Thursday, April 22, 2021

નીરો અને રોમન અંક પદ્ધતિ


રોમન સમ્રાટ નીરોએ રોમની ભીષણ આગમાં માર્યા ગયેલા મૃતકોના આંકડા છુપાવ્યા ન હતા, એમ પુરવાર થયું. તેને કારણે રોમન અંક પદ્ધતિ વિશે વધુ સંશોધન કરવામાં આવ્યું. ઈતિહાસ સર્જાઈ રહ્યો હોય ત્યારે પણ એને મનગમતા સ્વરૂપે મચડી શકાતો હોય તો બે હજાર-એકવીસસો વરસ પહેલાંના ઈતિહાસમાં ગમે એ રંગ પૂરી શકાય. એ ન્યાયે રોમન અંક પદ્ધતિ અને નીરોનો સંબંધ જાણવો બહુ રસપ્રદ બની રહે એમ છે.

સૌ જાણે છે એમ નીરો સ્વપ્રસિદ્ધિભૂખ્યો હતો. તે આત્મમુગ્ધ પણ હતો. અગાઉ ગ્રીક પુરાણકથાઓમાં નાર્સિસસ નામનું એક કાલ્પનિક પાત્ર હતું, જે પોતાની જાતના પ્રેમમાં ગળાડૂબ હતો, અને આખો દિવસ એક તળાવના પાણીમાં મુગ્ધપણે પોતાનું પ્રતિબિંબ જોયા કરતો. કદાચ આ પ્રથમાક્ષરના નામવાળાને આવો અભિશાપ હશે! નાર્સિસસનું કાલ્પનિક પાત્ર સર્જનારને સપનેય ખ્યાલ નહીં હોય કે નાર્સિસસને ટક્કર મારે એવાં વાસ્તવિક પાત્રો કેવળ ગ્રીસમાં નહીં, સમગ્ર પૃથ્વી પર સમયેસમયે અવતાર લેતાં રહેવાનાં હતાં.
નીરોએ જેમ દસના અંક માટે X ની સંજ્ઞા વાપરી, એમ તેને થયું કે એકથી સો સુધીના વિવિધ અંક માટે શક્ય હોય ત્યાં N નો ઉપયોગ કરવો. નીરોએ ઉમરાવોની સભા બોલાવી. ઉમરાવો અતિ બુદ્ધિશાળી હતા, પણ વતન કાજે ફના થવાની ભાવનાનો તેમનામાં અભાવ હતો. આથી સૌ પ્રથમ તો સૌએ નીરોના આ વિચારને હોંશે હોંશે વધાવી લીધો. નીરોએ એક સમિતિનું ગઠન કર્યું.
આ સમિતિએ કેટલીક શક્યતાઓ પર વિચાર કર્યો અને પોતાનું તારણ-કમ-સૂચન નીરોને જણાવ્યું. એ મુજબ જો રોમન અંક પદ્ધતિમાં N દાખલ કરવામાં આવે તો અત્યારે તો એ ચાલી જાય, પણ દૂરના ભાવિમાં આ જ નામધારી કોઈ શાસક થાય તો એ એમ ઠસાવે કે આ પદ્ધતિ પોતે જ શરૂ કરી. નીરોને આ વાત ગળે ઉતરી. સમિતિએ સૂચવ્યું, 'સમ્રાટજી, મહત્ત્વ આપના નામનું છે કે 'હું'નું? એટલે કે કેપીટલ 'આઈ'નું?' નીરોએ કહ્યું, 'કેપીટલ આઈનું.' આ સાંભળતાં જ સમિતિએ પોતે ગુપ્ત રીતે તૈયાર કરેલો ચાર્ટ દેખાડ્યો. એમાં એક માટે I, બે માટે II, ત્રણ માટે III હતાં. આ ઉપરાંત તેમણે અમુક અંતરે અન્ય અક્ષરો ઘુસાડ્યા, જે નીરોનાં સગાંસંબંધિઓ સાથે સંકળાયેલાં હતાં.
જેમ કે, પાંચ માટે V નું સૂચન હતું. કેમ? નીરોની પત્ની જુલિયાની દાદીનું નામ Vipsania Aggripina હતું. દસ માટે તો X સંજ્ઞા હતી જ. એ પછી સીધા પચાસ માટે નીરોની સાસુ Livilla ના નામ પરથી L સૂચવાયું. સો માટે કાકા Claudius ના નામ પરથી C ની સંજ્ઞા નક્કી થઈ. એ પછી પાંચસો માટે નીરોના સસરા Drususના નામે D પસંદ કરવામાં આવ્યો. અને એક હજાર માટે નીરોના નાના Marcus ના નામ પરથી M નક્કી થયો.
પોતાનાં અનેક પરિવારજનોની હત્યા નીરોએ કરાવી હતી. આથી તેને લાગ્યું કે બસ, આટલી યાદગીરી પૂરતી છે. એક હજારથી આગળની ગણતરીની જરૂર હશે તો આ જ સંજ્ઞાઓ કામમાં લેતા રહેવાશે.
આમ, નીરોએ રોમન અંકના નામકરણની પદ્ધતિમાં પોતાનો 'કેપિટલ આઈ' રાખીને ડહાપણનું કામ કર્યું એમ તેના સલાહકારોને લાગતું હતું. સલાહકારો સાચા પણ હતા. ભવિષ્યમાં આ નામધારી કોઈ શાસક થાય તો એ ગમે એવો નાર્સિસસ હોય તો પણ એ સામાન્ય રીતે પોતાના નામનો જ પ્રથમાક્ષર મૂકાવે. 'કેપિટલ આઈ' મૂકાવાનો એને વિચાર સુદ્ધાં ન આવે. તદુપરાંત એ પણ ખરું કે આવો શાસક ભવિષ્યમાં થાય તો તેને એમ જ લાગે કે 'કેપિટલ આઈ' પોતાની જ સંજ્ઞા છે. 
રોમનો શાસક નીરો કેટલો પરિવારપ્રેમી હતો, અને તેના સલાહકારો કેવા દૂરંદેશી હતા! આજ સુધી આ રોમન અંક પદ્ધતિ એમની એમ ચાલી આવી છે, અને એમાં કોઈ જ ફેરફાર કરાયો નથી, એ જ તેમની દૂરદર્શિતાનું જીવતુંજાગતું ઉદાહરણ છે.

(By clicking on image, the URL will be reached)  
(The images are symbolic) 

No comments:

Post a Comment