Wednesday, May 21, 2025

વો જબ યાદ આયે...

- પરેશ પ્રજાપતિ 

(રજનીકુમાર પંડ્યાના અવસાન પછી મિત્ર પરેશ પ્રજાપતિએ તેમની સાથેનાં પોતાનાં સંભારણાં તાજાં કરતો આ લેખ લખ્યો છે.) 

મારો કૉલેજનો અભ્યાસ પૂરો થયો એ પછીના અરસામાં (મોટે ભાગે ૧૯૯૩માં) બીરેન કોઠારીએ શિમલા- કુલ્લુ- મનાલીના પંદર દિવસના એક લાંબા પ્રવાસનું આયોજન કર્યું હતું, કૌટુંબિક સભ્યો ઊપરાંત આ પ્રવાસમાં તેના બે  મિત્રદંપતીઓ પણ જોડાવાના હતા. ઉર્વીશે આ પ્રવાસમાં જોડાવા બાબતે મને પૂછ્યું, અને હું જોડાયો. પછી તેમાં ઉર્વીશના નવાસવા દોસ્ત બનેલા બિનીત મોદીનો પણ ઉમેરો થયો. અમારો અત્યાર સુધીનો આ સૌથી લાંબો સહિયારો પ્રવાસ. આ સમગ્ર સફરમાં મોટે ભાગે બિનીત વક્તા હતો જ્યારે ઉર્વીશ શ્રોતા. બિનીત જે ઉત્કટતાથી વાત કરતો એટલી જ ઉત્કંઠાથી ઉર્વીશ સાંભળતો હતો. આ વાતો ફક્ત એક વ્યક્તિ ફરતે ગૂંથાયેલી રહેલી. એ વ્યક્તિ એટલે રજનીકુમાર પંડ્યા. ત્યારે સંદર્ભ ખ્યાલ ન હોવાથી તેમની ઘણી વાતો મારા પલ્લે નહોતી પડતી, એટલું સમજાયેલું કે રજનીકુમાર પંડ્યા મોટા ગજાના લેખક- સાહિત્યકાર અને ઉત્તમ વાર્તાકાર છે અને ખાસ તો જૂના ફિલ્મસંગીતના શોખીન છે. વાતો પરથી મને એ પણ ખ્યાલ આવ્યો હતો કે રજનીકુમાર સાથે બિનીતને ઘરોબો છે.

વાતવાતમાં બિનીતે કહ્યું કે એક વખત તે મિત્રો સાથે ડાકોર ચાલતા જવાનો કાર્યક્રમ બનાવ્યો હતો. રજનીભાઈને જાણ થતાં તેમણે હેતુ પૂછ્યો. પછી પ્રેમથી ટપારતા કહ્યું કે ડાકોર જવાની ના નથી, પણ આમ ચાલતા જવું એ નર્યું ગાંડપણ કહેવાય. તેમની સમજાવટ કામ કરી ગઇ હતી અને બિનીતે કાર્યક્રમ પડતો મૂકેલો. એક વખત આવી ઘેલછા રાખીને હું પણ મહેમદાવાદથી ડાકોર ચાલતા ગયો હતો. મને આ વાત સ્પર્શી ગઇ. ઊંડે ઊંડે થયું વાત ખોટી નથી. મારા મનમાં આ વાતે ઘેરી અસર ઊભી કરી હોવાનું આજે પણ મને લાગે છે. ‘રેશનલ’ શબ્દ ઘણા સમય પછી મારી સમજમાં આવ્યો.

**** 

અભ્યાસ દરમ્યાન હું ઉર્વીશના વાચન સાથે જૂના ફિલ્મસંગીતના વિશિષ્ટ લાગતા શોખ તરફ આકર્ષાયો. ખાસ કરીને બારમા ધોરણના વેકેશનના ગાળાથી સાથે બેસીને કોઇ સમયાવધિ વગર ફિલ્મસંગીત સાંભળવું નિયમિત બન્યું. આ વખતે તેને ગમતા લેખો અને લેખકોની વાતો પણ થતી. પ્રવાસથી પરત ફર્યા બાદ સ્વાભાવિકપણે રજનીકુમાર વિશે વાતો થઇ. એક વાર તેને ત્યાંથી મારે ઘેર જતી વખતે મારા હાથમાં રજનીકુમાર પંડ્યાની વાર્તાઓનું પુસ્તક ‘આત્માની અદાલત’ હતું.

પુસ્તક વાંચવું શરૂ કર્યું. પહેલી ‘વાર્તા’ વાંચ, જેનું શિર્ષક હતું ‘અરે ડોશી!’ વાર્તા વાંચ્યા પછી મનમાં થોડી નિરાશા સાથે પ્રશ્ન ઉગ્યો, ‘વાર્તા આવી હોય?’

તો પછી ઉર્વીશ વખાણે છે કેમ? એટલે થયું, એકાદ બીજી વાર્તા વાંચવી જોઇએ. મેં પુસ્તકનાં પાનાં ઉથલાવ્યાં અને હાથે ચડી એ ‘વાર્તા’ વાંચવી શરૂ કરી. એ વાર્તા હતી ‘જીવનનું મોત’. આ વખતે હું સહેજ સભાન રહ્યો. વાર્તાના કથાપ્રવાહમાં થોડો ખેંચાયો અને અંત વાંચતા ઝબકારો થયો. પછી મેં અગાઉ વાંચેલી વાર્તા ‘અરે ડોશી!’ ફરીથી વાંચી. હવે મને વાર્તા અને વાર્તાનો મર્મ સમજાયો.

એ પછી વાંચી ‘શબનું સ્મિત’. આ વાર્તા વાંચ્યા બાદ મારું મન સુન્ન થઇ ગયું. તેનું આલેખન મને મનોજગતના એવા અતલ ઊંડાણમાં ઢસડી ગયું હતું કે હું બીજી વાર્તા વાંચવા માટે પુસ્તકનું પાન ઉથલાવી ન શક્યો. પછી તો એક પછી એક એમ મેં બધી જ વાર્તાઓ વાંચી. દરેક વાર્તા મનમાં મંથનની પ્રક્રિયાનો આરંભ કરાવતી અને અને પુસ્તકના શિર્ષકને યથાર્થ ઠેરવતી રહી. વાર્તા વાંચવાના આરંભે જાગેલો પ્રશ્નાર્થ ઓગળી ગયો. મને થયું, ‘વાર્તા આવી જ હોય!’

‘આત્માની અદાલત’ પુસ્તકે મનુષ્યમાં ઉગતા કે ઉગી શકતા મનોવિચારો તેમજ ઉમટતી કે ઉમટી શકતી લાગણીઓના અકલ્પ્ય ઘોડાપૂરને સિફતથી શબ્દોની ગાંસડીમાં બાંધીને અસરકારક રીતે વાચક સમક્ષ પીરસવાની રજનીકુમારની કાબેલિયતનો પરચો કરાવ્યો. વાર્તાકથનની આ શૈલી મને એ હદે ગમી કે મારા મનમાં ઉત્તમ વાર્તાકાર તરીકે રજનીકુમાર પંડ્યાનું નામ શિલાલેખની જેમ કોતરાઇ ગયું.

**** 

આ પછી હું રજનીકુમાર પંડ્યાનાં લખાણો વાંચવા પ્રેરાયો. તેમનાં લખાણોએ પાણી કરતાં પણ પાતળાં એવા મનનાં વલણો, સંવેગો અને આવેગોથી અવગત કરાવ્યો, કથનશૈલી એવી કે તેની અનુભૂતી પણ થતી. પછી હું તેમનાં ‘ઝબકાર’ શ્રેણીના લેખોનો વાચક-ચાહક બન્યો. આ લેખો મને હલબલાવી નાંખતા. રજનીકુમારે કરેલી ટકોર વાંચીને ક્યારેક મનમાં ઊંડી  ચીસ નીકળી જતી. કશું કરવાનો મને અદમ્ય ધક્કો વાગતો, પણ કશું નક્કર થઇ ન શકતું.  એક તબક્કે મને મારી જાત પ્રત્યે નાનમ અનુભવાવા લાગી. મેં રજનીભાઇને પત્ર લખીને મારી વ્યથા ઠાલવી. જવાબમાં તેમણે લખ્યું, ‘મોટા માણસની વાતો વાંચી લઘુતાભાવ અનુભવવો નહી, તેમની ‘નાનાઇ’ મેં ક્યાં લખી હોય છે?’ આમ કહી તેમણે એક દિશાનિર્દેશ આપ્યો. લખ્યું, ‘આપણે પોઝીટીવ, વિધેયાત્મક બનવા પ્રયત્ન કરવો અને ગુણગ્રાહિતા કેળવવી.’

