Monday, December 8, 2025

અમે ટોમ હેન્‍ક્સને લેવાનું વિચારતા હતા

- હરીશ શાહ

નાના બજેટની અંગ્રેજી ફિલ્મો બનાવતા કેટલાક ભારતીય નિર્માતાઓને હું જાણતો હતો. મેં નક્કી કર્યું કે જો મિ.બચ્ચન મારી ફિલ્મ ન કરે તો હું ત્યાં નાના બજેટની ફિલ્મ બનાવીશ. કમ સે કમ, અહીં કલાકારો એક સમયે એક જ ફિલ્મમાં કામ કરે છે અને એક ફિલ્મ વીસ દિવસમાં બની જશે. સચીન ભૌમિકે મને ફોન કરીને જણાવ્યું કે પોતે ન્યૂ યોર્ક આવી રહ્યા છે અને 'મારી સાથે થોડા દિવસ રહી શકે?' હર્ષદે હા પાડી. બે દિવસ પછી મેં સચીનને મારો આઈડિયા કહ્યો, આથી તેમણે વાર્તા કહી, જે હર્ષદ અને તેમના મિત્ર મનુ સવાણીને પસંદ આવી. સચીને એ આઈડિયાને ડેવેલપ કર્યો અને એક સપ્તાહમાં સ્ક્રીપ્ટનો ડ્રાફ્ટ બનાવી દીધો. એ પછી તે ભારત પાછા ગયા. હર્ષદ અને મનુએ મને કહ્યું કે તેઓ અડધા ભાગનાં નાણાં મેળવવામાં મને મદદ કરશે. અમારી ફિલ્મ 'એસ્કેપ ટુ ઈન્ડિયા'ની સ્ક્રિપ્ટ લખવા માટે હોલીવૂડના લેખકને નીમવા તેમજ બાકીના અડધા નાણાં મેળવવા માટે હું લોસ એન્જેલિસ ગયો. થોડા દિવસ હું બેવર્લી હિલ્ટન હોટેલમાં રહ્યો અને પોતાના કામ સાથે થોડા લેખકોને મળ્યો. મને ડેનિઅલ આર્થર રેનું કામ તેમજ એક વ્યક્તિ તરીકે પણ એ પસંદ આવ્યા. અમે પંદર હજાર ડોલરમાં એક ડીલ તૈયાર કર્યું, અને એક વર્ષમાં તેમણે મને ત્રણ ડ્રાફ્ટ આપવાના હતા. ત્યાં હું દિગ્દર્શક જગમોહન મુંદડા અને વિક્ટર ભલ્લાને મળ્યો. તેમણે આનંદ અમૃતરાજ સાથે સહયોગમાં થોડી ફિલ્મો બનાવી હતી. આ ફિલ્મો સોફ્ટ પોર્ન પ્રકારની હતી, અને મુખ્યત્વે ત્રીજા વિશ્વના દેશોમાં રજૂઆત કરાતી હતી. યુ.એસ.માં કેવળ વિડીયો જ રજૂઆત પામતા. એ દિવસોમાં અમે ટોમ હેન્ક્સને મુખ્ય ભૂમિકામાં લેવાનું વિચારતા હતા, પણ એ જ વર્ષે એમની 'બીગ' રજૂઆત પામી અને એ ખરા અર્થમાં 'બીગ' બની ગયા. 'એસ્કેપ ટુ ઈન્ડિયા'નું દિગ્દર્શન હું કરવા માગતો હતો જગમોહન મુંદડા સાથે કામ કરવાના સંજોગો નહોતા. પણ ફરી વાર હું એલ.એ. ગયો ત્યારે વિક્ટર મને એમના ઘેર લઈ ગયો અને મારી ફિલ્મના નિર્માણમાં મદદરૂપ થવાનો પ્રયત્ન કર્યો.
(Excerpt from 'Tryst with Films' by Harish Shah, published by Notion Press)

(નોંધ: પુસ્તકના આ અંશનો અનુવાદ કેવળ પુસ્તક અંગેની જાણકારી અને આસ્વાદ પૂરતો કર્યો છે.)
(હરીશ શાહ હિન્દી ફિલ્મોના જાણીતા નિર્માતા હતા.)

