Monday, August 24, 2026

દો દિન કે લિયે 'કોઈ' ઈકરાર કર લે....સચ્ચા હી સહી

ગાંધીનગરની સરકારી વિનયન કોલેજમાં 21-8-26ને શનિવારની સવારે એક વિશિષ્ટ કાર્યશાળા યોજાઈ. આ કોલેજના ગુજરાતીના પ્રાધ્યાપક મહેશભાઈ અને અંગ્રેજીનાં હેતલબહેન દવે સાથે મૂળ વાત શરૂ થયેલી વક્તવ્ય માટેના નિમંત્રણથી, પણ વિદ્યાર્થીઓને વક્તવ્યના મૂઢ મારથી અધમૂઆ શું કામ કરવા? એમ વિચારીને અમે સૌએ ભેગા મળીને એવું કંઈક આયોજન વિચાર્યું કે જેમાં તેમની સાથે વાત અને વિચારવિમર્શ કરી શકાય. એ ચર્ચાની ફલશ્રુતિ એટલે આ કાર્યશાળા. મહેશભાઈએ આ વિષયની વાત થતાં જ એનું શિર્ષક આપી દીધું: "જીવનકથા લેખન: સ્વરૂપ, કાર્યપદ્ધતિ અને વ્યાવસાયિક તકો." સમય ફાળવાયો ત્રણેક કલાકનો. આમ તો, આટલો સમય ઓછો પડે, પણ વિદ્યાર્થીઓને આટલા સમયમાં આ ક્ષેત્ર વિશે જાણકારી મળે અને તેમના મનમાં જે સવાલો જાગે એના જવાબ આપી શકાય એટલા માટે આ સમયમર્યાદા નક્કી કરી. રસ ધરાવતા, વિવિધ કોલેજોના બત્રીસેક વિદ્યાર્થીઓ આમાં ઊપસ્થિત રહેવાના હતા. મારું એક સૂચન એવું હતું કે સ્થળ એવું પસંદ કરવું કે જ્યાં વર્તુળાકારે બેસી શકાય. એટલે કોલેજની લોનમાં જ એ ગોઠવાયું. અને મોરના ટહુકાના પાર્શ્વસંગીતની સમાંતરે આ કાર્યશાળા આરંભાઈ.

