Friday, March 10, 2023

એન.આર.ત્રિવેદીની સ્મૃતિમાં

નવનીતરાય આર. ત્રિવેદી એટલે કે એન.આર.ત્રિવેદીની આજે બીજી પુણ્યતિથિ છે.

10 માર્ચ, 2021ના રોજ તેમનું અવસાન થયું. તેમની સાથેનો મારો વિશિષ્ટ અનુબંધ હતો.

જીવનકથા કે જીવનચરિત્રના લેખન ક્ષેત્રે મારો અધિકૃત પ્રવેશ એપ્રિલ, 2007માં પ્રકાશિત 'પુરુષાર્થની પેલે પાર'થી થયો. અધિકૃત એ રીતે કે એ પુસ્તકના ટાઈટલ પર રજનીકુમાર પંડ્યા સાથે મારું પણ નામ મૂકવામાં આવેલું. આ જીવનકથા મુંબઈસ્થિત નવનીતરાય આર. ત્રિવેદીની હતી. વીસનગરથી શરૂ થયેલી તેમની જીવનસફર ઈંગ્લેન્ડ- સ્વીત્ઝરલેન્ડ-જર્મની થઈને મુંબઈમાં આગળ વધી હતી. આટલા બહોળા ફલકવાળી કથા બે ભાગમાં, કુલ આઠસો પાનામાં પ્રકાશિત કરવામાં આવી, જે કદાચ આજ સુધી અમે લખેલી સૌથી દીર્ઘ કથા છે. એક રીતે જીવનચરિત્રલેખન માટે આ પુસ્તક એક માપદંડ બની રહ્યું. કેમ કે, એ પછી કોઈની પણ કથા આટલા બહોળા ફલક પર અમે જોઈ નથી. ત્રિવેદીસાહેબ મુંબઈ, રજનીકુમાર અમદાવાદ અને હું વડોદરા હોવાને કારણે આખી કાર્યપદ્ધતિ અને સંકલન બહુ વિશિષ્ટ રીતે ગોઠવાયેલું. ત્રિવેદીસાહેબ પોતાનું કથન કેસેટમાં રેકોર્ડ કરીને મને મોકલે, હું એની શબ્દશ: સ્ક્રીપ્ટ તૈયાર કરું અને એ રજનીકુમારને મોકલું. રજનીકુમાર વચ્ચે વચ્ચે મુંબઈ જઈને એમનો ઈન્ટરવ્યૂ પણ કરે. ક્યારેક ત્રિવેદીસાહેબ પણ અમદાવાદ આવે. તેમની સાથે બે-ત્રણ વખત તેમની જન્મભૂમિ વીસનગરની મુલાકાત પણ લેવાનું બન્યું.

આ નિમિત્તે ત્રિવેદીસાહેબનો પરિચય અંતરંગ બન્યો. એ વિશેની રસપ્રદ વાત 'સાર્થક જલસો'ના 13મા અંકમાં ત્રણ લેખશ્રેણીરૂપે વિસ્તૃત આલેખાયેલી છે. (વ્યાવસાયિક જીવનચરિત્રલેખન વિશેનો મારો લેખ- એની પરથી રજનીકુમારને સૂઝેલી વાર્તા- અને એ વાર્તાની રજનીકુમારે લખેલી કેફિયત) અતિશય સાહસિક અને હકારાત્મક વ્યક્તિત્ત્વ ધરાવતા ત્રિવેદીસાહેબ પોતાના જીવનમાં વિવિધ તબક્કે પોતાને ઉપયોગી બનેલા લોકોનું ઋણ વિશિષ્ટ રીતે અદા કરવા માંગતા હતા. એક પછી એક એમ કુલ પાંચ એવી વ્યક્તિઓની જીવનકથા તેમણે અમારી પાસે લખાવડાવી. આ ઉપરાંત તેમની પોતાની કથા 'પુરુષાર્થની પેલે પાર'નો અંગ્રેજી અનુવાદ પણ મેં કર્યો, જેનું પરામર્શન પ્રો. હરીશ મહુવાકરે કરેલું. આ અંગ્રેજી પુસ્તક તેમણે પોતાના બિનભારતીય મિત્રો અને કુટુંબીઓ માટે કરાવેલુ અને તેનું વિમોચન પણ બર્લિનમાં યોજેલું. (તેમનાં જીવનસાથી રોઝમેરી ઉર્ફે સંધ્યાબેન જર્મન હતાં).

 10 માર્ચ, 2021ના રોજ તેમનું અવસાન થયું. ઘણા વખતથી તેમની તબિયત નરમગરમ રહેતી હતી. સ્મૃતિભ્રંશ પણ થવા લાગ્યો હતો. આખરે 90 વર્ષની વયે તેમણે વિદાય લીધી. તેમના બન્ને પુત્રો હરિત અને શરદ પણ એટલા જ પ્રેમાળ અને ઉષ્માસભર છે. તેમની સાથે વાત થતાં તેમણે બહુ પ્રેમપૂર્વક પિતાજીની યાદો અને અમારી સાથેના તેમના વિશિષ્ટ સંબંધને પણ તાજો કર્યો.





તેમની જીવનકથાના વિમોચન સમારંભમાં તેમણે મારો ઉલ્લેખ 'An expert on my life who knows more about me than myself' કહીને કર્યો હતો. મારા જેવા ત્યારે સાવ નવાસવા અને અજાણ્યા જણને બિરદાવીને તેમણે પોતાની ખેલદિલી અને સૌજન્ય દર્શાવ્યાં હતાં. તો રજનીકુમારે પણ આ પુસ્તકના આલેખનમાં મારું પ્રદાન જોઈને બહુ ઉદારતાપૂર્વક મારું નામ તેમની (નીચે કે પુસ્તકની અંદર નહીં, પણ) સાથે મૂકવાનો આગ્રહ રાખ્યો હતો.

 નવીસવી વ્યાવસાયિક કારકિર્દીના આરંભે આવા અનુભવો આગળ વધવાનો જબરદસ્ત ધક્કો પૂરો પાડે છે.

 

ત્રિવેદીસાહેબની સ્મૃતિને વંદન.

No comments:

Post a Comment