હું GSFCમાં ટ્રેઇની તરીકે જોડાયો હતો, એવે વખતે ગુજરાત સમાચારમાં એક લેખ વાંચવામાં આવ્યો. તેમાં એક ડૉક્ટરને સ્વાસ્થ્યસંબંધી આવી પડેલી મુશ્કેલી અને તેમની પત્નિને પડતી આર્થિક મુશ્કેલીનો થોડો ચીતાર હતો. હું ઝબકારની અસર હેઠળ હતો. મને કશું કરવાનો મોકો દેખાયો, અને મેં સહકર્મીઓ પાસે મદદની ટહેલ નાંખતું નાનકડું લખાણ લખ્યું. કોઇને વિશેષ જાણવું હોય તો અખબારની કટાર પણ સાથે જોડી. જે થોડું ભંડોળ ઊભું થયું તેમાં મારો ફાળો પણ ઉમેર્યો અને એ રકમ યોગ્ય સ્થાને મોકલી. મનમાં ઘણું સારું લાગ્યું.

**** 

ઉર્વીશ સાથે રજનીભાઇને ઘેર મારી અવરજવર શરૂ થઇ. ક્યારેક અવનવી વાતો, ગીતો કે અનુભવના કિસ્સા સાભળવા મળે ત્યારે સ્વર્ગનું સુખ પામ્યાનો અનુભવ થતો. તેઓ બેટાનું સંબોધન કરે ત્યારે એટલું વહાલું લાગતું કે વાત ન પૂછો.

રજનીભાઈ અતિ વ્યસ્ત રહેતા. તેમને ત્યાં અવરજવર ઘણી રહેતી. સાથે વાર્તા, નવલકથા અને અખબારી કટારલેખન ઉપરાંત મુલાકાતો અને પ્રવાસો પણ ખરા. ક્યારેક તે પોતાના જૂના લેખને ફરીથી ઉપયોગમાં લેતા. આ વખતે તેમાં સંબંધિત છેલ્લામાં છેલ્લી માહિતી મેળવવાની અને ઉમેરવાની રહેતી. ત્યારે કમ્પ્યુટર નહોતું. આ પ્રક્રિયા ઘણો વખત માંગી લે એવી હતી. એક વખત તેમણે મને આ કામ સોંપ્યું. તેમણે આપેલા જૂના લેખની મારે યોગ્ય કાપલીઓ બનાવીને કાગળ પર નવેસરથી વ્યવસ્થિત ચોંટાડી આપવાની હતી. તેમણે હાથથી લખેલી વધારાની વિગતો કે નોંધને મારે યોગ્ય સ્થાને ગોઠવવાની હતી. આ કામ મેં હોંશે હોંશે ઉપાડ્યું, એટલું જ નહીં, તેમણે આપેલી વિગતોને એમને એમ ન મૂકતાં આવડ્યો એવો સાંધો કરતી એકાદ બે લાઇનો પણ લખી આપી. આ ચેષ્ટાથી રજનીભાઇ ખુશ. ધીમે ધીમે તે નિયમીતપણે મને આ પ્રકારનું કામ સોંપવા લાગ્યા. લેખ છપાય ત્યારે ઘણી વખત મારો ‘થીંગડા’ જેવો સાંધો કચ્છી ભરતકામ જેવો બની જતો. તેમનો આ સ્પર્શ જોવા- જાણવા અને માણવા જેવો રહેતો. આ નાનકડા કાર્યે મારી લેખન પરત્વે રુચિ જગાવી.

મને તેમની સાથે સમય વીતાવવો ગમતો. તેથી તેમણે સોંપેલું કાર્ય પૂરું થયે હું સામગ્રી કુરિયર દ્વારા મોકલવાના બદલે રૂબરૂ જતો. તેમની સાથે બેસીને ચા અને થેપલા (ઢેબરા) ખાતા એ દૃશ્યો મારી સ્મૃતિમાં આજે પણ યથાતથ જળવાયા છે.

હવે નોકરી અર્થે મારે કાયમી ધોરણે વડોદરા રહેવાનું બન્યું તેથી રૂબરૂ સંપર્ક જાળવવો મુશ્કેલ બન્યો. કેટલાક સમય પછી મેં કુરિયર કરવાનું શરૂ કર્યું ત્યારે સામગ્રી મળ્યાની રસીદ જેવો પત્ર અવશ્ય લખે. તે લખતા, ‘પ્રથમ દૃષ્ટિએ તો સરસ, વ્યવસ્થિત જણાય છે- છતાં નિરાંતે જરા વાંચીને જણાવીશ.’ એ સાથે બીજી ટિપ્પણી પણ હોય, તું પત્રના મથાળે સરનામું લખવાનું રાખ, દરેક વખતે ડાયરી ફેંદવી નથી ગમતી.’ (હું સરનામું કવર પર લખતો હતો.)

મારો તેમની સાથેનો પત્રવ્યવહાર મર્યાદિત હતો. બરાબર યાદ નથી, પરંતુ કોઇ ગીત બાબતે મેં કશું પૂછ્યું હશે. તેમનો જવાબ આવ્યો. ‘તું ઇચ્છીશ તે ગીત ડબ કરી આપીશ ને ફોટા પણ આપીશ.’ આમ લખી ઉમેર્યું હતું, ‘તારો મારા પર અધિકાર છે.’ આ ‘અધિકાર’ શબ્દે મારા હ્રદયને આનંદની વાછટોમાં બરાબર ભીંજવેલું! સાવ એવું નહોતું કે તે માત્ર બોલવા ખાતર બોલતા હતા. એક કાર્યક્રમ દરમ્યાન હું ઓટોગ્રાફ લેવા ગાયિકા સુલોચના કદમ પાસે પહોંચ્યો ત્યારે તેમણે મારો ફોટો પાડ્યો હતો અને ફોટા પાછળ ટૂંકી નોંધ લખીને મને પોસ્ટમાં મોકલ્યો પણ હતો! એ વખતે રોલવાળા કેમેરા હતા અને પ્રિન્‍ટ કઢાવવાનો ખર્ચ થતો. જીવનની નાની ખુશીઓ વહેંચીને ખુશ થવાની તેમની આ વિશેષતા હતી. મારા જીવનનું અણમોલ સંભારણું બનેલી ગાયક જગમોહન ‘સુરસાગર’ સાથેની મુલાકાત પણ તેમના આ સ્વભાવનું જ પરિણામ. કેવી મધુર યાદો!



મારું લગ્ન થયું ત્યારે ભેટસ્વરૂપે તેમણે પોતાનો પ્રથમ વાર્તાસંગ્રહ ‘ખલેલ’ મોકલાવ્યો હતો. હું તેમનું કોઇ પુસ્તક ખરીદીને ઓટોગ્રાફ માંગું તો તરત કહેતા, ‘બેટા, મારાં પુસ્તકો તારે નહીં ખરીદવાના. એ તો હું જ તને મોકલાવીશ.’

