Thursday, July 10, 2014

બુલો સી. રાની: શબનમ સે હમ સિખેંગે, ફરિયાદ ન કરના, રો લેના


૧૯૪૦ના દાયકામાં અનેક પ્રતિભાશાળી ગાયકો, સંગીતકારો ફિલ્મક્ષેત્રે કાર્યરત હતા. ૧૯૩૧માં બોલપટ શરૂ થયા પછી પહેલા દાયકાના ઉત્તરાર્ધમાં ફિલ્મસંગીતની આગવી ઓળખ ઉપસતી ગઈ. બુલો સી. રાની પણ આ દાયકામાં ઉભરેલા ગુણી સંગીતકારોમાંના એક હતા.
૬ મે, ૧૯૨૦ના રોજ જન્મેલા બુલો ચંડીરામ રામચંદાની સીંધી હતા. તેમના પિતા ચંડીરામ પણ સંગીતકાર હતા, અને તેમણે ઈન્‍સાન યા શૈતાન (૧૯૩૩), પ્રેમપરીક્ષા (૧૯૩૪), યાસ્મિન (૧૯૩૫) સહિત કુલ ચાર ફિલ્મોમાં સંગીત આપ્યું હતું. બુલો ચંડીરામ રામચંદાનીમાંથી ટૂંકાવીને તેમણે પોતાનું નામ બુલો સી. રાની કરી દીધું. કરાચીથી તે મુંબઈ આવ્યા અને રણજિત મુવીટોન’ દ્વારા કારકિર્દીનો આરંભ કર્યો. અદ્વિતીય સંગીતકાર ખેમચંદ પ્રકાશ ત્યારે રણજિતમાં હતા, તેથી બુલો સી. રાની તેમના સહાયક તરીકે જોડાયા. ખેમચંદ પ્રકાશના પોતે સહાયક રહી ચૂક્યા હોવાનું વાજબી ગૌરવ તેમને આજીવન રહ્યું. સાયગલ અને ખુરશીદને ચમકાવતી 'રણજીત'ની સુપરહીટ ફિલ્મ 'તાનસેન' (૧૯૪૩) માં ખેમચંદ પ્રકાશે સંગીતબદ્ધ કરેલાં ગીતો આજેય સંગીતપ્રેમીઓ ભૂલ્યા નથી. કુલ ૧૩ ગીતો ધરાવતી આ ફિલ્મમાં ખુરશીદે ગાયેલું એક ગીત બુલો સી. રાનીએ સંગીતબદ્ધ કર્યું હતું. ડી.એન.મધોકે લખેલું આ ગીત. 

અમર પિક્ચર્સની પૈગામ (૧૯૪૩)માં બે  ગીતો સંગીતબદ્ધ કર્યા પછી સ્વતંત્રપણે તેમણે કરેલી પહેલવહેલી ફિલ્મ હતી પગલી દુનિયા (૧૯૪૪). આ ફિલ્મનાં કુલ ૧૨ ગીતોમાંથી આઠ ગીતો અમીરબાઈ કર્ણાટકીએ ગાયાં હતાં. આ ગીતોમાંનું એક જાણીતું ગીત. 


એ જ વરસે આવેલી કારવાંમાં પણ ૧૫ ગીતો હતાં, જે  અમીરબાઈ, જોહરાબાઈ અને અરુણકુમાર વચ્ચે વહેંચાયેલાં હતાં. આમાંનું અમીરબાઈએ ગાયેલું એક ગીત 'સૂની પડી હૈ પ્યાર કી દુનિયા'. 


હમીદા અને મુકેશનું 'મૂર્તિ'નું વિખ્યાત ગીત અગાઉની પોસ્ટમાં સાંભળ્યું. તેમનું આવું જ એક અન્ય લોકપ્રિય યુગલ ગીત એટલે 'રાજપૂતાની'નું 'જા પરવાને જા.' 'રાજપૂતાની'નાં કુલ નવ ગીતોમાંથી પાંચમાં હમીદા બાનોનો સ્વર હતો. 



