Sunday, August 31, 2025

પ્રેમનું પાવરહાઉસ, આતિથ્યભાવનાનું એવરેસ્ટ

- બીરેન કોઠારી

આજે રેખાકાકીનો જન્મદિવસ છે. ઉર્વીશને અને મને નજીકથી જાણતા અમારા મોટા ભાગના મિત્રો એટલું જાણતા હોય કે મુંબઈ જઈએ ત્યારે અમારો ઊતારો એમને ત્યાં હોય છે. એમાંનું કોઈક ક્યારેક અમારી સાથે કે અમને મળવા મુંબઈમાં એમને ઘેર એકાદ વાર પણ આવ્યું હોય તો એ કદી રેખાકાકીને ભૂલી ન શકે. (ઉદાહરણ તરીકે અભિષેક, બિનીત મોદી, અજય પરીખ વગેરે) આમ થવાનું કારણ રેખાકાકીનું હૂંફાળું અને પ્રેમસભર આતિથ્ય.
પણ પહેલાં એમની સગપણે ઓળખાણ. થોડા દિવસ અગાઉ મારી પિતરાઈ પૌલાનો પરિચય લખેલો. (એ પરિચય અહીં વાંચી શકાશે.)
રેખાકાકી એટલે પૌલાનાં મમ્મી. એ જ રીતે મારા પપ્પાના મસિઆઈ ભાઈ શૈલેષકાકાનાં પત્ની. પોતાના પિતાજી ડાહ્યાભાઈ પરીખની બેન્કની નોકરીને કારણે આણંદ, નડિયાદ, અમદાવાદ જેવાં નગરોમાં વસવાટ અને એ પછી લગ્નને કારણે મુંબઈ વસ્યા પછી રેખાકાકીમાં મુંબઈનો અસલી મિજાજ જોવા મળે.
પૌલાના પરિચયમાં જણાવેલું એમ, અગાઉ અમે જ્યારે પણ મુંબઈ આવતા ત્યારે મારા સગા કાકા સુરેન્દ્ર કોઠારીને ત્યાં ઊતારો રહેતો. અહીંથી એકાદ સાંજનો અમારો કાર્યક્રમ 'માસીને ત્યાં' (મારા પપ્પાના માસી સરલાબહેન એટલે કે અતિમાસી) જવાનો રહેતો. એવે સમયે પણ રેખાકાકી અમારી જે મહેમાનગતિ કરતાં એ જોઈને નવાઈ લાગતી. પહોંચીએ એટલે કોઈક ગરમ નાસ્તો, સાથે ચા, એ પછી ભોજનમાં પણ ઘણું બધું અને છેલ્લે આઈસક્રીમ. અમે મહેમદાવાદથી આવ્યા હોઈએ એટલે અમારા હાથમાં 'કવર' પણ મૂકી દેતાં. અલબત્ત, અમારી આવી મુલાકાત એક જ વારની રહેતી.
એ પછી એક વાર અમારાં સગા કાકી પુષ્પાકાકીને કોઈક સર્જરી કરાવી. તેમની સંભાળ લેવા કેટલાંક સગાંએ એમની સાથે રોકાવું જ પડે એમ હતું. અને અમારી પહેલવહેલી 'મુંબઈયાત્રા' અમે એ જ અરસામાં ગોઠવેલી. અગાઉ અમે મુંબઈ આવતા, પણ ઉર્વીશ અને મેં આ મુલાકાત જુદા જ કારણસર ગોઠવેલી. પુષ્પાકાકી રહેતાં એ ઘર નાનું, થોડાં સગાં આવેલાં, અને એમાં અમે બન્ને જણનો ઉમેરો થાય તો રહેવાની ઘણી તકલીફ પડે એ સ્વાભાવિક છે. એવે સમયે પૌલાએ આગ્રહપૂર્વક કહેવડાવ્યું કે અમે મુંબઈની મુલાકાત રદ ન કરીએ અને એમને ત્યાં અમારો ઊતારો રાખીએ. પૌલા સાથે એટલા સમયમાં અમારે મિત્રતા થયેલી એટલે અમે એ માન્ય રાખ્યું.
નક્કી કર્યા મુજબ, અમે પહેલાં સાન્તાક્રુઝ પહોંચ્યા. ત્યાં બધાંને મળીને પછી શૈલેષકાકા- રેખાકાકીને ત્યાં પહોંચ્યા. એમના ફ્લેટની રચના એવી છે કે રેખાકાકી રસોડામાં હોય તો બહારથી આવનાર એમની નજરે પડે. એ બારીમાંથી જ કાકીનો આવકાર આપતો અવાજ સંભળાયો, 'આવો આવો ભાઈ. આવી ગયા?' ત્યારથી લઈને આજ સુધી કાકીના આવકારના રણકામાં કશો ફેર પડ્યો નથી.
ખેર, અમે અંદર પ્રવેશ્યા. પણ અંદરનું દૃશ્ય જોઈને ઓર મૂંઝાયા. ફ્લેટના વિશાળ ખંડમાં કેટલા બધા લોકો હતા! રેખાકાકીનાં મમ્મીપપ્પા ડાહ્યાભાઈ અને આનંદીબહેન, એમનાં બહેન દક્ષાબહેન અને દીકરી નિયતિ, ભત્રીજો સૌરીન, મુંબઈ રહેતાં કાકીનાં બહેન રીટાબહેન, એમની દીકરીઓ ઋજુતા અને શીતલ. આ ઊપરાંત મારા પપ્પાના પિતરાઈ (મામાનો દીકરો) નરેન્દ્રકાકા અને એમનો દીકરો આશિષ. આ સૌ અહીં વેકેશન ગાળવા આવેલા. એક ક્ષણ અમને થયું કે અરે! આટલા બધામાં અમારા બેનો ઊમેરો? અમે નરેન્દ્રકાકા અને આશિષ સિવાય બાકીનાં સૌને પહેલી વાર જ મળી રહ્યા હતા. પણ રેખાકાકી જેમનું નામ! એમણે અમને એટલા પ્રેમ અને હૂંફથી આવકાર્યા, સૌ સાથે પરિચય કરાવ્યો અને જણાવ્યું કે અત્યારે સૌથી પહેલાં આપણે બહાર જમવા જવાનું છે.
અમે જૂની ફિલ્મોના કલાકારોને મળવાનો મક્સદ લઈને ગયેલા. મુંબઈ રહેતા સગાંને ત્યાં આ હેતુથી ઘણા લોકો આવતા હોવાથી એની નવાઈ ન હોય. પણ કાકીએ રસપૂર્વક પૂછ્યું, 'કોને કોને મળવાના છો?' અમારા માટે આમ ગંભીર, પણ અન્યને કદાચ બાલીશતા લાગે એવો અમારો હેતુ હતો, પણ કાકીએ એને આવું મહત્ત્વ આપ્યું એ જોઈને આનંદ થયો.
આટલા બધા સગાં આવેલાં હોવા છતાં રેખાકાકી જે ઉત્સાહ અને ઉમંગથી આતિથ્ય કરતાં એ આશ્ચર્ય પમાડતું. અધૂરામાં પૂરું બીજાં કેટલાંક સ્નેહી કે મિત્રોને પણ એમણે પોતાને ત્યાં નિમંત્રેલા અને નાનકડું 'ગેધરિંગ' યોજેલું. અમારા માટે અજાણ્યા એવા મોટા ભાગના લોકો હોવા છતાં અમને એકલું ન લાગે કે અમે એકલા ન પડી જઈએ એનું ધ્યાન કાકા, કાકી અને પૌલા- સૌ રાખતાં. હજી અમારી કશી સ્વતંત્ર ઓળખ ઊભી થઈ નહોતી. આજે વિચારતાં લાગે કે એ કેવડી મોટી વાત હતી કે ગામથી આવેલા, સગપણમાં દૂરના ભત્રીજાઓને આટલા પ્રેમ અને વિવેકથી સૌની સાથે પરિચીત કરવા! જૂની ફિલ્મોના એક અભિનેતા સુશીલકુમાર શૈલેષકાકાના ક્લાયન્ટ હતા. (શૈલેષકાકા અને એમના પિતાજી કાંતિલાલમાસા બન્ને સોલિસીટર હતા.) અમે એમની સાથે નિરાંતે વાતચીત કરી શકીએ એ માટે રેખાકાકીના આગ્રહથી શૈલેષકાકાએ એમને પોતાને ઘેર જ નિમંત્રેલા. એ દૃશ્ય પણ મઝાનું હતું. એક ફિલ્મ કલાકાર આવેલા એટલે પહેલાં સૌ કુતૂહલથી એમની આસપાસ ગોઠવાઈ ગયાં. ધીમે ધીમે વાતો શરૂ થઈ, અને એમાં અમે ઊંડા ઊતરતા ગયા એમ 'બિછડે સભી બારી બારી' થતું ગયું. એમ ને એમ રાતના બાર થયા. હવે અમારી વાતોનો પણ છેડો આવ્યો હોય એમ લાગતું હતું, પણ સુશીલકુમાર કદાચ વરસો પછી પોતાની કારકિર્દી વિશે કોઈકને કહી રહ્યા હતા એટલે બરાબર રંગમાં આવી ગયેલા. છેવટે રેખાકાકીએ એમને જ સૂઝે એવી તરકીબ કરી. અંદરના રૂમમાંથી સૌરીન આવ્યો અને શૈલેષકાકાના કાનમાં કશુંક કહી ગયો. સુશીલકુમારે વાત કરતાં સહેજ 'પૉઝ' લીધો કે કાકા કહે, 'રેખાએ કહેવડાવ્યું છે કે રાતે તમે અહીં જ રોકાઈ જજો. અત્યારે પાછા સાન્તાક્રુઝ ન જતા.' ત્યારે સુશીલકુમારે ઘડિયાળ જોઈ અને તેમને સમયનું ભાન થયું. તેમણે સૌજન્યપૂર્વક જવાની રજા માગી, જે આપવા અમે પણ રાજી હતા.
આઠ-દસ દિવસનું અમારું એ રોકાણ બહુ યાદગાર બની રહ્યું. ખાસ તો, એ દરમિયાન જોયેલી- અનુભવેલી કેટલીય બાબતો અમે જીવનમાં અપનાવી શક્યા.
મારા સગા કાકા પછી મુંબઈ છોડીને મહેમદાવાદ આવી ગયા એટલે હવે શૈલેષકાકાનું ઘર અમારું મુંબઈ ખાતેનું રોકાણ બન્યું. શૈલેષકાકાએ વિદાય લીધા પછી પણ રેખાકાકીની બદૌલત એ સિલસિલો ચાલુ રહ્યો છે.
એમની સક્રિયતા ગજબની. એમને સૌથી વધુ શોખ જમવા-જમાડવાનો. એમને ઘેર જઈએ એટલે તેઓ અમારી સામે જે વિકલ્પ મૂકે એનાથી અમે ચકિત થઈ જઈએ અને કહીએ કે એવી કશી જરૂર નથી. પણ કાકી અવનવી વાનગીઓ બનાવે, અને ગરમાગરમ જમાડે. એનો પણ એક રમૂજી કિસ્સો છે. એક વાર મારા પરિવાર સાથે હું મુંબઈ ગયેલો. કાકાને ત્યાં જ ઊતારો. મારાં સંતાનો નાનાં હતાં. સવારે રેખાકાકીએ ઈશાનને નાસ્તાના વિકલ્પો પૂછ્યા. ઈશાને ભોળા ભાવે પૂછ્યું, 'પણ કાકી, ચા મળશે ને?' જે નિર્દોષતાથી એણે પૂછેલું એ જોઈને સૌ હસી પડ્યાં. એ પછી આ મજાક અમારું કાયમી સંદર્ભબિંદુ બની ગઈ. આજે પણ કાકીનો ફોન આવે તો પૂછે, 'ચાવાળો ભાઈ શું કરે છે?"
રેખાકાકી અને શૈલેષકાકાની પ્રકૃતિ આમ વિપરીત. કાકીને વાતો કરવા જોઈએ, જ્યારે કાકા એકદમ મિતભાષી. કાકા મજાકમાં કહેતા, 'હું (સોલિસીટર હોવાથી) બોલવાના પૈસા લઉં છું.' પણ બન્નેને સ્નેહમિલન ખૂબ ગમે. પોતાને ઘેર અવારનવાર યોજે. એમાં ઘણી વાર એમ બને કે બધા કાકાને પત્તાં રમવા કે હાઉસી રમવા જેવી સામૂહિક પ્રવૃત્તિમાં જોડાવાનો આગ્રહ કરે. પણ કાકાને એ ન ગમે. મિત્રવર્તુળ દ્વારા બહુ આગ્રહ થાય ત્યારે કાકાનો જવાબ: 'હું તમને કદી 'રિડર્સ ડાયજેસ્ટ' વાંચવાનો આગ્રહ કરું છું?' કાકાએ એક વાર અમને 'રિડર્સ ડાયજેસ્ટ'નું વાર્ષિક લવાજમ ભેટમાં આપેલું. (એ પછી પૌલાએ અમેરિકામાં અમારા માટે 'મૅડ'નું વાર્ષિક લવાજમ ભરેલું.)

રેખાકાકી અને શૈલેષકાકા

કાકી સામાજિક રીતે બહુ સક્રિય. વિવિધ મંડળો સાથે જોડાયેલાં. એમનાં અનેક સંપર્કો. કાર્યક્રમનું આયોજન હોય કે સંચાલન, કાકી એમાં ઊલટભેર જોડાય. વખત અગાઉ ઈન્ગ્લેન્ડથી આવેલા મારાં કાકા-કાકી હોય કે મારી દીકરી શચિનું લગ્ન હોય, આવેલાં સૌને મનોરંજક રીતે જોડાયેલા રાખવાનું આયોજન અમે કાકી સાથે કરીએ અને એ 'હીટ' જ હોય. કાકી પોતે સારો અવાજ ધરાવે છે. એ અને પૌલા ઘણા કાર્યક્રમોમાં ગાવા પણ જાય. આથી શચિના લગ્નમાં એક વાર અમે એવું આયોજન વિચારેલું કે 'ઈચકદાના બીચકદાના' ગીતની શૈલીએ, એ તરજમાં મારા મિત્રો અને કેટલાંક સગાંઓની ખાસિયતને લગતાં જોડકણાં કાકી અને પૌલા પાસે ગવડાવવાં. એ દરેક પછી કાકી પૂછે, 'બોલો કોણ?' અને ટોળું જવાબ આપે. અહાહા! એમાં જે મજા આવી છે! અમારા સૌની બરાબર ખિંચાઈ કરતાં જોડકણાં અમે સાથે બેસીને લખ્યાં, 'ઈચકદાના' ગીતના મીટરમાં બેસાડ્યા અને કાકી-પૌલાની જોડીએ ગાયાં. એમાં મારાં મમ્મીની વાત પણ હોય. ઈશાનનો ચાવાળો કિસ્સો હોય, મારી અમુક રમૂજનો ઉલ્લેખ હોય. છેલ્લે અમે પણ એમની ખિંચાઈ કરતું જોડકણું લલકાર્યું.
આમ, રેખાકાકીની હાજરી હોય એટલે વાતાવરણ જીવંત બની જાય. એક તો એમનો પોતાનો મોટો અવાજ, ખુલીને હસવાની આદત, અને સૌ સાથે હળીમળી જવાનું વલણ- આ બધું ભેગું થાય એટલે પૂછવું જ શું!