મારી નોકરીમાં સતત પાળી બદલાતી રહે. મારું લગ્ન થયું અને પરિવારમાં પરોવાયો. રૂબરૂ મુલાકાતો ઘટવા લાગી, પરંતું પ્રસંગોપાત જ્યારે પણ મળવાનું થાય ત્યારે મને એ જ ઊષ્મા અનુભાવાતી. હું નવા મકાનમાં રહેવા ગયો ત્યારે તેમણે શુભેચ્છાસંદેશ લખી મોકલ્યો હતો. તેમણે આ તેમના તદ્દન નવા છપાયેલા લેટરહેડનું સૌ પ્રથમ પાનુ હોવાનો સંયોગ ખાસ નોંધવાની સાથે દસ દિવસ પહેલાં (તેમની દીકરી) તર્જનીની દિકરીના જન્મના સમાચાર પણ લખ્યા હતા. મારા આમંત્રણને માન આપીને રજનીભાઇ મારે ત્યાં બે વખત આવ્યા હતા. એ બંને પ્રસંગો મારા માટે ઓચ્છવ જેવા બની રહેલા.

મારી લાગણીને માન આપીને રજનીભાઇએ પ્રેમપૂર્વક મારા બંને સંતાનો-દીકરો સુજાત અને દીકરી મલક-નું નામકરણ કર્યું હતું. કોણ જાણે કેમ, પણ તેઓ સુજાતને ‘સુજાતસિંઘ’ તરીકે સંબોધતા અને એ સાથે જ તેમનો ચહેરો ખીલી ઉઠતો. તેમનું એ નિર્ભેળ- નિર્મળ હાસ્ય અત્યારે પણ આંખો સામે તરવરી ઉઠે છે.

સમય જતાં મારી સાથેનો તેમનો આત્મીયભાવ મારા સંતાનો સુધી લંબાયો. સુજાત કૉલેજમાં હતો એ સમયગાળામાં રજનીભાઇનો વડોદરામાં જૂનાં હિન્દી ફિલ્મસંગીતનો એક કાર્યક્રમ હતો. આ સમયે કમ્પ્યુટર પર મદદનીશની જરૂર હતી ત્યારે તેમણે તરત સુજાતને સંભાર્યો હતો. એકાદ વખત કોઇ લેખનો અનુવાદ કરવાની જરૂર હતી ત્યારે પણ તેમણે સુજાતને યાદ કરેલો. બંને વખતે સુજાતે ઉલટભેર તેનું યોગદાન આપ્યું હતું.


હોમાય વ્યારાવાલા સાથેના મારા જોડાણને લઇને ‘જલસો’માં લખેલો મારો લેખ તેમને ગમ્યો હતો. બીરેને મને કહ્યું કે ગુરુને તારો લેખ ગમ્યો હતો, ત્યારે અનાયાસે મારું મન ચગડોળે ચડ્યું કે આજે હું જે કંઇ વિચારો કે વર્તન ધરાવું છું, તેમાં કોનો અને કેટલો ફાળો? મારા મનની મીઠી મૂંઝવણ પછીનો જવાબ મને તેમણે લખેલી વાર્તાઓ તરફ દોરી ગયો. મને નવલકથા સહિત તેમનાં તમામ લખાણો ગમતાં, પરંતુ તેમની વાર્તાઓ વિશેષ પ્રિય. આ બાબત હું ઘણા વખત પહેલાં એક પત્ર દ્વારા તેમને જણાવી ચૂક્યો હતો. એ વખતે મેં મેઇલમાં એકરાર કર્યો કે તેમની વાર્તાઓ આજે પણ મારી સંવેદનાને ઝરતી રાખે છે. આ વાંચીને રજનીભાઇએ ખૂબ રાજીપો અનુભવેલો અને ઉલટ અને ઉમળકાથી વળતો જવાબ વાળ્યો હતો. જો કે, મારે આ વાત રૂબરૂ કહેવી હતી અને તેમનો આભાર પણ માનવો હતો; પરંતું કાયમનો વસવસો આપીને  એ સહેજ વહેલા જતા રહ્યા!

**** 

ઊંમર વધવા સાથે તેમની વ્યસ્તતા પણ વધી હતી. તેમને ગણદેવીમાં ભુપેન્દ્ર સુરતીની કામગીરી બાબતે લેખ લખવાનો હતો, પણ સમયનો અભાવ સાલતો. એક વખત બીરેનને ત્યાં થયેલી તેમની મુલાકાત સમયે આ વાત થઇ ત્યારે મેં તેમને કાચું કામ કરી આપવાની તૈયારી બતાવી. તે રાજી થયા, અને મને મેટર મોકલી આપ્યું. એની પરથી મારું કામ જોઇને તેઓ વધુ રાજી થયા. પહેલી વખત મેં તેમને કોઈ લખાણ લેખ સ્વરૂપમાં ઢાળી આપ્યું હતું. આ લખાણ પર તેમણે કેટલાંક સંસ્કરણો કર્યા અને બે અલગ ઠેકાણે લેખ પ્રગટ પણ થયા ત્યારે લખાણનો જાણે કે કાયાકલ્પ થઈ ગયો હતો. કામ કરવાની મારી ફાવટ અને ધગશ જોઇ તેમણે મને કહ્યું, ‘તારે સ્વતંત્ર લેખન કરવા જેવું છે. મેટર બીરેન આપશે.’ હર્ષલ પુષ્કર્ણાના જિપ્સીમાં હું સ્વતંત્રપણે લખતો હોવાનું બીરેને તેમને જણાવ્યું ત્યારે તે ઘણા રાજી થયા હતા.

કોવિડ પછીના સમયગાળામાં રજનીભાઇને સ્વાસ્થ્ સંબંધી નાની મોટી તકલીફો ઊભી થવા લાગી હતી. છતાં ફેસબુક જેવા ઇલેક્ટ્રોનિક મિડીયા પર તેમને સક્રિય જોઇ હું દંગ રહી જતો. તેમનાં કામ અને કાર્યપદ્ધતિની મને બીરેન પાસેથી જાણ મળતી. તે બિમાર પડ્યા ત્યારે બીરેન સાથે હું પણ તેમને મળવા હોસ્પિટલે પહોંચ્યો હતો. તેમને મળીને દરેક વખતે કોઇ દિવ્ય વિભૂતીને મળી આવ્યાનો ભાવ થતો. એવી વ્ચક્તિ જે માત્ર ને માત્ર નિર્મળ પ્રેમ વરસાવી જાણતી હતી. આ મુલાકાત વખતે પણ એવું જ અનુભવાયું.

**** 

માનવસહજ સબળાઇ- નબળાઇઓ અને લાગણીઓનો ઝીણવટભર્યો અભ્યાસ એ રજનીભાઇનું કાર્યક્ષેત્ર. ઊભરતી અને ઊમટતી ઊત્કટ લાગણીઓના પ્રવાહનો વાચકના હૃદયના ઊંડાણે અનુભવ કરાવવામાં રજનીભાઇની મહારત.

 મિત્ર દિલીપ રાણપુરાનાં પત્નિ સવિતાબહેનના અવસાન પછી મિત્રની વ્યથાને વાચા આપતી ‘ચંદ્રદાહ’ જેવી વાર્તા રજનીકુમાર પંડ્યા જ આપી શકે! અણધારી ઘટનાઓના આટાપાટા વચ્ચે તેમણે સર્જેલાં ‘વિશિષ્ટ’ પાત્રો અને તેની ‘વિશિષ્ટતાઓ’ એવાં તો ચિરંજીવી છે કે આજે પણ કોઇ ‘વિશિષ્ટ’ વ્યક્તિની જરા સરખી ઝલક મળે કે તરત રજનીભાઇની કોઇ ને કોઈ વાર્તાનું અનુસંધાન સધાઇ જાય છે. ક્યારેક નજર સામે આખેઆખી વાર્તા ભજવાતી લાગે અથવા ક્યારેક કોઇ ચોક્કસ પાત્ર નજર સમક્ષ તરવરી ઉઠે. ક્યારેક કોઈ વિચિત્ર પરિસ્થિતીનો સામનો કરવાનો થાય અને અસમંજસનો માહોલ સર્જાય ત્યારે મનના એક અજ્ઞાત ખૂણામાં ખાસ અદાલતમાં ખટલો મંડાતો હોવાનું અનુભવાય છે; તેના એક કઠેડામાં હું મારી જાતને ભાળું છું, જ્યારે સાક્ષીના કઠેડામાં રજનીકુમાર પંડ્યાને! આ ‘આત્માની અદાલત’ રજનીભાઇની દેન હોવાનું લાગે છે.