બેલા(૧૯૪૭)નાં દસેદસ ગીતો જોહરાબાઈએ ગાયાં હતાં. જેમાંનું એક અતિ પ્રિય ગીત એટલે 'મોહે બાંકા બાલમ લગે પ્યારા', જે લખ્યું છે ડી.એન.મધોકે. 



એ જાણીને આપણને આશ્ચર્ય થયા વિના રહે નહીં કે આ સંગીતકારે મીનાકુમારીની ગાયકપ્રતિભા પીછાણીને તેમની પાસે ગીતો ગવડાવ્યાં હતાં. પિયા ઘર આજા (૧૯૪૭)માંના કુલ ૧૦ ગીતોમાંથી આઠ ગીતો મીના કુમારીએ ગાયાં હતાં, જ્યારે બિછડે બલમ (૧૯૪૮)નાં કુલ ૧૧ ગીતોમાંથી ૬ ગીતો મીના કુમારીએ ગાયાં હતાં.  બિછડે બલમ’નું આ ગીત' આતા હૈ દિલ પે પ્યાર ક્યું' સાંભળીએ. 


૧૯૪૭માં દેશના વિભાજન પછી ઘણા પંજાબી સંગીતકારો પાકિસ્તાન ચાલ્યા ગયા. આ સંગીતકારોની પહેલી પસંદ ભારે અવાજવાળાં ગાયક ગયિકાઓ હતાં. તેમના ચાલ્યા જવાને કારણે ઉભા થયેલા અવકાશમાં નવા સંગીતકારોને તક મળવા લાગી, અને નવા સંગીતકારોના આગમનની સાથે જ પાતળા અવાજવાળા ગાયક, ખાસ કરીને ગાયિકાઓનું ચલણ વધવા માંડ્યું. આ અરસામાં લતા મંગેશકરનો ઉદય થઈ ગયો હતો, પણ હવે તેમની માંગ વધવા લાગી.

જો કે, બદલાતા આ સમયમાં પણ બુલો સી. રાનીની પસંદગી ભારે સ્વરની જ રહી. અંજુમન(૧૯૪૮)નું શમશાદ બેગમે ગાયેલું, દિલની આરપાર નીકળી જતું આ ગીત 'હાલે દિલ કિસકો સુનાઉં' સાંભળતાં આ વાત સ્પષ્ટ થશે. દાયકાઓ પછી પણ આ સ્વરની, ધૂનની કસક એવી ને એવી જ રહી છે. 

દારોગાજી (૧૯૪૯)માં બુલો સી. રાનીએ ગીતદત્ત પાસે ૧૨ માંથી ૧૧ ગીતો ગવડાવ્યાં હતાં. ગીતદત્તના નટખટ અંદાજમાં ગવાયેલું 'મોરી તુઝ સે ઉલઝ ગઈ અખિયાં' આજેય એટલું જ તરોતાજા લાગે છે. 



જૂના ફિલ્મસંગીતના પ્રેમીઓ શ્રીમતી વિશ્ની લાલના નામથી અજાણ હોય એવું ભાગ્યે જ બને. અને વિશ્ની લાલનો ઉલ્લેખ થાય એટલે તરત જ યાદ આવે તેમનું ગાયેલું મગરૂર (૧૯૫૦)નું ગીત બડી ભૂલ હુઈ તુઝે પ્યાર કિયા’. આ ગીત આજેય અનેક સંગીતપ્રેમીઓનું માનીતું છે.


