- પરેશ પ્રજાપતિ
(રજનીકુમાર પંડ્યાના અવસાન પછી મિત્ર પરેશ પ્રજાપતિએ તેમની સાથેનાં પોતાનાં સંભારણાં તાજાં કરતો આ લેખ લખ્યો છે.)
મારો કૉલેજનો અભ્યાસ પૂરો થયો એ પછીના અરસામાં (મોટે ભાગે ૧૯૯૩માં) બીરેન કોઠારીએ શિમલા- કુલ્લુ- મનાલીના પંદર દિવસના એક લાંબા પ્રવાસનું આયોજન કર્યું હતું, કૌટુંબિક સભ્યો ઊપરાંત આ પ્રવાસમાં તેના બે મિત્રદંપતીઓ પણ જોડાવાના હતા. ઉર્વીશે આ પ્રવાસમાં જોડાવા બાબતે મને પૂછ્યું, અને હું જોડાયો. પછી તેમાં ઉર્વીશના નવાસવા દોસ્ત બનેલા બિનીત મોદીનો પણ ઉમેરો થયો. અમારો અત્યાર સુધીનો આ સૌથી લાંબો સહિયારો પ્રવાસ. આ સમગ્ર સફરમાં મોટે ભાગે બિનીત વક્તા હતો જ્યારે ઉર્વીશ શ્રોતા. બિનીત જે ઉત્કટતાથી વાત કરતો એટલી જ ઉત્કંઠાથી ઉર્વીશ સાંભળતો હતો. આ વાતો ફક્ત એક વ્યક્તિ ફરતે ગૂંથાયેલી રહેલી. એ વ્યક્તિ એટલે રજનીકુમાર પંડ્યા. ત્યારે સંદર્ભ ખ્યાલ ન હોવાથી તેમની ઘણી વાતો મારા પલ્લે નહોતી પડતી, એટલું સમજાયેલું કે રજનીકુમાર પંડ્યા મોટા ગજાના લેખક- સાહિત્યકાર અને ઉત્તમ વાર્તાકાર છે અને ખાસ તો જૂના ફિલ્મસંગીતના શોખીન છે. વાતો પરથી મને એ પણ ખ્યાલ આવ્યો હતો કે રજનીકુમાર સાથે બિનીતને ઘરોબો છે.
વાતવાતમાં બિનીતે કહ્યું કે એક વખત તે
મિત્રો સાથે ડાકોર ચાલતા જવાનો કાર્યક્રમ બનાવ્યો હતો. રજનીભાઈને જાણ થતાં તેમણે
હેતુ પૂછ્યો. પછી પ્રેમથી ટપારતા કહ્યું કે ડાકોર જવાની ના નથી, પણ આમ ચાલતા જવું
એ નર્યું ગાંડપણ કહેવાય. તેમની સમજાવટ કામ કરી ગઇ હતી અને બિનીતે કાર્યક્રમ પડતો
મૂકેલો. એક વખત આવી ઘેલછા રાખીને હું પણ મહેમદાવાદથી ડાકોર ચાલતા ગયો હતો. મને આ
વાત સ્પર્શી ગઇ. ઊંડે ઊંડે થયું વાત ખોટી નથી. મારા મનમાં આ વાતે ઘેરી અસર ઊભી કરી
હોવાનું આજે પણ મને લાગે છે. ‘રેશનલ’ શબ્દ ઘણા સમય પછી મારી
સમજમાં આવ્યો.
****
અભ્યાસ દરમ્યાન હું ઉર્વીશના વાચન સાથે
જૂના ફિલ્મસંગીતના વિશિષ્ટ લાગતા શોખ તરફ આકર્ષાયો. ખાસ કરીને બારમા ધોરણના
વેકેશનના ગાળાથી સાથે બેસીને કોઇ સમયાવધિ વગર ફિલ્મસંગીત સાંભળવું નિયમિત બન્યું.
આ વખતે તેને ગમતા લેખો અને લેખકોની વાતો પણ થતી. પ્રવાસથી પરત ફર્યા બાદ સ્વાભાવિકપણે
રજનીકુમાર વિશે વાતો થઇ. એક વાર તેને ત્યાંથી મારે ઘેર જતી વખતે મારા હાથમાં
રજનીકુમાર પંડ્યાની વાર્તાઓનું પુસ્તક ‘આત્માની અદાલત’ હતું.