મહેમદાવાદની એક મુલાકાત દરમિયાન ગપ્પાંગોષ્ઠિ
(ડાબેથી) સોનલ, રેખાકાકી, મમ્મી, કામિની અને બીરેન
 (ઉર્વીશ કેમેરાની પાછળ)

આજે પણ મહિનેદહાડે એમનો ફોન આવે- કશા એજન્ડા વિના આવે, અને ફોન પર પણ અમે લાંબી વાત કરીએ. ઘણુંબધું અને ઘણા બધાને યાદ કરીએ, હસીએ, અને મજા કરીએ.
કોવિડના સમયગાળામાં જ્યારે સૌ નજરકેદ થઈ ગયાં હતાં ત્યારે પણ કાકીએ પોતાનો રસોઈપ્રેમ જીવંત રાખીને દોહિતરાંને રોજેરોજ અવનવી વાનગીઓ બનાવીને ખવડાવેલી અને મજા કરાવેલી.
ઉર્વીશ કે હું મુંબઈ જઈએ ત્યારે બીજે ગમે ત્યાં ઊતરીએ, એક રાત એમને ત્યાં ગાળવાની જ. મુંબઈના યજમાનની જેમ કાકી અમારો કાર્યક્રમ પૂછી લે, અને પછી કંઈક ને કંઈક આયોજન કરે. કાં ઘેર જમવાનું ગોઠવે, જેમાં પૌલા- કપિલભાઈ, (કપિલભાઈનાં માતા) સરલાબહેન, સાહિલ, પૂજા હોય. (શૈલેષકાકાનાં બહેન) ઊષાફોઈ હતાં ત્યારે ઉષાફોઈ- અનિલફુઆને નોંતરે. પ્રેમથી ભોજન બનાવે અને એટલા જ પ્રેમથી જમાડે. ભોજન એટલે સંપૂર્ણ ભોજન. છેલ્લે આઈસ્ક્રીમથી સમાપન થાય ત્યાં સુધીનું.
પણ ખરી મજા રાત્રિબેઠકની. સામાન્ય રીતે વહેલાં સૂવા ટેવાયેલાં રેખાકાકીને રાતના સાડા નવ તો બહુ થઈ ગયા. પણ અમે જઈએ ત્યારે આ ક્રમ બદલાય. એમની આંખો ઘેરાઈ હોય, બગાસાં આવતાં હોય, પણ એને અવગણીને એ બેસે, અને જાતભાતની વાતો અમે કરીએ. પૌલા ક્યારેક બેસે, યા એનો સમય થતાં જતી રહે, પણ બીજા દિવસે સવારે ચાના સમયે એ અચૂક આવીને પહેલો સવાલ પૂછે, 'કાલે કેટલા વગાડેલા?' જવાબમાં 'બાર', 'સાડા બાર', કે 'એક' સાંભળીને એને બહુ આશ્ચર્ય થાય અને પોતે 'સેશન મિસ કર્યાનું' અનુભવાય.
સૌથી નોંધપાત્ર વાત એ કે કાકી કોઈકને ત્યાં મહેમાન બનીને ગયાં હોય તો પોતે જે સરભરા આપવાના આદી છે એવી કશી અપેક્ષા ન રાખે. બાકી સહજપણે જ એવી અપેક્ષા રહે!
મે, 2025માં રામચંદ્ર ગુહાના પુસ્તક 'ગાંધી પછીનું ભારત'ના વિમોચન કાર્યક્રમમાં કાકી ખાસ મુંબઈથી કાર્યક્રમમાં હાજરી આપવા આવેલાં. એનું અમારે મન મોટું મૂલ્ય એ રીતે છે કે એ વિષય સાથે એમને ખાસ લેવાદેવા ન હોવા છતાં માત્ર ને માત્ર અમારા માટેના પ્રેમવશ તેમણે એ કરેલું. આ જ એમની વિશેષતા. આ જ એમની ખાસિયત. અમારી કશી ઓળખ નહોતી ત્યારે પણ અમારા માટે એટલો જ પ્રેમ અને ભાવ, અને આટલાં વરસો પછી, એમની નજર સામે જ અમે અમારાં ક્ષેત્રોમાં આગળ વધ્યા ત્યારે પણ એ જ પ્રેમ અને ભાવ.
આવા વડીલ મળવા એ સદભાગ્ય જ કહી શકાય, અને એમની ચાહનાને પાત્ર બનવું એ પરમ ભાગ્ય.
રેખાકાકી આજે એમનાં જીવનનાં 79 વર્ષ સંપન્ન કરી રહ્યાં છે એ નિમિત્તે એટલી જ શુભેચ્છા કે એમનો જીવનરસ અને જુસ્સો જળવાયેલાં રહે.

Sunday, August 17, 2025

પ્રેમના પાયા પર ચણાયેલો સગપણનો ત્રીજો માળ

આજે પૌલાનો જન્મદિવસ છે. અત્યારે એ પૌલા મારવાહા છે, પણ અમારો એની સાથેનો પરિચય એ પૌલા પરીખ હતી ત્યારનો. સગપણે અમે 'સેકન્ડ કઝીન' થઈએ. એટલે કે એના પપ્પા શૈલેષ પરીખ અને મારા પપ્પા અનિલ કોઠારી બન્ને મસિયાઈ ભાઈ થાય. પપ્પાના તમામ પિતરાઈઓ એકમેક સાથે ગાઢ રીતે સંકળાયેલા. અને મહેમદાવાદનું અમારું ઘર એટલે એમના ઊનાળુ વેકેશનનો અડ્ડો. પિતરાઈઓ તો ખરા જ, એમના ભાઈબંધો પણ મહેમદાવાદ આવતા અને રોકાતા. અલબત્ત, આ બધી અમારા જન્મ પહેલાંની વાતો. પણ અમે બહુ રસથી સાંભળેલી અને પપ્પાના પિતરાઈઓને મળીએ કે તેઓ પછી મહેમદાવાદ આવે ત્યારે અમને જણાવતા.

શૈલેષકાકા મુંબઈ રહેતા. એમના પિતાજી એટલે કે કાંતિલાલ પરીખ મારા પપ્પાના માસા, અને એમનાં માતાજી સરલાબહેન (અતિમાસી) મારા પપ્પાનાં માસી. આથી તેમનું ઘર 'માસીનું ઘર' તરીકે ઓળખાતું. અમારું મુંબઈ જવાનું શરૂ થયું ત્યારે તો અમારા સગા કાકા સુરેન્દ્ર કોઠારી સાન્તાક્રુઝ (મુંબઈ) રહેતા. અમારો ઊતારો એમને ઘેર હોય, પણ એક દિવસ અમારે 'માસીને ઘેર' જવાનું આમંત્રણ હોય. માસી પેડર રોડ રહેતાં. દક્ષિણ મુમ્બઈનો એકદમ ધનાઢ્ય વિસ્તાર. પણ માસીને ત્યાં જઈએ ત્યારે જે આવકાર અને ઉષ્મા જોવા મળે એ હજી આજેય મનમાં એમનો એમ છે.
આ સમગ્ર ચિત્રમાં પૌલા ક્યાંય નહોતી. એ કોણ? તો પપ્પાના માસીના દીકરાની દીકરી. પૌલા સાથે સ્વતંત્રપણે અમારો પરિચય થયો અને વિકસ્યો 1987-88થી. મુમ્બઈવાળા કાકાની દીકરી સુજાતાબહેનનું લગ્ન મહેમદાવાદ ખાતે રાખેલું ત્યારે અનેક સગાંવહાલાં અને કાકાના પરિચીતો મહેમદાવાદ આવેલાં. એ ક્રમમાં શૈલેષકાકા, રેખાકાકી અને પૌલા પણ આવેલાં. એ બે દિવસના રોકાણમાં પરિચયનો પાયો નંખાયો એ એવો મજબૂત નીવડ્યો કે આજે એની પર ત્રીજો માળ ચણાઈ ગયો છે.
પૌલાને પત્રો લખવા બહુ ગમતા, એમ અમને પણ. એટલે એના મુમ્બઈ ગયા પછી અમારો પત્રવ્યવહાર શરૂ થયો. અમારામાં આમ કશું સામાન્ય નહોતું. છતાં અમે આખો પત્ર ભરતા. એ પછીના અરસામાં મારી અને ઉર્વીશની મુમ્બઈયાત્રા આરંભાઈ. પણ એ પહેલાં અમે જે ફિલ્મકલાકારોને મળવા માગતા હતા એમનાં નામની લાંબી યાદી પૌલાને મોકલી. ટેલિફોન ડિરેક્ટરીમાંથી એ સૌના ફોનનંબર મેળવવા અમે એને કહ્યું. તેણે સન્નિષ્ઠ પ્રયત્નો કર્યા, પણ સફળતા ન મળી, અમારા કરતાં એ વધુ નિરાશ થઈ. આના થોડા દિવસ પહેલાં મારાં મમ્મીને મુમ્બઈ જવાનું થયેલું. સાન્તાક્રુઝવાળા પુષ્પાકાકીને સર્જરી કરાવેલી અને તેમને પૌલાના ઘરથી નજીકની કોઈક હોસ્પિટલમાં રાખેલાં. આથી બપોરે મમ્મી આરામ કરવા માટે પૌલાને ઘેર જતાં. પૌલા તેમને કમ્પની આપતી. તેણે મમ્મીને ખાસ આગ્રહ કરીને કહેવડાવેલું, 'કાકી, તમે એ બન્નેને ખાસ કહેજો કે (ફોન નંબર નથી મળ્યા એટલે) આવવાનું કેન્સલ ન કરે.' અમે મુમ્બઈ ઊપડ્યા. કાકીની નાદુરસ્ત તબિયતને કારણે આ વખતે અમારો ઊતારો પૌલાના ઘેર હતો. અત્યાર સુધી જે 'માસીને ઘેર' અમે બે કલાક મળવા જતા એને બદલે હવે અમારે ત્યાં અઠવાડિયું રહેવાનું હતું. અમારી ઉંમરના એ ઘડતરનાં વરસોમાં આ રોકાણે મહત્ત્વનું પ્રદાન કર્યું એમ કહી શકાય. એ સમયે મનમાં બેઠેલી કેટલીક બાબતો આજે પણ અમારા અમુક વ્યવહારમાં સહજપણે વણાઈ ગઈ છે.
કોઈ કલાકારોના ફોન નંબર નહોતા મળ્યા હોવા છતાં અમારો ઉત્સાહ કમ નહોતો થયો. એ ઉત્સાહને પ્રોત્સાહન મળ્યું શૈલેષકાકાના કુટુંબીજનો દ્વારા. એમના એપાર્ટમેન્ટથી પંદરેક એપાર્ટમેન્ટ દૂર આવેલા આશા ભોંસલેના ઘેર પૌલાને લઈને અમે વગર અપોઈન્ટમેન્ટે ઊપડ્યા. મુલાકાત પહેલાંના અવરોધને પાર કરવામાં પૌલાની કમ્યુનિકેશન સ્કીલનો મહત્ત્વનો ફાળો. અમારું એ સંયુક્ત સાહસ આજીવન યાદગીરી બની રહ્યું. તેના આનંદની છાલક આટલા વરસે પણ અનુભવી શકાય છે.

આશા ભોંસલેના નિવાસસ્થાને
(ડાબેથી): ઉર્વીશ, બીરેન, પૌલા અને આશા ભોંસલે
એ જ રોકાણ દરમિયાન શૈલેષકાકાએ અમારી મુલાકાત નૌશાદ સાથે ગોઠવી આપી. તેમજ સુશીલ કુમાર નામના, જૂની ફિલ્મો સાથે સંકળાયેલા એક અભિનેતા તેમના ક્લાયન્ટ હતા, એમને પોતાને ઘેર નિમંંત્ર્યા. શૈલેષકાકાના એ પ્રયત્નોની ગંભીરતા, અને અમારી હજી કોઈ સ્વતંત્ર ઓળખ ઊભી થઈ નહોતી એવે સમયે અમને અપાયેલું આ પ્રોત્સાહન અમારે મન બહુ મોટું હતું.