જો કે, નવી પેઢીમાં બુલો સી. રાનીનું નામ જાણીતું બની રહ્યું 'જોગન' (૧૯૫૦) અને તેનાં મીરાંભજનોને કારણે. 'રણજિત મુવીટોન'ના અસ્તાચળનો આરંભ ત્યારે થઈ ગયો હતો. તેના માલિક 'સરદાર' ચંદુલાલ શાહ પાસે સ્ટુડિયોનો માત્ર બે મહિનાનો ખર્ચ નીકળી શકે એટલા નાણાં બચ્યા હતા, જેમાંથી પાતળા બજેટવાળી (શૂ સ્ટ્રીંગ બજેટ) એકાદી ફિલ્મ બનાવી શકાય એટલી જ જોગવાઈ થઈ શકે એમ હતી. ચંદુલાલે પોતાની જ એક વાર્તા પરથી ફિલ્મ બનાવવાનું આયોજન કર્યું. ત્યારે અવ્વલ ગણાતા દિગ્દર્શક નીતિન બોઝનો સંપર્ક સાધવામાં આવ્યો, પણ નીતિન બોઝને વાર્તામાં દમ જણાયો નહીં. તેમણે ફિલ્મ સ્વીકારી નહીં, એટલે કેદાર શર્માએ માત્ર બે જ મહિનામાં, પાતળા બજેટમાં આ ફિલ્મ બનાવવાનો પડકાર ઝીલી લીધો. 
'રણજીત'ના જૂના કર્મચારી એવા બુલો સી. રાનીને સંગીતપક્ષ સોંપવામાં આવ્યો. હકીકતમાં દિલીપકુમાર અને નરગીસ વચ્ચે 'પ્લેટોનિક લવ' દર્શાવતી આ કથામાં સંગીત કેવળ ઔપચારિકતા પૂરતું આપવાનું હતું. છ ભજન તો સીધાં જ મીરાંબાઈના લેવાનાં હતાં. પણ બુલો સી. રાની સર્જકતામાં ક્યાંય સમાધાન કરે એમ નહોતા. ફિલ્મમાં બધું મળીને કુલ ૧૫ ગીતો હતાં, જે ગીતાદત્ત અને શમશાદ બેગમ વચ્ચે વહેંચાયેલા હતા. 
ગીતાદત્તના અદભુત સ્વરે ગવાયેલાં મીરાંભજનો ઘૂંઘટ કે પટ ખોલ’, એ રી મૈં તો પ્રેમ દીવાની’, મૈં તો ગિરિધર કે ઘર જાઉં’, મત જા મત જા જોગી’, ઉઠ તો ચલે અવધૂત’, પ્યારે દર્શન દીજો આજ’ એ હદે લોકપ્રિય બની રહ્યાં કે બુલો સી. રાનીની ઓળખનો તે પર્યાય બની રહ્યાં. પણ આ ઉપરાંત ચંદા ખેલે આંખમિચોલી’, ડગમગ ડગમગ ડોલે નૈયા’, જરા થમ જા તૂ એ સાવન’, સખી રી ચિતચોર નહીં આયે’, ડારો રે રંગ ડારો રે રસિયા, ફાગન કે દિન આયે રે’, ગેંદ ખેલું ગેંદ ખેલું, કાન્‍હા કે સંગ જેવાં ગીતાદત્ત દ્વારા ગવાયેલાં ગીતો એવાં છે કે જેમાં એક ગાયિકા તરીકે તેમની રેન્‍જનો અંદાજ મળી શકે, તેમ સંગીતકાર તરીકે બુલો સી. રાનીની ઉંચાઈનો પણ બરાબર ખ્યાલ આવે. બધાં ગીતો એક સાંભળો ને એક ભૂલો એવાં. પંદરમાંથી બાર ગીતો તો ગીતાદત્તે જ ગાયેલાં. તો બાકીનાં ત્રણ ગીતોમાં જિન આંખો કી નીંદ હરામ હુઈ અને કાહે નેનોં મેં નેના ડાલે રે’નાં ગાયિકા શમશાદ બેગમ હતાં. ગાયકના ફાળે આવેલું એક માત્ર ગીત હતું તલત મહેમૂદ દ્વારા ગવાયેલું અત્યંત યાદગાર ગીત સુંદરતા કે સભી શિકારી’, જે લખ્યું હતું પં. ઈન્‍દ્રે. 


આ તમામ ગીતો તેમજ આખી 'જોગન' ફિલ્મ પણ યૂ ટ્યૂબ પર આસાનીથી ઉપલબ્ધ છે. 

