Friday, June 13, 2025

'સ્ક્રેચ'થી શરૂ કર્યા પછી...

કોઈ પણ જીવનકથાનો આરંભ સાવ 'સ્ક્રેચ'થી કરવો પડે, ભલે ને વ્યક્તિ ગમે એટલી જાણીતી કેમ ન હોય! જાણીતી વ્યક્તિની જીવનકથા લખવામાં જોખમ એટલું કે મોટા ભાગના લોકો તેમની જાણીતી હોય એવી વાતો જ કરે. આપણને સોંપાયેલા કામ તરીકે જીવનકથા લખતા હોઈએ ત્યારે એમાં આવું ન ચાલે. એટલે આરંભ એકડે એકથી, અને અમુક કિસ્સામાં તો શૂન્ય કે એની આગળ ઋણ સંખ્યાથી પણ કરવાનો થાય. ભૂપેન ખખ્ખરની જીવનકથાનું કામ મને અમરીશભાઈ કોન્ટ્રાક્ટર દ્વારા સોંપાયા પછી જે 'સ્ક્રેચ'થી મારે આરંભ કરવાનો હતો એ કયો એ સમજાતું નહોતું. એટલે કે ભૂપેનના જન્મ, તેમના બાળપણ અને કિશોરાવસ્થા તેમજ યુવાવસ્થાની વાતો કોની પાસેથી મળે? એક તો ભૂપેનના અવસાનને જ ત્યારે તેર જેટલાં વર્ષ વીતી ગયેલાં. તેમનાં કુટુંબીજનોમાં એક તેમનાં મોટાં ભાભી લેખાબહેન હયાત હતાં. એ સિવાય ગુલામમોહમ્મદ શેખસાહેબ જેવા મિત્રો ભૂપેનના યુવાકાળના, અને બીજા તો એ પછીના. એક સુનિલ કોઠારી એવા હતા કે જેઓ ભૂપેનના શાળા તેમજ કોલેજકાળ વિશે જણાવી શકે. તેઓ દિલ્હી હતા અને વડોદરા આવવાનું તેમને બનતું હતું એટલે અમે ત્યાં સુધી એમની રાહ જોવાનું નક્કી કર્યું.

વડોદરામાં શેખસાહેબને સૌ પ્રથમ મળવું પડે. અમે એમને ત્યાં ગયા. તેમની વ્યસ્તતા સમજાય એવી હતી, આથી ખાસ કશી વાત કરવાને બદલે તેમણે ભૂપેન વિશે પોતે લખેલો લેખ 'ભેરુ'નો ઉપયોગ કરવાની પરવાનગી અમને આપી. એ જ દિવસે નીલિમાબહેન શેખ સાથે થોડી વાત થઈ અને તેમણે ભૂપેન સાથેનાં પોતાનાં કેટલાક સંભારણાં કહ્યાં.
દરમિયાન અમરીશભાઈ એવાં મકાનોની જાણકારી લઈ આવ્યા કે ભૂપેન પોતાના બંગલામાં રહેવા જતાં પહેલાં રહી ચૂક્યા હોય. નિઝામપુરામાં રહેતા ઠાકોરભાઈ અને અતુલભાઈ શાહને અમે એ રીતે મળ્યા. ભૂપેન રહેતા ત્યારે આ બન્ને ભાઈઓની વય બાર-પંદરની હશે. એટલે તેમને એ યાદ હતા ખરા, પણ બીજી વિશેષ જાણકારી મળી શકી નહીં.

ભૂપેન ખખ્ખર (તસવીર: જ્યોતિ ભટ્ટ) 

આ જ રીતે અમે રાધાસ્વામીના સત્સંગમાં ઉપસ્થિત રહ્યા અને કેટલાક સત્સંગીઓને મળ્યા. લેખાબહેન સાથે આ ગાળામાં મુલાકાત થતી રહેતી, પણ તેમની પાસે અમુકથી વધુ વિગતો હોય એમ જણાતું નહોતું. આ દરમિયાન રાણા બંધુઓ- હીતેશ રાણા અને કમલ રાણાને મળવાનું બન્યું. ભૂપેનના અંતિમ દિવસોમાં બન્ને ભાઈઓ સાથે રહેલા. તેમણે ઘણી વાતો તો કરી, સાથોસાથ પુસ્તક માટે અન્ય કોઈ પણ (ગુજરાતી અનુવાદ: આર્થિક) મદદની જરૂર હોય તો અને ત્યારે એ કરવાની તૈયારી બતાવી.
વલ્લવભાઈનાં બહેન જયાલક્ષ્મીબહેનને અમે વડોદરામાં મળ્યા. તેમણે 'ચંગુમંગુની જોડી'ને ભાવપૂર્વક યાદ કરી અને જણાવ્યું કે ભૂપેન તેમને પોતાની બહેન ગણતા હતા.
એ પછી એક વાર અમે અમદાવાદના ચિત્રકાર અમીત અંબાલાલને મળવા તેમને ઘેર ઊપડ્યા. અમીતભાઈ તો ખરા જ, તેમનાં પત્ની રક્ષાબહેને પણ ભૂપેન વિશે અઢળક વાતો કરી. ત્રણ સાડા ત્રણ કલાક તેમની સાથે અમે બેઠાં. આ દંપતિની સરળતા અમને સ્પર્શી ગઈ.
આમ છતાંં, આ બધી વાતો પછીના સમયગાળાની હતી. જે 'સ્ક્રેચ'થી આરંભ કરવાનો હતો એ હજી પડતો નહોતો. ભૂપેનના મિત્રો, પરિચિતોને તેમના વિશે એટલું બધું કહેવાનું હતું કે એમ લાગે કે આ વ્યક્તિત્વને આપણે જીવનકથાની બાથમાં કેમનું લેવું?
ક્યારેક એમ થતું કે અમે ઊપરાછાપરી અનેક લોકોને મળતા, તો ક્યારેક એમાં લાંબો ઝોલ પડતો.
આમ છતાં, એક વાત નક્કી હતી કે ભલે વિલંબ થાય તો એમ, પણ પોતાને સંતોષ ન થાય ત્યાં સુધી આ કામ ચાલુ રાખવું.
(ભૂપેન ખખ્ખર: લેખન-સંપાદન: બીરેન કોઠારી, પુસ્તકની કિંમત 450/, પૃષ્ઠસંખ્યા: 296, પુસ્તક મંગાવવા માટે સંપર્ક: કાર્તિક શાહ 98252 90796)

No comments:

Post a Comment