મુંબઈની એક મુલાકાત દરમિયાન

પછીનાં વરસોમાં સાન્તાક્રુઝવાળા કાકા મહેમદાવાદ આવીને સ્થાયી થયા એટલે અમારા મુંબઈરોકાણનું સરનામું હવે પેડર રોડ બની રહ્યું છે. પૌલા સાથે પત્રવ્યવહાર નિયમીતપણે ચાલતો અને અમે પોતપોતાની પ્રવૃત્તિઓ વિશે લખતા. પૌલા મુખ્યત્વે અંગ્રેજીમાં પત્ર લખતી.
એવામાં એક સુખદ સમાચાર તરીકે અમને જાણવા મળ્યું કે પૌલાનું લગ્ન તેના જ ફ્લોર પર રહેતા કપિલ મારવાહા સાથે નક્કી થયું છે. તેઓ પરિચયમાં હતા અને વડીલોની સંમતિ પછી આ નિર્ણય પર આવ્યા હતા. કપિલભાઈને અમે પહેલી વાર મળ્યા અને તેમની સાલસતાની એ છાપ પડી એ આજેય બરકરાર છે. પૌલાને યોગ્ય જીવનસાથી મળ્યો એનો આનંદ હોય જ, પણ શૈલેષકાકાને યોગ્ય જમાઈ મળ્યા હોવાની વધુ ખુશી હતી. કેમ કે, અમારા પરિવારમાં શૈલેષકાકાની છાપ 'એકદમ ચોક્કસ' તરીકેની. પપ્પાના પિતરાઈ નરેન્દ્રકાકા કાયમ કહેતા, અને એમની પ્રકૃતિ મુજબ જાહેરમાં કહેતા, 'શૈલેષ અતિ ચોક્કસ, અને દીનીયો (પપ્પાના બીજા મસિયાઈ ભાઈ દીનેશ પરીખ) અતિ લબાડ. હું બેની વચ્ચેનો.' વયમાં પોતે બન્નેની વચ્ચે હોવાથી નરેન્દ્રકાકા આમ કહેતા, અને એમાં સંકળાયેલા પાત્રો પણ એની મજા લેતા.
હું અને ઉર્વીશ આવી જ એક મુંબઈયાત્રાએ ગયેલા અને એ અરસામાં રાજીવ ગાંધીની હત્યા થઈ હોવાથી ટ્રેન વિરાર સ્ટેશને રોકાઈ ગયેલી. અમે સામાન સાથે રેલવેના પાટેપાટે વિરારથી વસઈ ચાલતા ગયેલા. એને કારણે ઉર્વીશના પગમાં છાલાં પડી ગયેલાં. એ પછી અમારે શૈલેષકાકાને ઘેર જવાનું હતું. અમારા જતાં પહેલાં અમારી 'પદયાત્રા'ની વાત ત્યાં પહોંચી ગયેલી. એટલે અમે પહોંચ્યા ત્યારે સૌએ અમારી પાસેથી અહેવાલ સાંભળ્યો. એ વખતે ઉર્વીશના પગના છાલાં જોઈને પૌલા ડઘાઈ ગઈ. એ તરત ગુલાબજળ અને રૂ લઈ આવી અને ઉર્વીશના પગે એ લગાવી આપ્યું. દક્ષિણ મુમ્બઈમાં રહેતી, માતાપિતાનું એક માત્ર સંતાન હોય એવી, લાડકોડમાં ઉછરેલી કોઈ છોકરી આવું કરી શકે એ અમારા માન્યામાં નહોતું આવતું. અને પૌલાની એ છબિ એની સરળતા અને સહજતા ઊપરાંત એની નિસ્બત અને પ્રેમ માટે થઈને અમારા હૃદયમાં આજેય એમની એમ સંઘરાયેલી છે.
અમારા નિયમીત પત્રવ્યવહારનો એક નમૂનો
એ પછીના અરસામાં મારા એક સહકર્મી કમલેશ પંડ્યાને જસલોક હોસ્પિટલમાં દાખલ થવાનું બન્યું. ગંભીર સર્જરી હતી. મેં કમલેશને જણાવ્યું કે એ બાજુમાં જ આવેલા કાકાના ફ્લેટ પર મળવા જાય. એમ મેં પૌલાને પણ પત્ર દ્વારા જણાવ્યું. પૌલાએ એમની બરાબર દેખભાળ રાખી.
પૌલાના લગ્ન પછી તેણે ખરેખર તો એક જ ફ્લોર પર એક ફ્લેટમાંથી બીજા ફ્લેટમાં શિફ્ટ થવાનું હતું. આથી અમે મુંબઈ જઈએ ત્યારે મળવાનું ઘટ્યું નહીં. મોટે ભાગે એમ થાય કે કાકીને ત્યાં અમે ચા પીતા હોઈએ એવામાં પૌલા સવારના ચા-પાણી પરવારીને આવી જાય અને અમારો ગપાટાનો દોર ચાલે. વચ્ચે વચ્ચે કશું કામ હોય તો જઈ પણ આવે. કપિલભાઈ મોટે ભાગે સાંજે મળવા આવે. અને એમની સાથે વાતોનો દોર ચાલે. કપિલભાઈ બહુ સંવેદનશીલ અને કેટલીય બાબતોમાં અમારી ફ્રિક્વન્સી મળતી હોવાથી વાતો જાણે કે ખૂટે નહીં. સામાન્યપણે ઓછાબોલાની છાપ ધરાવતા કપિલભાઈને અમારી સાથે આટલી બધી વાતો કરતા જોઈને ઘણા કુટુંબીજનોને આઘાત પણ લાગે.
એક અરસા સુધી એમની લગ્નતિથિએ અમે કોઈ ને કોઈ વિશિષ્ટ વસ્તુ બનાવતા અને એમને મોકલતા. એક વાર અમે એક કંપનીના વાર્ષિક અહેવાલની શૈલીએ તેમના લગ્નજીવનનો અહેવાલ અનાવેલો, એકાદ વાર એમનો એક ફોટો લઈને એ ટી.વી.ની અલગ અલગ ચેનલો પર શી રીતે આવે એવું બનાવેલું, તો એકાદ વખત એક સાદા ફોટાનો ઊપયોગ અલગ અલગ રીતે જાહેરખબરમાં શી રીતે થઈ શકે એવું બનાવેલું. કદાચ 'સાર્થક જલસો'નાં મૂળ આ બધામાં મળી આવે.
શૈલેષકાકા અને રેખાકાકીની દિનચર્યા એકદમ નિયમીત. સામાન્ય રીતે તેઓ રાતના સાડા નવે સૂઈ જનારા. પણ હું કે ઉર્વીશ ત્યાં જઈએ ત્યારે એ નિયમભંગ થાય. શૈલેષકાકા આગોતરી તૈયારી કરીને બપોરે કલાકેક આરામ કરી લે, જેથી રાત્રે જાગી શકાય. રેખાકાકીથી ન જગાય એટલે બગાસાં આવે, પણ વાતરસ એવો જામ્યો હોય કે સૂવા જવાનું મન ન થાય. આમ ને આમ, બાર-સાડા બાર થાય. આમાં ક્યારેક પૌલા પણ જોડાય. એ જોડાઈ ન શકે તો સવારે આવીને પૂછી જાય કે રાત્રે કેટલા વગાડેલા. કેમ કે, એને મન, કાકા અને કાકી રાતના દસ પછી સ્વેચ્છાએ જાગે એ જ મોટી ઘટના! અમારી આ બેઠકોમાં ભરપૂર હસીમજાક ચાલે, અનેક સગાંસંબંધીઓને યાદ કરાય, અને બીજી પણ જાતભાતની વાતો હોય.
લગ્ન પછી કપિલભાઈ અને પૌલાને અમેરિકા જવાનું અને થોડો સમય રહેવાનું બનેલું. એ વખતે તેણે અમને પૂછેલું કે અમારે કશું મંગાવવું છે કે કેમ. અમે એને જણાવ્યું કે (આર્થિક રીતે) અનુકૂળ હોય તો એ અમારા માટે 'મૅડ'નું લવાજમ ભરી શકે એમ હોય તો સારું. પણ એમ ન થાય તોય વાંધો નથી. પૌલા સાથેના સંબંધમાં કદાચ આ અનૌપચારિકતા સૌથી મહત્ત્વનું પરિબળ ગણાવી શકાય. એ અમેરિકા ગઈ અને એણે 'મૅડ'નું લવાજમ ભર્યું. અત્યાર સુધી 'મૅડ'ના જૂના અંકો જ ખરીદેલા અને સપનેય કલ્પના નહીં કરેલી કે 'મેડિસન એવન્યુ'ના સરનામેથી મહેમદાવાદના સરનામે 'મૅડ'નો અંક આવે. કલ્પનામાં ન વિચાર્યું હોય એ સપનું સાકાર કરવામાં પૌલાની નિસ્બત અને પ્રેમ જવાબદાર.

અમેરિકાના ટૂંકા નિવાસ દરમિયાન પૌલાએ લખેલો પત્ર
કાકીને ત્યાં રોકાયા હોઈએ ત્યારે પૌલાના સાસરે પણ અમારું જમવાનું ગોઠવાય. અમારે તો એ જ ફ્લોર પર એક ફ્લેટમાંથી બીજા ફ્લેટમાં જવાનું હોય, પણ ત્યાંય આ જ વાતાવરણનું એક્સ્ટેન્શન હોય. પૌલાનાં સાસુ સરલાબહેન અતિ શાલીન અને સૌમ્ય. તેઓ પણ વાતોમાં ભાગ લે.
મારી દીકરી શચિના લગ્ન વખતે રેખાકાકી અને પૌલા બન્ને ખાસ રોકાવાય એ રીતે આવેલાં. મા-દીકરીની આ જોડી અનેક સ્થળે ગીતોનો કાર્યક્રમ પણ યોજે છે. મારે ત્યાં તેઓ આવ્યાં અને આવું કંઈક ગાવાનું નક્કી થયું. એ વખતે મેં અને પૌલાએ મળીને મારા આઈ.વાય.સી.ના મિત્રો અને અમુક સગાંની લાક્ષણિકતાને લઈને તેમની ફીરકી ઉતારતાં જોડકણાં તૈયાર કરેલાં. એમાં પાછા અમેય એકબીજા પર બનાવેલાં. એ ગવાયાં ત્યારે બહુ મજા આવેલી અને શચિના લગ્નનું સંભારણું બની રહેલું.
સામાન્ય રીતે પપ્પાના પિતરાઈ સુધી સંબંધ જળવાય અને પછીની પેઢીએ એ ક્ષીણ થતો જાય, જો એ કેવળ સગપણ આધારિત હોય. પણ પૌલાને કારણે એ અમારી પેઢી સુધી લંબાયો. ખરી મજા એ છે કે પૌલાનાં સંતાનો પૂજા અને સાહિલ પણ હવે મોટાં થયાં. તેમનું અમારી સાથે સ્વતંત્ર સમીકરણ રચાતું ગયું. એમ અમારાં સંતાનો સાથે પણ સ્વતંત્ર સંપર્ક શરૂ થયો. મજાકમાં કહી શકાય કે એમને પૂછીએ કે આપણું સગપણ શું, તો કદાચ એમને મનમાં એ ગોઠવતાં વાર લાગે, પણ નિકટતા એવી કે એમને એ ગોઠવવાની જરૂર ન લાગે.
હમણાં મે, 2025માં 'ઈન્ડિયા આફ્ટર ગાંધી'ના ગુજરાતી અનુવાદના વિમોચન નિમિત્તે રેખાકાકી અને પૂજા ખાસ મુમ્બઈથી આવીને ઉપસ્થિત રહેલાં. બીજા દિવસના અનૌપચારિક મિલનમાં પણ પૂજા સામેલ થયેલી. આ કંઈ માત્ર સગપણ કે 'સંબંધ સાચવવાના' હેતુથી ન બને.

પૌલાનો પરિવાર: (ડાબેથી) સાહિલ, પૌલા,
કપિલભાઈ અને પૂજા
આમ, ખરું જોતાં તો અમારું આ સગપણ ચોથી પેઢી સુધી વિસ્તર્યું છે, અને એ વધુ ને વધુ મજબૂત થતું ગયું છે. અમને ખબર છે કે કેવળ સગપણ હોવાથી આ શક્ય નથી. કશી અપેક્ષા વિના, માત્ર ને માત્ર પ્રેમનો સંબંધ હોય તો જ આમ થાય.
આવું થઈ શક્યું એનો આનંદ છે, પૌલા એમાં નિમિત્ત બની એટલું જ નહીં, એણે સભાનતાપૂર્વક આની પહેલ કરી એની વિશેષ ખુશી છે. સગપણે 'સેકન્ડ કઝીન', એવી અમારી આ મિત્રને જન્મદિવસની હાર્દિક શુભેચ્છાઓ.

Tuesday, August 12, 2025

સરસ્વતીચંદ્ર સંપન્ન થયાનું સવાસોમું વર્ષ

-બીરેન કોઠારી

આપણા સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાનું ગૌરવ અનુભવવું એક વાત છે, અને ગૌરવ લઈ શકાય એ રીતે વારસાને જાળવવો સાવ અલગ વાત છે. આ બાબતે સમગ્રતયા ઉદાસીન માહોલમાં એક એવી ઉજવણી વિશે જાણીને રાજીપો અને સંતોષ થાય કે આવું અપવાદરૂપ કામ આટલી આયોજનબદ્ધ રીતે થઈ રહ્યું છે!