ભારે અવાજવાળી ગાયિકાઓ પ્રત્યેનો બુલો સી. રાનીનો પક્ષપાત જોયા પછી એમ હરગીઝ માની ન લેવાય કે તેમને લતા મંગેશકર જેવો પાતળો સ્વર પસંદ ન હતો. લતાનાં કેટલાંક ઉત્કૃષ્ટ ગીતો બુલો સી. રાનીના સંગીત નિર્દેશનમાં છે. વફા (૧૯૫૦) નું આ ગીત લતાનાં સદાબહાર ગીતોમાં સ્થાન પામે છે, જે લખ્યું છે હસરત જયપુરીએ. 



આ જ ફિલ્મનું લતા અને મુકેશનું યુગલગીત 'અરમાન ભરા દિલ તૂટ ગયા' પણ લતા-મુકેશનાં ઉત્તમ યુગલગીતોમાં સ્થાન પામે છે. 
'મધુર મિલન' (૧૯૫૫)નું લતા મંગેશકરે ગાયેલું 'ફિઝા ચૂપ હૈ, હવા ચૂપ હૈ' તેમને પોતાને અતિ પ્રિય હતું, જે અગાઉની પોસ્ટમાં મૂકેલું છે. એ ઉપરાંત લતાના સ્વરમાં 'ઠુકરા કે હમેં યૂં ન જા' સાંભળીએ. 



સ્વતંત્ર ભારતની સૌ પ્રથમ સીંધી ફિલ્મ અબાના’ (૧૯૫૮) માં બુલો સી. રાનીનું સંગીત હતું. આ ફિલ્મનાં ગીતો ઘણાં લોકપ્રિય થયાં હતાં, જેમાંનું આ ગીત તેમાં આવતી વિવિધ સીંધી વાનગીઓના નામને કારણે જૂની પેઢીના સીંધી બુઝુર્ગો આજેય યાદ કરે છે. 



અબાનામાં સાધના અને શીલા રામાણી જેવા હિન્‍દી ફિલ્મોના જાણીતા ચહેરા હતા. બીજી સીંધી ફિલ્મ પ્રીત હીક તૂફાનમાં પણ તેમણે સંગીત આપેલું. 
મુખ્યત્વે બી અને સી ગ્રેડની ફિલ્મોના સંગીતકાર તરીકે જાણીતા થયેલા સી. અર્જુને ('જય સંતોષી મા' ફેઈમ) કારકિર્દીનો આરંભ બુલો સી. રાનીના સહાયક તરીકે કર્યો હતો. 


બુલોસાહેબે આશરે એકવીસ જેટલી ફિલ્મોમાં થોડાં ગીતો પણ ગાયાં હતાં. પાર્શ્વગાયક તરીકે તેમણે ભોલાના નામે ગાયું હતું. પોતાના સંગીત નિર્દેશન ઉપરાંત અન્યના સંગીત નિર્દેશનમાં પણ તેમણે ગીતો ગાયાં હતાં. આ ફિલ્મો હતી મહેમાન (સં. ખેમચંદ પ્રકાશ), ઈકરાર(સં. ખેમચંદ પ્રકાશ), સવેરા (સં. જ્ઞાન દત્ત, ૧૯૪૨), આદાબ અર્ઝ (સં. જ્ઞાન દત્ત), બંસરી(સં. જ્ઞાન દત્ત), ચિરાગ(સં. ખેમચંદ પ્રકાશ), નર્સ(સં. જ્ઞાન દત્ત), કુરબાની(સં. ખેમચંદ પ્રકાશ), પૈગામ(સં. જ્ઞાન દત્ત), શંકર પાર્વતી ((સં. જ્ઞાન દત્ત, ૧૯૪૩), કારવાં (સં.બુલો સી. રાની), મુમતાઝ મહલ (સં. ખેમચંદ પ્રકાશ), પગલી દુનિયા(સં.બુલો સી. રાની), શહનશાહ બાબર (સં. ખેમચંદ પ્રકાશ, ૧૯૪૪), પ્રીત (૧૯૪૫), મુલાકાત (સં. ખેમચંદ પ્રકાશ, ૧૯૪૭), નારદમુનિ(સં.બુલો સી. રાની), ભૂલભૂલૈયા (સં.બુલો સી. રાની, ૧૯૪૯), અપરાધ- સમાજ કી ભૂલ, હસીના (સં.બુલો સી. રાની, ૧૯૫૫), જીવનસાથી (સં.બુલો સી. રાની,૧૯૫૭). 

