Tuesday, April 13, 2021

રોમ ભડકે બળી રહ્યું હતું ત્યારે....


- નીરો 'ધ ગ્રેટેસ્ટ લાઈવ ફાયર શો ઑન અર્થ'ના નામે એની મોંઘીદાટ ટિકીટો વેચી રહ્યો હતો.
- તમામ અગ્નિશમન વાહનો તેણે પોતાના મહેલના પ્રાંગણમાં મૂકાવી દીધા હતા.
- 'અગ્નિશમન વાહનો ક્યાં છે?' એમ તેને પૂછવામાં આવ્યું ત્યારે તેણે કહ્યું: 'કેલીગુલાને પૂછો.'
- 'રોમન સમાચાર'ના કટારલેખકો 'અગ્નિ, આશકા અને એરિસ્ટોટલ', 'અઢારની ઉંમરે અગ્નિશિખાનો રોમાંચ' જેવા ચિંતનમિશ્રિત રોમાન્સપૂર્ણ લેખો લખી રહ્યા હતા.
- આકાશને આંબવા મથતી અગનજ્વાળાઓની ટોચે ઉડતા ઝીણા ઝીણા તણખા જોઈને એક કટારલેખકે લખ્યું, 'નીરોજીના આ અવતારકૃત્યને વધાવવા દેવો આકાશમાંથી જાણે કે અગ્નિપુષ્પવૃષ્ટિ કરી રહ્યા હતા.'
- આગથી બચવા દોડધામ કરી રહેલા લોકોને રોમના ભદ્ર સમાજના લોકો નકારાત્મક માનસિકતા દૂર કરીને હકારાત્મકતા અપનાવવાનો ઉપદેશ આપતા હતા.
- એવું નહોતું કે નીરોની ટીકા કરનારા નહોતા. એક આખો વર્ગ માની રહ્યો હતો કે નીરોજીએ ફીડલને ટ્યૂન કરાવીને વગાડવા જેવી હતી. આ રીતે ફીડલ બેસૂરી વાગી રહી છે.
- નીરોના સૈનિકો લોકોને 'અગ્નિ પ્રતિરોધક પોષાક' ન પહેરવા બદલ જેલમાં પૂરી રહ્યા હતા. જો કે, 'અગ્નિ પ્રતિરોધક પોષાક' એટલે શું એ ન તો નાગરિકો જાણતા હતા કે ન સૈનિકો.
- 'આ આગ લાગી જ શી રીતે?' એમ કોઈ છાનેછપને પૂછે તો તેને 'આર્મેનિયામાં આગ લાગી ત્યારે તમે ક્યાં હતા?' એમ પૂછીને તેનાં સગાંવહાલાં જ ચૂપ કરી દેતા. આમાંના ઘણાને એ ખબર નહોતી કે આર્મેનિયા ક્યાં આવ્યું. જેમને એ ખબર હતી તેમને એ ખ્યાલ નહોતો કે ત્યાં આગ ક્યારે લાગેલી.
- કેટલાય જાગ્રત અને શિક્ષિત નાગરિકો રોમનોને અપીલ કરતા રહેતા કે ડરશો નહીં, પોતાના ઘરમાં જ રહો. કેમ કે, બહાર નીકળશો અને આગમાં લપેટાઈ જશો તો ઘરનાંને જાણ સુદ્ધાં નહીં થાય. એને બદલે પોતાના ઘરમાં રહીને સૌ સ્વજનોની સાથે અને સામે જ બળવામાં જીવનનું સાર્થક્ય છે.
- નીરોના ચાહકોને લાગતું કે આવી અદ્ભુત અને અભૂતપૂર્વ આગ થકી રોમન સામ્રાજ્ય કેવળ પૃથ્વી પર જ નહીં, બલ્કે સમગ્ર બ્રહ્માંડમાં વિસ્તરશે. જે આમ ન માને તેને 'રોમદ્રોહી' જાહેર કરીને શિરચ્છેદ કરવામાં આવતો.
- ફીડલ વગાડી રહેલા નીરોના પગનો અંગૂઠો કેટલી તાલબદ્ધ રીતે ડોલી રહ્યો છે એ જોઈને અનેક સામંતો હરખાતા. જો કે, નીરોના પગનો અંગૂઠો કોઈની નજરે ન પડે એ સ્વાભાવિક છે.
- લાગલગાટ લાગતી, પ્રસરતી આગ પછી જ્યારે સળગી જવા લાયક કશું જ બચ્યું નહીં ત્યારે કુદરતી ક્રમમાં એ આગ શમી. નીરોએ આ દિવસને 'અગ્નિવિજય ઉત્સવ' તરીકે ઉજવ્યો. એ પછી અનેક સપ્તાહો સુધી લોકલાડીલા રોમન સમ્રાટ નીરોએ શી રીતે અગ્નિરાક્ષસને મહાત કર્યો તેની વાત રોમના કટારલેખકો લખતા રહ્યા. એ વાંચનાર કોઈ બચ્યું ન હતું.

(By clicking on image, the URL will be reached.) 
(The images are symbolic) 

No comments:

Post a Comment