Sunday, December 7, 2025

લેટ ક્યું આયે? દાઢી કરતે દેર હુઈ

 - અવિનાશ ઓક

અમિત કુમાર અને બાબલાભાઈનાં પત્ની કંચનજી દ્વારા ગવાયેલા 'લૈલા ઓ લૈલા'ની વાત પર પાછા આવીએ. કંચનજીને આ ગીત કેવી રીતે મળ્યું એની વાત. આ ગીત અમિત કુમાર અને આશાદીદી પાસે ગવડાવવાનું આયોજન હતું. આશાજી રેકોર્ડિંગની તારીખે ઉપલબ્ધ નહોતાં. આથી એવું નક્કી થયું કે રેફરન્સ ટ્રેક કંચનજી ગાશે. સામાન્ય રીતે આ જ પ્રથા હતી અને હજી છે. અમારી પાસે ફક્ત બે ટ્રેકનાં રેકોર્ડિંગ મશીન હતાં. આથી અમારે ફુલ સ્ટીરીયો મ્યુઝીક ટ્રેક રેકોર્ડ કરવાની હતી; કરાઓકેની જેમ. એ પછી અમિત કુમાર અને કંચનજીના ગાયન સાથે મિક્સ કરતી વખતે એને બીજા ટુ ટ્રેક મશીન પર લાઈવ વગાડવાની હતી. યાદ રહે કે રેકોર્ડેડ સંગીત ટુ ટ્રેક્સમાં મિક્સ કરાયેલું સંગીત અને રીવર્બ પ્રોસેસિંંગ વગેરે સાથેની ગાયકીને મિક્સ કરવાનું હતું. એ બહુ કડાકૂટવાળું કામ હતું. દમનજી (સૂદ)એ બહુ ઠંડકથી અને શાંતિપૂર્વક એ પાર પાડ્યું.
ટેક પછી સાઉન્ડ બેલેન્સ માટે કશું થઈ શકે એમ હતું નહીં, કેમ કે, ગીત મિક્સ કરાયેલું હતું. એ 'પતી' ગયું હતું: અમે કહેતા એમ 'બચ્ચા પૈદા હો ગયા'. સૌ રાજી હતા. આ કડાકૂટવાળી પ્રક્રિયા ફિરોઝ ખાને અનુભવી હતી, અને તેમણે જાહેર કરી દીધું કે 'બસ, વાત પૂરી. આપણે ફિલ્મમાં આ જ ફાઈનલ ગીત રાખીએ છીએ.' આશાદીદી દ્વારા 'લૈલા મૈં લૈલા' ગીતને રેકોર્ડ કરવાની એક સારી તક અમે ગુમાવી. અલબત્ત, કંચનજીએ શ્રેષ્ઠ પર્ફોર્મન્સ આપ્યું અને એક યાદગાર ગીત આપ્યું. કંચનજી બહુ મૈત્રીપૂર્ણ અને નિષ્ઠાવાન કલાકાર હતાં. દુ:ખની વાત છે કે તેમણે આ જગત બહુ વહેલું છોડી દીધું.
કુરબાની 1980ના દાયકાનું ભારતભરનું બેસ્ટ સેલિંગ આલ્બમ બની રહ્યું.
'જાંબાઝ'નું વિશેષ મહત્ત્વ હતું. કલ્યાણજી- આણંદજી 'તેરા સાથ હૈ કિતના પ્યારા' ગીતનું રેકોર્ડિંગ કરી રહ્યા હતા. જિનીયસ ગાયક કિશોરકુમાર પહેલવહેલી વાર અમારા સ્ટુડિયોમાં પધારી રહ્યા હતા. એ અને કલ્યાણજીભાઈ તેમની મસ્તી માટે સંગીત ઉદ્યોગમાં બહુ જાણીતા હતા.
એ દિવસે કિશોરદા મોડા પડ્યા એટલે કલ્યાણજીભાઈએ કારણ પૂછ્યું.
કિશોરદાએ કહ્યું, 'દાઢી કરતે દેર હુઈ.'
પણ એ ક્લિન શેવ્ડ દેખાતા નહોતા. આથી કલ્યાણજીભાઈએ કહ્યું, 'દિખતા તો નહીં હૈ.'
કિશોરદાએ જવાબમાં કહ્યું કે દાઢી કરકે નિકલા થા, મગર આતે આતે ફિર બઢ ગઈ શાયદ! ડબલ્યુ.ઓ.એ. સુધી પહોંચવાના લાંબા રસ્તે થયેલા વિલંબ બદલ કેવી મસ્ત ટીપ્પણી. અમારા સ્ટુડિયો માં કિશોરકુમારની એ પહેલી અને છેલ્લી વારની મુલાકાત!

(excerpt from 'Unspooling Memories' by Avinash Oak, Hedwig Media House, 2023)
(નોંધ: પુસ્તકના આ અંશનો અનુવાદ કેવળ પુસ્તક અંગેની જાણકારી અને આસ્વાદ પૂરતો કર્યો છે.
- અવિનાશ ઓક ફિલ્મજગતના બહુ જાણીતા સાઉન્ડ રેકોર્ડિસ્ટ છે.)