પુસ્તક વાંચવું શરૂ કર્યું. પહેલી ‘વાર્તા’
વાંચ, જેનું શિર્ષક હતું ‘અરે ડોશી!’ વાર્તા વાંચ્યા પછી મનમાં
થોડી નિરાશા સાથે પ્રશ્ન ઉગ્યો, ‘વાર્તા આવી હોય?’
તો પછી ઉર્વીશ વખાણે છે કેમ? એટલે થયું,
એકાદ બીજી વાર્તા વાંચવી જોઇએ. મેં પુસ્તકનાં પાનાં ઉથલાવ્યાં અને હાથે ચડી એ
‘વાર્તા’ વાંચવી શરૂ કરી. એ વાર્તા હતી ‘જીવનનું મોત’. આ વખતે હું સહેજ સભાન રહ્યો.
વાર્તાના કથાપ્રવાહમાં થોડો ખેંચાયો અને અંત વાંચતા ઝબકારો થયો. પછી મેં અગાઉ વાંચેલી
વાર્તા ‘અરે ડોશી!’ ફરીથી વાંચી. હવે મને વાર્તા અને વાર્તાનો મર્મ સમજાયો.
એ પછી વાંચી ‘શબનું સ્મિત’. આ વાર્તા વાંચ્યા
બાદ મારું મન સુન્ન થઇ ગયું. તેનું આલેખન મને મનોજગતના એવા અતલ ઊંડાણમાં ઢસડી ગયું
હતું કે હું બીજી વાર્તા વાંચવા માટે પુસ્તકનું પાન ઉથલાવી ન શક્યો. પછી તો એક પછી
એક એમ મેં બધી જ વાર્તાઓ વાંચી. દરેક વાર્તા મનમાં મંથનની પ્રક્રિયાનો આરંભ કરાવતી
અને અને પુસ્તકના શિર્ષકને યથાર્થ ઠેરવતી રહી. વાર્તા વાંચવાના આરંભે જાગેલો
પ્રશ્નાર્થ ઓગળી ગયો. મને થયું, ‘વાર્તા આવી જ હોય!’
‘આત્માની અદાલત’ પુસ્તકે મનુષ્યમાં ઉગતા કે
ઉગી શકતા મનોવિચારો તેમજ ઉમટતી કે ઉમટી શકતી લાગણીઓના અકલ્પ્ય ઘોડાપૂરને સિફતથી શબ્દોની
ગાંસડીમાં બાંધીને અસરકારક રીતે વાચક સમક્ષ પીરસવાની રજનીકુમારની કાબેલિયતનો પરચો
કરાવ્યો. વાર્તાકથનની આ શૈલી મને એ હદે ગમી કે મારા મનમાં ઉત્તમ વાર્તાકાર તરીકે
રજનીકુમાર પંડ્યાનું નામ શિલાલેખની જેમ કોતરાઇ ગયું.
****
આ પછી હું રજનીકુમાર પંડ્યાનાં લખાણો
વાંચવા પ્રેરાયો. તેમનાં લખાણોએ પાણી કરતાં પણ પાતળાં એવા મનનાં વલણો, સંવેગો અને
આવેગોથી અવગત કરાવ્યો, કથનશૈલી એવી કે તેની અનુભૂતી પણ થતી. પછી હું તેમનાં ‘ઝબકાર’
શ્રેણીના લેખોનો વાચક-ચાહક બન્યો. આ લેખો મને હલબલાવી નાંખતા. રજનીકુમારે કરેલી
ટકોર વાંચીને ક્યારેક મનમાં ઊંડી ચીસ
નીકળી જતી. કશું કરવાનો મને અદમ્ય ધક્કો વાગતો, પણ કશું નક્કર થઇ ન શકતું. એક તબક્કે મને મારી જાત પ્રત્યે નાનમ અનુભવાવા
લાગી. મેં રજનીભાઇને પત્ર લખીને મારી વ્યથા ઠાલવી. જવાબમાં તેમણે લખ્યું, ‘મોટા માણસની
વાતો વાંચી લઘુતાભાવ અનુભવવો નહી, તેમની ‘નાનાઇ’ મેં ક્યાં લખી હોય છે?’ આમ કહી
તેમણે એક દિશાનિર્દેશ આપ્યો. લખ્યું, ‘આપણે પોઝીટીવ, વિધેયાત્મક બનવા પ્રયત્ન કરવો
અને ગુણગ્રાહિતા કેળવવી.’