'હસીના' (૧૯૫૫) નું આશા ભોંસલે અને બુલો સી. રાનીએ ગાયેલું એક યુગલગીત. 



'બિલ્વમંગલ' (૧૯૫૪)નું 'પરવાનોં સે પ્રીત સીખ લી' બુલો સી. રાનીનું સદાબહાર ગીત છે, જે અગાઉની પોસ્ટમાં મૂકેલું છે. આ જ ફિલ્મમાં પાંચ ગીતો સી. એચ. આત્માએ ગાયેલાં છે, જે સી.એચ.આત્માનાં યાદગાર ગીતો ગણાય છે. 

'અનારબાલા' (૧૯૬૧)નું સુબીર સેન અને સુમન કલ્યાણપુર દ્વારા ગવાયેલું ગીત.
 

'મેડમ ઝોરો' (૧૯૬૨) નું કમલ બારોટ અને મુકેશનું યુગલગીત 'હમ ભી ખો ગયે હૈ' એ હકીકત વધુ એક વાર પુરવાર કરે છે કે લતા, સુમન કલ્યાણપુર, કમલ બારોટ જેવા પાતળા કંઠવાળી ગાયિકાઓ માટે પણ તેમના ગળાને અનુરૂપ ગીતો બુલોસાહેબે તૈયાર કર્યાં છે. 



'છુપા રુસ્તમ' (૧૯૬૫) ના આ ગીતમાં પશ્ચિમી વાદ્યોનો ઉપયોગ સારો એવો કરવામાં આવ્યો છે. 



'સન ઑફ હાતિમતાઈ'(૧૯૬૫) નું મીના પતકીએ ગાયેલું આ ગીત સાંભળતાં ખ્યાલ આવે કે બુલો સી. રાનીની સર્જકતાને સમયની સાથે કાટ લાગ્યો ન હતો.



૧૯૬૬માં સુનહરે કદમ રજૂઆત પામી. આ ફિલ્મમાં બુલો સી. રાની તેમજ એસ. મોહીન્‍દર- એમ બે સંગીતકારો હતા. તેના કુલ આઠ ગીતોમાંથી પાંચ ગીતો બુલો સી. રાનીએ સંગીતબદ્ધ કર્યાં હતાં. તેમાંનું 'માંગને સે જો મૌત મિલ જાતી' તો ઉત્તમ ગીત હતું, પણ એ સિવાયનાં ગીતોય કમ ન હતાં. ખાસ કરીને લતા મંગેશકરે ગાયેલું 'ના બાઝ આયા મુકદ્દર મુઝે મિટાને સે'. 