Friday, December 5, 2025

સ્ટિરિયો રેકોર્ડિંગનો એ પહેલવહેલો રોમાંચ

 - અવિનાશ ઓક

અમે 1979માં રેકોર્ડ કરેલા ગીત 'લૈલા મૈં લૈલા'નો પણ રસપ્રદ ઈતિહાસ છે. ફિરોઝખાનની ફિલ્મ 'કુરબાની'નું એ ગીત હતું, જેનું નામ પહેલાં 'કસક' રખાયેલું. ફિલ્મના સંગીતકાર હતા કલ્યાણજી- આણંદજી. પાકિસ્તાની ગાયિકા નાઝીયા હસને ગાયેલું, બીદ્દુ નિર્મિત ગીત ફિર્ઝખાને લંડનમાં રેકોર્ડ કરી દીધેલું. એ સ્ટિરિયોમાં હતું. 'લૈલા મૈં લૈલા'ના રેકોર્ડિંગનો મુદ્દો આવ્યો ત્યારે ફિરોઝખાને તેને પણ સ્ટિરિયોમાં રેકોર્ડ કરવાનો આગ્રહ રાખ્યો. કલ્યાણજી-આણંદજીએ એમ કરવાની પોતાની અક્ષમતા દર્શાવી, કેમ કે, બોલીવુડમાં એ સમયે એનું ચલણ નહોતું. મોટે ભાગે બધું મોનોમાં જ થતું.
એ તબક્કે બાબલાભાઈએ સૂચવ્યું કે વેસ્ટર્ન આઉટડોર નામના સ્ટુડિયોમાં સ્ટિરિયો રેકોર્ડિંગ કરી શકાશે. પણ કલ્યાણજી-આણંદજી સાશંક હતા. તેમણે કહ્યું કે 'ડબલ્યુ.ઓ.એ.' ફિલ્મનો સ્ટુડિયો નથી. તેમના આવા અભિપ્રાયની પૃષ્ઠભૂમિ પણ મજાની છે. તેમનો મુદ્દો સાચો હતો. એ વખતે એમ જ માની લેવાતું કે તમે ફિલ્મ (સેલ્યુલોઈડ) માટે કશું પણ રેકોર્ડિંંગ કરવાના હો તો એને 35 એમ.એમ. ઓપ્ટિકલ કે મેગ્નેટિક રેકોર્ડર પર જ કરવાનું, તો જ તે ચલચિત્ર સાથે 'સીન્ક' થાય. વાત એકદમ સાચી હતી. (1980માં યશ ચોપડાએ 'સિલસિલા'નાં ગીતો કફ પરેડ વિસ્તારમાં આવેલા વર્લ્ડ ટ્રેડ સેન્ટરમાંના એચ.એમ.વી.ના નવા રેકોર્ડિંગ સ્ટુડિયોમાં રેકોર્ડ કરેલાં‌. એ સ્ટુડિયો સામાન્યપણે વપરાતી 35 એમ.એમ.ની મેગ્નેટિક ટેપને બદલે એક ઈંચની ટેપ પર આઠ ટ્રેકના રેકોર્ડિંગની સુવિધા ધરાવતો હતો. યુરોપનાં સ્થળોએ શૂટ કરેલાં દૃશ્યો સાથે ગીતો 'સીન્ક' નહોતાં થતાં. મહાન રેકોર્ડિંગ જીનિયસ મંગેશ દેસાઈએ ઊપાય શોધીને ગીતોને ફરી રેકોર્ડ કરવાનો ખર્ચ અને સમય બચાવેલો.)
બાબલાભાઈએ અમારી સાથેનાં તેમનાં ડિસ્કો દાંડિયાનાં બધાં આલ્બમ સ્ટિરિયોમાં રેકોર્ડ કરેલાં. એમણે કહ્યું કે આપણે પ્રયત્ન કરીએ, તો 'સીન્ક'નો મુદ્દો ડબલ્યુ.ઓ.એ.વાળા સંભાળી લેશે. આવી ખાતરી પછી કલ્યાણજી-આણંદજી તૈયાર થયા. 'સીન્ક' બાબતે અમે નિશ્ચિત હતા, કેમ કે, ફિલ્મો માટે અમે રેકોર્ડિંગ કરી જ રહ્યા હતા, પણ એ મોનોમાં હતાં. સ્ટિરિયોમાંનાં ગીતો માટે પ્રક્રિયા આવી જ હતી. અમારી પદ્ધતિ સાદી, પણ જફાવાળી હતી. પહેલાં અમે બે કે ચાર ટ્રેક પર ગીત રેકોર્ડ કરતા. એ પછી તેને પા ઈંચની ટેપવાળા રેકોર્ડર પર મિક્સ કરતા. એમાં એટલું જ હતું કે એ બન્ને ટ્રેક મોનોની રહેતી. પછી અમે ટેપ રેકોર્ડરને પ્રભાદેવીમાં આવેલા રાજશ્રી પ્રોડકશન્સના ફિલ્મ ટ્રાન્સફર રૂમમાં લઈ જતા. ત્યાં દિનશાબાબા (બીલીમોરીઆ) નામના સિનીયર એન્જિનિયર સંભાળપૂર્વક એને 35 એમ.એમ.મેગ્નેટિક કોટ ટેપ પર ટ્રાન્સફર કરતા. એ પછી નિર્માણ માટે 35 એમ.એમ.ટેપ માસ્ટર ટેપ બની જતી. એને તેઓ ઓપ્ટિકલ, પા ઈંચની ટેપ વગેરે વિવિધ ફોર્મેટ પર ટ્રાન્સફર કરતા. પા ઈંચની ટેપ શૂટિંગના હેતુ માટે વપરાતી.
'લૈલા ઓ લૈલા'નું રેકોર્ડિંગ સેશન મને બરાબર યાદ છે. અમે તમામ માઈકને ભોંય પર મૂકીને બધા સાજિંદાઓને સ્ટિરિયો ટેક માટે ગોઠવેલા. બાબલાજી રોટોમ્ડ્રમ્સ નામનું પોતાનું નવું વાદ્ય પહેલી વાર ઊપયોગમાં લઈ રહ્યા હતા. ડ્રમહેડ ફેરવીને એના આખા સપ્તકનું ટ્યુનિંગ એક સપાટામાં ઝડપભેર થઈ જતું. અમે બે માઈકને એ-બી સ્ટિરિયો રેકોર્ડિંગ મોડ પર ગોઠવ્યાં અને તેમના આઉટપુટને સાવ જમણા અને ડાબા સ્પીકર આગળ મૂક્યાં. બાબલાભાઈએ એમની પીક અપ પેટર્નમાં જેવું ડ્રમ વગાડ્યું કે લોકો ઊભા થઈ ગયા. મુંબઈમાં ફિલ્મ રેકોર્ડિંગમાં સ્ટિરિયોનો રોમાંચ અનુભવી શકાય એ પહેલવહેલી વાર સાંભળવા મળ્યું.
અહીં મારે એ નોંધવું જ રહ્યું કે એકાદ દાયકા અગાઉ ફિલ્મદૃષ્ટા ડૉ. વી. શાંતારામ અને સૂઝબૂઝ ધરાવતા કુશળ કસબી મંગેશ દેસાઈએ સ્ટિરિયોનો સફળ પ્રયોગ કરેલો. એ ફિલ્મ હતી 'જલ બિન મછલી, નૃત્ય બિન બીજલી.'
(excerpt from 'Unspooling Memories' by Avinash Oak, Hedwig Media House, 2023)