ખેડા જિલ્લાનું નડિયાદ નગર એક સમયે ‘સાક્ષરભૂમિ’ તરીકે જાણીતું હતું, અને અનેક વિદ્વાનો અહીં વિદ્યમાન હતા. આ તમામ પંડિતોમાં ઝળહળતા સૂરજ જેવું નામ એટલે ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠી એટલે કે ગો.મા.ત્રિ. ચાર ભાગમાં તેમણે લખેલી નવલકથા ‘સરસ્વતીચંદ્ર’ પૂર્વગાંધીયુગમાં ગુજરાતનું સંસ્કારપ્રતીક બની ચૂકી હતી. સંગમયુગના દૃષ્ટા તરીકે ઓળખાવાયેલા ગો.મા.ત્રિ.એ શાળાકીય શિક્ષણ નડિયાદ અને મુંબઈમાં મેળવ્યું અને વ્યાવસાયિક કારકિર્દી મુંબઈમાં જમાવી. ઊત્તરાવસ્થામાં તેઓ નડિયાદના પોતાના મકાનમાં પાછા આવ્યા, અને ‘સરસ્વતીચંદ્ર’ના ચોથા ભાગનું લેખન અહીં જ સંપન્ન કર્યું. ઈ.સ.1900નું એ વર્ષ, જેની નોંધ ગોવર્ધનરામે પોતાની નોંધપોથીમાં કરેલી છે. એ પછીના વર્ષે, ઈ.સ.1901માં તેનો ચોથો ભાગ પ્રકાશિત થયો.
આમ, 2025નું વર્તમાન વર્ષ એટલે ‘સરસ્વતીચંદ્ર’ સંપન્ન થયાનું સવાસોમું વર્ષ. દુનિયાના કોઈ પણ ખૂણે વસતો ગુજરાતી જેને માટે ગૌરવ લઈ શકે એવી આ ઘટનાની ઉજવણી કેવળ નડિયાદકેન્દ્રી બની રહે એ કંઈ ચાલે? પ્રો.હસિત મહેતાએ વિચાર્યું કે આ નિમિત્તે 'સરસ્વતીચંદ્ર' અને ગોવર્ધનરામને લોકો સુધી પહોંચાડીએ.આનો ગુજરાતી અનુવાદ એ કે આ વિષયને પરિસંવાદમાંથી અને શૈક્ષણિક જગતમાંથી બહાર કાઢીએ.પણ આમ વિચારનાર હસિતભાઈને એવી તે શી લેવાદેવા કે એમના મનમાં આ વિચાર આવે?
પ્રો.હસિત મહેતાના અવિરત, દૃષ્ટિવાન પ્રયાસોથી નડિયાદના નાગરવાડા વિસ્તારમાંની ઝઘડીયા પોળમાં આવેલું ‘ગોવર્ધનરામ સ્મૃતિ મંદિર’ એટલે કે ગોવર્ધનરામ ત્રિપાઠીનું નિવાસસ્થાન આજે દેશવિદેશના અનેક સાહિત્યરસિકો માટેનું તીર્થધામ બની રહ્યું છે. અહીં આવનાર મુલાકાતી આ સ્થળે ગો.મા.ત્રિ.ની ચેતનાને અનુભવી શકે છે. અસલ મકાનના મૂળ માળખા ઊપરાંત ગો.મા.ત્રિ. દ્વારા ઊપયોગમાં લેવાયેલી વિવિધ ચીજવસ્તુઓ તેમજ ગો.મા.ત્રિ.નાં તમામ પ્રકાશિત લખાણની મૂળ હસ્તપ્રત તો ખરાં જ, તેમનાં અંગત પુસ્તકાલયનાં હજારેક પુસ્તકો સુદ્ધાં અહીં જતનભેર સચવાયેલાં છે. અહીં કાર્યરત વિદ્યાર્થી સ્વયંસેવકો મુલાકાતીઓને આ બધી માહિતી આપે ત્યારે મુલાકાતીઓ બે બાબતે અભિભૂત થાય છે. એક તો અહીંની જાળવણી જોઈને, અને બીજું આ બધું તેમને વિદ્યાર્થી સ્વયંસેવકો જણાવે છે એ કારણે. હા, આ સ્થળ સાથે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ સંકળાયા છે.
આથી, ‘સરસ્વતીચંદ્ર’ના સમાપનની શતાબ્દિની ઉજવણી માટે હસિતભાઈને પહેલો વિચાર આ સમગ્ર ઉપક્રમમાં વિદ્યાર્થીઓને સાંકળવાનો આવે એમાં નવાઈ નથી. પણ મુખ્ય પ્રશ્ન એ હતો કે એમને સાંકળીને કરવું શું?
ગોવર્ધનરામ ત્રિપાઠી અને 'સરસ્વતીચંદ્ર'ને હસિતભાઈ ઘોળીને પી ગયા છે એમ કહેવામાં જરાય અતિશયોક્તિ નથી. એમણે 'સરસ્વતીચંદ્ર'ના નાયક અને નાયિકાઓને વૈશ્વિક ફલક પરની, એની આસપાસના સમયગાળામાં સર્જાયેલી કૃતિઓનાં નાયકનાયિકાઓ સમક્ષ રજૂ કરવાનું વિચાર્યું. આમાંથી એમણે ત્રણ બાબત નક્કી કરી.

અમદાવાદમાં યોજાયેલા કાર્યક્રમની મંચ ઉપર અને પાછળની ટીમ 

લીઓ ટોલ્સ્ટોયની 'અના કરેનીના' 1878માં પ્રકાશિત થઈ. 'સરસ્વતીચંદ્ર'ના પહેલા ભાગના પ્રકાશનના લગભગ દાયકા પહેલાં. આ બન્ને કૃતિઓની નાયિકા પોતપોતાની રીતે વિશિષ્ટ છે. આથી અના અને કુમુદસુંદરી વચ્ચેના કાલ્પનિક સંવાદ દ્વારા બન્નેએ પોતાના સર્જક પર ઘડેલું આરોપનામું ‘તમે કલમ મ્યાન કરી’ની એકાંકીરૂપે હસિતભાઈએ લખ્યું. આનું દિગ્દર્શન પ્રો.કમલ જોશીએ કર્યું.
બીજો મુદ્દો સ્વરૂપની રીતે સાવ જુદો. નિવૃત્ત સનદી અધિકારી અને વિદ્યાપુરુષ સ્વ. કુલીનચંદ્ર યાજ્ઞિક દ્વારા છેક 2013થી, એમની 86 વર્ષની વયે આરંભાયેલી એક અનન્ય પ્રવૃત્તિ તે 'ગુરુવારિયું', જે 'જી.ડી.' (ગૃપ ડિસ્કશન)કે 'સ્ટડી સર્કલ' તરીકે ઓળખાય છે. યાજ્ઞિકસાહેબ દર ગુરુવારે સાંજના છ વાગ્યે ‘ગોવર્ધન સ્મૃતિમંદીર’માં આવતા અને વિવિધ વિદ્યાશાખાના વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરતા. આગળ જતાં પ્રો. નીરજ યાજ્ઞિક અને વિદ્યાર્થીપ્રિય પ્રો. આશિષ શાહ આમાં સંકળાયા. ત્રણેક વર્ષથી પત્રકાર-સંશોધક ઉર્વીશ કોઠારી પણ આમાં સંકળાયા.અહીં વિવિધ વિષય પર ગોષ્ઠિ થતી. એટલે આ 'જી.ડી.'ને મંચ પર ભજવીને એની ચર્ચા થકી રમણભાઈ નીલકંઠના નાટક 'રાઈનો પર્વત'નો રાઈ અને 'સરસ્વતીચંદ્ર'ના નાયક સરસ્વતીચંદ્રનાં પાત્રોમાં ભારતીય રેનેસાં(નવજાગરણ)નું પ્રતિબિંબ શી રીતે ઝીલાયું છે એ દર્શાવવાનું નક્કી થયું. હસિતભાઈએ લખેલી આ સ્ક્રીપ્ટના સંવાદ ઉર્વીશ અને બીરેન કોઠારીએ લખ્યા.
ત્રીજી વાત એટલે 'સરસ્વતીચંદ્ર'માં આવતાં ગીતો. ગોવર્ધનરામે પોતે લખેલાં, નવલકથાના કથાનકને અનુરૂપ અનેક ગીત પુસ્તકમાં છે. એ પૈકીનાં અમુક પસંદ કરીને, એનું સ્વરાંકન કરાવીને એની મ્યુઝીકલ ટ્રેક તૈયાર કરાવાઈ. અતિ મધુર સ્વર ધરાવતી બે વિદ્યાર્થીનીઓ આસ્થાના તેમજ પૂજા એ ગીતો 'લાઈવ' રજૂ કરે એમ નક્કી થયું.સુરેશ જોશીએ સંગીતબદ્ધ કરેલાં ગીતોનું સ્વરાંકન સૌરભ પરીખ દ્વારા થયું.
‘ગોવર્ધનરામ સ્મૃતિમંદીર’માં ચાલતાં રીહર્સલની જુદી મજા હતી. ખાસ તો વિદ્યાર્થીઓ જે તલ્લીનતાથી આમાં ભાગ લેતા હતા એ દૃશ્ય આંખને ઠારે એવું હતું. મંચની ઉપર અને પાછળ સંકળાયેલા અનેક વિદ્યાર્થીઓ માટે આ કેવું જીવનપાથેય બની રહે!
2 મે, 2025ના રોજ મુંબઈમાં યોજાયેલા ‘વ્યાપન પર્વ’માં અને એ પછી 2 ઓગષ્ટ, 2025ના રોજ અમદાવાદની એચ.કે.આર્ટ્સ કોલેજના ચીનુભાઈ ચીમનલાલ સભાગૃહમાં દોઢેક કલાકનો આ કાર્યક્રમ અતિ સફળતાપૂર્વક યોજાયો. દરેક ચીજની રજૂઆત અગાઉ તેની પૂર્વભૂમિકા ટૂંકમાં અપાતી, જેથી દર્શકો તેનો સંદર્ભ તરત જ સમજી શકે. અલબત્ત, આ શરૂઆત છે. હજી ગુજરાત આખામાં અનેકવિધ શૈક્ષણિક તેમજ સાંસ્કૃતિક સંસ્થાઓમાં આને પહોંચાડવાની નેમ છે અને એ માટે આમંત્રણો મળી પણ રહ્યાં છે.
લોકરુચિને સંતોષવા સસ્તી રંજકતાના સ્તરે ઊતરી આવવાને બદલે આવા કાર્યક્રમ થકી લોકરુચિનું ઘડતર કરવું અઘરું છે. આથી જ આવો વિચાર કરનાર, એનો અમલ કરનાર અને અમલમાં સંકળાયેલા સૌ કોઈ અભિનંદનને પાત્ર છે. આ ઉજવણી ગુજરાતભરમાં પ્રસરીને ખરા અર્થમાં ગુજરાતગૌરવ બની રહે એમાં જ એનું સાર્થક્ય છે.

(સૌજન્ય: કર્ટન કોલ, ગુજરાતમિત્ર, રવિવારીય પૂર્તિ, 10-08-25)

Friday, August 8, 2025

વર્તુળ વિસ્તરીને પૂરું થાય ત્યારે...

1991ના ઉત્તરાર્ધનો કોઈ એક દિવસ. સમય: બપોરના દોઢ-બે આસપાસ. સ્થળ: ઓડિટોરીયમ, ફેકલ્ટી ઑફ ફાઈન આર્ટ્સ. 'આર્ટ હિસ્ટરી'નો પિરીયડ અરુણા રાઠોડ મેડમ લઈ રહ્યાં હતાં. તેઓ ભણાવવાનું અટકાવીને એવા વિદ્યાર્થીઓનાં નામ બોલવા લાગ્યાં, જેમની હાજરી અપૂરતી હતી અને એ કારણે આ વિદ્યાર્થીઓને પરીક્ષાનું ફોર્મ ભરવામાં મુશ્કેલી પડી શકે એમ હતી. કેમ કે, એ સમયે પરીક્ષા આપનાર તમામ વિદ્યાર્થીઓએ એકે એક વિષયના અધ્યાપક પાસે ફોર્મમાં સહી કરાવવી પડતી. આ યાદીમાં મારું પણ નામ હતું. મેં એ પછી મારા સહાધ્યાયી મિત્ર દ્વારા ફોર્મ મોકલાવ્યું હતું, કેમ કે, ચાલુ નોકરી અને એ પણ શિફ્ટની હોવાને કારણે મને ફાવે એમ નહોતું. સવારની કોલેજ અને પછી લેક્ચર- આ બધાની સાથોસાથ શિફ્ટની નોકરી. હું બહુ લાંબું ન ખેંચી શક્યો. અને એક વર્ષ પૂરું કરી, બીજું વર્ષ અધૂરું મૂકીને મેં ફેકલ્ટી ઓફ ફાઈન આર્ટ્સને અલવિદા કરી. એનો રંજ તો ઘણો હતો, પણ એથી વધુ હતો અપરાધભાવ, જે મારા મનમાં ભરવામાં આવેલો. આ કારણે એ પછી ભાગ્યે જ કોલેજ તરફ જવાનું મન થતું. જો કે, મારા સહાધ્યાયીઓનાં પ્રદર્શન યોજાય ત્યારે તેઓ મને યાદ કરતાં, જાણ કરતાં અને હું જતો પણ ખરો. ધીમે ધીમે એ પણ ઘટ્યું. એ પછી 2007માં મેં નોકરી છોડી અને પૂર્ણ સમયનો લેખક બન્યો.

પછીનાં વરસોમાં વિશ્વામિત્રીમાં ઘણો કાદવ બદલાયો, નવા મગરો આવતા ગયા. 'સાર્થક પ્રકાશન' શરૂ થયું અને 'સાર્થક જલસો' પણ.
એક વાર ઉર્વીશ સાથે વાત નીકળતાં મેં ફાઈન આર્ટ્સના મારા કેટલાક અનુભવોની વાત કરી. એણે મને એ લખવા કહ્યું, અને એ લેખ 'સાર્થક જલસો'ના એક અંકમાં પ્રકાશિત થયો. જ્યોતિ ભટ્ટ સર અને જ્યોત્સ્ના મેડમે એ લેખ વાંચીને ખુશી વ્યક્ત કરી ત્યારે મને બહુ આનંદ થયેલો. પેલો આરોપાયેલો અપરાધભાવ તો ક્યારનો નીકળી ગયેલો. પણ જ્યોતિ સર અને જ્યોત્સ્ના મેડમના પ્રતિભાવથી જાણે કે એક આખું વર્તુળ પૂરું થયું હોય એવું લાગેલું.

કાર્યક્રમની વિગત

આ વર્તુળ પૂરા થવાની ફિતરત મારા - અમારા (ઉર્વીશ સહિત) જીવન સાથે જોડાયેલી હોય એમ લાગે છે. એક કારણ એ કે એ સહજપણે બને છે, અને ઘટના બને પછી વર્તુળ પૂરું થયાનું લાગે છે. એ માટેના કોઈ પ્રયત્નો સભાનપણે હોતા નથી. આથી વર્તુળનો પરિઘ પણ વિસ્તરતો રહે છે. મને પૂરા થયેલા લાગતા વર્તુળનો એ પરીઘ હજી વિસ્તર્યો હોવાનું આજે અનુભવાયું.
8 ઓગસ્ટ, 2003ના રોજ વડોદરાના ખ્યાતનામ ચિત્રકાર ભૂપેન ખખ્ખરે વિદાય લીધેલી. એ પછી માર્ચ, 2025માં મેં લખેલી તેમની જીવનકથાનું વિમોચન વડોદરા ખાતે યોજાયું હતું. આ કામ મને સોંપનાર હતા અમરીશભાઈ કોન્ટ્રાક્ટર. પુસ્તકના વિમોચન દરમિયાન અને એ પછી સતત 'સર્જન આર્ટ ગેલરી'ના હીતેશભાઈ રાણા પડખે રહ્યા છે.