ઊત્તમ લેખક, વાર્તાકાર, સાહિત્યકાર અને વિશેષ તો ઉમદા વ્યક્તિ ધરાવતા રજનીકુમાર પંડ્યાનું ૧૫ માર્ચ, ૨૦૨૫ની રાત્રે સાડા નવે દેહાવસાન થયું એ એક નિષ્ઠુર હકીકત છે. પરંતુ તે સદેહે હાજર નથી એટલું જ, અન્યથા રજનીભાઇ તેમના સર્જન થકી અને તેમણે સર્જેલી કૃતિઓ થકી અમારા ભાવવિશ્વમાં અને મનોવિશ્વમાં હાજર છે અને હાજર રહેશે!

Tuesday, May 20, 2025

'સાર્થક'ના કાર્યક્રમ અને 'ટીમ સાર્થક' વિશે થોડું

રવિવાર, 18 મે, 2025ની સાંજે અમદાવાદના એ.એમ.એ.ખાતે રામચંદ્ર ગુહાના અંગ્રેજી પુસ્તક 'ઈન્ડિયા આફ્ટર ગાંધી'ના દિલીપ ગોહિલ અને ઉર્વીશ કોઠારીએ કરેલા ગુજરાતી અનુવાદનું વિમોચન યોજાયું. આ નિમિત્તે બન્ને અનુવાદકોને અને 'સાર્થક પ્રકાશનની ટીમ'ને અનેકાનેક અભિનંદન પાઠવવામાં આવ્યા અને હજી એ સીલસીલો ચાલુ છે. તો શું 'સાર્થક પ્રકાશનની ટીમ' ખરેખર છે ખરી? એ છે તો એમાં કોણ કોણ છે અને એ લોકોની ભૂમિકા શી હોય છે? આવું ખાસ કોઈ પૂછતું નથી. સામાન્યપણે માની લેવાય છે કે ટીમ હશે અને સૌની પોતપોતાની ભૂમિકા હશે.

આવી ટીમ હકીકતમાં છે પણ ખરી, અને આમ ક્યાંય નથી. 'સાર્થક પ્રકાશન'નો કાર્યક્રમ હોય એટલે એમાં અમુક વસ્તુઓ પાયાના નિયમ તરીકે સ્વીકારાયેલી છે. જેમ કે, કાર્યક્રમમાં સંચાલક નહીં હોય, અને જો હોય તો એની ભૂમિકા માત્ર સંચાલન પૂરતી, એટલે કે કાર્યક્રમની બે આઈટમ વચ્ચે સેતુરૂપ ભુમિકા બાંધવાની જ હશે. આ કારણે સંચાલકે શેરોશાયરીનો ઊપયોગ બિલકુલ કરવો નહીં. એટલે સંચાલકની જરૂર પડે તો મિત્ર પ્રણવ અધ્યારુ એ માટે કાયમી પસંદગી, કેમ કે, એ પણ આવું જ માનનારો. પ્રણવને સંજોગોની પ્રતિકૂળતા હોય અને એ ભૂમિકા કરવાની જ હોય તો અમારામાંથી કોઈ પણ એ ભૂમિકા કરી લે.

બીજી વાત એ કે કાર્યક્રમ શક્ય એટલો અનૌપચારિક અને આત્મીય બની રહેવો જોઈએ. 'આત્મીય' એ અર્થમાં કે વિવિધ ક્ષેત્રનાં સમાન રસરુચિવાળા લોકો આ કાર્યક્રમમાં આવે અને એકમેકને મળે એ ઉદ્દેશ્ય જળવાવો જોઈએ. દીપપ્રાગટ્ય, સરસ્વતીવંદના, બુક કે બુકેથી સ્વાગત- વગેરે લગભગ ન જ હોય. મહેમાનો પણ પોતાની મેળે જ આવીને મંચ પર ગોઠવાઈ જાય. એ કરવું જ પડે એમ હોય તો શક્ય એટલી અનૌપચારિકતાથી કરવું. અલબત્ત, આનો અર્થ એવો જરાય નહીં કે મહેમાનો સાથે 'નાખો વખારે'નો વહેવાર કરવો. મોટા ભાગના કિસ્સામાં મહેમાન એવા જ હોય કે જે પોતે પણ અનૌપચારિકતામાં માનતા હોય.

કાર્યક્રમનું મહત્ત્વનું પાસું એનું કન્ટેન્ટ બની રહેવું જોઈએ. માત્ર કોઈ જાણીતો ચહેરો કે સેલીબ્રીટીની ઉપસ્થિતિથી સંખ્યા ભેગી કરવાની નહીં. કન્ટેન્ટ સઘન હોય, તો ઉપસ્થિત સૌને મજા આવે એ ખાત્રી છે. આથી સંખ્યા ભેગી કરવા માટે લોકરંજકતાથી દૂર જ રહેવું. એમ કરવામાં ક્યારેક એમ બને કે સંખ્યા ઓછી થાય, અથવા 'ધાર્યા મુજબની' ન થાય, પણ જેટલા આવ્યા હોય એટલા નક્કર કન્ટેન્ટને કારણે જ આવ્યા હોય.

કાર્યક્રમ સમયસર શરૂ કરવામાં અને સમયસર પૂરો કરવામાં માનનારો એક ઝનૂની વર્ગ છે, જેમને મન ઘડિયાળના કાંટા અને પોતાની પોતે માની લીધેલી નિયમિતતાથી વિશેષ કશું નથી, કાર્યક્રમનું કન્ટેન્ટ પણ નહીં. તેઓ આમાં બહુ મોટી સિદ્ધિ હોય એમ બહુ ગૌરવપૂર્વક કાર્યક્રમ શરૂ થતાં અને સમાપન કરતાં આનો ઉલ્લેખ કરે. અમે કાર્યક્રમની અવધિ પર વિશેષ ધ્યાન આપીએ છીએ. કાર્યક્રમ ચાલુ હોય ત્યારે મનોમન એ ગણતરી ચાલતી જ હોય કે સમય જળવાઈ રહ્યો છે કે કેમ. ક્યારેક કોઈ સમયમર્યાદા કરતાં વધુ બોલે તો એ પછીના વક્તા પોતાનો સમય એટલો ઓછો કરીને સમગ્ર કાર્યક્રમને લાંબો બનવાથી અટકાવે છે. દલીલ ખાતર એમ કહી શકાય કે કાર્યક્રમ દસ મિનીટ મોડો ચાલુ થાય તો અમુકતમુક માનવકલાકોનો વેડફાટ છે. આવે વખતે મને જાપાનીઝ વડાપ્રધાનના નામે ચડેલી ગંગાઘાટ પરની આરતીવાળી જોક યાદ આવે છે. સમયસર શરૂ અને પૂરો કરવાનો આગ્રહ બરાબર, પણ ઝનૂન ખોટું.

કાર્યક્રમની ગરિમા બરાબર જળવાવી જોઈએ. એ આત્મીય, અનૌપચારિક હોય, પણ એનું સ્તર જળવાય તો જ આ શક્ય બને. કેમ કે, આટલા અનુભવે એ સમજાયું છે કે 'સાર્થક કન્ટેન્ટ' પસંદ કરનારો વર્ગ છે જ.

