Thursday, June 19, 2025

સ્પિતી ખીણના પ્રવાસે (1): નયા પ્યાર હૈ (આલૂ પરાઠા), નયા ઈંતજાર (હિમશીખર)

ચંડીગઢ પાંચેક કલાક મોડા પહોંચ્યા હોવાથી પહેલા દિવસે અમારો આખો કાર્યક્રમ એટલો ઠેલાતો રહ્યો. પરિણામે અમારે શીમલાથી થોડે આગળ અને નારકંડાથી પહેલાં શીલારૂમાં રાતવાસો કરવો પડ્યો. આ વખતે ચંડીગઢથી કાલકા થઈને શીમલાના માર્ગે હોવાથી મજા એ વાતે આવી કે બહુ ઝડપથી પર્વતીય ચડાણ શરૂ થઈ ગયું.

રાતના નવ-સાડા નવે શીલારૂ પહોંચ્યા, ગરમાગરમ ભોજન જમ્યા એટલે પહેલો વિચાર પથારીભેગા થવાનો આવ્યો. આસપાસ કશું દેખાતું નહોતું.

હોટેલના રિસેપ્શન કાઉન્ટર પર લંબચોરસ પ્લાસ્ટિકના બૉક્સમાં મોટી ચેરીઓ મૂકાયેલી હતી. પહેલાં તો લાગ્યું કે કોને ખબર! હિમાચલ પ્રદેશમાં મુખવાસ તરીકે હોટેલવાળા ચેરી મૂકતા હશે. બોક્સ ખોલીને સીધેસીધું લેવામાં વિવેક આડો આવ્યો અને પૂછ્યું એટલે ખબર પડી કે અહીં આસપાસ જ આ ચેરી ઊગે છે અને સવારે એક ભાઈ એ તોડીને અહીં વેચવા માટે મૂકી જાય છે. ચેરીનું ફળ ઘણું મોટું અને મિઠાશ તેમજ રસાળતા ગજબ હતાં. બીજા દિવસે યાદ રાખીને એ ચેરી લઈશું એમ નક્કી કર્યું. મુખ્ય માર્ગ પર જ હોટેલ આવેલી હોવાથી જમીને સહેજ આગળ સુધી ચાલવા ગયા, પણ બહુ ચાલવાની ઈચ્છા નહોતી. અમારો ખરો પ્રવાસ બીજા દિવસથી શરૂ થવાનો હતો. એટલે આવીને પથારીભેગા થયા.

સામે આવેલી કાચની મોટી બારીમાંથી તીવ્ર સૂર્યપ્રકાશ સીધો મોં પર પડ્યો એટલે આંખ ખૂલી ગઈ. પથારીમાંથી જ બહાર નજર કરતાં લાગ્યું કે અરે! દિવસ આટલો બધો ચડી ગયો! સવારના નવ-દસ વાગી ગયા હોય એમ જણાતું હતું. સહેજ અધીરાઈથી સમય જોયો. હજી સવારના છ જ વાગ્યા હતા. આથી હાશ થઈ અને પથારીમાંથી બેઠા થઈ રૂમની બાલ્કનીમાં આવ્યા. બાલ્કની ખીણ જેવા વિસ્તારમાં પડતી હતી. નીચે, આજુબાજુ બધે સફરજન અને ચેરીનાં વૃક્ષોનું વાવેતર દેખાતું હતું. ધ્યાન ખેંચે એવી એક વિશિષ્ટ બાબત અહીં જોવા મળી. પહેલાં એમ લાગ્યું કે આસપાસ અનેક વૃક્ષો પર હીમ પડ્યું છે. નજર ટેવાઈ એટલે ખ્યાલ આવ્યો કે એ હીમ નથી, પણ વૃક્ષો પર જાળી ઓઢાડેલી છે. પછી તો છેક દૂર દૂર સુધી, સામેની ખીણમાં, પાછળ આવેલા પર્વત પર અને આસપાસના વિસ્તારમાં આવી જાળીનો 'શણગાર' નજરે પડ્યો.

સફરજનનાં વૃક્ષો પર 'ઓઢાડેલી' જાળી

નીચે ઊતરીને ચા-નાસ્તો કર્યો અને પછી અમે આગળ સડક પર ટહેલવા નીકળ્યા. પૂછતાં ખબર પડી કે એ જાળી હિમપ્રપાત સામેના રક્ષણ માટે છે. બાજુમાં જ ચેરીનાં ઝાડ હતાં. સફરજનનાં પણ હતાં, જેની મોસમને હજી વાર હતી. એ પછી તો ઘણે સુધી આ જાળીઓ દેખાઈ. પણ નવાઈની વાત એ હતી કે એ ચોક્કસ વિસ્તાર પૂરતી જ મર્યાદિત હતી. આગળ જતાં અન્ય પ્રદેશમાં સફરજનનું વાવેતર દેખાયું, પણ જાળી જોવા ન મળી.

સફરજનનાં વૃક્ષો પર 'ઓઢાડેલી' જાળી

ભરપેટ ચા-નાસ્તો કર્યો અને તૈયાર થયાં ત્યાં સુધીમાં ચેરીનાં બોક્સ આવી ગયાં હતાં. અમે ખાવા પૂરતાં એકાદ બે બોક્સ લીધાં. આગળ જતાં એ ખોલીને ખાતાં ખ્યાલ આવ્યો કે એમાં ઊપર સારી અને નીચે સહેજ ઓછી સારી ચેરીઓ હતી. ખરાબ તો એકે નહોતી. આ મોટી ચેરીની વિશેષતા એ હતી કે એ ગળચટી લાગતી હતી, અને એમાં સડો લાગવાની સંભાવના રહેતી.

રસ્તે સાથ આપતું સતલજનું વહેણ

હિમાચલના પ્રવાસે હોઈએ અને હિમાચલમાં પ્રવેશીએ કે બે બાબતનું બહુ આકર્ષણ રહે. એક તો પહેલવહેલી થનારી હિમશીખરોની ઝાંખી. પહેલી વાર એ ક્યારે અને ક્યાંથી નજરે પડે છે અને એનાં દર્શન થાય એટલે આપણે વાહનમાં આઘાપાછા થઈને, પાછળ વળીવળીને એને જોતાં રહીએ એમ થાય છે. એવી બીજી ચીજ તે આલૂ પરાઠાનો પહેલવહેલો સ્વાદ. આ પ્રદેશમાં આવતાં જ આલૂ પરાઠાની જે બનાવટ અને સ્વાદ એવો હોય કે એને દહી કે અથાણા વિના એમ જ ખાઈ શકાય. પણ આઠ-દિવસના પ્રવાસ પછી આ બન્ને ચીજોથી એવા ટેવાઈ જઈએ કે આપણે હિમશીખર તરફ નજર કર્યા વિના એને સહેલાઈથી અવગણી શકીએ કે આલૂ પરાઠાને બદલે હવે કશુંક બીજું મળે એમ ઝંખતા થઈ જઈએ.