(નોંધ: પુસ્તકના આ અંશનો અનુવાદ કેવળ પુસ્તક અંગેની જાણકારી અને આસ્વાદ પૂરતો કર્યો છે.
- અવિનાશ ઓક ફિલ્મજગતના બહુ જાણીતા સાઉન્ડ રેકોર્ડિસ્ટ છે.)

Thursday, December 4, 2025

ચાર કરોડની ખોટ અને સાત વરસનો વેડફાટ

- હરીશ શાહ

મારી ફિલ્મ 'જાલ ધ ટ્રેપ' અમે સની દેઓલને સાઈન કર્યા પછી સાત વરસે પૂરી થઈ. અમારું પહેલું ટીઝર ટેલીવિઝન પર પ્રસારિત થયું. તેની બહુ પ્રશંસા થઈ.
પંદર દિવસ પછી અમારે ફિલ્મનો પ્રચાર અટકાવવો પડ્યો, કેમ કે, સની અને અમારા મુંબઈના વિતરક પ્રવિણ શાહના મનમાં કંઈક બીજું આયોજન હતું. એ બન્ને ઈચ્છતા હતા કે 'હીરો' પહેલી રીલિઝ થાય અને એ પછી 'જાલ'. અમે બનતા પ્રયત્નો કર્યા, પણ પ્રવિણ શાહે ફિલ્મને 'હીરો'ની પહેલાં રીલિઝ થવા ન દીધી. એપ્રિલમાં 'હીરો'ની રજૂઆત થઈ એ દિવસે અમે ગોરેગાંવના ફિલ્મસીટીની એડલેબ્સમાં 'જાલ'નો ટ્રાયલ યોજ્યો. ફિલ્મ પૂરી થતાં, એડલેબ્સમાં સોએક લોકો ઉપસ્થિત હતા એમણે તાળીઓહી ફિલ્મને વધાવી. પ્રવિણ શાહ ત્યાં મૂંગામંતર થઈને ઊભા રહ્યા, કેમ કે, એમણે પોતાની બન્ને ફિલ્મોને મારી નાખી હતી. એમણે કહેલું, 'મેં પહેલાં 'જાલ' જોઈ હોત તો એને હું પહેલી રિલીઝ કરત અને 'હીરો'ને પછી.' એમ કર્યું હોત તો બન્ને ફિલ્મો હીટ થાત. પણ થવાનું હતું એ થઈ ગયું અને સની તેમજ પ્રવિણ શાહની ભૂલોની કિંમત અમારે ચૂકવવી પડી.
'જાલ'નો ટ્રાયલ રેમનર્ડ લેબોરેટરીમાં યોજ્યો ત્યારે ધર્મેન્દ્રનાં પત્ની પોતાનાં મિત્રો અને સગાંઓને આ ફિલ્મ બતાવવા ઈચ્છતાં હતાં. ઈન્ટરવલમાં અમે ચા, નાસ્તો, સોફ્ટ ડ્રીન્ક વગેરે પીરસ્યાં. ટ્રાયલ શો પછી તમામ આમંત્રિતોએ વિદાય લીધી. પ્રકાશ (કૌર) ભાભી રીક્ષા બોલાવી રહ્યાં હતાં કે મેં એમને અટકાવ્યાં અને મારી કારમાં એમને બેસાડ્યાં.
એમને ઘેર પહોંચ્યા પછી તેમણે એક સરસ વાત કરી. તેમણે કહ્યું, 'હરીશભાઈ, મને ખબર છે કે સનીએ તમને બહુ હેરાન કર્યા છે, પણ તમારી ફિલ્મ બહુ સારી છે અને તમારી બધી તકલીફો પૂરી થશે.' મેં એમનો આભાર માન્યો અને ત્યાંથી નીકળ્યો. જુલાઈમાં અમે વિશ્વભરમાં ફિલ્મની રજૂઆત કરી. વિતરકોએ પોતે રોકેલાં નાણાં પાછા મેળવ્યા, પણ એક અવિચારી અભિનેતાને કારણે અમને ચાર કરોડની ખોટ ગઈ અને સાત વરસ વેડફાયાં.
(Excerpt from 'Tryst with Films' by Harish Shah, published by Notion Press)