હવે આવે ટીમની વાત. ટીમ એટલે શું? ટીમનો કોઈ કેપ્ટન હોય? કાર્યક્રમ નિમિત્તે અનેકવિધ એજન્સીઓની જરૂર પડે. અમદાવાદમાં અનેક મિત્રો એવા છે કે જે આવી એજન્સીઓને જાણતા હોય. એવા મિત્રોને જાણ કરવામાં આવે એટલે એની જવાબદારી તેઓ જ ઉપાડી લે અને પૂરી પાડે. એમનો નામોલ્લેખ કરવા જઈએ તો યાદી લાંબી થાય, છતાં અધૂરી રહે. એટલે સરવાળે માહોલ એવો ઊભો થાય કે કાર્યક્રમમાં આવનાર સૌ કોઈ અમારી ટીમનો સભ્ય હોય એમ જ લાગે. એ પોતાની સાથે બીજા સહૃદય મિત્ર/મિત્રોને લઈ આવે તો માણસ વધી જવાનું ટેન્શન થવાને બદલે ટીમમાં એક સભ્યનો ઉમેરો થયાનો આનંદ થાય. ટીમના કેપ્ટન? બધા જ પોતે સંભાળેલી જવાબદારીના કેપ્ટન. સંયોજન પૂરતી કાર્તિકભાઈ કે ઉર્વીશ સાથે વાત થાય એટલું જ, એથી આગળ કશું નહીં.

એક ઉદાહરણ કાલના જ કાર્યક્રમનું આપું. રામચંદ્ર ગુહાની ફ્લાઈટ બપોરના ચાર આસપાસ અમદાવાદ એરપોર્ટ પર આવી જવાની હતી. તેમને આવકારવા, અને એ પછી તેમના ઉતારેથી છેક હૉલ સુધી લાવવાની જવાબદારી કોઈકે સંભાળવી પડે. આ વ્યક્તિ એવી હોય કે જે રામચંદ્ર ગુહાના કામથી પરિચીત હોય, તેમને કંપની આપી શકે એવી હોય તો સરસ. એ માટે બે વ્યક્તિઓએ જવાબદારી સંભાળી. નવી બનેલી મિત્ર સોહિની ચટ્ટોપાધ્યાય અને ઋતુલ જોશી. એમાં પણ ઋતુલ પોતે કેરળથી પ્લેનમાં એ સમયની આસપાસ ઉતરવાના હતા. પણ બધું સરસ સંયોજન થઈ ગયું, અને રામચંદ્ર ગુહા સાડા પાંચે હોલ પર હાજર. કાર્યક્રમ શરૂ થાય ત્યાં સુધી તેમને હોલ પર બેસાડવાના, અને કંપની આપવાની, યા તેમની નાની જરૂરિયાતોનું ધ્યાન રાખવાનું. કેમ કે, આયોજક તરીકે અમે સૌ બીજા મિત્રોને આવકારવામાં વ્યસ્ત હોઈએ. એટલે હૉલના એ રૂમથી રામચંદ્ર ગુહા સ્ટેજ પર આવે ત્યાં સુધી એમનો કોન્ટેક્ટ પર્સન સુજાત પ્રજાપતિ.

'એ.એમ.એ.'ના પાર્થ ત્રિવેદી કહે, 'તમે બેનર બનાવડાવી લીધું કે બાકી છે?' એ બાકી હતું એ જાણીને પાર્થ કહે, 'રાહ જુઓ. કદાચ પાછળ સ્ક્રીનની વ્યવસ્થા કરાઈ રહી છે. હું બે દિવસ પહેલાં તમને જાણ કરીશ.' સ્ક્રીનની વ્યવસ્થા ન થઈ શકે તો બેનર બનાવવા માટે બે દિવસ પૂરતા હતા. પણ એ વ્યવસ્થા થઈ, હવે બેનર ફક્ત સ્ક્રીન પર બનાવવાનું હતું. એ ભાગ કેતન રૂપેરાએ સંભાળી લીધો.

મંચ પર આ બે જ સોફા

પૂરો ભરાયેલો હૉલ

રામચંદ્ર ગુહા વક્તવ્ય દરમિયાન

નાનામોટા નીતિવિષયક નિર્ણયો લેવાના પણ આવે. ત્યારે કાર્તિક શાહ અતિશય ઠંડકથી એ લે અને એમના ચહેરા પરની રેખા પણ ન બદલાય.

આ કેવળ થોડાં ઉદાહરણ છે. આ રીતે અનેક નાનામોટા કામ હોય, અને સૌ સ્વેચ્છાએ, આનંદથી એ જવાબદારી ઉઠાવે. એને 'સાર્થક'ની ટીમ કહેવામાં પણ માલિકીભાવ લાગે. આ તો સમરસિયા મિત્રોએ મળીને પાર પાડેલું કામ.

ફરી વાર લખું કે અહીં સૌના નામ લખી શકાય એમ નથી, કેમ કે, એમ કરવા જઈએ તોય અમુક બાકી જ રહી જાય. આ કેવળ કાર્યપદ્ધતિનો ખ્યાલ આપવા પૂરતાં જ નામ લખ્યાં છે.

મિત્ર, અને અનેક અવનવા કાર્યક્રમોના આયોજક હસિત મહેતા કહે છે એમ, 'કાર્યક્રમનું આયોજન એ રીતે કરવાનું કે આપણા માટે તો એ કાર્યક્રમ શરૂ થતા પહેલાં જ પૂરો થઈ ગયેલો હોય. આપણે પછી માત્ર પ્રેક્ષક બનીને જવાનું.' પ્રયત્ન કંઈક આવો હોય છે, અને એ શક્ય બને છે 'સાર્થક'ની આવી સ્વયંભૂ ટીમના સભ્યોથી.

ક્યારેક કોઈક સ્નેહીમિત્ર બહુ ગંભીરતાથી પૂછતા હોય છે, 'મારે તમારી ટીમના સભ્ય બનવું છે. શું કરવું?' આનો જવાબ આમ સહેલો છે, પણ અમે એટલા સૌજન્યવિહીન નથી કે મોં પર કહી શકીએ. એમને 'સાર્થક ટીમ'ના સભ્ય ફક્ત પોતાના લેખ છપાય એટલા માટે બનવું હોય તો એ શક્ય નથી. અમુક કિસ્સામાં એમ પણ કહેવાનું મન થઈ આવે કે તમે અત્યારે જે લખો છો એ લખવાનું બંધ કરો તોય બહુ. પણ એવું કહી શકાતું નથી. આથી અમે કહીએ છીએ, અને એ સાચું પણ છે કે 'સાર્થક'ની એવી કોઈ ટીમ જ નથી.

બીજું કે, પુસ્તક/સામયિક વેચાય એ તો હરેક પ્રકાશકની જેમ અમારું પણ સ્વપ્ન હોય એ સ્વાભાવિક છે, પણ એ સહજપણે થાય એમ અમે ઈચ્છીએ. આથી જ, 'જલસો'મિલનમાં અમે ખાસ કહીએ છીએ કે આપ આપના મિત્રોને જાહેરખબર માટે વાત કરજો, પણ ક્યાંય તમને એમ લાગે કે તમારો હાથ નીચે રહે એમ છે, એટલે કે તમારે કાકા મટીને ભત્રીજા બનવાનું થાય છે, તો એ ન કરતા. કેમ કે, એ રીતે આપણે આપણું સામયિક નથી વેચવું. આમાં 'કોઈની સાડાબારી ન રાખવી'નો ભાવ નથી, પણ આત્મગૌરવ જાળવવાની વાત છે અને એ મુખ્ય છે.

'સાર્થક પ્રકાશન' તંગ દોર પર ચાલે છે એ સૌ જાણે છે. પણ ગમતાં પુસ્તકો કરી શકાય અને આખરે આનંદ આવે એ બાબત મુખ્ય છે. બસ, 'ઈન્ડિયા આફ્ટર ગાંધી'ના ગુજરાતી અનુવાદના કાર્યક્રમ નિમિત્તે આટલું જ.