હિમશીખરોનો આભાસ કરાવતી જાળી

શીલારૂમાં અમે અમારા પ્રવાસના પહેલવહેલા આલૂ પરાઠાનો સ્વાદ લીધો એટલે બહુ મજા આવી. પહેલવહેલાં હિમશીખરની ઝાંખી પણ થઈ.
એનો રોમાંચ અનુભવતાં હવે અમે અમારા પ્રવાસનો આરંભ કર્યો, જેમાં અમારી હવે પછીની મંઝીલ હતી સરહાનમાં આવેલું ભીમાકાલી મંદીર અને એ પછી સાંજ સુધીમાં કાલપા.

Wednesday, June 18, 2025

પહેલું પ્રકરણ

 ચિત્રકાર ભૂપેન ખખ્ખરની જીવનકથાનો આરંભ ક્યાંથી કરવો? એટલે કે એમાં વિષયપ્રવેશ શી રીતે કરાવવો? આ વિષે વિચારવામાં ખાસ મહેનત ન પડી. ભૂપેનની જીવનકથા લખું છું એટલે એમને બહુ મોટા ચિત્રકાર ગણાવવા એ બાબત વધુ પડતી જણાય. યોગ્ય ન લાગે. એમનાં ચિત્રોની કિંમત કરોડોમાં છે એ બાયોડેટા બહુ તુચ્છ જણાય. આથી કળાવિષયક ગ્રંથોમાં એમના ઉલ્લેખ તપાસવાના શરૂ કર્યા. 'સરદાર પટેલ યુનિવર્સિટી'ની 'જ્ઞાનવિજ્ઞાન શ્રેણી'નો ગ્રંથ 'દૃશ્યકળા' સૌથી પહેલો જોયો. તેમાં ચિત્રકળાનો ઈતિહાસ ક્રમબદ્ધ રીતે આલેખાયેલો હતો. વૈશ્વિક અને પછી ભારતીય ચિત્રકળાની તેમાં વાત હતી. આધુનિક ભારતીય ચિત્રકળા વિષે પણ તેમાં લખાયું હતું, જેમાં ભૂપેન ખખ્ખર વિશે બેએક ફકરા જેટલું લખાણ હતું. 'એનસાયક્લોપિડીયા' જેવા ગ્રંથમાં, જ્યાં સમગ્ર ભારતીય ચિત્રકળાનો ઈતિહાસ સળંગસૂત્રે લખાયો હોય એમાં બે ફકરા ભૂપેન વિશે ફાળવવામાં આવ્યા હોય એ જ એમનું માહાત્મ્ય દર્શાવવા માટે પૂરતું કહી શકાય.

ભૂપેન ખખ્ખર (તસવીર: જ્યોતિ ભટ્ટ) 

આથી પહેલા પ્રકરણમાં ભારતીય ચિત્રકળાના ઉદભવથી માંડીને છેક આધુનિક ચિત્રકળા સુધીની વાત, વિવિધ શૈલીઓ, એનાં ચિત્રો, કલાકારોનો ઉલ્લેખ કરીને છેલ્લે આધુનિક ચિત્રકળાની વાત અને એમાં ભૂપેન વિશે લખાયેલા પેલા બે ફકરા સાથે એ પ્રકરણનો અંત આવે એ નક્કી કર્યું. ભૂપેનની જીવનકથામાં પ્રવેશ કરવા માટે આ પૂર્વસફર બહુ જરૂરી લાગી.
પહેલું પ્રકરણ મનમાં તૈયાર થઈ ગયેલું. એક વાર સામગ્રી મળી એ પછી એને લખતાં પણ બહુ વાર ન લાગી. આમ, પહેલું પગલું ભરાયું, પણ એ પછી પુસ્તકના સમાપન સુધી પહોંચતાં ઘણો લાંબો સમય વીત્યો.
(ભૂપેન ખખ્ખર: લેખન-સંપાદન: બીરેન કોઠારી, પુસ્તકની કિંમત 450/, પૃષ્ઠસંખ્યા: 296, પુસ્તક મંગાવવા માટે સંપર્ક: કાર્તિક શાહ 98252 90796)

Tuesday, June 17, 2025

આ ચિત્રો વાહિયાત છે

દિલ્હી ખાતે યોજાયેલી પ્રથમ ત્રિવાર્ષિકીમાં વિવિધ ભારતીય ચિત્રકારોનાં ચિત્રો પ્રદર્શિત થયાં હતાં. એમાં ભૂપેનનાં ચિત્રો પણ હતાં. આ પ્રદર્શનની મુલાકાતે અંગ્રેજ ચિત્રકાર હોવર્ડ હોજ્કિન આવેલા. ગીતા કપૂરના તે પરિચિત હતા. હોવર્ડને અસલ આધુનિક ભારતીય શૈલીનાં ચિત્રો જોવા મળશે એવી ઉમેદ હતી. પ્રદર્શન દરમિયાન ગીતા કપૂરે તેમને ચિત્રો વિશેનો અભિપ્રાય પૂછ્યો. હોવર્ડે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું : “આ ચિત્રો ભયંકર છે. આમ કહેવા બદલ દિલગીર છું, પણ આ ચિત્રો વાહિયાત છે.” આટલું કહીને ઉમેર્યું, “સિવાય કે આ ત્રણ.” આમ કહીને તેમણે ત્રણ ચિત્રો ચીંધ્યાં અને કહ્યું, “જુઓ, આને ચિત્ર કહેવાય’. આ સાંભળીને ગીતા કપૂરે કહ્યું, “બહુ રસપ્રદ કહેવાય. એ ચીતરનારો કલાકાર તમારી બાજુમાં જ ઊભેલો છે’. હોવર્ડનો એ ભૂપેનનાં ચિત્રો અને ભૂપેન સાથેનો પહેલો પરિચય. ચિત્રોના આટલા મોટા મેળાવડામાં કથનાત્મક શૈલીનાં આ ત્રણ ચિત્રો જ તેમને મૌલિક જણાયાં હતાં. તેમને લાગ્યું કે એ એક આગવી ઓળખ અને શૈલી ધરાવે છે. ભૂપેન સાથે અહીંથી શરૂ થયેલો પરિચય બહુ ઝડપથી આજીવન મૈત્રીમાં રૂપાંતરિત થયો.