લગ્નવિધિમાં આમંત્રિતો માટે જેમ ભોજન મુખ્ય લક્ષ્ય હોય છે, છતાં અન્ય યંત્રવત વિધિઓમાં તેમણે હાજરી આપવી પડતી હોય છે. એ જ રીતે આ કાર્યશાળામાં મુખ્ય લક્ષ્ય સંવાદનું હોવા છતાં અમુક ઔપચારિકતાઓ નિભાવવાની હોય છે. એ ક્રમમાં પ્રાચાર્ય અમીતભાઈ સુતરીયા, સંયોજક ભદ્રેશભાઈ બ્રહ્મભટ્ટ તેમજ વિભાગધ્યક્ષ રમેશભાઈ દ્વારા ઔપચારિક વિધિ પછી વાતનો આરંભ થયો.
તમામ વિદ્યાર્થીઓ આર્ટ્સના હોવાથી ભાષાની બારીકીઓની વાત પણ એમના સુધી યોગ્ય રીતે પહોંચતી હતી. સાથોસાથ તેમના મનમાં જે પણ સવાલો થાય એ તેઓ પૂછતા જતા. આમ, ધીમે ધીમે રસ જામતો ગયો. વચ્ચે બ્રેક લીધો ત્યારે ખ્યાલ આવ્યો કે દોઢ કલાક વીતી ગયો છે.
બ્રેક પછી નવેસરથી વાતો ચાલુ થઈ. કેવા કેવા સવાલ ઊભા થાય, કેવા નાના પડકાર આવે, જે ત્યારે બહુ મોટા લાગે, મુશ્કેલીઓ, આગ્રહ અને દુરાગ્રહ કેવા કેવા થાય- આ બધી વાતો કહેવાતી ગઈ. આમાં મજા એ હતી કે મેં જ્યારે રજનીકુમાર પંડ્યા સાથે જીવનકથાલેખનનું કામ શરૂ કર્યું ત્યારે તેમની એક કાર્યપદ્ધતિ હતી. એ પછી અમે એમાં જરૂર મુજબ ફેરફાર કરતા ગયા. એટલે કોઈ તૈયાર, સેટ કરાયેલી થિયરીને બદલે અમે અમારી કાર્યપદ્ધતિમાંથી 'થિયરી ' (જો એમ કહેવાય તો) નિપજાવી હતી. એટલે વિદ્યાર્થીઓ કશો પણ સવાલ પૂછે તો એના જવાબમાં કોઈ ને કોઈ ઉદાહરણ લગભગ હોય જ. આને લીધે વાત વધુ સારી રીતે એમને સમજાતી. જીવનકથા લેખનની વિવિધ કાર્યપદ્ધતિઓ તો ખરી જ, સાથોસાથ એનો વ્યાવસાયિક દૃષ્ટિકોણ શો હોઈ શકે એની પણ વાત ઉદાહરણો સાથે થતી ગઈ.
હેતલબહેન દ્વારા 'ઔપચારિક' સ્વાગત
આમ તો મારો મુખ્ય કાર્યક્રમ વિદ્યાર્થીઓ સાથેની વાતચીતનો હતો, પણ પાછળ શ્રોતારૂપે બેઠેલા પ્રાધ્યપકમિત્રોને અનેક સવાલો થતા હતા. એટલે વિદ્યાર્થીઓના સવાલજવાબ પછી તેમણે પણ ઘણા સવાલ કર્યા, અને એના જવાબ આપવાના મેં પ્રયત્ન કર્યા.
હિન્દીના શ્રી મિરઝાસાહેબે વિસ્તારથી પ્રતિભાવ- કમ- પૂછપરછ કર્યાં. છેલ્લે શ્રી રતિલાલે આભારવિધિ કરીને કાર્યક્રમ સંપન્ન કર્યો. તેનો વધુ અનૌપચારિક દૌર એ પછી બગીચામાં જ આયોજિત ભોજન દરમિયાન ચાલ્યો.
છેલ્લે હું અમે નીકળતા હતા ત્યારે વિભાગાધ્યક્ષ રમેશભાઈ એક વિદ્યાર્થી સાથે કશીક વાત કરી રહ્યા હતા. એ વિદ્યાર્થીએ મને કંઈક પૂછવું હતું એમ કહીને તેમણે મને બોલાવ્યો. એમના હાથમાં એક નોટબુક હતી. એ નોટબુકમાં પેલા વિદ્યાર્થીએ આ બેઠક દરમિયાન ટપકાવેલી નોંધ હતી અને અમુક સવાલ. મને ઘડીભર થયું કે જે પૂછવું હોય એ વિદ્યાર્થી પૂછે ને? એમાં રમેશભાઈએ વચ્ચે રહેવાની ક્યાં જરૂર? પણ જરૂર હતી એ મને તરત જ સમજાઈ ગયું. એ વિદ્યાર્થીને વાચાની તકલીફ હતી. શ્રવણ એકદમ બરાબર હતું. આ કાર્યશાળાની ફળશ્રુતિરૂપે તેને એ પૂછવું હતું કે પોતાને વાચાની આવી મુશ્કેલી છે, તો પોતે જીવનકથાલેખન (વ્યવસાયલેખે) કરી શકે કે કેમ? તેની સાથે જરૂરી વાત કરી અને એ ચોક્કસ જ કરી શકે અને એના માટે અમુક કાર્યપદ્ધતિ અપનાવી શકાય એમ જણાવ્યું. આ વિદ્યાર્થીનો ઉત્સાહ મારા મનમાં અંકિત થઈ ગયો. મારે તો એને કહેવું હતું કે ભાઈ, કેવા કેવા લોકો, પોતાને એ ફાવે છે કે નહીં એ જોયાજાણ્યા વિના જીવનકથાઓ લખવાનું કામ લઈ લે છે. એ જો કરી લેતા હોય તો તારા જેવા જિજ્ઞાસુ અને મહેનતુ વિદ્યાર્થી કેમ ન કરી શકે? પણ એ સંવાદ મનોમન જ રાખીને અમે નીકળ્યા.
વિદ્યાર્થીઓ સાથે સંવાદ દરમિયાન
આ આખા ઉપક્રમમાં કામિની મારી સાથે જ હતી. તો મિત્ર યોગેન્દુભાઈ ચૌહાણ ખાસ હાજરી આપવા અને મળવા આવેલા. તેઓ શરૂઆતથી લઈને છેક સુધી બેઠા હતા, એટલું જ નહીં, કાર્યક્રમ પછી ચંદુભાઈ મહેરિયાના ઘર સુધી મૂકવા આવવાની માર્ગદર્શકની ફરજ પણ બજાવી. ચંદુભાઈ સાથે અલકમલકની વાતો કરીને સાંજે અમે પાછા આવવા નીકળ્યા.
કાર્યશાળા દરમિયાન
આવી કાર્યશાળા અને વિદ્યાર્થીઓ સાથેના સંવાદ પછી આંતરિક રીતે વધુ ને વધુ સમૃદ્ધ થવાતું હોય છે એવી અનુભૂતિ વધુ એક વાર થઈ.
આવી કાર્યશાળાઓ વ્યાવસાયિક તેમજ બિનવ્યાવસાયિક ધોરણે વધુ ને વધુ યોજવાની નેમ છે, કેમ કે, જે રીતે જીવનકથાલેખનમાં 'ભેલાણ' થઈ રહ્યું છે એ જોતાં એમ લાગે છે કે આ ક્ષેત્રે કમ સે કમ, અમુક કાર્યપદ્ધતિ અપનાવી શકાય તો બીજું તો ઠીક, એક વાંચનક્ષમ જીવનકથા તો મળે.
(તસવીર સૌજન્ય: ડૉ. મહેશકુમાર)

No comments:

Post a Comment