"તમારાં અસ્થિવિસર્જન બાબતે તમારી કોઈ પસંદગી?"
"ગંગાકિનારાના કોઈક સ્થળે થાય તો ગમે."
"ગંગાકિનારો તો બહુ મોટો છે. એમાં કોઈ ખાસ સ્થળની પસંદગી?"
"પ્રયાગરાજમાં થાય તો સારું. પણ જવા દો ને. એ બધું કોણ કરવાનું?"
આવું આમ તો કોઈને પૂછાય નહીં, પણ હોમાય વ્યારાવાલા અને પરેશ પ્રજાપતિ વચ્ચે આવા, નર્યા વાસ્તવિક ધરાતલ પરના સંવાદ 2010- 11ના કોઈક દિવસે થયા હશે. હોમાયબહેનની વય ત્યારે 95-96ની હશે, અને તેમની સાથેની આત્મીયતા એવી હતી કે કઠણ મને, વાસ્તવિકતા સ્વીકારીને પણ આવા ન ગમતા સવાલ પૂછવા પડે. એમણે જ આપેલી એ શીખ હતી. 2012માં હોમાયબહેનનું અવસાન થયું એ પછી મિત્ર પરેશને હરિદ્વાર જવાનો યોગ ઊભો થયો ત્યારે હોમાયબહેનની ઈચ્છા મુજબ તેણે એમનાં અસ્થિનો એક હિસ્સો ગંગાના પ્રવાહમાં વિસર્જિત કર્યો. તેનો વિગતવાર અહેવાલ મારી આ બ્લોગપોસ્ટમાં આલેખાયેલો છે.
હમણાં અમે સ્પિતી ખીણના પ્રવાસે હતા. દસેક દિવસના આ પ્રવાસ દરમિયાન આસપાસના સૌંદર્યને જોતાં જોતાં રસ્તામાં જાતભાતની વાતો નીકળે એ સ્વાભાવિક છે. અમે તાબોથી મુદ ગામ જઈ રહ્યા હતાં ત્યારે પરેશે જાણે કે કોઈક ખાનગી વાત કરતો હોય એમ કહ્યું: "તને એક વાત કહેવાની છે. હોમાયબહેનનાં અસ્થિનો હજી એક હિસ્સો મેં સાચવી રાખેલો છે."
'કેમ?'ના જવાબમાં તેણે કહ્યું, "હોમાયબહેનની મૂળ ઈચ્છા એને પ્રયાગરાજમાં વિસર્જિત કરવાની હતી. એટલે મને એમ કે ક્યારેક ત્યાં જવાનું થાય તો એ ઈચ્છા પૂરી કરાશે. કુંભમેળા વખતે એક વિચાર કરેલોય ખરો, પણ જે રીતે કુંભમાં ભીડભાડ હતી એ જાણ્યા પછી એ વિચાર માંડી વાળેલો."
"બરાબર. એનું શું?"
"મારા મનમાં એવું હતું કે આ અંશ કોઈક આપણી પસંદગીની જગ્યાએ વિસર્જિત કરીએ. અને એ જગ્યા એટલે હિમાલયમાંથી પસાર થતી કોઈક નદીમાં, જ્યાં શુદ્ધ વાતાવરણ હોય."
આ સાંભળીને મને સુખદ આશ્ચર્ય થયું. મેં કહ્યું, 'તું લીધી વાત મૂકે એમાંનો નથી. હવે શું કરવાનું છે એ કહે."
પરેશે કહ્યું, "એ અંશ હું સાથે લઈને આવ્યો છું. મેં એક સમયમર્યાદા બાંધેલી કે હોમાયબહેનનું અમુક કામ પતે એ પછી આ અંશનું વિસર્જન કરવું. એ કામ પતી ગયું છે. તો મારી ઈચ્છા એવી છે કે આપણે અહીં જ ક્યાંક આવી કોઈ નદીમાં એનું વિસર્જન કરીએ."
અમે જે રસ્તે મુસાફરી કરી રહ્યા હતા એ આખે રસ્તે વારાફરતી નદીઓ અમારી સમાંતરે વહી રહી હતી. પહેલાં સતલજ, એ પછી પીન નદી, અને પછી સ્પિતી નદી. નજર પડે ત્યાં પીળા રંગના રેતાળ પહાડો હતા, પાછળ ડોકાંતાં હીમશીખરો, અને છૂટીછવાઈ હરિયાળી, કેમ કે, સરેરાશ ઊંચાઈ બારેક હજાર ફીટની હતી. નીચે ખીણમાં જોશભેર નદીનું વહેણ દેખાતું, ક્યાંક સાવ સાંકડું અને ક્યાંક એકદમ પથરાયેલું.
![]() |
સાવ છેવાડે આવેલું મુદ ગામ. પર્વતની ગોદમાં વટાણાની ખેતી |
માંડ બસો જણની વસતિ ધરાવતા પીન ખીણમાં આવેલા મુદ ગામમાં રહ્યા પછી અમે આવેલા એ જ રસ્તે અમારે પાછા વળવાનું હતું અને કઝા જવાનું હતું. આ વિસ્તારમાં વસતિ સાવ પાંખી, પર્યાવરણ શુદ્ધતમ. આખે રસ્તે પીન નદી સંગાથ આપે. પાછા વળતાં એક સરસ જગ્યાએ નાનકડો કિનારો બન્યો હતો ત્યાં અમે વાહન ઊભું રખાવ્યું. સૌ નીચે ઊતર્યાં.
![]() |
અસ્થિવિસર્જન વેળા: (ડાબેથી) ઈશાન, સુજાત, શૈલી અને મલક |
પરેશે તેર તેર વરસથી જતનપૂર્વક સાચવી રાખેલાં અસ્થિફૂલ બહાર કાઢ્યાં. શૈલી, સુજાત, મલક અને ઈશાનના હાથમાં એ પકડાવીને એમને એ નદીમાં વહાવવા જણાવ્યું. એક બાજુ સખત પવન વાતો હતો, અતિશય ઠંડું વાતાવરણ હતું, પણ અંદરથી સંબંધની એક અનોખી ઉષ્મા અનુભવાતી હતી. હોમાયબહેનના સ્થૂળ દેહની એ આખરી નિશાનીને પીન નદીનાં શુદ્ધ જળના પ્રવાહમાં વહાવી ત્યારે સંબંધોની શુદ્ધતા અને પવિત્રતાથી સૌનાં હૈયાં ભીંજાયાં. કશું બોલી શકવાની હામ નહોતી. એની જરૂર પણ નહોતી. યાદગીરીરૂપે અમારા ડ્રાઈવર દિનેશ કુમાર પાસે અમારા આઠેયની તસવીર ખેંચાવી. ઘડીક થોભ્યાં અને પ્રવાસને આગળ ધપાવ્યો.
![]() |
અસ્થિવિસર્જન પછી એ સ્થળે (ડાબેથી) ઈશાન, કામિની- બીરેન, પરેશ- પ્રતિક્ષા, શૈલી- સુજાત અને મલક |
![]() |
પીન નદીના શુદ્ધ વહેણમાં આખરી સ્થૂળ સ્મૃતિનું વિસર્જન |
હોમાયબહેન અમારાં જીવનમાં આવ્યાં, અને જેટલો સમય તેમનો સાથ અમને મળ્યો એ એટલો સઘન છે કે એમ લાગ્યા કરે છે, 'જો ખત્મ હો કિસી જગહ, યે ઐસા સિલસિલા નહીં.'
No comments:
Post a Comment