રજનીભાઈ સાથે ક્યારેક મારે એમના 'પંથક'માં જવાનું બનતું. મોટે ભાગે અમારા સહિયારા કોઈ ને કોઈ પ્રકલ્પના કામ માટે એ રહેતું. સૌ પ્રથમ વાર રાજકોટના રતિભાઈ ગોંધિયાની જીવનકથા તેમજ 'રાજ બેન્ક'ની સુવર્ણજયંતિ નિમિત્તે તેનો ગ્રંથ તૈયાર કરવાના કામે હું ગયેલો. એ પછી જેતપુરના ઉદ્યોગપતિ મગનભાઈ પટેલની જીવનકથા વખતે અમે થોડાઘણા પ્રવાસ કરેલા. પંથક એમનો હોય, અને સાથે હું હોઉં એટલે રજનીભાઈ ખાસ મારા માટે કેટલાંક સ્થળો કે વ્યક્તિઓની મુલાકાતનું આયોજન કરતા. કેમ કે, એ દરેક સ્થળ કે વ્યક્તિઓનો કોઈ ને કોઈ સંદર્ભ હોય, જે મને પૂરેપૂરો ખબર હોય. 'ઝંઝાવાત'ની મુખ્ય કર્મભૂમિ ધોરાજી છે, જ્યાં તેમના મિત્ર વીનેશ પટેલ રહેતા. એક વાર જેતપુરથી અમે ધોરાજી ગયા અને અરવિંદ પટેલને ત્યાં રાત રોકાયા. (એમનો ઉલ્લેખ આ પુસ્તકમાં છે) મોટા ભાગનાં પાત્રોને હું રજનીભાઈનાં લખાણ થકી ઓળખતો હોઉં, પણ વ્યક્તિગત મળવાનું બાકી હોય. એટલે એ પાત્રની કેટલીક લાક્ષણિકતાઓ રજનીભાઈ મને પહેલેથી જણાવી રાખતા. મને પરોક્ષપણે એ પણ સમજાતું કે કોઈ વ્યક્તિનું શબ્દચિત્ર લખીએ ત્યારે એમાં શું લેવું અને શું અવગણવું. જો કે, ઘણાં એવાં પાત્રો હતાં કે જે હયાત હોવા છતાં, અને મને મેળવવાની ઈચ્છા છતાં, એ એક યા બીજા કારણે શક્ય બન્યું નહોતું.
Thursday, July 9, 2026
'ઝંઝાવાત'નું એક અગત્યનું 'ક્યારેક્ટર' એટલે નથવાણી
વળતાં એક વાર અમારે રાજકોટ થઈને આવવાનું હતું. યોગાનુયોગે એ સાંજે ત્યાં મુશાયરાનો એક કાર્યક્રમ હતો, જેના મુખ્ય અતિથિ નિદા ફાઝલી હતા. રજનીભાઈના મિત્ર દેવેન શાહ આ આયોજન પાછળ હતા. અમદાવાદથી ચીનુ મોદી પણ આવેલા.
અમે કાર્યક્રમના સ્થળે પહોંચી ગયા. રજનીભાઈએ મારો પરિચય દેવેનભાઈને કરાવ્યો. હજી કાર્યક્રમ શરૂ થવાને વાર હતી એટલે અમે પહેલી હરોળમાં ગોઠવાયા. આ જ હરોળમાં આગળ મંચ પર ઉપસ્થિત રહેનારા કવિઓ બેઠેલા, જેમાં નિદાસાહેબ અને તેમનાં પત્ની માલતી જોશી પણ ખરાં. અમે જઈને પરિચય કર્યો તો માલતીબહેન રજનીભાઈના વાચક નીકળ્યાં. તેઓ 'જન્મભૂમિ'ની 'શબ્દવેધ' કોલમ નિયમીત વાંચતાં હતાં. અમે પાછા અમારી બેઠક પર ગોઠવાયા.