પુસ્તકની પ્રક્રિયા વિશે

શ્રોતાઓ

હીતેશભાઈના જ પ્રયત્નોથી આ પુસ્તક વિશેનો વાર્તાલાપ ફેકલ્ટી ઑફ ફાઈન આર્ટ્સ ખાતે યોજાયો. પ્રવર્તમાન ડીન અમ્બિકા મેડમ સાથે મુલાકાત કરી અને તેમણે ભૂપેનની પુણ્યતિથિએ જ આ કાર્યક્રમ યોજવા માટે બહુ ઉત્સાહ દેખાડ્યો. પહેલાં ફાઈન આર્ટ્સ ફેકલ્ટીના વિદ્યાર્થી અને એ પછી ડીન રહી ચૂકેલા દીપક કન્નલ સરે અતિથિવિશેષ તરીકે ઉપસ્થિત રહેવાની સંમતિ આપી. આમ, આજે 8 ઓગષ્ટ, 2025, એટલે કે ભૂપેનની 23મી પુણ્યતિથિએ ફેકલ્ટી ઓફ ફાઈન આર્ટ્સના ઓડિટોરીયમમાં સવારના 11 વાગ્યાથી આ કાર્યક્રમ યોજાઈ ગયો. હીતેશભાઈએ પોતાની પાસે રહેલી ભૂપેનનાં ચિત્રોની પ્રિન્ટ ડિસ્પ્લે કરી, જેથી વિદ્યાર્થીઓ એમના કામથી વાકેફ થઈ શકે. અમે સહેજ વહેલા પહોંચેલા. ઓડિટોરીયમ આખું ખાલી હતું. વિદ્યાર્થીઓ માટેની ખુરશીમાં જઈને ગોઠવાતાં જ પાંત્રીસ વરસ પહેલાંનો એ સમય યાદ આવ્યો કે જ્યારે આ જ ઓડિટોરીયમમાં આર્ટ હીસ્ટ્રીના વર્ગમાં બેઠો હતો અને અરુણા મેડમ બીજા અનેક વિદ્યાર્થીઓ ભેગું મારું નામ બોલ્યાં હતાં. આજે પણ એ જ સ્થાનેથી મારું નામ બોલાવાનું હતું. એક હળવો રોમાંચ મનોમન થઈ આવ્યો. જોતજોતાંમાં વિદ્યાર્થીઓ અને પ્રાધ્યાપકોથી આખું ઓડિટોરીયમ ભરાઈ ગયું અને સમયસર કાર્યક્રમ આરંભાઈ ગયો.

પુસ્તક વિશે વાત કરીએ રહેલા દીપક કન્નલ સર

'મૈત્રીનું તર્પણ એટલે આ પુસ્તક': અમરીશભાઈ

સ્વાગત પછી તરત જ મારે પુસ્તકની પ્રક્રિયા વિશે વાત કરવાની હતી. એ શરૂ કરતાં પહેલાં મેં 35 વર્ષ પહેલાંનું મારું અનુસંધાન સધાયું હોવાનું જણાવ્યું. પ્રક્રિયા વિશે વિગતવાર જણાવ્યા પછી દીપક કન્નલ સર પુસ્તક વિશે બોલવાના હતા. તેમણે આ પુસ્તકને જોઈને પડેલી પહેલી છાપ અને વાંચતા ગયા એમ પોતાને થતી ગયેલી અનુભૂતિની વાત બહુ સરસ રીતે મૂકી. પોતાના આખાબોલાપણા માટે જાણીતા દીપક સરે પુસ્તકનાં સૌંદર્યબિંદુઓ વર્ણવ્યાં એ સાંભળીને મજા આવી ગઈ. તેમણે એમ પણ કહ્યું કે પુસ્તકનો ચોથો ખંડ (ચિત્રોનો આસ્વાદ) ફાઈન આર્ટ્સવાળા માટે ખાસ કામનો નથી. પણ (ફેકલ્ટીમાં) ગુજરાતી વાંચી શકતા હોય એવા તમામ લોકોએ આ પુસ્તક વાંચવું જોઈએ એવી ભલામણ તેમણે કરી.
એ પછી 'સર્જન આર્ટ ગેલરી'ના હીતેશ રાણાએ ભૂપેન સાથેના પોતાના જોડાણની વાત કરી અને સલમાન રશ્દીનું પોર્ટ્રેટ બનાવવા ભૂપેનને લંડન નોંતરેલા એ કિસ્સો રમૂજી ઢબે વર્ણવ્યો. સૌથી છેલ્લે અમરીશભાઈ કોન્ટ્રાક્ટરે પોતાની વાત કરી. પોતાના પિતાજી અને ભૂપેનકાકા વચ્ચેની દોસ્તીનું તર્પણ એટલે આ પુસ્તક એમ તેમણે બહુ લાગણીસભર રીતે, પણ ભારપૂર્વક જણાવ્યું.
નિયત સમયાવધિમાં કાર્યક્રમ પૂરો થયા પછી પુસ્તક ખરીદવામાં પણ વિદ્યાર્થીઓએ ઘણો રસ દેખાડ્યો. એ પછી બહાર ચા-નાસ્તાનું આયોજન કરતાં કરતાં પણ વિવિધ લોકો મળતા રહ્યા.
આમ, ભૂપેન ખખ્ખરની 23મી પુણ્યતિથિએ આયોજિત આ કાર્યક્રમમાં તેમને યથોચિત અંજલિ આપી શકાઈ, સાથોસાથ મારા માટે પણ પેલું વર્તુળ વધુ વિસ્તરેલા સ્વરૂપે પૂરું થયું હોવાનું અનુભવાયું.
આ કાર્યક્રમ આ લીન્‍ક પર ક્લિક કરીને સાંભળી શકાશે. 

(પરિવારજનો કામિની, ઈશાન અને દીકરી શચિ તો ખરાં જ, દોહિત્ર સાર્થ પણ 'નાનાની બુકટોક'માં ઉપસ્થિત રહ્યો- ભલે તેણે ઓડિટોરીયમની બહાર ફરતા 'કેટરપીલર' ગણ્યા કર્યા- એનો બહુ આનંદ)
(તસવીરો: ઈશાન કોઠારી)

Friday, July 25, 2025

રજનીકુમાર પંડ્યા (20): પાત્ર આલેખકથી દોરવાયું

 શબ્દચિત્રો, જીવનચરિત્રોની જેમ રજનીભાઈએ 'ડોક્યુનોવેલ' પણ લખી હતી 'પુષ્પદાહ' અને એથી પહેલાં 'પરભવના પિતરાઈ'. 'ડોક્યુનોવેલ'માં સ્વરૂપ અને શૈલી નવલકથાનાં, પણ વિગતો વાસ્તવિક. 'પુષ્પદાહ'ના મૂળ પ્રણેતા ઈશ્વરભાઈ તેની સિક્વલ લખાવવા ધારતા હતા. રજનીભાઈને તેમણે એ વિશે જણાવ્યું, પણ રજનીભાઈ અતિ વ્યસ્ત હોવાથી તેમણે એ માટે ના પાડી. તેમણે અન્ય એક બે નામ પણ ચીંધ્યાં. (અગાઉ એક પોસ્ટમાં જણાવેલી 'સબ ફૂટ ગયે યહાં સે'...પંક્તિમાં મેં જે ખાલી જગ્યા રાખી છે એમાંનાં એ નામ) આ વાત ચાલતી હતી એ વિશે તેમણે મને જણાવેલું. નવલકથા કે વાર્તા લખવાની મારી ફાવટ નહીં, છતાં મેં પૂછ્યું, 'તમે ના પાડો છો તો હું એ કરું?' મારા મનમાં રજનીભાઈની જરૂરિયાત સ્પષ્ટ હતી, એટલે મને એમ કે હું એમને જરૂરી માળખું કરી આપું તો બાકીનું કામ કરવામાં તેમને સરળતા રહે. તેમણે મને કહ્યું, 'તને 'એચ.એ.એચ.' (એમની એક વાર્તાનો સંદર્ભ, જેમાં એક પાત્રને થાય છે કે 'હું આમાંય હાલું') તો નથી ને?' મેં કહ્યું, 'ગુરુ, તમારી જેમ મનેય ખબર છે કે આ મારી 'લેન' નહીં. પણ મને એમ છે કે હું આટલું કરી દઉં તો પછી તમને બહુ સરળતા રહે.' એ કહે, 'ના. રહેવા દે ને! મેં ઈશ્વરભાઈને બીજાં નામ આપેલાં છે.' ઈશ્વરભાઈએ એ મુજબ સંપર્ક કર્યો હશે, પણ ફાવ્યું નહીં. એટલે હરીફરીને વાત આવી પાછી રજનીભાઈ પાસે. આ વખતે તેમણે જ ઈશ્વરભાઈને મારું નામ સૂચવ્યું. અમે ત્રણે મળ્યા. રજનીભાઈએ એ શરતે તૈયારી બતાવી કે આ કામ હું કરું. એટલે કે માળખાકીય કામ મારે કરવાનું અને પછી એના આધારે તેઓ સિક્વલ લખે. ઈશ્વરભાઈનો મેં ઈન્ટરવ્યૂ કર્યો. એમાં જ રજનીભાઈને અને મને ખ્યાલ આવી ગયો કે સિક્વલમાં બહુ મજા નહીં આવે. રજનીભાઈએ એ મુજબ જણાવ્યું પણ ખરું, છતાં ઈશ્વરભાઈ આગ્રહી રહ્યા. છેવટે થોડા સમય પછી તેમણે આ કામ પડતું મૂકવા કહ્યું અને અમે બન્નેએ હાશકારો અનુભવ્યો.

'પરભવના પિતરાઈ'નો એક કિસ્સો નમૂનેદાર છે, જે એમાં ઉલ્લેખાયેલો છે. સાબરકાંઠા વિસ્તારના આદિવાસીઓ માટે જીવન સમર્પી દેનારા નરસિંહભાઈ ભાવસારના જીવનકાર્ય પર આધારિત આ દસ્તાવેજી નવલકથાના આલેખન માટે રજનીભાઈ એ વિસ્તારમાં ગયેલા અને નરસિંહભાઈની સાથે ફરેલા. આજીવન અપરિણીત રહેનારા નરસિંહભાઈએ વાસ્તવમાં તો પોતાની મરતી માને વચન આપેલું કે પોતે લગ્ન કરશે. એમ વિચારીને કે એ બહાને માને આશ્વાસન મળે અને એનો જીવ ભરાયેલો ન રહે. એટલે આમ જોઈએ તો એમણે મા સાથે વચનભંગ કર્યો ગણાય. આ ઘટના પુસ્તકમાં આલેખતી વખતે રજનીભાઈમાં રહેલો વાર્તાકાર ખીલી ઊઠ્યો. માણસ મરતી મા સાથે વચનભંગ કરે અને એના દિલમાં કશો ખટકો ન હોય એ શી રીતે બને? એટલે એમણે એ 'વચનભંગ'ને ન્યાયી ઠેરવવા એક કાલ્પનિક કિસ્સો ઊમેર્યો. એ મુજબ, નરસિંહભાઈ ખુલ્લા આકાશ નીચે ખાટલો નાખીને સૂતેલા. આકાશમાં દેખાતા અસંખ્ય તારાઓમાંના એકમાં એમણે પોતાની માનો ચહેરો કલ્પ્યો. એની સાથે સંવાદ કર્યો અને પોતે એને આપેલા વચનમાંથી મુક્તિ માગી. આ કાલ્પનિક કિસ્સો લખીને તેમણે નરસિંહભાઈને વંચાવ્યો, જે એમની સંમતિથી પુસ્તકમાં આલેખાયો. પછી?
એ રાતે નરસિંહભાઈએ ખાટલો ખેંચ્યો અને કહ્યું, 'આજે રાતે હું ખુલ્લા આકાશ નીચે સૂઈશ અને મારી મા સાથે સંવાદ કરીશ.' કોઈક ઘટનાનાં પાત્રો વાર્તાકારને દોરે એવું અનેક વાર બન્યું છે, પણ આ કિસ્સે વાર્તાકારે પોતાના પાત્રને દોરવ્યું હતું. ખરેખર! એ રાતે નરસિંહભાઈ ખુલ્લા આકાશ નીચે સૂતા અને પોતાની મૃત મા સાથે સંવાદ સાધવા પ્રયત્ન કર્યો.

Thursday, July 24, 2025

રજનીકુમાર પંડ્યા (19): ભીનું પોતું

'ચિત્રલેખા'માં દર સપ્તાહે તારકભાઈ 'દુનિયાને ઉંધાં ચશ્મા' લખતા ત્યારે એમાં ઘણી વાર વાસ્તવિક પાત્રોને પણ આલેખતા. એક વાર તેમણે એવી એક કથા લખેલી, જેમાં રજનીકુમાર પંડ્યાની ચીઠ્ઠી લઈને ગુણવંત પરબાળા નામનો એક યુવક તારકભાઈ પાસે આવે છે. ચીઠ્ઠીમાં તારકભાઈએ રજનીભાઈની શૈલી બરાબર પકડેલી. કામ અંગેની વિગત પછી લખેલું, 'કશો ભાર રાખતા નહીં.' મતલબ કે કામ ન થાય તો ભાર ન રાખતા. આ વાંચીને અમે રજનીભાઈને પૂછેલું કે તમે આવી કોઈ વ્યક્તિને ખરેખર મોકલેલી? રજનીભાઈએ હસીને કહેલું, 'ના, આ ચોક્કસ વ્યક્તિને નથી મોકલી. પણ તારકભાઈએ મારી શૈલી બરાબર પકડી છે.' રજનીભાઈ માટે તારકભાઈને એટલો ભાવ હતો કે તેમણે આત્મકથામાં લખેલું, '(મુંબઈથી) અમદાવાદ આવવા માટેનાં કારણોમાંનું એક મહત્ત્વનું કારણ એટલે રજનીકુમાર પંડ્યા.' (શબ્દો સહેજસાજ જુદા હોઈ શકે)