(નોંધ: પુસ્તકના આ અંશનો અનુવાદ કેવળ પુસ્તક અંગેની જાણકારી અને આસ્વાદ પૂરતો કર્યો છે.)
(હરીશ શાહ હિન્દી ફિલ્મોના જાણીતા નિર્માતા હતા.)

Wednesday, December 3, 2025

શ્રી ખખ્ખર પ્રસન્ન

વાત તો ઘણા વખતથી ચાલી રહી હતી, પણ અનુકૂળતા આજે ગોઠવાઈ. ભૂપેન ખખ્ખરનું પુસ્તક માર્ચ, 2025માં પ્રકાશિત થયું એ પછી તેના પ્રેરક અમરીશભાઈ કોન્ટ્રાક્ટર અને મિત્ર હીતેશભાઈ રાણા (સર્જન આર્ટ ગેલરી) વિવિધ સ્થળોએ તેના વાર્તાલાપ ગોઠવાય એવો સક્રિય પ્રયત્ન કરી રહ્યા છે. ખાસ કરીને ફાઈન આર્ટ્સ કોલેજોમાં કે અન્ય કળાવર્તુળોમાં એ ગોઠવાય એવો પ્રયત્ન છે. અલબત્ત, સાહિત્યવર્તુળો શી રીતે બાકાત રાખી શકાય? કેમ કે, આખરે તો આ એક જીવનકથા છે. અમરીશભાઈ અને હીતેશભાઈના પ્રયત્નોથી આ પુસ્તકના વાર્તાલાપ સાર્વજનિક ફાઈન આર્ટ્સ કોલેજ (સુરત), ફેકલ્ટી ઓફ ફાઈન આર્ટ્સ (વડોદરા), ગ્રંથગોષ્ઠિ (વડોદરા), બુક લવર્સ મીટ (ભરૂચ)માં યોજાઈ ચૂક્યા છે. આ જ શ્રેણીમાં અમદાવાદની શેઠ સી.એન.કોલેજ ઓફ ફાઈન આર્ટ્સમાં પણ એના પ્રયત્નો ચાલી રહ્યા હતા, જેના પરિણામરૂપે આજે સવારે અગિયાર વાગ્યે આ કાર્યક્રમ યોજાયો.

સવારના આઠેક વાગ્યે વડોદરાથી હિતેશભાઈ અને નેહાબહેન રાણા, અમરીશભાઈ કોન્ટ્રાક્ટર અને હું નીકળ્યા અને સાડા દસ સુધીમાં સ્થળ પર પહોંચી ગયાં. ત્યાં ડીન શ્રી મનીષભાઈ મોદી અને ગાયત્રીબહેન ત્રિવેદીએ આવકાર્યા. હજી અમારો પરિચય થઈ રહ્યો હતો ત્યાં જ મુખ્ય અતિથિ અમીત અંબાલાલ પણ આવી પહોંચ્યા. ઔપચારિક આપલે પછી સૌ કાર્યક્રમસ્થળે પહોંચ્યા. અહીં વિશાળ સંખ્યામાં વિદ્યાર્થીઓ પહેલેથી હાજર હતા. આ ઊપરાંત અમદાવાદના કેટલાક મિત્રો પણ આવી પહોંચ્યા હતા. શરદભાઈ રાવલ, મિતેષ પરમાર, ભરતભાઈ ચોકસી જેવા પરિચીતોને મળીને, થોડી ગપસપ કરીને આનંદ થયો. એ પછી કાર્યક્રમ આરંભાયો.

