Monday, December 1, 2025

સ્મૃતિનાં આલ્બમ અને તેમાં રહેલી તસવીરો

- યેસુદાસન

એક વાર કેટલાક મિત્રો ફિલ્મ અભિનેતા મધુના ઉમા ફિલ્મ સ્ટુડિયોની મુલાકાતે આવ્યા. સ્ટુડિયોની પાછળ દૂર દેખાતી ટેકરીઓ અને ખેતરો તરફ આંગળી ચીંધીને એમણે મધુને પૂછ્યું, 'આ બધો પણ સ્ટુડિયોનો હિસ્સો છે?' મધુએ પોતે મલયાલમ ફિલ્મ 'ચેમ્મીન'માં પોતે ભજવેલા પાત્ર પરીકુટ્ટીની શૈલીએ વ્યંગ્યમાં મલકાઈને કહ્યું, 'હા, હા. એ બધું જ મારું છે, જો તમે એને ઝૂમ લેન્સથી જુઓ તો.'
આપણા નેતાઓ ઝૂમ લેન્સ જેવા જ હોય છે. તેઓ દૂરની ચીજોને પોતાને માટે ફોકસમાં લઈ આવે છે. તેમને સતત લાઈમલાઈટમાં રહેવું હોય છે, તેઓ સતત પોતાની તસવીરો લેવાય તેમજ પોતાને વિશે લખાય એમ ઝંખે છે. તેઓ માને છે કે કેમેરાનું ફોકસ તેમની પર નહીં રહે તો પોતે 'આઉટ ઓફ ફોકસ' થઈ જશે. તેઓ રામ ઐયર સરની જેમ માનતા નથી કે તસવીરો લેવાથી પોતાનું આયુષ્ય ટૂંકાઈ જશે. એથી વિપરીત, જ્યારે પણ તસવીરો લેવાય ત્યારે એ નાનકડા સમૂહના રાજા છે, અને પોતે દીર્ઘ, પ્રભાવશાળી જીવન જીવશે.
ફોટો આલ્બમ આપણી પ્રગતિની જેમ આપણી પીછેહઠના દસ્તાવેજનું કામ પણ કરે છે. લોકો મોહનલાલ, મમ્મૂટી કે જયરામ જેવી પ્રભાવશાળી વ્યક્તિઓની સાથે પોતાની તસવીરો આલ્બમમાં કે બેઠકખંડના ટેબલ પર પ્રદર્શિત કરીને આનંદ માણે છે. મોટે ભાગે એવું જોવા મળ્યું છે કે લોકો પોતાના ઉચ્ચતમ સમય દરમિયાન પ્રભાવશાળી વ્યક્તિઓ સાથેની પોતાની તસવીરો દેખાડતા હોય છે, પણ જ્યારે પોતાનો ખરાબ સમય હોય ત્યારે એને છુપાવવાનો પ્રયત્ન કરે છે.
જેમ કે, રાષ્ટ્રપતિ શંકરદયાલ શર્મા કોંગ્રેસના પ્રમુખ હતા ત્યારની, કે કેરળના વિત્ત મંત્રી શ્રી શિવદાસ મેનનની શૈક્ષણિક કારકિર્દી વખતની તસવીર, કે પછી બાલ ઠાકરે કાર્ટૂનિસ્ટ હતા એ વખતની યા (અભિનેતા) ઈન્દ્રન્સ સિવણકામ કરતા હતા ત્યારની એમની સાથેની તસવીરો. એ સહુ અત્યારે બહુ લોકપ્રિય છે. એથી વિરુધ્ધ, ચન્દ્રાસ્વામી, નરસિંહરાવ અને જયલલિતાનું હવે કોઈ મૂલ્ય નથી, કેમ કે, પાવર અને પ્રભાવની તેમની ઊતરતી કળા છે. કેટલાક લોકો તો એમની સાથેની પોતાની તસવીરો આલ્બમમાંથી હટાવી લેવાની હદ સુધી જાય છે.
(Excerpt from 'Finishing Lines', an autobiography by Cartoonist Yesudasan.)

(નોંધ: પુસ્તકના આ અંશનો અનુવાદ કેવળ પુસ્તક અંગેની જાણકારી અને આસ્વાદ પૂરતો કર્યો છે.)

(Published by: The Alcove publishers, Gurgaon, 2025)

No comments:

Post a Comment