હું GSFCમાં ટ્રેઇની
તરીકે જોડાયો હતો, એવે વખતે ‘ગુજરાત સમાચાર’માં એક લેખ વાંચવામાં આવ્યો. તેમાં એક ડૉક્ટરને સ્વાસ્થ્યસંબંધી આવી પડેલી
મુશ્કેલી અને તેમની પત્નિને પડતી આર્થિક મુશ્કેલીનો થોડો ચીતાર હતો. હું ઝબકારની
અસર હેઠળ હતો. મને કશું કરવાનો મોકો દેખાયો, અને મેં સહકર્મીઓ પાસે મદદની ટહેલ
નાંખતું નાનકડું લખાણ લખ્યું. કોઇને વિશેષ જાણવું હોય તો અખબારની કટાર પણ સાથે
જોડી. જે થોડું ભંડોળ ઊભું થયું તેમાં મારો ફાળો પણ ઉમેર્યો અને એ રકમ યોગ્ય
સ્થાને મોકલી. મનમાં ઘણું સારું લાગ્યું.
****
ઉર્વીશ સાથે રજનીભાઇને ઘેર મારી અવરજવર શરૂ
થઇ. ક્યારેક અવનવી વાતો, ગીતો કે અનુભવના કિસ્સા સાભળવા મળે ત્યારે સ્વર્ગનું સુખ
પામ્યાનો અનુભવ થતો. તેઓ ‘બેટા’નું
સંબોધન કરે ત્યારે એટલું વહાલું લાગતું કે વાત ન પૂછો.
રજનીભાઈ અતિ વ્યસ્ત રહેતા. તેમને ત્યાં
અવરજવર ઘણી રહેતી. સાથે વાર્તા, નવલકથા અને અખબારી કટારલેખન ઉપરાંત મુલાકાતો અને
પ્રવાસો પણ ખરા. ક્યારેક તે પોતાના જૂના લેખને ફરીથી ઉપયોગમાં લેતા. આ વખતે તેમાં સંબંધિત
છેલ્લામાં છેલ્લી માહિતી મેળવવાની અને ઉમેરવાની રહેતી. ત્યારે કમ્પ્યુટર નહોતું. આ
પ્રક્રિયા ઘણો વખત માંગી લે એવી હતી. એક વખત તેમણે મને આ કામ સોંપ્યું. તેમણે આપેલા
જૂના લેખની મારે યોગ્ય કાપલીઓ બનાવીને કાગળ પર નવેસરથી વ્યવસ્થિત ચોંટાડી આપવાની
હતી. તેમણે હાથથી લખેલી વધારાની વિગતો કે નોંધને મારે યોગ્ય સ્થાને ગોઠવવાની હતી. આ
કામ મેં હોંશે હોંશે ઉપાડ્યું, એટલું જ નહીં, તેમણે આપેલી વિગતોને એમને એમ ન
મૂકતાં આવડ્યો એવો સાંધો કરતી એકાદ બે લાઇનો પણ લખી આપી. આ ચેષ્ટાથી રજનીભાઇ ખુશ. ધીમે
ધીમે તે નિયમીતપણે મને આ પ્રકારનું કામ સોંપવા લાગ્યા. લેખ છપાય ત્યારે ઘણી વખત
મારો ‘થીંગડા’ જેવો સાંધો કચ્છી ભરતકામ જેવો બની જતો. તેમનો આ સ્પર્શ જોવા- જાણવા
અને માણવા જેવો રહેતો. આ નાનકડા કાર્યે મારી લેખન પરત્વે રુચિ જગાવી.
મને તેમની સાથે સમય વીતાવવો ગમતો. તેથી
તેમણે સોંપેલું કાર્ય પૂરું થયે હું સામગ્રી કુરિયર દ્વારા મોકલવાના બદલે રૂબરૂ
જતો. તેમની સાથે બેસીને ચા અને થેપલા (ઢેબરા) ખાતા એ દૃશ્યો મારી સ્મૃતિમાં આજે પણ
યથાતથ જળવાયા છે.
હવે નોકરી અર્થે મારે કાયમી ધોરણે વડોદરા
રહેવાનું બન્યું તેથી રૂબરૂ સંપર્ક જાળવવો મુશ્કેલ બન્યો. કેટલાક સમય પછી મેં
કુરિયર કરવાનું શરૂ કર્યું ત્યારે સામગ્રી મળ્યાની રસીદ જેવો પત્ર અવશ્ય લખે. તે લખતા,
‘પ્રથમ દૃષ્ટિએ તો સરસ, વ્યવસ્થિત જણાય છે- છતાં નિરાંતે જરા વાંચીને જણાવીશ.’ એ
સાથે બીજી ટિપ્પણી પણ હોય, ‛તું પત્રના મથાળે સરનામું લખવાનું રાખ, દરેક વખતે ડાયરી ફેંદવી નથી ગમતી.’
(હું સરનામું કવર પર લખતો હતો.)
મારો તેમની સાથેનો પત્રવ્યવહાર મર્યાદિત હતો. બરાબર યાદ નથી, પરંતુ કોઇ ગીત બાબતે મેં કશું પૂછ્યું હશે. તેમનો જવાબ આવ્યો. ‘તું ઇચ્છીશ તે ગીત ડબ કરી આપીશ ને ફોટા પણ આપીશ.’ આમ લખી ઉમેર્યું હતું, ‘તારો મારા પર અધિકાર છે.’ આ ‘અધિકાર’ શબ્દે મારા હ્રદયને આનંદની વાછટોમાં બરાબર ભીંજવેલું! સાવ એવું નહોતું કે તે માત્ર બોલવા ખાતર બોલતા હતા. એક કાર્યક્રમ દરમ્યાન હું ઓટોગ્રાફ લેવા ગાયિકા સુલોચના કદમ પાસે પહોંચ્યો ત્યારે તેમણે મારો ફોટો પાડ્યો હતો અને ફોટા પાછળ ટૂંકી નોંધ લખીને મને પોસ્ટમાં મોકલ્યો પણ હતો! એ વખતે રોલવાળા કેમેરા હતા અને પ્રિન્ટ કઢાવવાનો ખર્ચ થતો. જીવનની નાની ખુશીઓ વહેંચીને ખુશ થવાની તેમની આ વિશેષતા હતી. મારા જીવનનું અણમોલ સંભારણું બનેલી ગાયક જગમોહન ‘સુરસાગર’ સાથેની મુલાકાત પણ તેમના આ સ્વભાવનું જ પરિણામ. કેવી મધુર યાદો!
મારું લગ્ન થયું ત્યારે ભેટસ્વરૂપે તેમણે
પોતાનો પ્રથમ વાર્તાસંગ્રહ ‘ખલેલ’ મોકલાવ્યો હતો. હું તેમનું કોઇ પુસ્તક ખરીદીને
ઓટોગ્રાફ માંગું તો તરત કહેતા, ‘બેટા, મારાં પુસ્તકો તારે નહીં ખરીદવાના. એ તો હું
જ તને મોકલાવીશ.’
મારી નોકરીમાં સતત પાળી બદલાતી રહે. મારું લગ્ન
થયું અને પરિવારમાં પરોવાયો. રૂબરૂ મુલાકાતો ઘટવા લાગી, પરંતું પ્રસંગોપાત જ્યારે
પણ મળવાનું થાય ત્યારે મને એ જ ઊષ્મા અનુભાવાતી. હું નવા મકાનમાં રહેવા ગયો ત્યારે
તેમણે શુભેચ્છાસંદેશ લખી મોકલ્યો હતો. તેમણે આ તેમના તદ્દન નવા છપાયેલા લેટરહેડનું
સૌ પ્રથમ પાનુ હોવાનો સંયોગ ખાસ નોંધવાની સાથે દસ દિવસ પહેલાં (તેમની દીકરી) તર્જનીની
દિકરીના જન્મના સમાચાર પણ લખ્યા હતા. મારા આમંત્રણને માન આપીને રજનીભાઇ મારે ત્યાં
બે વખત આવ્યા હતા. એ બંને પ્રસંગો મારા માટે ઓચ્છવ જેવા બની રહેલા.