(તસવીરો: બિનીત મોદી)

Saturday, May 3, 2025

છિપકલી કે નાના હૈ, છિપકલી કે હૈ સસુર

'કહત કાર્ટૂન' ની સીઝન 2 અંતર્ગત 30 એપ્રિલ, 2025ને બુધવારની સાંજના સાડા સાતથી અમદાવાદના 'સ્ક્રેપયાર્ડ' ખાતે આ શ્રેણીના બીજા હપતાની રજૂઆત કરવામાં આવી. આ કાર્યક્રમનું શિર્ષક હતું: 'We, the dinosaurs: छिपकली के नाना, छिपकली के ससुर'. 

કાર્યક્રમનું આ પેટાશિર્ષક મૂળ તો ગુલઝારસાહેબે લખેલા 'ધ લાસ્ટ ડાયનોસોર' નામની એનિમેટેડ કાર્ટૂન શ્રેણીના શિર્ષક ગીતના છે. ડાયનોસોર પરનાં કાર્ટૂન શા માટે? આનો જવાબ છે, આ શ્રેણીનો સૌ પ્રથમ હપતો હતો 'Creation of Universe' એટલે કે બ્રહ્માંડના સર્જન વિશેનાં કાર્ટૂનો વિશેનો. એ જ ક્રમમાં હવે ડાયનોસોરનો વારો.

'દિવ્ય ભાસ્કર' તા. 30-4-25 

ડાયનોસોર વિશેનાં ભાતભાતનાં કાર્ટૂન ઊપલબ્ધ છે અને હવે જેમ ફિલ્મોમાં ડાયનોસોરનો અતિરેક થઈ ગયો એમ કાર્ટૂનમાં પણ છે. આમ છતાં, કેવાં કેવાં પ્રકારનાં કાર્ટૂન આ વિષય પર હોઈ શકે એ જાણવાની મજા આવે એવું છે.

કાર્યક્રમની રજૂઆત દરમિયાન (કમ્પ્યુટર પર કામિની)
ડાયનોસોરને લગતાં કાર્ટૂનોનું વિવિધ વિભાગોમાં વર્ગીકરણ કરીને દેખાડવાથી તેના વૈવિધ્યનો બરાબર ખ્યાલ આવે છે. અલબત્ત, માત્ર સવા દોઢ કલાકના કાર્યક્રમ માટે કાર્ટૂનોની પસંદગી કરવી અઘરી છે. એ એક જુદો પડકાર છે, અને એને પહોંચી વળવાની પણ અલગ મજા છે.
સ્ક્રેપયાર્ડના સજ્જ શ્રોતાઓ સમક્ષ ડાયનોસોરને લગતાં વિવિધ કાર્ટૂન રજૂઆત પામતાં ગયાં એમ તત્ક્ષણ એનો પ્રતિસાદ પણ મળતો જતો હતો. અમુક કાર્ટૂન દર્શાવતો હોય પ્રાગૈતિહાસિક કાળ, પણ સંદર્ભ વર્તમાનનો હોય એટલે વધુ ચોટદાર અને રમૂજપ્રેરક બની રહે.
આ વખતે વિષયને લઈને કેટલાંક બાળકોએ પણ હાજરી આપી હતી. જો કે, આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા માટે બાળકોના વાલીઓ તરફથી આવતી પૃચ્છામાં જણાવવામાં આવે છે કે બાળકોને કદાચ બહુ મજા ન આવે, કેમ કે, આ એનિમેટેડ કાર્ટૂન નથી. બાળકોના વયજૂથ મુજબ અલાયદો કાર્યક્રમ કરવો પડે.
આ કાર્યક્રમમાં વડોદરાથી મિત્ર પરેશ ઊપરાંત અમારી સાથે જ ભાનુબહેન દેસાઈ પણ જોડાયેલાં. ઘણા વખતથી આ કાર્યક્રમમાં હાજરી આપવાની તેમની ઈચ્છા અને સંજોગોની પ્રતિકૂળતા પછી આખરે તેમણે મન મક્કમ કરીને આવવાનું ગોઠવ્યું. વડોદરાથી અમદાવાદ જતાં અને પાછા આવતાં રસ્તામાં જે સત્સંગ થયો એ વધારાની ઉપલબ્ધિ.
સરવાળે સવા- દોઢ કલાકના આ કાર્યક્રમ પછી ડાયનોસોર સમાજનું ઠીકઠીક અંતરદર્શન થયું એમ કહી શકાય. આ શ્રેણીનો ત્રીજો કાર્યક્રમ મેના મધ્યમાં યોજાશે, જેની ઘોષણા અહીં કરીશું.
(તસવીર સૌજન્ય: બિનીત મોદી)

ડાયનોસોરની સમસ્યાઓ (Cartoonist: Andres’)

ડાયનોસોર મ્યુઝીયમમાં (Cartoonist: Trevor

ડાયનોસોર લુપ્ત શી રીતે થયાં એ અંગેની
અનેક થિયરીઓમાંની એક (Cartoonist: Gary Larson)

ડાયનોસોર અને માનવ (Cartoonist: Jerry King)

Friday, May 2, 2025

પહેલાં શું ન લખવું એ નક્કી રાખો...

'તમારી એક મદદ જોઈતી હતી' અથવા 'તમારું માર્ગદર્શન જોઈતું હતું' આવું કોઈક પૂછે એટલે અચાનક 'મોટાભાઈ મોડ'માં આવી જવાય. જગત આખાના વિષય પર માર્ગદર્શન આપી શકવાની આપણી ક્ષમતા બહાર નીકળવા રીતસર થનગનવા લાગે, પણ આપણે નમ્રતા ધારણ કરીને પૂછીએ, 'બોલો ને! મારાથી શક્ય હશે એટલી મદદ કરીશ.' અથવા 'મને ખબર હશે એટલું કહીશ.' એ વખતે સામેથી સવાલ આવે, 'આમ તો મેં મારી રીતે જવાબ મેળવી જ લીધો છે, પણ મને થયું કે 'કોક બીજા'ને પૂછી જોઈએ.' ત્યારે આપણે અચાનક 'નાના ભાઈ મોડ'માં આવી જઈએ, પણ અગાઉ બતાવેલી નમ્રતા નડી જાય.

ભરૂચની એમિટી સ્કૂલના પ્રકાશભાઈ મહેતા સાથે એકાદ સપ્તાહ પહેલાં વાત થઈ ત્યારે એમણે કંઈક એ મતલબનું કહેલું કે 'તમે અહીં આવો અને કંઈક માર્ગદર્શન આપો.' બેએક વર્ષ પહેલાં જ એમિટી સ્કૂલનું દસ્તાવેજીકરણ કરતું પુસ્તક સંપન્ન કરેલું અને એ નિમિત્તે ત્રણ-ચાર વર્ષ સતત સમયાંતરે અહીં જવાનું બનતું. આથી અહીંના વાતાવરણથી સુપરિચીત. પ્રકાશભાઈથી પણ. એટલે પ્રકાશભાઈએ મને આમ કહ્યું ત્યારે 'મોટાભાઈ મોડ'માં આવવાને બદલે અમે થોડી ચર્ચા કરી. એ ચર્ચાની ફલશ્રુતિરૂપે પ્રકાશભાઈએ મને કેટલાક મુદ્દા સવાલરૂપે મોકલી આપ્યા. એટલે કે મારે એ મુદ્દાની આસપાસ રહીને કેટલીક વાતો કરવાની હતી.

એમિટીની આ કાર્યપદ્ધતિ વિશે મને જાણ હતી, અને મને એમ લાગે કે કામ કરવા ઈચ્છનારે એ અપનાવવા જેવી છે. જે દિવસે મુલાકાત હોય એ અગાઉ આપણને કાર્યક્રમની રૂપરેખા આપી દેવામાં આવે, તેમજ મુલાકાતના દિવસે એનું સમયવાર વિભાજન પણ આપવામાં આવે, જેથી વાત કરતી વખતે બહુ સ્પષ્ટતા રહે.

