Tuesday, August 13, 2024

દમણપ્રવાસ (2): સદીઓથી ઊભેલો સાક્ષી

કિલ્લા વિશે પાઠ્યપુસ્તકોમાં ભણ્યા હોઈએ એ આખી વાત અલગ, પણ કિલ્લાની રૂબરૂ મુલાકાત લેવાની થાય ત્યારે ખરેખરો રોમાંચ થઈ આવે. દમણના કિલ્લાની મુલાકાત લેતાં પણ આવી જ લાગણી થાય.

આ કિલ્લો પોર્ચુગીઝોએ ઈ.સ.1559માં બંધાવવાનો આરંભ કરેલો, અને ઈ.સ.1581માં તેનું બાંધકામ પૂર્ણ થયેલું. આ અરસો એટલે દેશમાં સમ્રાટ અકબરનો શાસનકાળ. કિલ્લાનો આરંભ મોગલોએ કર્યો હોવાનો ઉલ્લેખ પણ જોવા મળે છે.
ત્રીસેક હજાર ચો.મી.નો વિસ્તાર ધરાવતો આ કિલ્લો આજે પણ અડીખમ ઊભેલો છે. તેની અંદર વિવિધ સરકારી કાર્યાલયો આવેલાં છે. કિલ્લાની રાંગ પર ઠેકઠેકાણે બુરજ ઊભા કરાયેલા છે, જે સંભવિત આક્રમણ સામે વ્યૂહાત્મક રક્ષણ પૂરું પાડે છે. કિલ્લાની બહાર ચોફેર નાનકડી ખાઈ આવેલી છે.
કિલ્લાના બુરજ તેમજ અન્ય બાંધકામોમાં અસલ પોર્ચુગીઝ શૈલી ઝળકે છે. આ શૈલીમાં ગુંબજને બદલે અણિયાળી, શંકુ આકારની ટોચ હોય છે, જે ગોથિક કે રોમન શૈલીને મળતી આવે છે. બારીઓ કે હવાજાળી સિવાય ગોળાકાર ભાગ્યે જોવા મળે.
વરસાદી માહોલમાં અમે લોકો કિલ્લાના મુખ્ય પ્રવેશદ્વારમાં પ્રવેશીને રાંગ પર ચડી ગયા, જ્યાં ઠીક ઠીક પહોળો કહી શકાય એવો રસ્તો હતો. અને કેમ ન હોય? એક સમયે અહીં ઘોડેસવાર સૈનિકોની અવરજવર રહેતી હશે.
કિલ્લા પર આવેલા આવા એક બુરજનો આ સ્કેચ છે.



No comments:

Post a Comment