Tuesday, September 14, 2021

હોમાય વ્યારાવાલા: પત્રો અને પ્રસંગો (9)

 સ્વચિકિત્સા એટલે કે સેલ્ફ-મેડિકેશન જોખમી હોય છે અને સામાન્ય રીતે તેને ટાળવાની સલાહ આપવામાં આવે છે. એ જ રીતે 'ઘરેલુ નુસ્ખા', 'અજમાવી જુઓ' કે 'દાદીમાનું વૈદું' પ્રકારના અખતરાને સામાન્યપણે ઉપહાસથી જોવામાં આવે છે. હોમાય વ્યારાવાલા હંમેશાં સ્વચિકિત્સામાં જ માનતાં. પોતાના શરીરને તેઓ બરાબર ઓળખતાં એક ડૉક્ટર પોતાના દર્દીના શરીરને જાણે એ રીતે! અને એમાં કશી બડાઈ નહોતી.

98 વર્ષના જીવનમાં એમણે ફક્ત ત્રણ જ વાર હોસ્પિટલમાં દાખલ થવું પડેલું. પહેલી વાર 1942 માં દીકરા ફારૂકના જન્મ વખતે, બીજી વાર 96 વર્ષની વયે અશક્તિને કારણે, અને ત્રીજી વાર એ અંતિમ વખત. તેમને 96 વર્ષની વયે હોસ્પિટલમાં દાખલ કરેલાં ત્યારે અમે હોસ્પિટલે પહોંચ્યાં. હોસ્પિટલના સ્ટાફ અને ડૉક્ટરોની બેદરકારીથી એ બરાબર ત્રાસેલાં. એ લોકો હોમાયબેનનું કશું સાંભળ્યા વિના પોતાની રીતે સારવાર કર્યે રાખતાં. અમે ગયાં એટલે હોમાયબેન કહે, 'તમે મારા સવારના નાસ્તાની કશીક ગોઠવણ કરી આપો, નહીંતર હું બિમારીથી નહીં, અશક્તિથી મરી જઈશ.' નજીકની એક હોટેલમાં અમે પહોંચ્યા અને એક ભલા વેઈટરે રોજ સવારે હોમાયબેનને ઈડલી-સંભાર, મેંદુવડા જેવો ગરમ નાસ્તો નિયમીત પહોંચાડવાની જવાબદારી સ્વિકારી. આ વયે હોસ્પિટલમાં દાખલ થયેલી વ્યક્તિ પાછી ઘેર આવશે કે કેમ એ વિશે આપણા મનમાં શંકા હોય, પણ હોમાયબેન એકદમ તાજાંમાજાં થઈને પાછાં આવી ગયાં.
અગાઉ તેમને મોતિયો આવેલો. એ વખતે તેમના એક ભરોસાપાત્ર ડૉક્ટર આયુર્વેદના જાણકાર હતા. તેમણે એક ચોક્કસ ટીપાં હોમાયબેનને આપ્યાં. હોમાયબેનને એ એવા ફાવી ગયાં કે એમણે એન અજમાયશ ચાલુ જ રાખી. આમ ને આમ તેમણે એક-બે નહીં, પૂરા પચીસ વર્ષ ખેંચી કાઢ્યાં. એ પછી પેલા ડૉક્ટરે પ્રેક્ટિસ બંધ કરી એટલે હોમાયબેનને ટીપાં મળતાં બંધ થયાં. તેમણે વારાફરતી મોતિયો કઢાવવાનું નક્કી કર્યું.
'રિડર્સ ડાયજેસ્ટ'નાં 'હોમ રેમેડીઝ'ને લગતાં જાડાં પુસ્તકો તે વાંચતાં અને તેમાંથી પોતાના જોગ ઉપાય શોધતાં. કોઈક કાગળમાં કે નોટબુકમાં તે આ બધું લખી રાખતાં. ક્યારેક કોઈક દવા અમારી પાસે પણ મંગાવતાં. અહીં મૂકેલા એક પોસ્ટકાર્ડમાં તેમણે ઈપ્સમ સૉલ્ટ અને સી-સૉલ્ટ મંગાવ્યાં છે, અને જણાવ્યું છે કે એ તબીબી હેતુ માટે છે.



મૂળ પત્રનો ગુજરાતી અનુવાદ:
"ડિયર મિ.કોઠારી,
આશા રાખું કે તમે અને પરિવાર મઝામાં હશો.
તમે ફરી વાર મને મળવા આવવાનું નક્કી કરો ત્યારે કેમિસ્ટ પાસેથી 00 ગ્રામ ઈપ્સમ સૉલ્ટ અને જનરલ સ્ટોરમાંથી 500 ગ્રામ સી-સૉલ્ટ લેતા આવશો? ઔષધીય હેતુ માટે આની જરૂર છે.
તમને તકલીફ આપવા બદલ દિલગીર છું.
આભાર.
શુભેચ્છાઓ
.
હોમાય."

એક વાર તેમણે ઓમેગા-3ની, પોટેશિયમની અને ક્વિનાઈનની ગોળીઓ અમારી પાસે મંગાવેલી, કેમ કે, તેમની પાસેનો જૂનો સ્ટૉક ખલાસ થઈ ગયેલો.
એ પત્રના એક હિસ્સાનો ગુજરાતી અનુવાદ:
"બાય ધ વે, તમે જ્યારે ઓમેગા-3 અને પોટેશિયમની ગોળીઓ લેવા જાવ ત્યારે ક્વિનાઈનની અથવા તેના વિકલ્પે બીજી ગોળીઓ મળે છે કે કેમ એ પૂછી જોશો. હું ક્વિનાઈનની નિયમીત ઉપયોગકર્તા રહી છું, પણ મારો સ્ટૉક ઘટી ગયો છે. મેલેરિયા અને મારી અન્ય તકલીફોનો એ શ્રેષ્ઠ ઉપાય છે. આથી આ વિનંતી.
શુભેચ્છાઓ
.
હોમાય વી."


તેમણે મંગાવેલી ઓમેગા-3 અમે અમારા ઓળખીતા કેમિસ્ટની પાસે માંગી એટલે એ કેમિસ્ટે ચિંતાપૂર્વક પૂછપરછ કરી અને જણાવ્યું કે કારણ વગર આ ગોળી ખોટેખોટી ન લેવી. અમે તેમને કહ્યું, 'એ લેનાર નક્કી કરશે. તમે ગોળી આપી દો, અને ના આપવી હોય તો ના કહો, તો અમે બીજે તપાસ કરીએ.'
પોતાનાં મિત્રો-સ્નેહીઓને પણ તે પૂછીને આ પ્રકારના નુસખા લખેલા આપતા. અહીં તેમણે લખેલા વાળ વધારવાના નુસખા મૂકેલા છે. એ ખાસ વાંચવા જેવા છે, કેમ કે, તેમણે એને પોતાને સમજાય એવા ગુજરાતીમાં ઉતાર્યા છે. એમાં 'ટાલકી', 'ટાલક' 'તાલકે' જેવા શબ્દોની ખરી મઝા છે.

No comments:

Post a Comment