જો કે, 'સુનહરે કદમ' બુલો સી. રાનીની છેલ્લી ફિલ્મ બની રહી. તેમની કારકિર્દી પર નજર નાંખતા એ ખ્યાલ આવે છે કે 'રણજિત'ને બાદ કરતાં અન્ય કોઈ મોટા બેનરની ફિલ્મો તેમણે કરી નથી. મુખ્યત્વે 'બી' ગ્રેડની ફિલ્મોમાં તેમણે સંગીત આપ્યું. ફિલ્મો ન ચાલવાને કારણે તેમનું ઉત્તમ સંગીત પણ દબાઈ ગયું હોય એમ બને. 
આંકડાની રીતે જોઈએ તો ૧૯૪૩થી આરંભ કર્યા પછી ૧૯૫૦ સુધીમાં તેમણે કુલ ૩૩ ફિલ્મોમાં સંગીત નિર્દેશન કર્યું હતું. ૧૯૪૫ થી ૧૯૫૦ દરમિયાન સરેરાશ પાંચ ફિલ્મો તે દર વરસે કરતા હતા. એ પછી ફિલ્મોની સંખ્યા ઘટવા લાગી, છતાં કામ મળવાનું ચાલુ રહ્યું હતું. તેમણે સંખ્યાત્મક તેમજ ગુણાત્મક એમ બન્ને રીતે સંગીત આપ્યું. 
બધું મળીને ૭૦ હિન્‍દી ફિલ્મો અને બે સીંધી ફિલ્મોમાં તેમણે સંગીતનિર્દેશન કર્યું. માત્ર સરખામણી ખાતર જોઈએ તો, સલીલ ચૌધરીએ ૭૪, ઓ.પી. નય્યરે ૭૩, નૌશાદે ૬૬. રોશને ૫૭, હેમંતકુમારે ૫૫ અને હુસ્નલાલ-ભગતરામે ૫૨ ફિલ્મોમાં સંગીત આપ્યું હતું.
બુલો સી. રાની સ્ટેજ કાર્યક્રમો કરતા રહ્યા. પણ ફિલ્મોમાં તેમને એ પછી કામ મળતું બંધ થઈ ગયું. સીત્તેરના દાયકામાં તો ફિલ્મસંગીતની વ્યાખ્યા જ બદલાઈ ગઈ હતી. તેમની છેલ્લી ફિલ્મ આવી ત્યારે તેમની વય હતી માત્ર ૪૬ વર્ષ.  
બદલાતા સમય સાથે જાતને બદલવાનું તેમને માફક ન આવ્યું. જીવનની સાવ ઉત્તરાવસ્થાએ તેમણે આત્મહત્યા કરી લીધી અને ૭૩ વર્ષની વયે દુનિયા ત્યાગી. તેમના અપમૃત્યુના બે એક વરસ અગાઉ જ તેમને મળી લેવાનો યોગ અમને પ્રાપ્ત થયો, જેનું વિગતે વર્ણન  આ અગાઉની પોસ્ટમાં છે. 
'જોગન' ફિલ્મનાં ગીતોની કેસેટ બહાર પડી હતી, એ સિવાય બુલો સી. રાનીનાં ગીતોનું અલગથી કોઈ આલ્બમ બહાર પડ્યું હોવાનું જાણમાં નથી. હવે બદલાયેલા યુગમાં તેમનાં મોટાં ભાગનાં ગીતો આસાનીથી ઉપલબ્ધ બન્યાં છે, એ આનંદ જેવો તેવો નથી. અહીં કેવળ અમુક ગીતો જ આપી શકાયાં છે, પણ આ જ ફિલ્મોનાં અન્ય ગીતો યૂ ટ્યૂબ પર પ્રાપ્ય છે. આ ગીતો સાંભળતાં તેમની સર્જકપ્રતિભાનો સુપેરે પરિચય થાય છે.
તાજેતરમાં બુલો સી. રાનીની પુણ્યતિથિએ રેડીયો સિલોન પરથી પ્રસારિત થયેલો વિશેષ શ્રદ્ધાંજલિ કાર્યક્રમ અહીં સાંભળી શકાશે. 



તેમનાં ગીતોને સાંભળીએ અને માણતા રહીએ એ જ તેમને સાચી શ્રદ્ધાંજલિ હોઈ શકે. 


(પૂરક માહિતી: હરીશ રઘુવંશી, સુરત, 
નલિન શાહ, મુંબઈ) 

3 comments:

  1. બહુ જ માહિતી સભર લેખ છે. અહીં મૂકેલી ઘણી વિગતો અમારા જેવાંઓ માટે અજાણ પણ છે.
    બુલો સી રાનીનાં ગીતોનો પણ બત્રીસ પકવાનનો થાળ રજૂ કરી આપ્યો છે, એટલે તેને 'માણવા'માં અને'પચાવવા'માં થોડો સમ્ય લાગશે.
    તે પછીથી પણ ધરાઇ તો નહીં જ રહેવાય !

    ReplyDelete
  2. ખૂબ જ સુંદર માહિતી!

    ReplyDelete