રજનીભાઈએ 'આપ કી પરછાંઈયાં'ની પ્રસ્તાવનામાં બિનીત મોદી માટે લખેલું, 'એ મારો મહાદેવ દેસાઈ છે. અલબત્ત, હું ગીતગાંધી નથી.' તારકભાઈને આ યાદ રહી ગયેલું. એટલે અમદાવાદ સ્થાયી થવા આવ્યા એ સાથે જ તેમણે રજનીભાઈ પાસે 'પેલા મહાદેવ દેસાઈ'ની માગણી કરી. એ રીતે બિનીત તારકભાઈ સાથે સંકળાયો અને છેક સુધી એ પરિવારનો આત્મીયજન બની રહ્યો. 'ઉંધા ચશ્મા'ના એ હપતામાં તારકભાઈએ રજનીભાઈના પરિચયમાં લખેલું, 'લાગણીના ઊંડા પાણીમાં તરવું હોય તો રજનીકુમાર પંડ્યા (નાં લખાણો) ટાયરનું કામ આપે છે.' આ એક જ વાક્યમાં તારકભાઈએ રજનીભાઈની શૈલીનો પરિચય કરાવી દીધેલો.
સંવેદનાત્મક લખાણ જરાય નરમનરમ કે પોચકાં મૂક્યા વિના લખવું રજનીભાઈની વિશેષતા હતી. જીવનકથા લખવાના અમારા સંયુક્ત પ્રોજેક્ટમાં અમારા ભાગે જે શ્રમવિભાજન થતું એમાં કથાનાયકની માતા કે જીવનસાથી વિશે લખવાનું રજનીભાઈ જ કરતા. અન્ય આનુષંગિક વિગતોની પૂર્તિ હું કરતો. એકાદ બે વખત એવું બનેલું કે સાવ ટૂંકી સમયમર્યાદામાં અમારે કામ પૂરું કરવાનું હતું. એટલે રજનીભાઈએ મને કહ્યું, 'તું વિગતોથી લેખનું માળખું બનાવી દે. વચ્ચે ખાલી જગ્યા છોડજે. એમાં હું (લાગણીનું) 'ભીનું પોતું' મારી દઈશ. એ પછી આ 'ભીનું પોતું' શબ્દ અમારી વચ્ચે ઠીક ઠીક ચલણી બન્યો. મેં એનુંય એક નામ આપ્યું.
થયેલું એવું કે મારું મકાન બનાવડાવવાનું કામ બે એક વરસ ચાલ્યું એમાં અનેક એજન્સીઓ સાથે કામ પાર પાડવાનું બન્યું. તેઓ 'ડૂઘો' શબ્દ વાપરતા. પ્લાસ્ટર કરવાનું હોય કે ટાઈલ્સ લગાવવાની હોય ત્યારે તેઓ કહેતા, 'પહેલા ડૂઘો મારી દો. પછી કામ શરૂ કરજો એટલે તિરાડો ન પડે.' પૂછતાં સમજાયું કે 'ડૂઘો' એટલે સિમેન્ટના પાણીમાં બોળેલું પોતું. ઘણા 'ડૂઘો ફેરવી દો' એમ પણ કહેતા.
એટલે હું આવા કોઈ પ્રકરણનું માળખું બનાવું પછી રજનીભાઈને કહું, 'લો, હવે તમે ડૂઘો મારી દેજો એટલે પ્રકરણ તૈયાર.' રજનીભાઈ એનો 'ડૂંઘો' ઉચ્ચાર કરતા. કહેતા, 'આ જોઈ લે. મેં ડૂંઘો મારી દીધો છે.' એમનો 'ડૂઘો' ફરતો એ એવો અદ્ભુત હતો કે એ વાંચીને લોકોની આંખ છલકાઈ ઉઠતી. અમે આ શબ્દનું મૂળ શોધવા પ્રયત્ન કરેલો, પણ સફળતા મળી નહોતી. એક જીવનકથાના આલેખન દરમિયાન એને લખાવનારા રજનીભાઈને કામ જલ્દી કરવા ઉતાવળ કરાવતા, લગભગ ધમકીના સ્વરે કહેતા કે પોતે બીજા કોઈકને એ સોંપી દેશે...વગેરે. પણ રજનીભાઈનું લખેલું પ્રકરણ વાંચે ત્યારે આંસુ માંડ ખાળી રાખતા. એકબીજાને કહેતા, 'આ રજનીભાઈ સિવાય કોઈનું કામ નહીં.' અમને આ અભિપ્રાયની જાણ થતી જ, પણ સીધેસીધી નહીં. એટલે અમે હસતા. ક્યારેક એવી મજાક પણ કરતા, જે બાંધકામની પરિભાષામાં રહેતી, 'હવેથી ડૂંઘો બહુ 'તર' નહીં કરીએ. નકામું પાણી દદડે અને ડાઘ પડે.'

Wednesday, July 23, 2025

રજનીકુમાર પંડ્યા (18): વરાળે ઢોકળાં

રાજકોટના સ્વ. રતિભાઈ ગોંંધિયાની જીવનકથા આલેખવાનું કામ રજનીભાઈને સોંપાયું એ અગાઉ અમે બન્નેએ અમારા જોડાણ થકી એક પ્રોજેક્ટ સફળતાથી પૂરો કર્યો હતો. આથી આ પ્રોજેક્ટમાં પણ મને તેમણે સાથે લીધેલો. તેઓ રાજકોટ પહોંચી ગયેલા અને ત્યાં જ મહિનોમાસ રોકાયા હશે. મારી નોકરી ચાલુ હોવાથી હું એક અઠવાડિયાની રજા લઈને ગયેલો. હું ત્યાં હતો એ દરમિયાન રતિભાઈ જે સ્થળો કે વ્યક્તિઓ સાથે સંકળાયેલા એ સૌની મુલાકાતનું આયોજન ગોઠવાયેલું. રજનીભાઈની ઈચ્છા એવી કે એ બહાને હું તળ કાઠિયાવાડ ફરું, અને એ પણ એમની સાથે. અમારો ઉતારો પણ (ત્યારની) ગોંધિયા હોસ્પિટલ'માં હતો. અમારા માટે એક એમ્બેસેડરની વ્યવસ્થા હતી. અમારી સાથે રાજકોટના શ્રી ધનસુખભાઈ, ડ્રાઈવર મુકેશ હતા. (રજનીભાઈનાં પત્ની) તરુબહેન પણ સાથે હતાં. અમે ત્રણે પાછલી સીટમાં બેસતાં. વચ્ચે રજનીભાઈ, એમની એક તરફ તરુબહેન અને બીજી તરફ હું. ધનસુખભાઈ આગળ બેસતા. ડ્રાઈવિંગ ન કરવાનું હોવાથી બહુ નિરાંત રહેતી. આખે રસ્તે અનેક પ્રકારની વાતો, રમૂજ સતત ચાલ્યા કરતાં. ધનસુખભાઈ ત્યારે સીત્તેરેકના હશે, પણ એટલા ચપળ કે કાર ઊભી રહે અને અમે હજી બહાર નીકળીએ એ પહેલાં તો તેઓ ઊતરીને આગળ જઈને સામેની વ્યક્તિ સાથે વાત કરી રહ્યા હોય. રજનીભાઈએ એમને કહ્યું, 'તમે ચકલી જેવા ચપળ છો. ફર્રર્ર કરતાંકને પહોંચી જાવ છો.'

અનેક સ્થળોએ અમે ફર્યા. અમે બન્ને હોવાથી કામ વહેંચાઈ જતું. ઈન્ટરવ્યૂ લેવા માટે પણ અમે માણસોને વહેંચી લેતા. અમુકની સાથે તેઓ વાત કરે, અને અમુકની સાથે હું. મારું કામ પતે પછી હું એ સ્થળ અને વ્યક્તિઓના ફોટા પણ લઈ લેતો.
રજનીભાઈ ત્યાં હતા એ જ સમયે તેમને રાજકોટની 'રાજબૅન્ક'ના દસ્તાવેજીકરણનું કામ પણ સોંપાયું. મારું જવાનું એ પછીના અરસામાં ગોઠવાયેલું. એટલે હું રહ્યો એ દરમિયાન અમે 'રાજબૅન્ક'ને લગતા ઈન્ટરવ્યૂ પણ કરતા. સમયનું વ્યવસ્થાપન એ રીતે કરાતું કે બધું સરસ રીતે ગોઠવાઈ જાય. રતિભાઈના કામ માટે હું ત્યાં ગયેલો, અને સાથે 'રાજબૅન્ક'નું કામ પણ થતું એટલે રજનીભાઈ કહેતા, 'તારે તો વરાળે ઢોકળાં બફાય છે.' આ શબ્દપ્રયોગ મને એવો ગમી ગયો કે પછી હું એનો ઘણી વાર ઉપયોગ કરતો. એક વાર મારે એક પુસ્તક વિશે બોલવા જવાનું હતું. હું સહેજ વહેલો પહોંચવાનો હતો એ જાણીને ત્યાંની એક સંસ્થાના પરિચીત સંચાલકે મને પોતાની સંસ્થામાં મુલાકાતે આવવા વિનંતી કરી. મેં હા પાડી અને મનમાં કહ્યું, 'તમે વરાળે ઢોકળા બાફી લીધા.' પછી તો આ શબ્દપ્રયોગના જુદા જુદા ઊપયોગ અહીં ફેસબુકની કમેન્ટોમાં પણ કરાતા. 'કોકની વરાળ અને આપણાં ઢોકળાં' એમાંનો સૌથી પ્રચલિત.

Tuesday, July 22, 2025

રજનીકુમાર પંડ્યા (17): મુંબઈના મિત્રો

રજનીભાઈ સાથે બહાર જવાનું બને ત્યારે જાતભાતની વાતો થાય, વિવિધ લોકોને મળવાનું બને, એમ લોકોના અને એમની પ્રકૃતિનાં વિવિધ પાસાં પણ જોવા મળે. મુંબઈમાં પછીના ગાળામાં તેમના મિત્ર બનેલા એડવોકેટ ગિરીશભાઈ દવે પોતાની કાર અને ડ્રાઈવરને મોકલી આપતા. એ જ રીતે તેમનો ઉતારો મિત્ર બદરૂદ્દીન બોઘાણીને ત્યાં રહેતો. બોઘાણીસાહેબ એકલા જ હતા. તેમનાં સંતાનો વિદેશમાં તેમજ મુંબઈમાં અન્યત્ર રહેતા. એક વખત રજનીભાઈ સાથે હું પણ બોઘાણીસાહેબને ત્યાં ઊતર્યો. સામાન્ય રીતે મુંબઈમાં મારો ઊતારો મારા કાકા શૈલેષ પરીખને ત્યાં રહેતો.

બોઘાણીસાહેબના પિતાજી હબીબ ખાંભાવાળાના નામે પ્રસંગકથાઓ લખતા, જે વાર્તાત્મક રહેતી. બોઘાણીસાહેબ પણ જબરા વાતરસિયા. દિવસે તો રજનીભાઈ અને હું કામ માટે ફરતા રહ્યા. રાત્રે ઘેર આવીને તેમણે બોઘાણીસાહેબને કહ્યું, 'બીરેનને તમે પેલી એક બે વાત કહો.' એ પછી બોઘાણીસાહેબે વાત માંડી. એમનું કથન અને વાર્તારસ એટલો પ્રબળ હતો કે આપણે જાણે કે એ આખી ઘટનાનું પાત્ર હોઈએ એમ લાગે. યાદશક્તિના આધારે પછી એ આખી વાત મેં મારા બ્લૉગ પર લખેલી. એમણે બીજી ત્રણ-ચાર વાતો કરેલી. મને થયું કે એમની વાતો રેકોર્ડ કરી લેવી જોઈએ અને પછી એનું આલેખન કરવું જોઈએ. એ જો કે, થઈ શક્યું નહીં, પણ બોઘાણીસાહેબને મારા માટે એક પ્રકારનો ભાવ થઈ ગયેલો. એ પછી તેઓ મને ફોન કરતા અને ફોનમાં એ ઘટનાઓના ડાયલોગ જણાવતા. એમનો ફોન આવે એટલે મોટે ભાગે હું ઊપાડતો જ, કેમ કે, બોઘાણીસાહેબે કહેલું એક વાક્ય રજનીભાઈના અને મારા હૃદયની આરપાર નીકળી ગયું હતું. એકલતા કેવી અઘરી ચીજ છે એનો ખ્યાલ આવેલો. એમણે કહેલું, 'રોજ સાંજે વૉક માટે ઘરની બહાર નીકળું છું. પાછો આવીને તાળું ખોલું છું. ક્યારેક એમ થશે કે તાળું ન પણ ખોલી શકું.' થોડા વરસ પછી તેમનું અવસાન થયેલું ત્યારે રજનીભાઈએ અને મેં ફોન પર એમની ઘણી વાતો કરેલી.
મુંબઈની એ મુલાકાતમાં એક ભાઈને કંઈક કામ અંગે રજનીભાઈને મળવું હતું. એમણે મુંબઈની રીતરસમ અનુસાર 'ગરવારે ક્લબ'માં અમને નિમંત્ર્યા. ગિરીશભાઈના વાહનમાં અમે બન્ને ત્યાં પહોંચ્યા. અંદર પ્રવેશ્યા તો ઘોંઘાટ, ધુમાડો અને આછા અંધારાનો માહોલ. એક ટેબલ પર અમે ગોઠવાયા. વાનગીઓ મંગાવી અને વાત શરૂ થઈ. પણ અમારી સામેના એક મોટા ટેબલ પર આઠ દસ મહિલાઓ બેઠેલી. તેઓ એટલી મોટેથી વાતો કરી રહી હતી કે અમને વાત કરવામાં બહુ મુશ્કેલી પડતી હતી. થોડી વાર તો અમે એ સહન કર્યું, પણ પછી અમને એકબીજાનો અવાજ સંભળાય નહીં એ હદે તેમની વાતોનું વોલ્યુમ વધ્યું. રજનીભાઈ ઊભા થયા અને કહે, 'હું એમને કહું છું.' આ જોઈને અમારા યજમાન ગભરાયા. એમણે રજનીભાઈને વારવા પ્રયત્ન કર્યો. પણ રજનીભાઈ કહે, 'તમે ચિંતા ન કરો. કશું નહીં થાય.' પેલા ભાઈ રીતસર ગભરાયા અને કહે, 'તમે રહેવા દો. નકામો ઝઘડો થશે.' પણ રજનીભાઈ પેલા ટેબલ સુધી પહોંચી ગયેલા. અમારા યજમાન ઊંચા શ્વાસે એ તરફ જોઈ રહ્યા હતા. મેં એમને કહ્યું, 'ચિંતા ન કરો. કશું નહીં થાય.' પણ એમને વિશ્વાસ નહોતો બેસતો. રજનીભાઈ કશીક વાત કરતા હતા એ અમને દેખાતું હતું, પણ સંભળાતું નહોતું. પેલી બહેનો પણ હસીને તેમની સાથે વાત કરી રહી હતી. થોડી વારમાં તેઓ પાછા આવ્યા. પેલા ટેબલ પરથી અવાજ સાવ તો બંધ ન થયો, પણ ઓછો અવશ્ય થયો. અમે શાંતિથી પછીની વાત કરી શક્યા. આ જોઈને પેલા યજમાનભાઈને રજનીભાઈ માટે 'એન.ઓ.બી.' થઈ ગયું. એકદમ અહોભાવથી કહે, 'સાહેબ, તમે એવું તો શું કહ્યું? મને તો એમ કે આજે ઝઘડો જ થઈ જશે.' રજનીભાઈ હસીને કહે, 'મેં કહ્યું કે જુઓ બહેનો, હું તમારા પિતાની ઉંમરનો છું. અને તમને એક વિનંતી કરું છું.' બસ, એમના આ વાક્યે ધારી અસર નીપજાવી. અલબત્ત, પેલી બહેનોએ હસીને કહ્યું, 'અંકલ, અમે પ્રયત્ન કરીશું, પણ લેડીઝ છીએ એટલે વાતો તો થવાની જ.' રજનીભાઈએ કહેલું, 'તમે વાતો કરજો, કેમ કે, તમે એના માટે જ આવ્યા છો, એમ અમનેય કરવા દેજો, કેમ કે, અમેય એના માટે આવ્યા છીએ.' શબ્દો કદાચ આ નહીં તોય ભાવ આવો. એ પછી અમે મુખ્ય વાત કરી અને છેવટે જવા નીકળ્યા. એ વખતે રજનીભાઈ ફરી એક વાર પેલા ટેબલ પાસે જઈને બહેનોને 'થેન્ક યુ' કહી આવ્યા. પેલી બહેનોએ પણ એમને 'આવજો, અંકલ' કહીને વિદાય આપી. આ જોઈને અમારા યજમાનને રજનીભાઈ માટે નવેસરથી 'એન.ઓ.બી.' થયું.
(એન.ઓ.બી. એટલે 'ન ઓળખ્યા ભગવંતને'નું રજનીભાઈએ બનાવેલું ટૂંકું રૂપ)

