Sunday, April 25, 2021

નીરો અને આઠ ઘોડાવાળી બગીનું રોમન મોડેલ


રોમન સામ્રાજ્ય આમ તો ઈસવી સન પૂર્વેથી અસ્તિત્ત્વમાં હતું, અને એ સમયે મહાન રાજ્ય ગણાતું હતું. પણ નીરોએ ગાદીનશીન થયા પછી પ્રચારનો જે મારો શરૂ કર્યો, તેને કારણે રોમનોને એમ જ લાગવા માંડ્યું કે રોમની સ્થાપના જ નીરોશ્રીએ કરી છે. જુલિયસ સીઝર અને ઑગસ્ટસ સીઝર જેવા પૂર્વસૂરિઓ વિશે સૌ જાણતા હતા, પણ નીરોને કોઈ નાખુશ કરવા માંગતું નહોતું. નીરોને રાજી રાખવામાં રોમનોને ફાયદો જણાતો હતો. કેમ કે, નીરોએ શરૂઆતમાં પ્રજાવત્સલ હોવાની છબિ ઉભી કરી હતી. કોઈ પણ રોમને, સાવ બાળબોધી લખાણનું પુસ્તક લખ્યું હોય તો પણ તેને એમ થતું કે સમ્રાટ નીરોના દરબારમાં તેનું લોકાર્પણ થાય. આમ થાય તો નીરોની ધાકે એ પુસ્તકની અનેક નકલ લોકોએ ખરીદવી પડે, એટલું જ નહીં, વાંચ્યા પહેલાં જ એને 'શ્રેષ્ઠતમ ચિંતન સાહિત્ય' ધરાવતું પુસ્તક ઘોષિત કરવું પડે. આ કારણે સગીર વયનો એવો કોઈ રોમન ભાગ્યે જ બચ્યો હતો કે જેણે પુસ્તક ન લખ્યું હોય, અને એ પોતાની જાતને ચિંતક ન ગણતો હોય.

આને કારણે જે પ્રથા કે પરંપરા ઊભી થઈ તેને લોકોએ જ 'રોમન મોડેલ' નામ આપ્યું. એ સમયે આમ રોમનો ઘોડા પર આવનજાવન કરતા. ઉમરાવો બે ઘોડાની બગી લઈને નીકળતા, જ્યારે નીરો ચાર ઘોડાની બગીનો ઉપયોગ કરતો. એ પરંપરામાં આ 'રોમન મોડેલ'ને 'આઠ ઘોડાની બગીવાળું મોડેલ' ઘોષિત કરવામાં આવ્યું.


નીરોને લાગ્યું કે આ રીતે રોમનું કદ પોતાનાથી મોટું થઈ જાય એ યોગ્ય ન કહેવાય. આથી તેણે ફરમાન બહાર પાડ્યું કે હવે પછી કોઈ રોમન ચિંતનસાહિત્ય લખી શકશે નહીં. નીરોજીએ ફરમાન બહાર પાડ્યું તો કંઈક સમજીવિચારીને જ પાડ્યું હશે, એમ માનીને રોમનોએ કલમને મ્યાન કરી દીધી. પણ ચિંતનસાહિત્યના તેઓ એવા આદિ થઈ ગયેલા કે તેમનો જીવ સોરવાવા લાગ્યો. આ જોઈને નીરોને બહુ આનંદ થયો. તેમણે હવે 'પ્રજાના લાભાર્થે' બીજું ફરમાન બહાર પાડ્યું કે 'રોમન સામ્રાજ્યમાં ચિંતનસાહિત્ય માત્ર ને માત્ર નીરો જ લખી શકશે. અને રોમનસામ્રાજ્યમાં હવે સૈનિકોની નહીં, ચિંતનસાહિત્યસહાયકોની ભરતી કરવાની છે. એ માટેની લઘુત્તમ લાયકાત એ હશે કે તે જન્મેલો હોવો જોઈએ. કોઈ માતા પોતાના ગર્ભસ્થ શિશુ માટે ચિંતનસાહિત્યસહાયક તરીકે ભરતી કરી શકશે નહીં.
આનું પરિણામ એ આવ્યું કે રોમમાં ગલીએ ગલીએ, ઘેર ઘેર, રૂમે રૂમે, ખુરશીએ ખુરશીએ ચિંતનસાહિત્યસહાયકો મળવા લાગ્યા.
પછીના વરસોમાં રોમની ભીષણ આગ લાગવાની હતી ત્યારે નીરોજીના દરબારમાં હોવાથી આ આખી પ્રજાતિને ગંધ આવી ગઈ હતી કે 'આઠ ઘોડાવાળી બગી'ના મોડેલમાંથી હવે બગી છૂટી પડી જવાની છે. આગોતરી સાવચેતી લઈને આ આખી પ્રજાતિ હોડકામાં બેસીને ક્યાંક હિજરત કરી ગઈ.
એ પછી એ ચિંતનસાહિત્યસહાયકોનું શું થયું એની કોઈને જાણ નથી.
સદીઓ પછી ઈકબાલ નામના એક એશિયન કવિએ લખ્યું ત્યારે ગણિતજ્ઞોને આખી ઘટનાનો તાળો બેઠો.
આ રહી ઈકબાલની એ પંક્તિઓ:

'યૂનાન-ઓ-મિસ્ર-રોમાં, સબ મિટ ગયે જહાં સે,
ક્યા બાત હૈ કિ પસ્તી ખૂટતી નહીં હમારી.'

(By clicking the image, URL will be reached) 
(The images are symbolic) 

No comments:

Post a Comment