હોવર્ડ હોજ્કિન અને ભૂપેન ખખ્ખર

(ભૂપેન ખખ્ખર: લેખન-સંપાદન: બીરેન કોઠારી, પુસ્તકની કિંમત 450/, પૃષ્ઠસંખ્યા: 296, પુસ્તક મંગાવવા માટે સંપર્ક: કાર્તિક શાહ 98252 90796)

Monday, June 16, 2025

મૂંઝવણ અને ઊકેલ

ચિત્રકાર તરીકે ભૂપેન ખખ્ખરની જીવનકથા લખવાની થાય ત્યારે એ સવાલ આવીને ઊભો રહે કે તેમના સજાતીય વલણ અંગે લખવું કે કેમ? અને લખવું તો કેટલું લખવું? શી રીતે લખવું? પોતાના જે વલણ બાબતે ખુદ ભૂપેને શબ્દો ચોર્યા વિના લખ્યું હોય એને એક ચરિત્રકાર તરીકે હું ન લખું તો એ વિચિત્ર કહેવાય. એવું ચોખલિયાપણું ખુદ ભૂપેનને જ નુકસાન કરે. ભલે ને તે લાભ કે નુકસાનના પ્રદેશની પેલે પાર નીકળી ગયા હોય! આથી એ નક્કી હતું કે આ બાબત છુપાવવી નહીં, વીંટાળીને લખવી નહીંં, બલકે શક્ય એટલી ખુલ્લાશથી, અપરસમાં સરી પડ્યા વિના આલેખવી.

ભૂપેન ખખ્ખર (તસવીર: જ્યોતિ ભટ્ટ) 

ભૂપેનના મિત્ર અને મુંબઈના નાટ્યકાર નૌશિલ મહેતાએ એક મુદ્દે ભૂપેનને પૂછેલું, 'લોકો તમને શી રીતે યાદ રાખે તો ગમે? એવા ચિત્રકાર તરીકે કે જે સજાતીય સંબંધ ધરાવતો હતો? કે એવી સજાતીય વ્યક્તિ તરીકે કે જે ચિત્રકાર હતી?' આમ તો આ સંવાદ થયેલો નૌશિલભાઈ અને ભૂપેન વચ્ચે, પણ મને એમાં મારો માર્ગ દેખાયો.
મારે ભૂપેનની જીવનકથાનું આલેખન તો એક ચિત્રકાર તરીકે કરવાનું હતું. એમાં વ્યક્તિ તરીકેની વાત આવે, પણ પૃષ્ઠભૂમિમાં, અને એય એ વિષયે દોરેલાં તેમનાં ચિત્રોને સમજવા માટે. બીજી વાત એ કે ભૂપેનની બિનહયાતિમાં એ વિશે કોણ અધિકૃત રીતે કહી શકે? શું કામ કહે? કેટલું કહે? એટલે મેં મુખ્ય આધાર ભૂપેનનાં પોતાનાં લખાણોનો લીધો, અને કેટલોક આધાર (ગુલામમોહમ્મદ) શેખસાહેબનાં લખાણનો, જે એમની ખૂબ નજીક હતા. આ બાબતને આલેખતું અલાયદું પ્રકરણ 'ગુપ્ત વલણની ઘોષણા' લખ્યું. એ લખતી વખતે ખાસ ધ્યાન રાખવું જરૂરી હતું કે એમાં મારા કોઈ અંગત ગમા-અણગમાનો અંશ માત્ર ઝળકવો ન જોઈએ. એ શક્ય એટલું હેતુલક્ષિતાથી આલેખાયેલું હોવું જોઈએ.
એ પ્રકરણ કેવું લખાયું એ વાંચનારે નક્કી કરવાનું છે, પણ એ લખવા પાછળનો મારો અભિગમ આ હતો.
(ભૂપેન ખખ્ખર: લેખન-સંપાદન: બીરેન કોઠારી, પુસ્તકની કિંમત 450/, પૃષ્ઠસંખ્યા: 296, પુસ્તક મંગાવવા માટે સંપર્ક: કાર્તિક શાહ 98252 90796)
(તસવીર: જ્યોતિ ભટ્ટ)

Sunday, June 15, 2025

એન્‍જિન અને ગાર્ડનો ડબ્બો તૈયાર થઈ ગયાં

જીવનકથાનું કામ સોંપાય એ પછી ઘણા સમય સુધી માહિતી મેળવવાનું કામ ચાલતું હોય છે. લખવાનો ભાગ છેલ્લે આવે. સામાન્ય રીતે કામ શરૂ કરીએ એટલે પહેલો ઉપક્રમ એ હોય કે સંબંધિત વ્યક્તિના જીવનની સાલવારી તૈયાર કરવી. આને કારણે પછી આડીઅવળી મળતી રહેતી વાતો કયા સમયગાળાના ચોકઠામાં બંધ બેસશે એનો અંદાજ આવતો જાય. આનો વધુ એક ફાયદો એ કે જીવનકથાનાં પ્રકરણોનું માળખું પણ મનોમન તૈયાર થતું જાય. મારી દૃષ્ટિએ એક ચરિત્રકાર માટે આ બાબત સૌથી મહત્ત્વની છે. તે એ કે પુસ્તક લખાતાં પહેલાં તેના મનમાં આખું માળખું બને. એ પછી પ્રાપ્ત થતી વિગતોના આધારે એમાં નાનામોટા ફેરફાર થાય, પણ મૂળભૂત ફેરફાર લગભગ ન થાય.
અમુક જીવનકથાઓ પડકાર લેખે આવે છે. પડકાર બે રીતના હોઈ શકે. પહેલો પ્રકાર એ કે અતિશય ઘટનાપ્રચૂર જીવન હોય. બીજો પડકાર એથી મોટો છે અને એ છે સાવ સપાટ જીવન હોય. ઘટનાપ્રચૂર જીવનમાં રજનીકુમાર પંડ્યાનું જીવન આવે. જો કે, એ અપવાદ છે.
'સાગર મુવીટોન' પુસ્તક એક આખી સંસ્થા અને તેની સમાંતરે વિવિધ વ્યક્તિઓની કથાનું પુસ્તક હતું. આમ છતાં, એના આલેખનમાં મને ખાસ મુશ્કેલી નહોતી પડી, કેમ કે, મારા મનમાં એની રૂપરેખા બની ગયેલી. આથી વિગતો મળતી જાય એમ હું જે તે પ્રકરણમાં મૂકતો જતો. આને કારણે ઘણી વાર એમ થતું કે એક પ્રકરણ લખતાં લખતાં વચ્ચે બ્લૉક જેવું લાગે તો બીજું પ્રકરણ શરૂ કરી દેતો. એમાં કંટાળો આવે તો નવું. એમ કહી શકાય કે ત્રણ-ચાર પ્રકરણ સમાંતરે લખાતા જતા હતા.
પણ ભૂપેનની જીવનકથા જુદી રીતે પડકારરૂપ નીકળી. એમની મોટા ભાગની વિગતો સુલભ હતી, પણ એ જે તે વ્યક્તિઓનાં સંભારણાં સ્વરૂપે હતી. એમના જીવનની સાલવારી અમેરિકન ચિત્રકાર ટિમોથી હાયમને તૈયાર કરેલી, જે ખરું જોતાં એમણે દોરેલાં ચિત્રોની સાલવારી હતી. પ્રકરણનો મુસદ્દો મનમાં તૈયાર હતો, પણ વિગતો ક્યાં? હજી ઘણા લોકોને મળવાનું બાકી હતું, એમને પૂછીને વિગતો કઢાવવાની હતી. એવામાં એક મજાનો બનાવ બન્યો.
2016માં લંડનની ટેટ મોડર્ન ગેલરીમાં ભૂપેનનાં ચિત્રોનું રેસ્ટ્રોસ્પેક્ટિવ 'You can't please all' ના નામે યોજાયું, જેનું શિર્ષક ભૂપેનના એક જાણીતા ચિત્રના શિર્ષક પરથી અપાયેલું. વડોદરાથી શેખસાહેબ, હીતેશ રાણા જેવા ભૂપેનના સ્નેહીઓએ એમાં હાજરી આપેલી. એમ, ભૂપેનના અમેરિકન ચાહક બ્રાયન વેઈનસ્ટાઈને પણ હાજરી આપેલી. બ્રાયને મને ત્યાંથી આ પ્રદર્શનનો કેટલોગ મોકલી આપેલો અને લખેલું કે આ નિમિત્તે પ્રકાશિત પુસ્તકની નકલ તેઓ ભારત આવે ત્યારે લેતા આવશે.