થોડી વારમાં અમને ઓળંગીને એક પ્રૌઢ સજ્જન આગળ વધ્યા. અસ્તવ્યસ્ત સફેદ વાળ, બે-ત્રણ દિવસની વધેલી દાઢી, સિલ્વર ફ્રેમનાં ચશ્મા, ચોળાયેલાં કપડાં અને પગમાં સ્લીપર. એમનું ધ્યાન અમારા તરફ નહોતું, પણ એમને જોઈને રજનીભાઈ તરત ચમક્યા. મને કહે, 'અરે! નથવાણી!' એ પ્ર.રા.નથવાણી હતા. એમના વિશે કેટકેટલી કથાઓ વાંચેલી, સાંભળેલી, પણ એમને મળી શકીએ એવી શક્યતા ઓછી હતી. એના મૂળમાં એમની પ્રકૃતિ. 'ઝંઝાવાત'માં એમના પાત્રની મહત્ત્વની ભૂમિકા છે અને એમનું પાત્ર રજનીભાઈએ આબેહૂબ ઉપસાવ્યું છે.
રજનીભાઈથી રહેવાયું નહીં, એટલે એ ઊભા થઈને નથવાણીને મળવા એમની પાછળ ચાલ્યા. હું પણ એમની સાથે જોડાયો. નથવાણી સીધા નિદાસાહેબ પાસે જઈને ઊભા રહ્યા અને પૂછ્યું, 'આપ કી તારીફ? મેરા નામ નથવાણી હૈ.' નિદાસાહેબે મોંમાં મસાલો ભરેલા અવાજે કહ્યું, 'મુઝે નિદા ફાજલી કહતે હૈં.' આ સાંભળીને નથવાણી એકદમ ઉત્સાહથી કહે, 'અરે નિદાસાહબ, આપ?' બસ, એમ કહીને, નિદાસાહેબ સાથે હાથ મિલાવીને તેઓ પાછા વળ્યા. એ સાથે જ રજનીભાઈએ બૂમ પાડી, 'અરે, ગુરુ તમે?' નથવાણી ઊભા રહ્યા. રજનીભાઈને જોઈને એમને ખાસ આશ્ચર્ય ન થયું. હસીને એમણે ખબર પૂછી અને પાછા પોતાની બેઠક તરફ ચાલ્યા. બસ, નથવાણી સાથેની આટલી મુલાકાતમાં મારા મનમાં અંકાયેલી એમની પ્રકૃતિરેખાઓ સાથે એમના વ્યક્તિત્વનો મેળ બેસી ગયો.
કેવી હતી એમની પ્રકૃતિ? વધુ તો 'ઝંઝાવાત'માં વર્ણન છે, પણ એકાદ કિસ્સો જણાવું. આત્મવિશ્વાસથી ભરપૂર નથવાણી કોઈ પણ સ્થળે માથું મારીને જગ્યા કરી લેવામાં પાવરધા. પોતાનાથી વયમાં તેમજ દેખીતી રીતે પણ મોટી વ્યક્તિને તેઓ નિસ્સંકોચપણે 'બેટા' કહીને સંબોધે કે પેલો ડઘાઈ જાય. અને આ ટેક્નિકનો નથવાણી કેવો કેવો ઉપયોગ કરતા?
બસમાં કોઈકે રૂમાલ કે પોતાની કોઈક વસ્તુ મૂકીને જગ્યા રોકી હોય તો નથવાણી બિન્ધાસ્તપણે એ ખસેડીને પોતે બેસી જતા. એ ચીજનો માલિક આવીને નથવાણીને કશું કહેવા જાય કે નથવાણી ગરજે, 'બેટા, હું તારાથી મોટો છું. પહેલાં મારી વાત સાંભળી લે. પછી તારે જે કહેવું હોય એ કહેજે.' આમ કહીને તેઓ પેલાને અપરાધભાવનો અનુભવ કરાવે અને જણાવી દે કે પોતે જે કર્યું એ યોગ્ય જ છે. નથવાણી બોલી રહે એટલે સામેની વ્યક્તિના બોલવાનો વારો આવે. પણ આ શું? પેલો હજી બોલવાનું શરૂ કરે ત્યાં તો નથવાણી સીટ પર માથું ટેકવીને સૂઈ ગયા હોય અને નસકોરાં બોલાવતા હોય.
એવા આ નથવાણી સીધા નિદાસાહેબ પાસે જઈને પૂછે 'આપ કી તારીફ?' ત્યારે રજનીભાઈએ જણાવેલું એમનું 'ક્યારેક્ટર' તાદૃશ્ય થઈ જાય.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment