ભૂપેનની જીવનકથાના આલેખન વેળા જે લોકોને મળવાનું અમે આરંભ્યું એ આમ જોઈએ તો છેક પરિઘ પરથી. વલ્લવભાઈ કોન્ટ્રાક્ટર સાથે તેમને ગાઢ મૈત્રી હતી. વલ્લવભાઈ 'રાધાસ્વામી'ના અનુયાયી હોવાથી તેના સત્સંગમાં એ નિયમીત હાજરી આપતા. આ સત્સંગ ત્યારે તો સૂરસાગર નજીક આવેલા એક સત્સંગીને ઘેર થતો. ભૂપેન પોતાનું સ્કૂટર લઈને સત્સંગ પૂરો થવાના સમયે આવી જતા અને નીચે ઊભા રહેતા. વલ્લવભાઈ આવે એ પછી તેઓ સ્કૂટર પર બેસીને નીકળતા. વલ્લવભાઈનું એમના સત્સંગી વર્તુળમાં આદરમાન બહુ. સત્સંંગીઓ રોજ જુએ કે 'વલ્લવકાકા'ના એક મિત્ર રોજ એમની રાહ જોઈને ઊભા રહે છે. આથી એ સત્સંગીઓ પણ 'વલ્લવકાકા'ના મિત્રને 'કેમ છો?' કરતા થયા. ધીમે ધીમે તેમને 'ભૂપેનકાકા'ના નામથી બોલાવતા થયા. એ પછી એક વાર ભૂપેનનાં ચિત્રોનું પ્રદર્શન વડોદરામાં યોજાયું ત્યારે વલ્લવકાકા સાથે કેટલાક સત્સંગીઓ પણ 'ભૂપેનકાકા'નાં ચિત્રો જોવા ગયેલા. એમને ત્યારે ખબર પડી કે 'ભૂપેનકાકા' તો મોટા ચિત્રકાર છે. ધીમે ધીમે 'ભૂપેનકાકા' પણ સત્સંગમાં આવતા અને બેસતા થયા.
આથી મેં પહેલવહેલી ઈચ્છા વ્યક્ત કરી કે આપણે આ સત્સંગમાં જઈએ. બેસીએ અને જોઈએ કે એમાં શું શું થાય છે. વલ્લવભાઈના દીકરા અમરીશભાઈએ એ વ્યવસ્થા કરી આપી. લાલબાગ નજીક નિમિષ બહલ નામના એક સત્સંગીને ઘેર નિયત સમયે સત્સંગ યોજાતો હતો. અમે ત્યાં ગયા. છેક સુધી બેઠા. સત્સંગ પૂરો થયા પછી કેટલાક એવા સત્સંગીઓને મળ્યા કે જેમણે 'ભૂપેનકાકા'ને જોયા હતા.
 |
રાધાસ્વામી સંપ્રદાયના બાબુજી મહારાજનું ભૂપેને દોરેલું ચિત્ર |
 |
વલ્લવભાઈ અને ભૂપેન |
 |
પત્રના અંતે ભૂપેનનું લખાણ |
 |
રાધાસ્વામી સત્સંગ (છેક જમણે નિમિષ બહલ) |
એ પછી અમરીશભાઈએ વિગત આપી કે વડોદરામાં આજવા રોડ પર 'સત્સંગ બિયાસ' છે, જ્યાં અઠવાડિયાના એક દિવસ સાંજે સત્સંગ યોજાય છે. ત્યાં પણ અમે ગયા. સત્સંગમાં હાજરી આપી અને એ પછી અનેક સત્સંગીઓ સાથે મુલાકાત કરી. ત્યાંથી વિગતો ઓછી મળી, પણ સત્સંગીઓમાં 'ભૂપેનકાકા અને વલ્લવકાકાની જોડી'નું સ્થાન શું હતું એનો બરાબર અંદાજ મળ્યો.
વલ્લવભાઈને ઉદ્દેશીને લખેલા તમામ પત્રોમાં છેલ્લે ભૂપેન લખતા: 'લિ. ભૂપેનના રાધાસ્વામી'. આ જ સંપ્રદાયના એક ધર્મગુરુ બાબુજી મહારાજનું ચિત્ર પણ ભૂપેને દોરેલું.
આવી અનેક વિગતો મારા મનમાં ઊતરતી ગઈ, સંઘરાતી ગઈ, જેના અર્કરૂપે લખાયું 'રંગમાં સત્સંગ' પ્રકરણ. વલ્લવભાઈ અને ભૂપેનની દોસ્તીને અપાયેલી એ અંજલિ છે, તો અમરીશભાઈના મતે આ પુસ્તક બન્નેની દોસ્તીનું તર્પણ છે.
(ભૂપેન ખખ્ખર: લેખન-સંપાદન: બીરેન કોઠારી, પુસ્તકની કિંમત 450/, પુસ્તક મંગાવવા માટે સંપર્ક: કાર્તિક શાહ 98252 90796)
(બાબુજી મહારાજના ચિત્રની તસવીર ઈન્ટરનેટ પરથી)
No comments:
Post a Comment