બ્રાયને મોકલેલો ટેટ મોડર્નના પ્રદર્શનનો કેટલોગ

બ્રાયને પોતે ભૂપેનનાં કેટલાંક ચિત્રોનો
બનાવેલો કેટલોગ શુભેચ્છાસંદેશ સાથે.

આ પ્રદર્શન નિમિત્તે ખરું રમખાણ થયું. એક બ્રિટીશ વિવેચકે 'ધ ગાર્ડિઅન'ના એક લેખમાં ભૂપેનનાં ચિત્રોની બરાબર ઝાટકણી કાઢીને એને સાવ નકામાં ગણાવ્યાં. આનાથી ભારતીય કલાકારોનો સમુદાય ઊકળી ઉઠ્યો. એ લોકોએ પેલા વિવેચકને 'નકામો' ઘોષિત કરી દીધો. આ જોઈને એક ત્રીજા માણસે ભારતીય સમુદાયને ટપારતાં કહ્યું, 'અલ્યા, સહેજ સહિષ્ણુતા રાખો. વિવેચકને પોતાનો મત ન હોય?' (શબ્દો જુદા, પણ ભાવ કંઈક આવો). પછી એણે મજાકમાં લખેલું, 'તો હવે આપણી પાસે એક વધુ 'પવિત્ર ગાય' છે, જેની ટીકા કરી શકાય નહીં. એ ગાયનું નામ છે ભૂપેન ખખ્ખર.'
ટેટ મોડર્નના પ્રદર્શન નિમિત્તે પ્રકાશિત થયેલું પુસ્તક
આ અહેવાલો ઓનલાઈન પ્રકાશિત થતા. અને વાંચીને બહુ રમૂજ પડતી. કેમ કે, ત્યાં સુધીમાં ભૂપેનનો જેટલો પરિચય મને થયેલો એના પરથી લાગ્યું કે આ બબાલની સૌથી વધુ મજા કોઈએ જો લીધી હોત તો એ હોત ભૂપેન. થોડા મહિનામાં બ્રાયન ભારત આવ્યા. એમને અમે મળ્યા. તેમણે મને પેલું પુસ્તક આપ્યું. સ્વાભાવિકપણે જ આ બબાલની વાત નીકળી અને મેં એમને મારો મત કહ્યો. બ્રાયન જોરથી હસી પડ્યા અને કહે, 'ખરી વાત છે. આનો સૌથી વધુ આનંદ ભૂપેને જ ઉઠાવ્યો હોત.'
નક્કી કર્યું કે આ બબાલને લગતું અલાયદું પ્રકરણ થવું જ જોઈએ. બબાલ સહેજ શમી અને બધાએ પોતપોતાના પક્ષ જણાવી દીધા એ પછી મેં તમામ વિગતોનું સંકલન કરીને પ્રકરણ લખ્યું, વિવાદ: 'ભૂપેનનો મરણોત્તર મિત્ર.' એ વખતે તો એટલું મનમાં હતું કે આ પ્રકરણ પુસ્તકના બીજા ખંડમાં, મોટે ભાગે સૌથી છેલ્લે આવશે.
આમ, ભૂપેનની જીવનકથાના આલેખન વખતે સૌથી પહેલાં જે બે પ્રકરણ લખાયા તે આ- એક પહેલું, અને બીજું, છેલ્લું. એન્જિન અને ગાર્ડનો ડબ્બો તૈયાર થઈ ગયા, પણ વચ્ચેના પ્રકરણોના ડબ્બા હજી જોડવાના બાકી હતા.
(ભૂપેન ખખ્ખર: લેખન-સંપાદન: બીરેન કોઠારી, પુસ્તકની કિંમત 450/, પૃષ્ઠસંખ્યા: 296, પુસ્તક મંગાવવા માટે સંપર્ક: કાર્તિક શાહ 98252 90796)

Saturday, June 14, 2025

એ લેખ ત્યાર પછી લખી શકાયો

ભૂપેન ખખ્ખર વિશે પુસ્તક લખાવવાનો વિચાર આવ્યો અમરીશભાઈ કોન્ટ્રાક્ટરને. એ શી રીતે આવ્યો એની વિગત પુસ્તકમાં હોવાથી અહીં એનું પુનરાવર્તન નથી કરતો. પણ તેમણે મને પોતાની પાસે હતી એ તમામ સામગ્રી મને સોંપી. એ ઢગલાબંધ વસ્તુઓ જોઈને હું રાજી થયો. ઘેર લાવીને પહેલું કામ એ ઢગલાના વિભાજનનું કર્યું. અખબારનાં કટિંગ, પ્રદર્શનનાં નિમંત્રણપત્રો, કેટલોગ, ભૂપેને દોરેલાં ચિત્રોનાં કાર્ડ, ભૂપેન વિશેના લેખો વગેરે...અખબારનાં કટિંગમાં પણ મેં પેટાવિભાજન કર્યું. ભૂપેનની મુલાકાતો, ભૂપેન વિશે લખાયેલા લેખો, એમની વાર્તાના અનુવાદ, ભૂપેન વિશેના કોઈ સમાચાર...એવું બધું.

આ પત્ર ભૂપેન વિદેશ ગયા ત્યારે
 ત્યાંથી વલ્લવભાઈને ભારતમાં લખેલો.

આમાં એક જથ્થો હતો પત્રોનો. મોટે ભાગે ભૂપેને વલ્લવભાઈને ઉદ્દેશીને લખેલા પત્રો, જેમાંના મોટા ભાગના એરમેલ લેટર હતા. વલ્લવભાઈ એક સમયગાળા દરમિયાન અમેરિકા ગયેલા ત્યારે ભૂપેને અહીંથી લખેલા. કેટલાક ભૂપેને પણ વિદેશથી વલ્લવભાઈને લખેલા. વલ્લવભાઈએ પણ ભૂપેનને પત્રો લખ્યા હશે, પણ એ ભૂપેન પાસે હોય. અમરીશભાઈએ સૂચન કરેલું કે આની પરથી તમે 'જલસો'માં લેખ લખી શકશો. મને પણ થયું કે વાત બરાબર છે. આવા દસ બાર પત્રો હતા. એ જોઈને હું રોમાંચિત થઈ ગયો. મેં એ વાંચવાના શરૂ કર્યા. એકે એક પત્રનો અક્ષરે અક્ષર વાંચ્યા પછી હું નિરાશ થઈ ગયો. બહુ સામાન્ય પત્રો. તદ્દન સામાજિક. 'હું અહીં કુશળ છું, ત્યાં સૌ કુશળ હશો; અને 'બધાને યાદ' પ્રકારના. આ બધું મને સોંપાયેલું 2016માં. એટલે મને એમ કે હું એ વર્ષના ઉત્તરાર્ધમાં પ્રકાશિત થનારા 'જલસો'માં એના વિશે લેખ લખી શકીશ. લેખ લખી શકું એવી કોઈ ભૂમિકા જ નહોતી બનતી. જો કે, મને એ સમજાયું હતું કે એ લેખ ન લખી શકવાનું મૂળ કારણ એ હતું કે મારે હજી આ સંબંધમાં ઊંંડા ઊતરવાનું બાકી હતું.

ભૂપેન ખખ્ખરે વલ્લવભાઈ પર લખેલા
અનેક પૈકીનો એક પત્ર (આ પત્ર વલ્લવભાઈ
અમેરિકા ગયા ત્યારે ભૂપેને ભારતથી લખેલો)

ધીમે ધીમે અન્ય સામગ્રી મળતી ગઈ. અમરીશભાઈ વચ્ચે વચ્ચે હળવેકથી મને પત્રો આધારિત લેખ વિશે યાદ કરાવતા, પણ હું કહેતો, 'એ લેખ યોગ્ય સમયે લખીશ. હજી એ મનમાં પાકી રહ્યો છે.' દરમિયાન 2020માં જાણીતા સમાજશાસ્ત્રી અને ભૂપેનના મિત્ર સુધીરચન્દ્ર (ગીતાંજલિશ્રીના પતિ)નું હિન્દીમાં લખાયેલું પુસ્તક 'भूपेन खख्खर: एक अंतरंग संस्मरण' પ્રકાશિત થયું. એ અગાઉ તેમની સાથે એક વાર ફોનથી વાત થયેલી અને તેમણે જણાવેલું કે પોતે આ લખી રહ્યા છે. પુસ્તક મેં મંગાવી લીધું. એ પુસ્તકમાં ભૂપેનના વ્યક્તિત્વનું અદ્ભુત આલેખન હતું. નવાઈ ત્યારે લાગી કે પોતાના પુસ્તકમાં તેમણે વલ્લવભાઈ સાથેની ભૂપેનની દોસ્તીનો ઉલ્લેખ કરતાં એ સંબંધ કેવો ગાઢ હતો એ જણાવવા લખેલું કે વલ્લવભાઈનો દીકરો અમરીશ ગાંઠના ખર્ચે ભૂપેન પર ગુજરાતીમાં પુસ્તક લખાવી રહ્યો છે. (એ પાનની છબિ મૂકી છે)


સુધીર ચંદ્રના પુસ્તકમાં ઉલ્લેખ

આ પુસ્તક વાંચ્યા પછી મને વલ્લવભાઈ અને ભૂપેન વચ્ચેનું સમીકરણ બરાબર સમજાયું. હવે પેલા પત્રો મેં જુદા પ્રકાશમાં જોયા. અને એના પર લેખ લખવાનો ધક્કો અંદરથી જ ઊભો થયો. પરિણામસ્વરૂપ એ લેખ 'સાર્થક જલસો'ના પંદરમા અંક (ઓક્ટોબર, 2021)માં પ્રકાશિત થયો. આ વિષય પરનો, આવા સંબંધ પરનો આ મારો પહેલો જ લેખ હતો. મારી ઈચ્છા, બલકે આગ્રહ કે એ લેખ હું લખું અને પછી અમરીશભાઈ પણ એ વાંચે. કશી ક્ષતિ હોય તો સૂચવે. ઊંડે ઊંડે એમ પણ ખરું કે કશો વાંધો તેમને લેવો હોય તો વેળાસર લઈ લે. મેં અમરીશભાઈને એ લેખ મોકલ્યો. તેમણે આખો લેખ વાંચ્યો. એકાદ જગ્યાએ નાનકડો હકીકતદોષ સુધાર્યો અને લેખ બદલ પ્રસન્નતા વ્યક્ત કરી.
'સાર્થક જલસો' ના પંદરમા અંકમાં પ્રકાશિત લેખ

આ જ લેખ પછી પુસ્તકની જરૂરિયાત મુજબ ફેરફાર કરીને એમાં પ્રકરણ તરીકે લેવાયો.
(ભૂપેન ખખ્ખર: લેખન-સંપાદન: બીરેન કોઠારી, પુસ્તકની કિંમત 450/, પૃષ્ઠસંખ્યા: 296, પુસ્તક મંગાવવા માટે સંપર્ક: કાર્તિક શાહ 98252 90796)

Friday, June 13, 2025

'સ્ક્રેચ'થી શરૂ કર્યા પછી...

કોઈ પણ જીવનકથાનો આરંભ સાવ 'સ્ક્રેચ'થી કરવો પડે, ભલે ને વ્યક્તિ ગમે એટલી જાણીતી કેમ ન હોય! જાણીતી વ્યક્તિની જીવનકથા લખવામાં જોખમ એટલું કે મોટા ભાગના લોકો તેમની જાણીતી હોય એવી વાતો જ કરે. આપણને સોંપાયેલા કામ તરીકે જીવનકથા લખતા હોઈએ ત્યારે એમાં આવું ન ચાલે. એટલે આરંભ એકડે એકથી, અને અમુક કિસ્સામાં તો શૂન્ય કે એની આગળ ઋણ સંખ્યાથી પણ કરવાનો થાય. ભૂપેન ખખ્ખરની જીવનકથાનું કામ મને અમરીશભાઈ કોન્ટ્રાક્ટર દ્વારા સોંપાયા પછી જે 'સ્ક્રેચ'થી મારે આરંભ કરવાનો હતો એ કયો એ સમજાતું નહોતું. એટલે કે ભૂપેનના જન્મ, તેમના બાળપણ અને કિશોરાવસ્થા તેમજ યુવાવસ્થાની વાતો કોની પાસેથી મળે? એક તો ભૂપેનના અવસાનને જ ત્યારે તેર જેટલાં વર્ષ વીતી ગયેલાં. તેમનાં કુટુંબીજનોમાં એક તેમનાં મોટાં ભાભી લેખાબહેન હયાત હતાં. એ સિવાય ગુલામમોહમ્મદ શેખસાહેબ જેવા મિત્રો ભૂપેનના યુવાકાળના, અને બીજા તો એ પછીના. એક સુનિલ કોઠારી એવા હતા કે જેઓ ભૂપેનના શાળા તેમજ કોલેજકાળ વિશે જણાવી શકે. તેઓ દિલ્હી હતા અને વડોદરા આવવાનું તેમને બનતું હતું એટલે અમે ત્યાં સુધી એમની રાહ જોવાનું નક્કી કર્યું.

વડોદરામાં શેખસાહેબને સૌ પ્રથમ મળવું પડે. અમે એમને ત્યાં ગયા. તેમની વ્યસ્તતા સમજાય એવી હતી, આથી ખાસ કશી વાત કરવાને બદલે તેમણે ભૂપેન વિશે પોતે લખેલો લેખ 'ભેરુ'નો ઉપયોગ કરવાની પરવાનગી અમને આપી. એ જ દિવસે નીલિમાબહેન શેખ સાથે થોડી વાત થઈ અને તેમણે ભૂપેન સાથેનાં પોતાનાં કેટલાક સંભારણાં કહ્યાં.
દરમિયાન અમરીશભાઈ એવાં મકાનોની જાણકારી લઈ આવ્યા કે ભૂપેન પોતાના બંગલામાં રહેવા જતાં પહેલાં રહી ચૂક્યા હોય. નિઝામપુરામાં રહેતા ઠાકોરભાઈ અને અતુલભાઈ શાહને અમે એ રીતે મળ્યા. ભૂપેન રહેતા ત્યારે આ બન્ને ભાઈઓની વય બાર-પંદરની હશે. એટલે તેમને એ યાદ હતા ખરા, પણ બીજી વિશેષ જાણકારી મળી શકી નહીં.

ભૂપેન ખખ્ખર (તસવીર: જ્યોતિ ભટ્ટ) 

આ જ રીતે અમે રાધાસ્વામીના સત્સંગમાં ઉપસ્થિત રહ્યા અને કેટલાક સત્સંગીઓને મળ્યા. લેખાબહેન સાથે આ ગાળામાં મુલાકાત થતી રહેતી, પણ તેમની પાસે અમુકથી વધુ વિગતો હોય એમ જણાતું નહોતું. આ દરમિયાન રાણા બંધુઓ- હીતેશ રાણા અને કમલ રાણાને મળવાનું બન્યું. ભૂપેનના અંતિમ દિવસોમાં બન્ને ભાઈઓ સાથે રહેલા. તેમણે ઘણી વાતો તો કરી, સાથોસાથ પુસ્તક માટે અન્ય કોઈ પણ (ગુજરાતી અનુવાદ: આર્થિક) મદદની જરૂર હોય તો અને ત્યારે એ કરવાની તૈયારી બતાવી.
વલ્લવભાઈનાં બહેન જયાલક્ષ્મીબહેનને અમે વડોદરામાં મળ્યા. તેમણે 'ચંગુમંગુની જોડી'ને ભાવપૂર્વક યાદ કરી અને જણાવ્યું કે ભૂપેન તેમને પોતાની બહેન ગણતા હતા.
એ પછી એક વાર અમે અમદાવાદના ચિત્રકાર અમીત અંબાલાલને મળવા તેમને ઘેર ઊપડ્યા. અમીતભાઈ તો ખરા જ, તેમનાં પત્ની રક્ષાબહેને પણ ભૂપેન વિશે અઢળક વાતો કરી. ત્રણ સાડા ત્રણ કલાક તેમની સાથે અમે બેઠાં. આ દંપતિની સરળતા અમને સ્પર્શી ગઈ.
આમ છતાંં, આ બધી વાતો પછીના સમયગાળાની હતી. જે 'સ્ક્રેચ'થી આરંભ કરવાનો હતો એ હજી પડતો નહોતો. ભૂપેનના મિત્રો, પરિચિતોને તેમના વિશે એટલું બધું કહેવાનું હતું કે એમ લાગે કે આ વ્યક્તિત્વને આપણે જીવનકથાની બાથમાં કેમનું લેવું?
ક્યારેક એમ થતું કે અમે ઊપરાછાપરી અનેક લોકોને મળતા, તો ક્યારેક એમાં લાંબો ઝોલ પડતો.
આમ છતાં, એક વાત નક્કી હતી કે ભલે વિલંબ થાય તો એમ, પણ પોતાને સંતોષ ન થાય ત્યાં સુધી આ કામ ચાલુ રાખવું.
(ભૂપેન ખખ્ખર: લેખન-સંપાદન: બીરેન કોઠારી, પુસ્તકની કિંમત 450/, પૃષ્ઠસંખ્યા: 296, પુસ્તક મંગાવવા માટે સંપર્ક: કાર્તિક શાહ 98252 90796)

Friday, June 6, 2025

યમરાજા વિશે તમે શું જાણો છો?

 - બીરેન કોઠારી

હિમાચલ પ્રદેશના પ્રવાસે હતો એ દરમિયાન મિત્ર સુધીરભાઈ દ્વારા મોદીભાઈના 29 મે, 2025ના રોજ થયેલા અવસાનના સમાચાર મળ્યા. બી.એન.મોદી એટલે કે બાબુભાઈ મોદીને યાદ કરતાં જ અનાયાસે હોઠ મલકી જાય એવી એમની પ્રકૃતિ.

આઈ.પી.સી.એલ.ના એલ.એ.બી. પ્લાન્ટમાં તેઓ વહીવટી વિભાગમાં હતા. હું 1984માં આ પ્લાન્ટમાં જોડાયો ત્યારે તેમની સાથે સીધો સંપર્ક થઈ શકે એવી શક્યતા નહોતી. પણ નવા જોડાયેલા તાલિમાર્થીઓ શરૂઆતમાં જનરલ શિફ્ટમાં હોય ત્યારે મોદીભાઈના વિશાળ રૂમમાં બેસતા. એ જ રૂમમાં મોદીભાઈની સામે સ્ટેનો-ટાઈપિસ્ટ 'શિવો' (પી.કે. શિવકુમાર) બેસતો. પ્લાન્ટનું સંકુલ જેમણે જોયું ન હોય એમની જાણ માટે કે વિશાળ પ્લાન્ટમાં એક તરફ કન્ટ્રોલ રૂમનું બિલ્ડીંગ હોય છે. અમારા પ્લાન્ટમાં પણ એવું બે માળિયું મકાન હતું. એમાં પહેલા માળે ડેપ્યુટી મેનેજર, પ્રોડક્શન મેનેજર અને સિનીયર પ્રોડક્શન મેનેજરની કેબિન રહેતી. ઊપરાંત હાઈડ્રોકાર્બન અકાઉન્ટિંગ સેલ અને તેની બાજુમાં ઓફિસ આસિસ્ટન્ટ અને સ્ટેનો-ટાઈપિસ્ટનો રૂમ પણ હતો. મોદીભાઈ એ રૂમમાં બેસતા. એ વખતે તેઓ કદાચ ઓફિસ આસિસ્ટન્ટ હતા, એ પછી પ્રમોટ થયા હશે. પણ એમનું કાર્યસ્થળ એનું એ જ રહેલું.

પ્લાન્ટમાં કામ કરતા અધિકારી વર્ગના લોકોને દર મહિને નિયત ધોરણે મળતી સ્ટેશનરી (પેડ વગેરે..) આપવાનું કામ મોદીભાઈનું રહેતું. પ્લાન્ટ પર કામ કરનારા લોકો મોટે ભાગે શિફ્ટની નોકરીમાં હોવાથી તેઓ પોતાને અનુકૂળ સમયે મોદીભાઈ પાસે આવતા. આને કારણે મોદીભાઈની પાસે કાયમ કોઈ ને કોઈ બેઠેલું જ રહેતું.

જોડાયા પછીના થોડા મહિનામાં જ મને હાઈડ્રોકાર્બન અકાઉન્ટિંગ સેલમાં મૂકવામાં આવ્યો. તેને કારણે મને મોદીભાઈના સત્સંગનો લાભ મળતો થયો. તેમની બોલીમાં ભરૂચ-અંકલેશ્વરની દક્ષિણ ગુજરાતી છાંટ વરતાતી. આને કારણે તેમનું રમૂજી વ્યક્તિત્વ વધુ રમૂજી લાગતું, કેમ કે, તેઓ જે કમેન્ટ કરે એ પણ એવી હોય, અને પાછી એમની બોલીમાં હોય. એટલે સાંભળવાની બહુ મજા આવતી. તેમની રમૂજવૃત્તિ આગવી હતી. જાડી પણ ખરી, અને સૂક્ષ્મ પણ ખરી. અમારી બન્નેની રૂમ વચ્ચે લાકડાનું એક પાર્ટિશન જ હતું, આથી અમે એકમેકના રૂમમાં ગયા વિના પણ વાત કરી શકતા. જમીને તે છાપું વાંચતા હોય ત્યારે અચાનક જ કોઈ હેડલાઈન મોટેથી વાંચે. એમાં પણ એ કોઈ એવા શબ્દ પર ભાર મૂકે કે આપણાથી હસ્યા વિના રહેવાય જ નહીં. મોટા ભાગના લોકોના મનમાં એવી છાપ રહેતી કે મોદીભાઈ જલસા કરે છે, કામ કશું કરતા નથી અને છાપાં-મેગેઝીન વાંચ્યા કરે છે. હકીકત એવી હતી કે તેઓ કામ એવી હળવાશથી, મસ્તીમજાક સાથે કરતા કે કોઈને ખ્યાલ જ ન આવે કે એ કામ કરી રહયા છે.

શબ્દોને તોડમરોડ કરવામાં, સાવ સામાન્ય બાબત વડે હાસ્ય ઊપજાવવામાં તેમને બહુ મજા આવતી. જેમ કે, તેમનું મુખ્ય કામ વિવિધ પ્રકારનાં કાગળિયાંનું 'ફાઈલિંગ' કરવાનું રહેતું. બીજી તરફ, પ્લાન્ટના ઊપરી અધિકારી ક્યારેક કોઈકને 'ફાયરિંગ' આપે એમ બનતું. મોદીભાઈ 'ફાયરિંગ'ને બદલે ધરાર 'ફાઈલિંગ' શબ્દનો ઊપયોગ કરતા. હિન્દીમાં કહે, 'આજ તો ઉસકો બહોત ફાઈલિંગ મિલા.' એ વખતે હાઈડ્રોકાર્બન સેલમાં નવાસવા મૂકાયેલા એક ઈજનેર આ સાંભળીને ચોંકી ગયા. તેમને થયું કે આટલાં બધાં કાગળિયાં પ્લાન્ટમાં શી રીતે હોય કે એને 'ફાઈલિંગ' આપવું પડે? પણ પછી સાચો અર્થ ખબર પડતાં એ મોદીભાઈના એ હદે ફેન થઈ ગયા કે મોદીભાઈના જ શબ્દોનો ઊપયોગ કરવા લાગ્યા. કોઈ પૂછે, 'મોદીભાઈ, કેવું છે?' તો પહેલાં કહેતા, 'રબારબ (બરાબર).' ધીમે ધીમે એમાંથી 'રબેક્સ' કહેવા લાગ્યા. પછી એ જ કોઈને પૂછતા, 'વેકુ છે? રબેક્સ વેજુ ને?' 'રબેક્સ' પછી તેઓ 'ડેન્‍ટોબેક' શબ્દનો ઉપયોગ કરતા.

મોદીભાઈના 'કોઈન' કરેલા શબ્દોનો સૌથી વધુ ઊપયોગ 'શિવો' કરતો. તમિળભાષી શિવકુમારનું આવું ટૂંકું નામ કદાચ મોદીભાઈએ જ પાડેલું. શિવો 'ટાઈમ્સ' વાંચતો, પણ ગુજરાતી પૂરેપૂરું સમજતો, અને મોદીભાઈની બોલી એ વિશેષ સમજતો. મોદીભાઈને મળવા આવનારા મોટા ભાગે શિવા સાથે હિન્દીમાં વાત કરવા પ્રયાસ કરતા, પણ શિવો મોદીભાઈની બોલીમાં ગુજરાતીમાં જ વાત કરતો. તમિળભાષી શિવાના મોંએ બોલાયેલા અંકલેશ્વરી બોલીના શબ્દો સામાવાળાને પહેલાં તો સમજાતા નહીં, અને સમજાય એ પછી આશ્ચર્યનો આઘાત લાગતો.

અમે બાજુબાજુની કેબિનમાં બેસતા ત્યારે અચાનક મોદીભાઈના અવાજમાં મોટેથી કોઈ વાક્ય કે શબ્દો કાને પડતા. જેમ કે, 'નેટે નુસ?', તો ક્યારેક 'ડુગ નોમરિગ', તો કદીક કોઈકને કહે, 'એય ડુગડુગીયા'. એ એટલું ચેપી રહેતું કે કોઈ પણને એનો પડઘો પાડવાનું મન થઈ જાય, અને લોકો એમ કરતા પણ ખરા. બહુ મોડેથી ખબર પડી કે તેમને એ રીતે શબ્દો ફેરવીને બોલવાની આદત હતી. '(તે)ટેને શું?'ને ફેરવીને તેઓ 'નેટે નુસ' બોલતા, તો 'ગુડ મોર્નિંગ'ને તે 'ડુગ નોમરિગ' કહેતા- દિવસના કોઈ પણ સમયે. ક્યારેક તે અચાનક અમારી રૂમમાં આવી ચડતા અને કોઈ પણના કાનની બૂટ પકડીને, તેને પંપાળતા અને કશો પણ સવાલ કરતા. એ સવાલનો મુદ્દો કોઈ પણ હોઈ શકે. જેમ કે, અત્યારના સમયમાં તેઓ પૂછી શકે, 'સફારી વિશે તમે શું જાણો છો?' અથવા તો 'સર્જિકલ એરસ્ટ્રાઈક વિશે પાંચ વાક્યો બોલો.' કલ્પના કરો કે એક માણસ તમારા કાનની બૂટને પંપાળે છે, સહેજ વિચિત્ર મુદ્રામાં ઊભો છે, અને અતિશય ગંભીરતાથી, સાવ નિર્દોષપણે આ સવાલ પૂછી રહ્યો છે! જો કે, એમનો આશય જવાબ મેળવવાનો જરાય નહીં. તેમની આ ગતિવિધિ એટલી રમૂજપ્રેરક હતી કે હસવું આવ્યા વિના રહે જ નહીં, અને એ પણ ખડખડાટથી ઓછું જરાય નહીં. આ ચેપ તેમની આસપાસમાં રહેતા સહુ કોઈને લાગતો. મને પણ લાગેલો. કોઈ પણ વિષય બાબતે, કોઈ પણ સ્થાને અચાનક ગંભીરતાથી પૂછી બેસવાનું, 'ફલાણાઢીંકણા વિશે તમે શું જાણો છો?' અથવા 'ફલાણાઢીંકણા વિશે પાંચ વાક્યો બોલો.' આની ધારી અસર થતી. ક્યારેક ગંભીર કે એકવિધ બનવા જઈ રહેલું વાતાવરણ સાવ હળવું બની જતું.

મોદીભાઈના ભાગે ટાઈપરાઈટર વાપરવાનું ભાગ્યે જ આવતું. પણ એકાદ બે વાર મેં તેમને ટાઈપ કરતા જોયા અને તેમની ઝડપ તેમજ શૈલી જોઈને હું દંગ રહી ગયેલો. એ વખતે ત્યાં હસમુખ પરમાર નામનો એક ખલાસી હતો, જે મોટે ભાગે સૌના માટે ચા-નાસ્તો લાવવાનું કામ કરતો. મોદીભાઈના શબ્દપ્રયોગો હસમુખ ભરપૂર ઊપયોગમાં લેતો- એના આગવા ઉચ્ચારો સાથે.

સદાય હસતા-હસાવતા મોદીભાઈને કોઈ કામ બદલ યા અન્ય કારણોસર ધમકાવે એ શક્ય નહોતું. એમનું એવું રૌદ્ર સ્વરૂપ એકાદ બે વાર મને જોવા મળેલું. મોદીભાઈને ખખડાવવાનો પ્રયત્ન કરનાર અમારા પ્લાન્ટના સર્વોચ્ચ અધિકારીનો ઊધડો મોદીભાઈએ જે રીતે લઈ નાખ્યો એ પાર્ટીશનની પેલે પાર સાંભળીને અમારા વિભાગમાં સોપો પડી ગયેલો, કેમ કે, સામાન્ય સંજોગોમાં એ અધિકારીને આ રીતે જવાબ આપવાની હિંમત કોઈ કરે એમ નહોતું.

શિવકુમાર સાથે મારી દોસ્તી વિકસી અને 1986-87માં તેનું લગ્ન થયું ત્યારે અહીંથી એક માત્ર હું જ મેટ્ટુર ગામે ગયેલો. શિવાના લગ્ન નિમિત્તે મેટ્ટુર-તિરુપતી-મદ્રાસનો મારો એ પ્રવાસ હજી આજેય મને યથાતથ યાદ છે, અને એની ઝીણીઝીણી વિગતો હજીય- શિવાનાં બન્ને સંંતાનોનાં લગ્ન થઈ ગયા પછી પણ સંદર્ભબિંદુ તરીકે હું વાપરું છું. એ પ્રવાસેથી આવ્યા પછી તેનું વૃતાંત મોદીભાઈને મેં કહી સંભળાવેલું. ભાષાને લીધે નડતી સમસ્યા, શિવાનાં સગાંનું કૂતુહલ, મારી જિજ્ઞાસા, લગ્નપ્રસંગે ઊભી થતી સામાન્ય ગૂંચવણ, એ બાબતનું મારું મૌલિક અર્થઘટન- આ બધાનું મિશ્રણ એવું હતું કે સરવાળે રમૂજ સર્જાતી. મોદીભાઈએ એ એટલા રસથી સાંભળેલું કે પછી તેઓ પણ આમાંથી કોઈક સંવાદ કે પ્રસંગની એકાદ લીટી કહેતા રહેતા, અને અમે નવેસરથી હસતા.
શિવકુમારની દીકરી વૈશાલીના લગ્ન નિમિત્તે જ મોદીભાઈ દંપતિને છેલ્લી વાર મળવાનું બનેલું. કોવિડના સમયગાળામાં વાતાવરણ સહેજ હળવું થયા પછી એ લેવાયેલું. સંખ્યાની મર્યાદા હોવાથી શિવાએ પ્રસંગો મુજબ નિમંત્રિતોને વિભાજીત કરી દીધેલા. મોદીભાઈ અને હું એક જ પ્રસંગમાં હોવાથી અમે સાથે જમ્યા. એ વખતે ફરી એક વાર અમે શિવાના લગ્નની અમુક વાતો યાદ કરી અને નવેસરથી હસ્યા.

તેઓ વયનિવૃત્ત થયા એ પહેલાં મેં ક્ષેત્રપરિવર્તન કરી લીધેલું, છતાં કદીક મળવાનું થઈ જતું. વચ્ચે એકાદ વાર તે બિમાર હોવાના અને પ્લાન્ટના કેટલાક મિત્રો તેમની ખબર જોવા ગયા હોવાના સમાચાર મળેલા. એ પછી સીધા તેમના અવસાનના સમાચાર મળ્યા.

કદી ગંભીર, તંગ કે ઠાવકા મોડમાં એમને જોયા નથી. તેમને કશું દુ:ખ હોઈ શકે એ કલ્પનાતીત બાબત છે. મોદીભાઈ એવી જણસ છે કે ઊપર ગયા પછી ચોપડામાં તેમની વિગતો તપાસતા ચિત્રગુપ્તના કાનની બૂટ પકડીને એને પંપાળતાં પંપાળતાં પૂછશે, 'યમરાજા વિશે તમે શું જાણો છો?' પૃથ્વી પરથી આવનારા આ જીવની ગુસ્તાખી જોઈને અકળાયેલો ચિત્રગુપ્ત કશું કહેવા જાય ત્યાં મોદીભાઈ ફરી પૂછશે, 'સ્વર્ગ અને નર્ક વચ્ચેના તફાવત વિશે પાંચ વાક્યો બોલો.' ચિત્રગુપ્ત જોશથી ચોપડો બંધ કરશે અને કહેશે, 'મિસ્ટર મોદી! યુ આર ઈન.' અને મોદીભાઈ જોરથી કહેશે, 'નેટે નુસ?'