સંચાલન ગાયત્રીબહેન ત્રિવેદીએ સંભાળેલું. સૌના સ્વાગત પછી તેમણે પ્રસ્તાવના બાંધીને મને વક્તવ્ય માટે નિમંત્ર્યો. વીસ-પચીસ મિનીટમાં મેં મુખ્યત્વે પુસ્તકની લેખનપ્રક્રિયા વિશે વાત કરી. એ પછી અમીત અંબાલાલે ભૂપેન સાથેનાં પોતાનાં સંસ્મરણો તાજાં કરીને તેમની રમૂજી શૈલીના કેટલાક કિસ્સા જણાવ્યા. તેમના પછી હીતેશભાઈ રાણાએ ભૂપેનના અંતિમ વરસોમાં પોતે શી રીતે તેમની સાથે જોડાયા એની સંવેદનશીલ વાત કરી. સૌથી આખરમાં અમરીશભાઈએ પોતાના પિતાજી વલ્લવભાઈ અને ભૂપેનની દોસ્તી વિશે જણાવીને આ પુસ્તક તૈયાર કરાવવા પાછળનો પોતાનો હેતુ જણાવ્યો. આમ, પુસ્તકનાં વિવિધ પાસાંની વાત થઈ. છેલ્લે કેમ્પસ ડાયરેક્ટર વૈશાલીબહેન શાહે પ્રતિભાવ આપ્યો. મનીષભાઈ મોદીએ આભાર વ્યક્ત કર્યો. વિદ્યાર્થીઓએ થોડા સવાલ પણ પૂછ્યા. એ ઉપક્રમ હંમેશાં આવકાર્ય હોય છે.

અમે સામાન્ય રીતે એવું કરતા હોઈએ છીએ કે આવા કાર્યક્રમ માટે જવાનું થાય ત્યારે ભૂપેનનાં ચિત્રોની છબિઓ લેતા જઈએ છીએ અને જે તે સ્થળે તેને પ્રદર્શિત કરીએ છીએ, જેથી તેમના કામનો સૌને કંઈક પરિચય થાય.

આમ, લગભગ સવાથી દોઢ કલાકના નિર્ધારીત આયોજનમાં આ કાર્યક્રમ આટોપાયો. કાર્યક્રમ પછી હળવામળવાનો ક્રમ ચાલે એ મઝાનો હોય છે.

એ પછી અમે તરત જ વડોદરા પાછા આવવા નીકળી ગયા.

આમ, ભૂપેનના પુસ્તકપ્રકાશન કાર્યક્રમને બાદ કરીએ તો આ નવ મહિનામાં યોજાયેલો આ પાંચમો વાર્તાલાપ હતો, જે માટેના નિષ્ઠાપૂર્વકના અને નિસ્બતપૂર્વકના પ્રયત્નો હીતેશભાઈ અને અમરીશભાઈના સતત રહ્યા.
હજી વિવિધ સ્થળોએ આ પુસ્તકનો વાર્તાલાપ યોજવાનું આયોજન છે જ. કદાચ ભાવનગર, રાજકોટ કે એવાં અન્ય કેન્દ્રોમાં. જોઈએ એ શી રીતે થાય છે!


ચા-નાસ્તા અગાઉ સ્ટુડિયોમાં


કાર્યક્રમ અગાઉ ચા-નાસ્તા સાથે
અનૌપચારિક વાતચીત


ગાયત્રીબહેન ત્રિવેદી દ્વારા ઉદબોધન


કાર્યક્રમની તૈયારીરૂપે કોલેજ દ્વારા
બનાવાયેલું ભૂપેનનું પોર્ટ્રેટ

ઉપસ્થિત વિદ્યાર્થીઓ

(તસવીર સૌજન્ય: મિતેષ પરમાર, ભરત ચોકસી)

Tuesday, December 2, 2025

વો તુમ જો કરના હૈ વો કરો.