મારી લાગણીને માન આપીને રજનીભાઇએ
પ્રેમપૂર્વક મારા બંને સંતાનો-દીકરો સુજાત અને દીકરી મલક-નું નામકરણ કર્યું હતું. કોણ
જાણે કેમ, પણ તેઓ સુજાતને ‘સુજાતસિંઘ’ તરીકે સંબોધતા અને એ સાથે જ તેમનો ચહેરો
ખીલી ઉઠતો. તેમનું એ નિર્ભેળ- નિર્મળ હાસ્ય અત્યારે પણ આંખો સામે તરવરી ઉઠે છે.
સમય જતાં મારી સાથેનો તેમનો આત્મીયભાવ મારા
સંતાનો સુધી લંબાયો. સુજાત કૉલેજમાં હતો એ સમયગાળામાં રજનીભાઇનો વડોદરામાં જૂનાં
હિન્દી ફિલ્મસંગીતનો એક કાર્યક્રમ હતો. આ સમયે કમ્પ્યુટર પર મદદનીશની જરૂર હતી
ત્યારે તેમણે તરત સુજાતને સંભાર્યો હતો. એકાદ વખત કોઇ લેખનો અનુવાદ કરવાની જરૂર હતી
ત્યારે પણ તેમણે સુજાતને યાદ કરેલો. બંને વખતે સુજાતે ઉલટભેર તેનું યોગદાન આપ્યું હતું.
હોમાય વ્યારાવાલા સાથેના મારા જોડાણને લઇને
‘જલસો’માં લખેલો મારો લેખ તેમને ગમ્યો હતો. બીરેને મને કહ્યું કે ગુરુને તારો લેખ ગમ્યો
હતો, ત્યારે અનાયાસે મારું મન ચગડોળે ચડ્યું કે આજે હું જે કંઇ વિચારો કે વર્તન
ધરાવું છું, તેમાં કોનો અને કેટલો ફાળો? મારા મનની મીઠી
મૂંઝવણ પછીનો જવાબ મને તેમણે લખેલી વાર્તાઓ તરફ દોરી ગયો. મને નવલકથા સહિત તેમનાં
તમામ લખાણો ગમતાં, પરંતુ તેમની વાર્તાઓ વિશેષ પ્રિય. આ બાબત હું ઘણા વખત પહેલાં એક
પત્ર દ્વારા તેમને જણાવી ચૂક્યો હતો. એ વખતે મેં મેઇલમાં એકરાર કર્યો કે તેમની
વાર્તાઓ આજે પણ મારી સંવેદનાને ઝરતી રાખે છે. આ વાંચીને રજનીભાઇએ ખૂબ રાજીપો
અનુભવેલો અને ઉલટ અને ઉમળકાથી વળતો જવાબ વાળ્યો હતો. જો કે, મારે આ વાત રૂબરૂ
કહેવી હતી અને તેમનો આભાર પણ માનવો હતો; પરંતું કાયમનો વસવસો આપીને એ સહેજ વહેલા જતા રહ્યા!
****
ઊંમર વધવા સાથે તેમની વ્યસ્તતા પણ વધી હતી.
તેમને ગણદેવીમાં ભુપેન્દ્ર સુરતીની કામગીરી બાબતે લેખ લખવાનો હતો, પણ સમયનો અભાવ
સાલતો. એક વખત બીરેનને ત્યાં થયેલી તેમની મુલાકાત સમયે આ વાત થઇ ત્યારે મેં તેમને કાચું
કામ કરી આપવાની તૈયારી બતાવી. તે રાજી થયા, અને મને મેટર મોકલી આપ્યું. એની પરથી
મારું કામ જોઇને તેઓ વધુ રાજી થયા. પહેલી વખત મેં તેમને કોઈ લખાણ લેખ સ્વરૂપમાં
ઢાળી આપ્યું હતું. આ લખાણ પર તેમણે કેટલાંક સંસ્કરણો કર્યા અને બે અલગ ઠેકાણે લેખ
પ્રગટ પણ થયા ત્યારે લખાણનો જાણે કે કાયાકલ્પ થઈ ગયો હતો. કામ કરવાની મારી ફાવટ
અને ધગશ જોઇ તેમણે મને કહ્યું, ‘તારે સ્વતંત્ર લેખન કરવા જેવું છે. મેટર બીરેન
આપશે.’ હર્ષલ પુષ્કર્ણાના ‘જિપ્સી’માં
હું સ્વતંત્રપણે લખતો હોવાનું બીરેને તેમને જણાવ્યું ત્યારે તે ઘણા રાજી થયા હતા.