પૂર્વભૂમિકા બાંધી રહેલા પ્રકાશભાઈ
(સાથે બેઠેલા રણછોડભાઈ, પ્રમેશબહેન) 

નક્કી થયા મુજબ મંગળવારે મારી એમિટી મુલાકાત ગોઠવાઈ. વિવિધ વિભાગ સંભાળનાર વડાં અને શિક્ષિકાઓના જૂથ સાથે મારે વાત કરવાની હતી. વિષય હતો લેખનના વિવિધ પ્રકાર અંગે કે જે ખાસ કરીને એમને શાળાના વિવિધ પ્રસંગોએ જરૂર પડતી હોય. કાર્યક્રમનું આયોજન વક્તવ્યરૂપે રાખવાને બદલે પ્રકાશભાઈએ અનૌપચારિક વાતચીતનું જ રાખેલું, જેથી વધુ ખૂલીને વાત થઈ શકે. એ મુજબ સૌ વર્તુળાકારે જ ગોઠવાયાં. શાળાના સામયિક માટે વિવિધ લખાણો લખવાં, અહેવાલ લખવો, સામગ્રીની પસંદગી શી રીતે કરવી, લખાણ લખતાં કયા શબ્દો ન વાપરવાં, શિર્ષક કેવાં ન રાખવાં, સામયિકના લખાણને પુસ્તકરૂપ આપવું હોય તો કઈ બાબત ધ્યાને લેવી વગેરે અનેક મુદ્દાઓ આમાં ચર્ચાયા. આમ તો, આનો કોઈ સર્વસામાન્ય નિયમ નથી, છતાં કેટલીક બાબતો ધ્યાનમાં લેવાય તો સારું. આવી પૂર્વભૂમિકા સાથે વાત આરંભાઈ.

વાતચીત દરમિયાન

ભાગ લેનારાંઓમાં સુશ્રી તોરલ પટેલ, નિવેદીતા ચટ્ટોપાધ્યાય, સરોજ રાણા, સુનિતા પાન્ડા, સુબી ઝેવિયર, શ્રુતિકા પાવડે, અવિપ્સા લી, સુદેશના, આતીયા ફરીદી, હીમા બિન્દુ, નાઝિયા મલેક, પલ્લવી સીંઘ, જયા ચક્રવર્તી, ઉર્વી જાદવ, નૌરીન પટેલ, જિગીષા પંડ્યા અને સ્વાતી શર્મા ઊપરાંત અલ્પેશભાઈ અને ભરતભાઈ હતા. કાર્યક્રમનો દોર પ્રકાશભાઈએ સંભાળેલો. રણછોડભાઈ, સંગીતાબહેન તેમજ પ્રમેશબહેન પણ સમગ્ર કાર્યક્રમ દરમિયાન ઊપસ્થિત રહ્યાં એનો વિશેષ આનંદ.

છેલ્લે પ્રકાશભાઈએ પોતાની આગવી હળવી શૈલીમાં સૌને આ ચર્ચામાંથી પોતપોતાને યાદ રહેલી એક એક બાબત જણાવવા કહ્યું. દરેકે એ જણાવ્યું ત્યારે પ્રત્યાયનનું વર્તુળ પૂરું થયાનો અહેસાસ થયો. વક્તવ્યને બદલે અનૌપચારિક વાતચીત હંમેશાં આનંદ આપનારી બની રહે છે એવો અનુભવ વધુ એક વાર થયો. 

સૌ વર્તુળમાં ગોઠવાયા હોવાથી વાતચીતનું સ્વરૂપ અનૌપચારિક રહ્યું
કાર્યક્રમ પછી સહભોજનની પણ એમિટીમાં મજા છે. ભોજન પીરસાતું હતું ત્યારે રણછોડભાઈએ હળવેકથી સૌને કહ્યું, 'બીરેનભાઈ વોઝ રિમેમ્બરીંગ લન્ચ એટ એમિટી.' મેં સુધારો કરતાં કહ્યું, 'નોટ રિમેમ્બરીંગ, બટ મીસીંગ!' કેમ કે, પુસ્તકના આલેખન વેળા લેવાયેલી મુલાકાતો દરમિયાન સહુની સાથે અલકમલકની વાતો કરતાં કરતાં ભોજનનો સ્વાદ માણવાનો આનંદ જુદો જ હતો. એવા માહોલની ખોટ ન સાલે તો જ નવાઈ!

એમિટીની મુલાકાતના આવા અવસર આવતા રહે છે, અને ન હોય તો એમિટી પરિવારજનો ઊભા કરતા રહે છે એનો આનંદ. કંઈક નક્કર ચર્ચા થયાની અનુભૂતિ સાથે એ બેઠક યાદગાર બની રહી.


(તસવીર સૌજન્ય: અલ્પેશભાઈ)

Thursday, May 1, 2025

અન્ના કરેનીનાએ કુમુદસુંદરીને ટોલ્સ્ટોય વિશે શી ફરિયાદ કરી?

(યોગાનુયોગે આ બ્લૉગની આ સાતસોમી પોસ્ટ છે. 12 જૂન, 2011થી આરંભાયેલી આ સફરના ચૌદ વર્ષ પૂરા થવામાં છે. મનગમતા અનેક વિષયોનું આમાં ખેડાણ થઈ શક્યું એનો આનંદ છે. વાંચનારા, પ્રતિભાવ આપનારા સૌ વાચકમિત્રોનો પણ આભાર. 

  - બીરેન કોઠારી

અગાઉ પણ એક કાર્યક્રમના રીહર્સલનો અહેવાલ લખેલો. એ કાર્યક્રમમાં હાજર રહેવાનું પણ બનેલું. અને એ કાર્યક્રમનો અહેવાલ ઉર્વીશે પોતાના બ્લૉગ પર લખેલો. આ વખતે સ્થિતિ અમુક અંશે એવી જ છે. આજે થયેલા રીહર્સલનો અહેવાલ લખવાનો છે, અને કાર્યક્રમ આવતી કાલે છે.