Monday, July 21, 2025

રજનીકુમાર પંડ્યા (16): તું કહે છે તો એમ જ હશે

રજનીભાઈ સાથે 2002માં પહેલવહેલી વાર હું ચરિત્રલેખનના કામ અંગે સંકળાયો એ પછીના એમને મળેલા દરેક કામમાં મારી ભૂમિકા નિશ્ચિત બની રહેલી. એમાં સહેજ વધારો થયો મુંબઈના ઉદ્યોગપતિ નવનીતરાય આર. ત્રિવેદીની જીવનકથાના લેખનથી. ત્રિવેદીસાહેબ મુંબઈ રહેતા, રજનીભાઈ અમદાવાદ અને હું વડોદરા. ત્રિવેદીસાહેબ સાથે પ્રાથમિક ઈન્ટરવ્યૂ કર્યા પછી નક્કી એવું થયું કે ત્રિવેદીસાહેબ જાતે જ સ્વકથન બોલતા જાય અને કેસેટમાં રેકોર્ડ કરતા જાય. રજનીભાઈએ લીધેલા- રેકોર્ડ કરેલા તમામ ઈન્ટરવ્યૂનું લિપ્યાંતર/Transcription કરવાનું મારા ભાગે હતું. આથી ત્રિવેદીસાહેબ એક એક કેસેટ રેકોર્ડ કરીને મને વડોદરા મોકલતા જાય. હું એમના કથનને કાગળ પર ઊતારું, એને વિષયવાર શિર્ષક આપું, કોઈ સવાલ ઊભો થાય તો એ એમને મોકલું, જેથી તેઓ પછીની કેસેટમાં એનો જવાબ રેકોર્ડ કરીને મને મોકલે. કેસેટવાર તૈયાર થયેલી આ સ્ક્રીપ્ટ હું રજનીભાઈને મોકલું અને એ સામગ્રી પરથી તેઓ જીવનકથાનાં પ્રકરણ લખે. એકલા એકલા બોલવામાં સહેજ આરંભિક મુશ્કેલી પછી ત્રિવેદીસાહેબને પદ્ધતિ ફાવી ગઈ. રજનીભાઈએ એમ રાખેલું કે એક વાર થોડી સામગ્રી એમની પાસે એકઠી થઈ જાય એ પછી જ તેઓ એ વાંચશે અને લેખનનું કામ શરૂ કરશે. આથી એક ચોક્કસ સમયગાળામાં ત્રિવેદીસાહેબના જીવનની, એમણે જણાવેલી તમામ વિગત મને લગભગ મોઢે થઈ ગયેલી. એમની જીવનકથા પણ બહુ ઊતારચડાવવાળી હતી.

એવામાં એક તબક્કે ત્રિવેદીસાહેબનું અમદાવાદ આવવાનું ગોઠવાયું. હજી રજનીભાઈ તેમની સામગ્રીમાંથી પસાર થયા ન હતા. આથી મારે પણ એ મુલાકાત દરમિયાન હાજર રહેવું એમ ઠરાવાયું. ત્રિવેદીસાહેબ રજનીભાઈને ત્યાં આવે એ અગાઉ અમે થોડી પ્રાથમિક ચર્ચા કરી લીધી. એ પછી ત્રિવેદીસાહેબ આવ્યા. જીવનકથાની વાત ગૌણ હતી, કેમ કે, એ કામ હજી ચાલી રહ્યું હતું, છતાં એના વિશે વાત તો કરવી પડે ને! એટલે અમારા પૂર્વઆયોજન મુજબ રજનીભાઈએ વાત શરૂ કરી. એ પછી વાતમાં હું દાખલ થયો અને મેં સવિસ્તર અહેવાલ આપ્યો. ત્રિવેદીસાહેબ એકદમ સ્તબ્ધ! પોતે જે સ્વકથન રેકોર્ડ કરીને મોકલ્યું છે એને અમે લોકોએ આ હદે હૃદયસ્થ કરી લીધું છે એ એમના માટે પરમ આશ્ચર્ય હતું. રજનીભાઈ તો બરાબર, પણ મનેય એ બરાબર યાદ છે એ જાણીને એમને નવાઈ લાગી. એ કહે, 'તમારી કામની પદ્ધતિ શી છે? મને બહુ નવાઈ લાગે છે!'
એ પછી અમારે નજીકની એક હોટેલમાં ભોજન માટે જવાનું હતું. અમે ત્રણે ત્યાં જવા નીકળ્યા. હોટેલની લિફ્ટમાં ચડીને અમે બહાર નીકળતા હતા ત્યારે ત્રિવેદીસાહેબ મારી નજીક આવ્યા અને પૂછ્યું, 'બીરેન, મને પહેલો હાર્ટ એટેક ક્યારે આવેલો?' મેં કહ્યું, '1994માં.' એ કહે, '1993માં નહીં?' મેં કહ્યું, 'ના. 1993માં તો તમે ભારત આવ્યાની રજતજયંતિ ઊજવેલી. એ પછીના વરસે તમે પ્રવાસે ગયા અને એ દરમિયાન તમને એટેક આવેલો.' ત્રિવેદીસાહેબે રીતસર પોતાનો કાન પકડ્યો અને કહે, 'યુ આર રાઈટ. આઈ મે બી રોન્ગ, બટ યુ નો એવરિથિંગ અબાઉટ મી.' આ વાતચીત દરમિયાન રજનીભાઈ આગળ નીકળી ગયેલા.
જમીને ત્રિવેદીસાહેબે વિદાય લીધી એ પછી મેં રજનીભાઈને આ બાબત જણાવી. અમે બન્ને આખી ઘટના યાદ કરી કરીને બહુ હસ્યા. રજનીભાઈએ કહ્યું, 'કાલે ઉઠીને ત્રિવેદીસાહેબને કશું થાય અને ડૉક્ટર આવીને તેમનું નિદાન કરે તો તેઓ કહેશે- પેલા બીરેનને બોલાવો. એ કહે કે હું જીવતો છું તો હું જીવતો હોઈશ.' એ પછીની અમારી અનેક વાતચીતમાં આ ઘટના એક સંદર્ભબિંદુ બની રહી. એના સંવાદ જુદા જુદા રહેતા. જેમ કે, (ત્રિવેદીસાહેબ કહે છે‌) 'ભાઈ બીરેન, જરા જો ને. મારી નાડી આમ તો ધબકે છે, પણ તું કહે એ ફાઈનલ.' ક્યારેક એવો સંવાદ થાય, '(બીરેન કહે), 'માફ કરજો, ત્રિવેદીસાહેબ, આપની નાડી ધબકતી છે, પણ આપ જીવતા નથી.' અને ત્રિવેદીસાહેબ સ્વીકારના ભાવ સાથે કહે, 'સારું, ભાઈ. તું કહે છે તો એમ જ હશે.' હવે ત્રિવેદીસાહેબ નથી રહ્યા, પણ એક વાર અમારી આ મજાક અમે એમનેય કહેલી.
વખતોવખત અમે આ વાત યાદ કરતા અને જુદી જુદી પરિસ્થિતિઓમાં એને સાંકળીને હસતા. એ હદે કે આગળ જતાં આ ઘટનાબીજને કેન્દ્રમાં રાખીને તેમણે 'મેમરી ટ્રેઝર' નામની વાર્તા લખી. 'સાર્થક જલસો'ના અંક નં. 13માં 'વ્યાવસાયિક ચરિત્રલેખન વિશેના મારા લેખ પછી અમે ખાસ એ વાર્તા છાપી, સાથે રજનીભાઈને વિનંતી કરી કે એની સર્જનપ્રક્રિયા તેઓ લખે. તેમણે બહુ ઊલટથી એ લખી આપી, એટલું જ નહીં, એ વાર્તાનું મૂલ્યાંકન કરીને એ 'પરફેક્ટ વાર્તા' નથી એમ પણ લખ્યું.

Sunday, July 20, 2025

રજનીકુમાર પંડ્યા (15): સંગીતપ્રેમીઓની ત્રણ શ્રેણીઓ

 જાણક, માણક અને મારક. અગાઉ ઉર્વીશે લખ્યું છે એમ સંગીતપ્રેમીઓના આ ત્રણ પ્રકાર રજનીભાઈએ પાડેલા. 'આપ કી પરછાઈયાં'ની પ્રસ્તાવનામાં એનો ઉલ્લેખ છે. તેમણે એમ પણ લખ્યું છે કે કોઈ એક જ વ્યક્તિમાં આ ત્રણે વારાફરતી થઈ શકે. મતલબ કે એવું જરૂરી નથી કે આ ત્રણે શ્રેણીની વ્યક્તિ અલગ અલગ હોય.

આ પ્રકાર વિશે અમે પહેલી વાર જાણ્યું ત્યારે હજી સંગીતપ્રેમીઓના વિશ્વમાં અમારો પ્રવેશ થયેલો. એમના પ્રકાર-પેટાપ્રકાર વિશે ખાસ જાણ નહોતી, જે ધીમે ધીમે થતી ગઈ. આ પેટાપ્રકારભેદ કોઈ સંપ્રદાયની વાડાબંધીથી જરાય ઉતરતો નહીં. ચાહકો ઉગ્ર અવાજે પોતાના પ્રિય કલાકાર વિશે દલીલો કરે અને અન્ય કલાકારને નીચે દેખાડવા જાય. રજનીભાઈની હાજરી હોય ત્યારે આવા પેટાસંપ્રદાયો નિયંત્રણમાં રહેતા. એક વખત પ્રભાકર વ્યાસ 'તાલિબાને' રજનીભાઈની અને મારી હાજરીમાં કાનપુરના હરમંદિરસીંઘ 'હમરાઝ' વિશે સહેજ ઘસાતું બોલવાનો પ્રયત્ન કર્યો. આથી અમે બન્ને ઊકળી ઉઠ્યા, અને 'તાલીબાન'ને બરાબર ધમકાવ્યા. કેમ કે, 'હમરાઝે' જે કક્ષાનું કામ કર્યું છે એ બાબતે સૌ કોઈ એકમત છે. અમે બન્ને એમને બહુ જ આદરથી જોતા. આથી અમારો આક્રોશ જોઈને 'તાલિબાન' ઠંડા થઈ ગયા અને એ બાબતે વધુ દલિલ કરવાનું માંડી વાળ્યું.
મિત્ર ચંદ્રશેખરભાઈ વૈદ્યે કે.જે.શુક્લસાહેબનો ઉલ્લેખ કર્યો છે. ચંદ્રશેખરભાઈ વૈદ્ય સાથેનો અમારો પરિચય 'ગ્રામોફોન ક્લબ' થકી થયો હતો. તેમનું આટલું લાંબું નામ અને પાછળ 'ભાઈ' લગાવવાનું. આથી રજનીભાઈએ ટૂંકાવીને એમની મંજૂરીથી જ 'શેખરભાઈ' કરી દીધું. એ જ રીતે 'ગ્રામોફોન ક્લબ'ના તત્કાલીન પ્રમુખ હતા અરવિંદ દેસાઈ. 'ગ્રેસ' અને 'પ્રભાવ'નું આબેહૂબ મિશ્રણ. જાણકાર પણ એટલા જ. કોઈ પણ બાબતે મતભેદ હોય ત્યાં અરવિંદભાઈ પોતાનો નિર્ણય જણાવે એટલે પછી એનો વિરોધ ન હોય. બસ, વાત પૂરી. એમનો આવો પ્રભાવ જોઈને રજનીભાઈએ એમનું નામ રાખ્યું 'મહાબલિ'. આ નામ એટલું સર્વસ્વીકૃત થઈ ગયું કે ખુદ અરવિંદભાઈએ પણ એ સ્વીકારી લીધેલું. અરવિંદભાઈ પ્રેમ વરસાવવામાં પણ એટલા જ ઉદાર. ઉર્વીશની દીકરી આસ્થાના જન્મદિન 1 જાન્યુઆરીએ સવારમાં પહેલો જ ફોન એમનો હોય. એક વખત એ ફોન મારા પપ્પાએ ઊપાડ્યો. સામેથી કહેવાયું હશે, 'હું અરવિંદ દેસાઈ.' પપ્પાએ બહુ સહજતાથી કહ્યું, 'હા, બોલો મહાબલિ.' પછી તરત પપ્પાને ખ્યાલ આવ્યો હશે એટલે તેમણે કદાચ 'સોરી' કહેવાનો પ્રયત્ન કર્યો, પણ મહાબલિ કોને કહ્યા! એ દિલ ખોલીને હસી પડ્યા.
કે.જે.શુક્લસાહેબ સંગીતના એવા ઘાયલ કે અમુક ગીત વાગે કે વિલંબીત ગતિએ બોલે, 'ચીરે છે....રજનીભા...આ....ઈ, ચીરે છે.' મતલબ કે આ ગીત દિલને ચીરી નાખે એવું છે. આથી રજનીભાઈએ એમનું નામ રાખી દીધું 'ચીરે છે.' વાતચીત આવી કંઈક થાય, 'આજે 'ચીરે છે'નો ફોન હતો.'