- અવિનાશ ઓક

એ સમયના અગ્રણી રેકોર્ડ લેબલ ગણાતા પોલિડોર પ્રિમીયમ રેકોર્ડ્સ દ્વારા મને મળેલી 'ઑન ધ જોબ ટ્રેનિંગ'ની અદ્ભુત તક મને યાદ છે. 1975નો એ અરસો. પોલિડોરના એ એન્ડ આર (આર્ટિસ્ટ્સ એન્ડ રેપર્ટર) મેનેજર અરુણ અમીને મને બોલાવીને કહ્યું કે મારે એક દુર્લભ અને એટલે જ વિશેષ એવા એક પ્રકલ્પ પર કામ કરવાનું છે. હું રોમાંચિત થઈ ગયો. સદાબહાર હીટ ફિલ્મ 'શોલે'ની ઓરિજીનલ સાઉન્ડ ટ્રેકનાં 1/4 ઈંચનાં સ્પૂલ તેઓ લઈને આવેલા. એમાંથી મારે ચાલીસ મિનીટના મહત્ત્વના અને રસપ્રદ સંવાદો પસંદ કરવાના હતા. એ ફિલ્મના સંવાદો એટલા લોકપ્રિય બની ગયેલા કે આ લોન્ગ પ્લે રેકોર્ડની માગ ઊભી થયેલી. હવે મારી જવાબદારી હતી આ સાઉન્ડટ્રેકને એ રીતે સંપાદિત કરવાની, કે જેથી તમામ લોકપ્રિય સંવાદનો એમાં સમાવેશ થઈ જાય, એમ કથાપ્રવાહ પણ જળવાઈ રહે. રેકોર્ડની એક તરફની વીસ મિનીટ, એમ કુલ 40 મિનીટની લંબાઈમાં આ કરવાનું. આ વિનાઈલ લોન્ગ પ્લે રેકોર્ડ હતી. અરુણજીએ કહ્યું કે આ અનુભવ બહુ ભયાવહ અને સમય માગી લે એવો રહેશે. મેં પડકાર ઝીલી લીધો. 1/4 ઈંચની અઢળક એનેલોગ ટેપનું સંપાદન કરવાનું હતું. પહેલાં તો ડબલ્યુ.ઓ.એ.ના સ્ટુડિયો 'સી'માં હું ગોઠવાયો. એક રૂમનો એ નાનકડો સ્ટુડિયો હતો, જે રેડિયો પ્રોગ્રામની બહુવિધ નકલ બનાવવા તેમજ વિવિધ પ્રકારના સંપાદનકાર્ય માટે ઊપયોગમાં લેવાતો. મેં ત્યાં સાઉન્ડટ્રેક સાંભળી અને કેટલીક નોંધ ટપકાવી. મેં ફિલ્મ કેવળ એક જ વાર જોયેલી. અરુણજીએ કહેલું કે મારે એકથી વધુ વાર ફિલ્મ જોવી હશે તો મારી પસંદગીના કોઈ પણ થિયેટરમાં એની વ્યવસ્થા કરી શકાશે. આથી મેં મિનર્વા થિયેટરમાં 'શોલે' અનેક વાર જોઈ. ત્યાં એ 70 મિ.મી.માં અને સિક્સ ટ્રેક મેગ્નેટિક સરાઉન્ડ સાઉન્ડમાં પ્રદર્શિત થતી હતી. ફિલ્મ માણવાની અને ધ્વનિનાં તત્ત્વોનો ઊંડાણપૂર્વક અભ્યાસ કરવાની એ જબરદસ્ત અનુભૂતિ હતી. એનાથી મને ખરા અર્થમાં ફિલ્મને 'સાંભળતાં' શિખવા મળ્યું.
મેં ત્રણ દિવસ સુધી આખી ટ્રેકનું સંપાદન કર્યું. પહેલાં તો કથાપ્રવાહને ક્ષતિ ન પહોંચે એવા સહેલાઈથી કાઢી શકાય એવા ભાગને દૂર કર્યા. આમ છતાં, લગભગ 80 મિનીટનું રેકોર્ડિંગ બાકી રહ્યું. મેં અરુણજીને બોલાવ્યા અને હવે પછીની બેઠકમાં હાજર રહેવા જણાવ્યું, જેથી મને ફાઈનલ એડિટિંગમાં મદદ મળી રહે. એમણે કહ્યું, 'વો તુમ જો કરના હૈ કરો. આપણે કુલ ચાલીસ મિનીટમાં એ આવી જવું જોઈએ.' બાકીના ત્રણ દિવસમાં મેં પચાસ મિનીટમાં એ પૂરું કર્યું. પણ એ પછી દસ મિનીટમાં કયા સંવાદને કાઢવા એ નિર્ણય લેવો બહુ કઠિન હતો. હેતુલક્ષી નિર્ણય લઈ શકાય એ માટે મેં વારંવાર એ સાંભળ્યા. સ્ટુડિયોમાં ચારે કોર સ્પૂલ ટેપનાં ગૂંચળા પથરાયેલાં હતાં. મારા ગળા અને ખભા ફરતે પણ ટેપ વીંટળાયેલી રહેતી. હું 'ટેપ મેન' જેવો દેખાતો. સ્ટુડિયોની બાજુમાં આવેલી ઓફિસના વિસ્તારમાં 'કિતને આદમી થે?', 'અરે ઓ સાંભા!' જેવા સંવાદો પડઘાતા રહેતા. આખરે એ કઠિન કામ મેં પૂરું કર્યું. જબરો અનુભવ હતો એ. અનન્ય કહી શકાય એવો, કેમ કે, એ પહેલાં કે એ પછી આ પ્રકારની કોઈ એલ.પી. બની નથી.
(excerpt from 'Unspooling Memories' by Avinash Oak, Hedwig Media House, 2023)

(નોંધ: પુસ્તકના આ અંશનો અનુવાદ કેવળ પુસ્તક અંગેની જાણકારી અને આસ્વાદ પૂરતો કર્યો છે.