એ પણ મુંબઈમાં, જેમાં મારે હાજર રહેવાનું નથી. આવાં, સીધેસીધાં ન ઊતરે એવાં, કાર્યક્રમને બદલે રીહર્સલનો અહેવાલ લખવાની આપણને ફરજ પડે એવાં કામ પાછળ જવાબદાર એક જ વ્યક્તિ હોય! એ વ્યક્તિ એટલે હસિત મહેતા. એકેડેમિક શૈલીમાં કહીએ તો પ્રા.ડૉ. હસિત મહેતા. શૈક્ષણિક જગતમાં એમની બહુવિધ ઓળખ છે, અને શિક્ષણેતર જગતમાં પણ. હસિતભાઈના વિશેષ પરિચયને બદલે મૂળ વાત પર આવી જઈએ.
અંધેરી, મુંબઈના ભવન્સ ખાતે 2, 3 અને 4 મેના રોજ 'વ્યાપન પર્વ' નામનો સાહિત્યિક કાર્યક્રમ છે. સાહિત્ય અને સંસ્કૃતિ જગતનાં અનેક મોટાં માથાં (પોતાના ધડ સહિત) એમાં ઉપસ્થિત રહેવાનાં છે. હસિતભાઈની દૃષ્ટિ અને અમલનું સુફળ એટલે નડિયાદની ઝગડીઆ પોળમાં આવેલું 'ગોવર્ધન સ્મૃતિમંદીર'. આ વર્ષ 'સરસ્વતીચંદ્ર' લખાયાનું સવાસોમું વરસ છે. હસિતભાઈએ વિચાર્યું કે આ નિમિત્તે 'સરસ્વતીચંદ્ર' અને ગોવર્ધનરામને લોકો સુધી પહોંચાડીએ. એનો ગુજરાતી અનુવાદ એ કે આ વિષયને પરિસંવાદમાંથી અને શૈક્ષણિક જગતમાંથી બહાર કાઢીએ. પોતે નડીયાદની અને ખરેખર તો ખેડા જિલ્લાની એક માત્ર મહિલા કૉલેજના આચાર્ય હોવાને કારણે એમને પહેલો વિચાર આમાં વિદ્યાર્થીઓને સાંકળવાનો આવે એમાં નવાઈ નથી. પણ મુખ્ય પ્રશ્ન એ હતો કે એમને સાંકળીને કરવું શું?
હસિતભાઈ પાસે આવા બધા સવાલોના એક કહેતાં અનેક જવાબ મળે. કોઈ એમને ન પૂછે તો એ જાતે જ જાતને સવાલ પૂછે અને એના જવાબ મેળવતા રહે. અહીં સુધી વાંધો નહીં, પણ પછી એના અમલીકરણમાં વિવિધ સૃષ્ટિના જીવોનો પ્રવેશ થતો જાય. આ બાબતે પણ કંઈક આવું જ થયું.
ગોવર્ધનરામ ત્રિપાઠી અને 'સરસ્વતીચંદ્ર'ને હસિતભાઈ ઘોળીને પી ગયા છે એમ કહેવામાં જરાય અતિશયોક્તિ નથી. એમણે 'સરસ્વતીચંદ્ર'ના નાયક અને નાયિકાઓને વૈશ્વિક ફલક પરની, એની આસપાસના સમયગાળામાં સર્જાયેલી કૃતિઓનાં નાયકનાયિકાઓ સમક્ષ રજૂ કરવાનું વિચાર્યું. આમાંથી એમણે ત્રણ બાબત નક્કી કરી.
અન્ના (નાઝનીન) અને કુમુદ (પૂજા)
લીઓ ટોલ્સ્ટોયની 'અન્ના કરેનીના' 1878માં પ્રકાશિત થઈ. 'સરસ્વતીચંદ્ર'ના પહેલા ભાગના પ્રકાશનના લગભગ દાયકા પહેલાં. આથી એમણે અન્ના અને કુમુદસુંદરી વચ્ચેનો સંવાદ કલ્પ્યો અને એના થકી સર્જકના વિચાર શી રીતે વ્યક્ત કરાયા છે એ વિચાર્યું. આખો વિચાર એમણે આ બન્ને પાત્રો વચ્ચેના સંવાદ થકી વ્યક્ત કરીને એને લખ્યો. એમાં ક્યાંક ફ્લેશબેકની જેમ મૂળ કથાના એકાદ બે પ્રસંગ પણ આવે. આના લેખનને આખરી ઓપ અપાઈ ગયો એટલે હવે વાત આવી એની મંચ પર ભજવણીની. બે વિદ્યાર્થીનીઓ પૂજા અને નાઝનીનની પસંદગી થઈ. એ ઊપરાંત અન્ય પાત્રોમાં મિતાલી અને અલ્ફીના પણ ખરાં. આ લોકો લુણાવાડા જઈને પ્રો. કમલ જોશી પાસે એનું રીહર્સલ કરે એવી ગોઠવણ થઈ. ચાર-પાંચ દિવસ આ ચાલ્યું અને એક આખું સ્વરૂપ નજર સમક્ષ ઊઘડવા લાગ્યું. આ પહેલી વાત.

સરસ્વતીચંદ્ર (મિતાલી) અને કુમુદ (પૂજા)

બીજો મુદ્દો સ્વરૂપની રીતે સાવ જુદો. સ્વ. કુલીનચંદ્ર યાજ્ઞિક દ્વારા છેક 2013થી, એમની 86 વર્ષની વયે આરંભાયેલી એક અનન્ય પ્રવૃત્તિ તે 'ગુરુવારિયું', જે 'જી.ડી.' (ગૃપ ડિસ્કશન) કે 'સ્ટડી સર્કલ' તરીકે ઓળખાય છે. કુલીનકાકા દર ગુરુવારે સાંજના છ વાગ્યે ગોવર્ધન સ્મૃતિમંદીરમાં આવે અને વિવિધ વિદ્યાશાખાના વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરે. પ્રો. નીરજ યાજ્ઞિક અને વિદ્યાર્થીપ્રિય પ્રો. આશિષ શાહ પણ આમાં સંકળાયા. ત્રણેક વર્ષથી ઉર્વીશ અને હું પણ આમાં સંકળાયા છીએ. અહીં મજા અનૌપચારિક ચર્ચાની. એટલે હસિતભાઈએ વિચાર્યું કે આપણે આ 'જી.ડી.'ને મંચ પર ભજવીએ અને એની ચર્ચા થકી 'સરસ્વતીચંદ્ર'ના કોઈક પાસાને ઉજાગર કરીએ. એ મુજબ રમણભાઈ નીલકંઠના નાટક 'રાઈનો પર્વત'નો રાઈ અને 'સરસ્વતીચંદ્ર'ના નાયક સરસ્વતીચંદ્રનાં પાત્રોમાં ઝીલાયેલું ભારતીય રેનેસાં (નવજાગરણ)નું પ્રતિબિંબ શી રીતે ઝીલાયું છે એ દર્શાવવું. પ્રાથમિક મુસદ્દો એમણે તૈયાર કરી દીધો, પણ એને 'જી.ડી.'ના સંવાદસ્વરૂપમાં ફેરવવાનું કામ ઉર્વીશને અને મને સોંપ્યું. એટલે આ થઈ બીજી વાત.

વાસ્તવિક 'જી.ડી.' વખતે 'ભજવાનારી જી.ડી.'નું રીહર્સલ

'જી.ડી.'ના રીહર્સલની એક ઝલક

હજી ત્રીજી વાત બાકી હતી. 'સરસ્વતીચંદ્ર'માં આવતાં અનેક ગીત પૈકીનાં અમુક તેમણે પસંદ કર્યાં. એનું સ્વરાંકન કરાવીને એની મ્યુઝીકલ ટ્રેક બનાવડાવી. અને બે વિદ્યાર્થીનીઓ આસ્થાના તેમજ પૂજા એ ગીતો 'લાઈવ' રજૂ કરે એમ નક્કી કર્યું.

આસ્થાનાના ગાયનની એક ઝલક

આમ, 'સરસ્વતીચંદ્ર' અને ગોવર્ધનરામ ખરા અર્થમાં વિદ્યાર્થીઓ થકી લોકો સુધી પહોંચાડવાનો આ પ્રયાસ કહી શકાય. આજે બપોરના સમયે ગોવર્ધન સ્મૃતિમંદીરમાં ગાયન સિવાયની બન્ને આઈટમોનું રીહર્સલ હતું. વિદ્યાર્થીનીઓ જે તલ્લીનતાથી પોતાનો પાઠ ભજવી રહી હતી, વિદ્યાર્થીઓ જે રીતે ચર્ચાને લાઈવ બનાવતા હતા એના સાક્ષી બનવાની બહુ મજા આવી. આરંભે દેવાંગ દ્વારા 'જી.ડી.'ના અપાયેલા પરિચય પછી તપન, દીપ, મોક્ષિતા, અલ્ફીના, નાઝનીન અને જીગર વચ્ચેની ચર્ચાનું સુકાન પ્રો. ઝંખનાબહેને સંભાળેલું. જૈનિક, સ્મિત, પ્રો. હરીશભાઈ, પારૂલબહેન, ડૉ. અલ્પાએ પૃષ્ઠભૂમિમાં વિવિધ જવાબદારીઓ સંભાળેલી.
આવતી કાલે પહેલવહેલી વાર આ તમામ વસ્તુઓ મંચ પર ભજવાશે, પણ એ એક જ વાર નહીં હોય. ગુજરાત આખામાં અનેકવિધ શાળા-કોલેજે આને પહોંચાડવાની નેમ છે. એ માટે બે-ત્રણ ટીમ તૈયાર થઈ રહી છે, પણ આજે આ રીહર્સલનો કંઈક અનોખો રોમાંચ છે. આવા કામનો એક નાનકડો હિસ્સો બનવાનું થાય ત્યારે જે આનંદ આવે એની વાત જ ઓર છે.
આ રીહર્સલની કેટલીક તસવીરો.

(તસવીર/વિડીયો ક્લીપ સૌજન્ય: દેવાંગ, જૈનિક, હસિત મહેતા)