અરવિંદભાઈના અકાળ અવસાન પછી મહેશભાઈ પ્રમુખ બન્યા. મહેશભાઈ અને ગીતાબહેન રજનીભાઈને બહુ આદર આપતા. ગ્રામોફોન ક્લબના સૌ સભ્યો રજનીભાઈ માટે બહુ પ્રેમ રાખતા. છેક સુધી એ પ્રેમસંબંધ જળવાયેલો રહ્યો.
ફિલ્મસંગીતના પ્રેમીઓમાં એક પેટાપ્રકાર સંગ્રાહકોનો પણ ખરો. રજનીભાઈ સંગ્રાહક ખરા, પણ તેઓ પહેલા તો માણક હતા. અને બીજું, પોતાનો ખજાનો તેઓ વહેંચવામાં માનતા, નહીં કે એની પર સાપ બનીને બેસી જવામાં, જે મોટા ભાગના સંગ્રાહકોનું લક્ષણ હોય છે.

Saturday, July 19, 2025

રજનીકુમાર પંડ્યા (14): રીક્ષા કરવાની, પણ બેસવાનું નહીં

રજનીભાઈ પાસે શરૂઆતમાં ફિયાટ કાર હતી. એના હેન્ડ ગિયર હતા. સૌરાષ્ટ્રના એક પ્રવાસ દરમિયાન મેં ઈચ્છા વ્યક્ત કરી કે મને આ ચલાવવા દો. એ વખતે મારી પાસે કાર આવી ગયેલી અને મને ડ્રાઈવિંગ ફાવતું હતું. રજનીભાઈએ મને હેન્ડ ગિયર શી રીતે પાડવા એ સમજાવ્યું અને કાર ચલાવવા આપી. મેં થોડે સુધી ચલાવી લીધી. કાર ચલાવતાં એમની પર અનેક ફોન કોલ્સ આવતા રહે. રજનીભાઈ એકે એક ફોનના જવાબ આપે. ક્યારેક કાર બાજુમાં ઊભી રાખીને ટેક્સ્ટ મેસેજ કરે. આ બધું ચાલતું રહેતું.

પછી થોડા સમયે તેમણે ફિયાટ કાઢીને ઝેન કાર લીધી. મારી પાસે પણ ઝેન જ હતી. આથી આવા એક પ્રવાસ દરમિયાન મેં કહ્યું કે તમે બાજુએ બેસો અને મને કાર ચલાવવા દો. તેઓ સૌને કહેતા એમ મને પણ કહ્યું, 'મને કાર ચલાવવી ગમે છે.' પછી કહે, 'મોટી ઉંમરે કાર મળી છે ને..એટલે..' મેં કહ્યું કે ભલે તમને ડ્રાઈવિંગ ગમતું હોય, પણ આપણે સાથે હોઈએ ત્યારે કાર હું જ ચલાવીશ. આખરે તેમણે નમતું જોખ્યું અને મને કાર આપી. તે બાજુની સીટમાં ગોઠવાયા. હવે એમના બન્ને હાથ ખુલ્લા હતા. આગળ ધ્યાન રાખવાનું ન હતું. તેમને મજા આવી ગઈ. એ કહે, 'આ તો મજા આવે છે. સરસ ફાવે છે.' મેં કહ્યું, 'એટલે તો હું તમને કહેતો હતો.' આ સુવિધા એમને એટલી ફાવી કે વારેવારે એ બાબતે આનંદ વ્યક્ત કરે. એથીય આગળ એમણે એક ગીત આ પરિસ્થિતિને અનુરૂપ યાદ કર્યું. 'બહોત શુક્રિયા, બડી મહેરબાની...' પછી કહે, 'મેરી કાર મેં હુજુર આપ આયે...' એ ગીતને આગળ વધારતાં ગણગણ્યા, 'કદમ ચૂમ લું યા આંખે બિછા દૂં' તેઓ આવું બોલ્યા એટલે મેં એમની સામે જોયું. એ અર્થમાં કે 'કદમ ચૂમ લું' શી રીતે આવે? એટલે તેઓ કહે, 'કદમ ચૂમ લું' એટલે 'મેરે કદમ'.' પોતાના કદમ શી રીતે ચૂમાય એવી ચેષ્ટા એમણે કરી બતાવી એટલે અમે બેય બરાબર હસ્યા.
બહાર જઈએ ત્યારે અજાણ્યા સરનામે જવાનું હોય એ વખતે એમની આદત એવી કે એક રિક્ષાવાળાને રોકી લેવાનો. એને પૂછી લેવાનું કે સરનામું જોયું છે? એ હા પાડે એટલે એને આગળ કરવાનો અને પાછળ પોતે કાર ચલાવતા આવે. એક વાર અમે સુરત ગયેલા. કાર હું ચલાવતો અને તેઓ બાજુમાં બેઠેલા. અમારે ક્યાંક જવાનું હતું. એક જગ્યાએ રીક્ષાઓ ઊભેલી જોઈ એટલે મેં કાર ઊભી રાખી. રજનીભાઈએ કાચ ઊતારીને સરનામું પૂછ્યું અને એક રીક્ષાવાળાને આવવા કહ્યું. રજનીભાઈ અતિશય ઝડપથી બોલતા એ પેલાને સમજાતું નહીં અને રીક્ષાવાળો દક્ષિણ ગુજરાતી બોલે એ રજનીભાઈને સમજતાં વાર લાગતી. રીક્ષાવાળો કહે, 'ટમે આમ ઠઈને આમ વરી જજો એટલે એમ બાવલું આવસે...' આમ કહીને એ બન્ને હાથ અદબમાં વાળતો. એક તો એ રીક્ષાવાળો ઊંચો અને એણે વાત કરવા નીચું નમવું પડતું. એમાં એ આવી એક્શન કરી દેખાડે. મને એક બાજુ બરાબર હસવું આવે. છેવટે અમે નક્કી કર્યું કે રીક્ષાવાળો આવવા તૈયાર નથી, કેમ કે, એને આ સ્કીમ સમજાતી નથી. એટલે આપણે એની નિશાનીએ આગળ વધીએ. અમે વિચારતા હતા કે 'બે હાથે અદબ વાળેલું 'એમ બાવલું' આવશે એ આપણી નિશાની. સહેજ આગળ જઈને અમે વળ્યા અને સ્વામી વિવેકાનંદનું પૂતળું દેખાયું. ઓહોહો! હવે અમારા મગજમાં અજવાળું થયું કે 'એમ બાવલું' એટલે આ. સહેજ વાર કારને બાજુએ ઊભી રાખીને અમે બરાબર હસ્યા. એ પછી આગળ વધતાં બીજાં જાણીતા નેતાઓનાં બાવલા વિશે પેલો રીક્ષાવાળો શી રીતે નિશાની દેખાડે એની કલ્પના કરતા રહ્યા. જેમ કે, બાબાસાહેબનું બાવલું હોય તો એ આંગળી ચીંધતું બાવલું બતાવે, ગાંધીજીનું હોય તો એ લાકડીથી ચાલવાની નિશાની કરે.. વગેરે.
એ નિશાની અમારા માટે તો કાયમી સંદર્ભબિંદુ બની, પણ મુંબઈ જાઉં ત્યારે મારી કઝીન પૌલા કાયમ મારી પાસે એ ડાયલોગ હજી બોલાવે છે.

Friday, July 18, 2025

રજનીકુમાર પંડ્યા (13): બે સંપ્રદાયો

 જૂનાં હિન્દી ગીતો માટેના પ્રેમે રજનીભાઈ સાથેના સંબંધમાં સિમેન્ટીંગનું કામ કર્યું. ગીતો ગમતાં, પણ એ માટેનાં અમારાં કારણો સાવ અલગ અલગ. તેમનું મુખ્યત્વે અંગત અને અતીતરાગી જોડાણ, જ્યારે અમારે એવું કોઈ જોડાણ નહીં, અને વિશુદ્ધ ગુણવત્તાને કારણે અમને એ ગમતાં. ગીત સાથે રજનીભાઈને એની આસપાસની તમામ વિગત યાદ રહેતી. વિડીયો કેસેટોનો જમાનો હતો ત્યારે એમની પાસે અનેક ગીતોની વિડીયો ઉપલબ્ધ રહેતી. અમારી રુચિ મુખ્યત્વે રેડિયો સાંભળીને ઘડાયેલી. આથી અમે એમને કહેતા, 'આપણું સાધ્ય એક છે, પણ સંપ્રદાય જુદા છે. તમે વિડીયો સંપ્રદાયના, અને અમે ઓડિયો સંપ્રદાયના.'

અમારી એવી દૃઢ માન્યતા કે ગીતની વિડીયો જોતાં જોતાં એને સાંભળીએ તો ગાયકી અને સંગીતની બારીકીઓ નજરઅંદાજ થઈ જાય છે અને હીરો-હીરોઈનની અદાયગી પર વધુ ધ્યાન રહે છે. રજનીભાઈને ત્યાં અનેક મિત્રો આવતા અને વિડીયો ગીતોની મહેફિલ યોજાતી. અમને એમાં બહુ રસ ન પડતો. એક તો ખાસ રાત રોકાવું પડે, અને મુખ્ય બાબત એ કે અમારો સંપ્રદાય જુદો.
એવાય અમુક મિત્રો હતા કે જે આર્થિક રીતે સંપન્ન હોવા છતાં એમની પાસે પોતાનું ટેપરેકોર્ડર સુધ્ધાં નહોતું. પ્રાથમિકતા, બીજું કંઈ નહીં! તેઓ પોતાને જૂના હિન્દી ફિલ્મોના 'ઘરેડ' ચાહક ગણાવે એ જોઈને અમને હસવું આવતું. આગળ જતાં તેઓ જૂનાં ગીતોની કોઈક ક્લબના સ્થાપક પણ બનેલા.
પણ આ ચાહકોમાં સાવ નોખા તરી આવતા હતા જાફરહુસેન મન્સુરી. અમદાવાદના પોપટિયાવાડમાં લતીફની બાજુમાં એમનું નિવાસસ્થાન. કરિયાણાની હાટડી. લોકો પચાસ પૈસા રૂપિયાનાં પડીકાં એમની દુકાનેથી બંધાવે એવો 'સંપન્ન' ગ્રાહકવર્ગ, પણ જાફરભાઈની જૂના ગીતો બાબતે સમૃદ્ધિ ગજબની. એમની પ્રકૃતિ પણ વિશિષ્ટ. બીડી પીતા. અનેક વિગતો એમને જબાની યાદ, અને એમની વિશિષ્ટ પોપટિયાવાડની બોલીમાં એ વિગતો પીરસે. ચા માટેનો એમનો પ્રેમ હજી સુધી મેં બીજા કોઈનો જોયો નથી. મેં સાંભળેલી વાત છે કે એક રાતે રજનીભાઈને ત્યાં સૌ ભેગા થયેલા. ગીતો વાગતાં હતાં. રાતના દોઢેક થયો એટલે જાફરભાઈને ચાની તલપ લાગી. રજનીભાઈએ એમને કહ્યું કે ફ્રીજમાં જુઓ. દૂધ હશે. ચા બનાવી લો. જાફરભાઈ ઊભા થયા, ફ્રીજ ખોલ્યું, પણ એમાં દૂધ નહોતું. હવે? જાફરભાઈને કોઈ પણ હિસાબે ચા પીવી હતી. એટલે એમણે નાસીપાસ થયા વિના ફ્રીજ ફંફોસવા માંડ્યું. એમાં એમની નજરે ચડ્યું પેંડાનું પેકેટ. જાફરભાઈને 'યુરેકા' થઈ ગયું. તેમણે એક તપેલી લીધી. એમાં બે-ચાર પેંડા ભૂકો કરીને નાખ્યા. પાણીમાં એને મિક્સ કર્યા. અને જે પ્રવાહી બન્યું એને દૂધ ગણીને એની ચા બનાવી. જાફરભાઈ ચા લઈને આવ્યા હશે અને જેણે એ પીધી હશે એને કદાચ સ્વાદ જુદો લાગ્યો હશે, પણ એ કેમ છે એનું રહસ્ય નહીં સમજાયું હોય. એ તો પછી ખ્યાલ આવ્યો.
એમના વિશેના લેખમાં એમની સ્થિતિનું વર્ણન રજનીભાઈએ શી રીતે લખેલું એ જુઓ. દૂરદર્શન (કે આકાશવાણી) પર જાફરભાઈનો ઈન્ટરવ્યૂ ગોઠવાયેલો. રજનીભાઈ એ લેવાના હતા. ઈન્ટરવ્યૂ પત્યા પછી પુરસ્કારનો ચેક જાફરભાઈના હાથમાં મૂકવામાં આવ્યો. ત્યારે જાફરભાઈ કહે છે, 'રોકડે દિયે હોતે તો રીક્ષે કે ભાડે કે કામ તો આતે.' હવે આ ચેક વટાવવા માટે એમણે બૅન્કમાં ખાતું ખોલાવવું પડશે.
આ જ જાફરભાઈને હૃદયની બિમારી થઈ ત્યારે રજનીભાઈએ પોતાના લેખ દ્વારા અપીલ કરીને એમની સારવાર માટેની રકમ એકઠી કરી આપેલી. એનાથી કુટુંબીજનોને ઘણી રાહત થઈ હતી, પણ જાફરભાઈ બચી ન શક્યા.
આ નાનકડી ક્લીપની લીન્કમાં જાફરભાઈનો ઈન્ટરવ્યૂ લેતા રજનીભાઈ જોઈ અને સાંભળી શકાશે.