વાત તો ઘણા વખતથી ચાલી રહી હતી, પણ અનુકૂળતા આજે ગોઠવાઈ. ભૂપેન ખખ્ખરનું પુસ્તક માર્ચ, 2025માં પ્રકાશિત થયું એ પછી તેના પ્રેરક અમરીશભાઈ કોન્ટ્રાક્ટર અને મિત્ર હીતેશભાઈ રાણા (સર્જન આર્ટ ગેલરી) વિવિધ સ્થળોએ તેના વાર્તાલાપ ગોઠવાય એવો સક્રિય પ્રયત્ન કરી રહ્યા છે. ખાસ કરીને ફાઈન આર્ટ્સ કોલેજોમાં કે અન્ય કળાવર્તુળોમાં એ ગોઠવાય એવો પ્રયત્ન છે. અલબત્ત, સાહિત્યવર્તુળો શી રીતે બાકાત રાખી શકાય? કેમ કે, આખરે તો આ એક જીવનકથા છે. અમરીશભાઈ અને હીતેશભાઈના પ્રયત્નોથી આ પુસ્તકના વાર્તાલાપ સાર્વજનિક ફાઈન આર્ટ્સ કોલેજ (સુરત), ફેકલ્ટી ઓફ ફાઈન આર્ટ્સ (વડોદરા), ગ્રંથગોષ્ઠિ (વડોદરા), બુક લવર્સ મીટ (ભરૂચ)માં યોજાઈ ચૂક્યા છે. આ જ શ્રેણીમાં અમદાવાદની શેઠ સી.એન.કોલેજ ઓફ ફાઈન આર્ટ્સમાં પણ એના પ્રયત્નો ચાલી રહ્યા હતા, જેના પરિણામરૂપે આજે સવારે અગિયાર વાગ્યે આ કાર્યક્રમ યોજાયો.
સવારના આઠેક વાગ્યે વડોદરાથી હિતેશભાઈ અને નેહાબહેન રાણા, અમરીશભાઈ કોન્ટ્રાક્ટર અને હું નીકળ્યા અને સાડા દસ સુધીમાં સ્થળ પર પહોંચી ગયાં. ત્યાં ડીન શ્રી મનીષભાઈ મોદી અને ગાયત્રીબહેન ત્રિવેદીએ આવકાર્યા. હજી અમારો પરિચય થઈ રહ્યો હતો ત્યાં જ મુખ્ય અતિથિ અમીત અંબાલાલ પણ આવી પહોંચ્યા. ઔપચારિક આપલે પછી સૌ કાર્યક્રમસ્થળે પહોંચ્યા. અહીં વિશાળ સંખ્યામાં વિદ્યાર્થીઓ પહેલેથી હાજર હતા. આ ઊપરાંત અમદાવાદના કેટલાક મિત્રો પણ આવી પહોંચ્યા હતા. શરદભાઈ રાવલ, મિતેષ પરમાર, ભરતભાઈ ચોકસી જેવા પરિચીતોને મળીને, થોડી ગપસપ કરીને આનંદ થયો. એ પછી કાર્યક્રમ આરંભાયો.
સંચાલન ગાયત્રીબહેન ત્રિવેદીએ સંભાળેલું. સૌના સ્વાગત પછી તેમણે પ્રસ્તાવના બાંધીને મને વક્તવ્ય માટે નિમંત્ર્યો. વીસ-પચીસ મિનીટમાં મેં મુખ્યત્વે પુસ્તકની લેખનપ્રક્રિયા વિશે વાત કરી. એ પછી અમીત અંબાલાલે ભૂપેન સાથેનાં પોતાનાં સંસ્મરણો તાજાં કરીને તેમની રમૂજી શૈલીના કેટલાક કિસ્સા જણાવ્યા. તેમના પછી હીતેશભાઈ રાણાએ ભૂપેનના અંતિમ વરસોમાં પોતે શી રીતે તેમની સાથે જોડાયા એની સંવેદનશીલ વાત કરી. સૌથી આખરમાં અમરીશભાઈએ પોતાના પિતાજી વલ્લવભાઈ અને ભૂપેનની દોસ્તી વિશે જણાવીને આ પુસ્તક તૈયાર કરાવવા પાછળનો પોતાનો હેતુ જણાવ્યો. આમ, પુસ્તકનાં વિવિધ પાસાંની વાત થઈ. છેલ્લે કેમ્પસ ડાયરેક્ટર વૈશાલીબહેન શાહે પ્રતિભાવ આપ્યો. મનીષભાઈ મોદીએ આભાર વ્યક્ત કર્યો. વિદ્યાર્થીઓએ થોડા સવાલ પણ પૂછ્યા. એ ઉપક્રમ હંમેશાં આવકાર્ય હોય છે.
અમે સામાન્ય રીતે એવું કરતા હોઈએ છીએ કે આવા કાર્યક્રમ માટે જવાનું થાય ત્યારે ભૂપેનનાં ચિત્રોની છબિઓ લેતા જઈએ છીએ અને જે તે સ્થળે તેને પ્રદર્શિત કરીએ છીએ, જેથી તેમના કામનો સૌને કંઈક પરિચય થાય.
આમ, લગભગ સવાથી દોઢ કલાકના નિર્ધારીત આયોજનમાં આ કાર્યક્રમ આટોપાયો. કાર્યક્રમ પછી હળવામળવાનો ક્રમ ચાલે એ મઝાનો હોય છે.
એ પછી અમે તરત જ વડોદરા પાછા આવવા નીકળી ગયા.
No comments:
Post a Comment