કોવિડ પછીના સમયગાળામાં રજનીભાઇને સ્વાસ્થ્
સંબંધી નાની મોટી તકલીફો ઊભી થવા લાગી હતી. છતાં ફેસબુક જેવા ઇલેક્ટ્રોનિક મિડીયા
પર તેમને સક્રિય જોઇ હું દંગ રહી જતો. તેમનાં કામ અને કાર્યપદ્ધતિની મને બીરેન પાસેથી
જાણ મળતી. તે બિમાર પડ્યા ત્યારે બીરેન સાથે હું પણ તેમને મળવા હોસ્પિટલે પહોંચ્યો
હતો. તેમને મળીને દરેક વખતે કોઇ દિવ્ય વિભૂતીને મળી આવ્યાનો ભાવ થતો. એવી વ્ચક્તિ
જે માત્ર ને માત્ર નિર્મળ પ્રેમ વરસાવી જાણતી હતી. આ મુલાકાત વખતે પણ એવું જ અનુભવાયું.
****
માનવસહજ સબળાઇ- નબળાઇઓ અને લાગણીઓનો ઝીણવટભર્યો
અભ્યાસ એ રજનીભાઇનું કાર્યક્ષેત્ર. ઊભરતી અને ઊમટતી ઊત્કટ લાગણીઓના પ્રવાહનો
વાચકના હૃદયના ઊંડાણે અનુભવ કરાવવામાં રજનીભાઇની મહારત.
મિત્ર દિલીપ રાણપુરાનાં પત્નિ સવિતાબહેનના અવસાન
પછી મિત્રની વ્યથાને વાચા આપતી ‘ચંદ્રદાહ’ જેવી વાર્તા રજનીકુમાર પંડ્યા જ આપી
શકે! અણધારી ઘટનાઓના આટાપાટા વચ્ચે તેમણે સર્જેલાં ‘વિશિષ્ટ’ પાત્રો અને તેની ‘વિશિષ્ટતાઓ’
એવાં તો ચિરંજીવી છે કે આજે પણ કોઇ ‘વિશિષ્ટ’ વ્યક્તિની જરા સરખી ઝલક મળે કે તરત
રજનીભાઇની કોઇ ને કોઈ વાર્તાનું અનુસંધાન સધાઇ જાય છે. ક્યારેક નજર સામે આખેઆખી
વાર્તા ભજવાતી લાગે અથવા ક્યારેક કોઇ ચોક્કસ પાત્ર નજર સમક્ષ તરવરી ઉઠે. ક્યારેક કોઈ
વિચિત્ર પરિસ્થિતીનો સામનો કરવાનો થાય અને અસમંજસનો માહોલ સર્જાય ત્યારે મનના એક અજ્ઞાત
ખૂણામાં ખાસ અદાલતમાં ખટલો મંડાતો હોવાનું અનુભવાય છે; તેના એક કઠેડામાં હું મારી
જાતને ભાળું છું, જ્યારે સાક્ષીના કઠેડામાં રજનીકુમાર પંડ્યાને!
આ ‘આત્માની અદાલત’ રજનીભાઇની દેન હોવાનું લાગે છે.
ઊત્તમ લેખક, વાર્તાકાર, સાહિત્યકાર અને વિશેષ તો ઉમદા વ્યક્તિ ધરાવતા રજનીકુમાર પંડ્યાનું ૧૫ માર્ચ, ૨૦૨૫ની રાત્રે સાડા નવે દેહાવસાન થયું એ એક નિષ્ઠુર હકીકત છે. પરંતુ તે સદેહે હાજર નથી એટલું જ, અન્યથા રજનીભાઇ તેમના સર્જન થકી અને તેમણે સર્જેલી કૃતિઓ થકી અમારા ભાવવિશ્વમાં અને મનોવિશ્વમાં હાજર છે અને હાજર રહેશે!