- અવિનાશ ઓક ફિલ્મજગતના બહુ જાણીતા સાઉન્ડ રેકોર્ડિસ્ટ છે.)

Monday, December 1, 2025

સ્મૃતિનાં આલ્બમ અને તેમાં રહેલી તસવીરો

- યેસુદાસન

એક વાર કેટલાક મિત્રો ફિલ્મ અભિનેતા મધુના ઉમા ફિલ્મ સ્ટુડિયોની મુલાકાતે આવ્યા. સ્ટુડિયોની પાછળ દૂર દેખાતી ટેકરીઓ અને ખેતરો તરફ આંગળી ચીંધીને એમણે મધુને પૂછ્યું, 'આ બધો પણ સ્ટુડિયોનો હિસ્સો છે?' મધુએ પોતે મલયાલમ ફિલ્મ 'ચેમ્મીન'માં પોતે ભજવેલા પાત્ર પરીકુટ્ટીની શૈલીએ વ્યંગ્યમાં મલકાઈને કહ્યું, 'હા, હા. એ બધું જ મારું છે, જો તમે એને ઝૂમ લેન્સથી જુઓ તો.'
આપણા નેતાઓ ઝૂમ લેન્સ જેવા જ હોય છે. તેઓ દૂરની ચીજોને પોતાને માટે ફોકસમાં લઈ આવે છે. તેમને સતત લાઈમલાઈટમાં રહેવું હોય છે, તેઓ સતત પોતાની તસવીરો લેવાય તેમજ પોતાને વિશે લખાય એમ ઝંખે છે. તેઓ માને છે કે કેમેરાનું ફોકસ તેમની પર નહીં રહે તો પોતે 'આઉટ ઓફ ફોકસ' થઈ જશે. તેઓ રામ ઐયર સરની જેમ માનતા નથી કે તસવીરો લેવાથી પોતાનું આયુષ્ય ટૂંકાઈ જશે. એથી વિપરીત, જ્યારે પણ તસવીરો લેવાય ત્યારે એ નાનકડા સમૂહના રાજા છે, અને પોતે દીર્ઘ, પ્રભાવશાળી જીવન જીવશે.
ફોટો આલ્બમ આપણી પ્રગતિની જેમ આપણી પીછેહઠના દસ્તાવેજનું કામ પણ કરે છે. લોકો મોહનલાલ, મમ્મૂટી કે જયરામ જેવી પ્રભાવશાળી વ્યક્તિઓની સાથે પોતાની તસવીરો આલ્બમમાં કે બેઠકખંડના ટેબલ પર પ્રદર્શિત કરીને આનંદ માણે છે. મોટે ભાગે એવું જોવા મળ્યું છે કે લોકો પોતાના ઉચ્ચતમ સમય દરમિયાન પ્રભાવશાળી વ્યક્તિઓ સાથેની પોતાની તસવીરો દેખાડતા હોય છે, પણ જ્યારે પોતાનો ખરાબ સમય હોય ત્યારે એને છુપાવવાનો પ્રયત્ન કરે છે.
જેમ કે, રાષ્ટ્રપતિ શંકરદયાલ શર્મા કોંગ્રેસના પ્રમુખ હતા ત્યારની, કે કેરળના વિત્ત મંત્રી શ્રી શિવદાસ મેનનની શૈક્ષણિક કારકિર્દી વખતની તસવીર, કે પછી બાલ ઠાકરે કાર્ટૂનિસ્ટ હતા એ વખતની યા (અભિનેતા) ઈન્દ્રન્સ સિવણકામ કરતા હતા ત્યારની એમની સાથેની તસવીરો. એ સહુ અત્યારે બહુ લોકપ્રિય છે. એથી વિરુધ્ધ, ચન્દ્રાસ્વામી, નરસિંહરાવ અને જયલલિતાનું હવે કોઈ મૂલ્ય નથી, કેમ કે, પાવર અને પ્રભાવની તેમની ઊતરતી કળા છે. કેટલાક લોકો તો એમની સાથેની પોતાની તસવીરો આલ્બમમાંથી હટાવી લેવાની હદ સુધી જાય છે.
(Excerpt from 'Finishing Lines', an autobiography by Cartoonist Yesudasan.)

(નોંધ: પુસ્તકના આ અંશનો અનુવાદ કેવળ પુસ્તક અંગેની જાણકારી અને આસ્વાદ પૂરતો કર્યો છે.)

(Published by: The Alcove publishers, Gurgaon, 2025)