરિચીત બનતાં ગયાં. પુસ્તકમાં કેટલાંક ચિત્રોનો આસ્વાદ કરાવેલો છે. પણ પુસ્તક પૂરું થાય પછી એ ક્રમ પૂરો થતો નથી.)
(ભૂપેન ખખ્ખર: લેખન-સંપાદન: બીરેન કોઠારી, પુસ્તકની કિંમત 450/, પુસ્તક મંગાવવા માટે સંપર્ક: કાર્તિક શાહ 98252 90796)