Sunday, April 13, 2025

એક પણ છેડો છૂટવો ન જોઈએ

સર્જકની સર્જકતાના મૂળ સુધી પહોંચવાની કવાયત આપણને સૌને ગમતી હોય છે. જેમ કે, ધૂમકેતુની વાર્તામાં આવતી પોસ્ટ ઑફિસ હકીકતમાં ફલાણા ગામની હતી, યા રજનીકુમાર પંડ્યાની નવલકથા 'કુંતી' મૂળ ફલાણી સત્યઘટના પરથી પ્રેરિત હતી વગેરે...આવી કવાયતમાં આપણે એ ભૂલી જઈએ છીએ કે સર્જક આવાં સ્થળો કે ઘટનાઓનો ઊપયોગ કેવળ 'બીજ' તરીકે કરતો હોય છે. અસલી ચીજ છે તેની સર્જકતા. એ જ ઘટના કે સ્થળ બીજા અનેકોને ખબર હશે, પણ આવું સર્જન સર્જક જ કરી શકે.

ભૂપેનની જીવનકથા પર કામ કરતાં કરતાં શરૂઆતમાં અમારા મનમાંય કંઈક આવો ખ્યાલ હતો. તેમણે કયા સ્થળનું ચિત્ર દોર્યું? કયા માણસનો ચહેરો ચીતર્યો? જો કે, બહુ ઝડપથી એ ખ્યાલ આવી ગયો કે આવી કવાયતનું એક હદથી વધુ મહત્ત્વ નથી. ચિત્રકારે આવાં સ્થળ, વ્યક્તિ કે પ્રસંગનો આધાર લઈને ખરેખર તો પોતાની અલાયદી સૃષ્ટિ રચી છે. ભૂપેને પોતે લખ્યું છે, 'મારા ચિત્રોમાં મારા જીવનને ન શોધશો.'
ભૂપેનની મંડળીમાં હીરાભાઈ પટેલ નામના એક વૃદ્ધ સજ્જન હતા, જે ધોતિયું, ઝભ્ભો અને ટોપીના પોતાના પોષાકથી સાવ આગવા તરી આવતા. ભૂપેનથી વયમાં તે ચૌદેક વર્ષ મોટા. તેમનું અવસાન 2010માં થઈ ગયું, પણ અમે તેમના દીકરા હર્ષદભાઈને મળ્યા. હીરાભાઈ મૂળ કુંવરપુરા ગામના હતા, જે કાયાવરોહણ નજીક આવેલું છે. ભૂપેને ચીતરેલા 'સત્સંગ' શિર્ષક ધરાવતા ચિત્રમાં કુંવરપુરાનું દૃશ્ય છે કે કેમ, એ માટેના સ્કેચ દોરવા ભૂપેન કુંવરપુરા ગયેલા કે કેમ વગેરે પ્રશ્નો અમે કર્યા. જો કે, હર્ષદભાઈએ સ્પષ્ટપણે જણાવ્યું કે ભૂપેન કદી કુંવરપુરા આવ્યા નહોતા.
ભૂપેનના અમેરિકન ચાહક બ્રાયન વેઈનસ્ટાઈનને હીરાકાકા પોતાના પોષાકને લઈને યાદ રહી ગયેલા. હીરાકાકાને ભૂપેને એકાદ ચિત્રમાં પણ સ્થાન આપ્યું છે. મૂળ વાત એટલી કે જીવનકથાના આલેખન દરમિયાન એક પણ છેડો છૂટવો ન જોઈએ. એનું આલેખન થાય કે ન થાય, પણ એને તપાસવાનો બાકી ન રખાય.

'ગુરુ જયંતિ'માં ડાબે વચ્ચે ઊભેલા સજ્જન કદાચ હીરાભાઈ છે.

'સત્સંગ' ચિત્ર

અતુલ ડોડિયાએ 'શ્રી ખખ્ખર પ્રસન્ન' પ્રદર્શનમાં 
'ભૂપેન મંડળી'ના સભ્યોને આપેલી અંજલિ

ભૂપેન મંડળી (ડાબેથી): વલ્લવભાઈ, ભૂપેન,
હીરાભાઈ અને બ્રાયન
(ભૂપેન ખખ્ખર: લેખન-સંપાદન: બીરેન કોઠારી, પુસ્તકની કિંમત 450/, પુસ્તક મંગાવવા માટે સંપર્ક: કાર્તિક શાહ 98252 90796)

(પ્રથમ ત્રણ તસવીરો: ઈન્‍ટરનેટ પરથી) 

No comments:

Post a Comment