Sunday, October 7, 2012

ગાંધી અને કલાકારો: સંસ્મરણ કથા અથવા 'અસહકાર'ના પ્રયોગો (૨ )


(ભાગ માં ગાંધીજી અને કેટલાક કલાકારોના અહિંસક એન્કાઉન્ટર્સ માણ્યા, જેને અહીં ક્લીક કરવાથી વાંચી શકાશે. http://birenkothari.blogspot.in/2012/10/blog-post.html આ વિશેષ પોસ્ટ ઉર્વીશ કોઠારી, કેતન રૂપેરા અને બીરેન કોઠારી દ્વારા સંયુક્તપણે લખાયેલી છે. હવે વાંચો આગળ... )
કલાપ્રેમી ગાંધી
વિખ્યાત બંગાળી ચિત્રકાર નંદલાલ બોઝ/ Nandlal Bose ને 1936માં ગાંધીજીનું કહેણ આવ્યું. લખનૌ કોંગ્રેસના સંમેલન/ Lucknow Congress Session માં તેમણે ચિત્રોનું પ્રદર્શન ગોઠવવાનું હતું. શિષ્ય વિનાયક મસોજીના ચિત્રો જોઈ ગાંધીજીએ છ વર્ષ પહેલાં રાજીપો વ્યક્ત કરી દીધો હતો. ( પહેલા ભાગમાં જાણ્યું.) એટલે ગાંધીજી ભારે ‘કળાપ્રેમી’ એવું નંદલાલ બોઝ માનતા થઈ ગયા હશે, એમ આપણે ધારી લઈએ તો ખોટા ઠરીએ. ગાંધીજીનો કલા અને કલાકારો પ્રત્યેનો અભિગમ કલાજગતમાં જાણીતો હોવો જોઈએ. ગાંધીજી માટે પોતાના  શિષ્ય સિવાયના કળાકારો પાસેથી જાણેલું-સાંભળેલું કદાચ નંદલાલ બોઝ પર વધારે ઘેરી અસર છોડી ગયું હશે, પણ અહીં તેમને થયેલો અનુભવ તેમના જ શબ્દોમાં જોઈએ:
પ્રદર્શનની મુલાકાતે આવેલા ગાંધીજીની સાથે નંદલાલ 
“મેં સાંભળ્યું હતું કે કળાના મામલે (ગાંધીજી) બહુ આગ્રહી હતા, પણ છાપ સંપૂર્ણપણે ખોટી પડી. લખનૌ પ્રદર્શનમાં મુકાયેલું એકેએક ચિત્ર તેમણે કળાત્મક દૃષ્ટિથી જોયું-તપાસ્યું. વખતે બનેલા નાનકડા પ્રસંગથી સૌંદર્ય અને પ્રમાણભાનની તેમની વૃત્તિનો મને પૂરેપૂરો ખ્યાલ આવી ગયો. પ્રદર્શનખંડમાં સાદગીપૂર્ણ સામગ્રીથી સુશોભન કરેલું હતું.... અમારું કામ જોઇને તેમણે રાજીપો વ્યક્ત કર્યો. ખંડની સજાવટમાં ઝીણી ઝીણી વિગતોનું ધ્યાન રાખવામાં આવ્યું હતું, પણ કોઇની ગફલતથી એક ટેબલ નીચે બાલદી રહી ગઇ હતી. અમારા ધ્યાન બહાર ગયું હતું, પણ ગાંધીજી ખંડમાં દાખલ થયા સાથે તેમણે કહ્યું, ‘પેલી બાલદી આખી જગ્યાની સુંદરતામાં ભંગ પાડતી નથી?’ રોજ પ્રદર્શનમાં આવતા હતા અને સારો એવો સમય વીતાવતા હતા.”

નંદલાલ બોઝની ગાંધીવિષયક કૃતિ 

પણ બધા કલાકારો નંદલાલ બોઝ જેવા નસીબદાર નથી હોતા. સમય વીતાવવાની વાત તો બાજુ પર રહી, કામમાં વ્યસ્ત ગાંધીજી કેટલાક  કલાકાર સાથે નજર પણ ન મિલાવે તો? એવા એક શિલ્પકાર એટલે જો ડેવિડસન/Jo Davidson.

ગાંધીનું માથું ગબડ્યું
ડેવિડસનના પરિચયમાં એક સમયે એવું કહેવાતું હતું કે તેમણે જેનું શિલ્પ ન બનાવ્યું હોયતે મોટો માણસ ન કહેવાયઅમેરિકાના ડેવિડસનની કારકિર્દીનો મોટો હિસ્સો ફ્રાન્સમાં વીત્યોપણ પોતાના સમયના મહાનુભાવોને શિલ્પમાં ઢાળવા માટે તે બહાર ફરતા રહેતા હતાગાંધીજી ગોળમેજી પરિષદ (1931)/ Round Table Conference માટે બ્રિટન ગયા ત્યારે એસોસિએટેડ પ્રેસ’/ Associated Press માં કામ કરતા તેમના મિત્ર જિમ મિલ્સે ડેવિડસન વતી ગાંધીજીની પરવાનગી મેળવીડેવિડસન લંડન આવ્યા અને મિલ્સ સાથે ગાંધીજીના ઉતારે નાઇટ્સબ્રિજ/Knightsbridge પહોંચ્યાત્યાર પછીની વાત ડેવિડસનના શબ્દોમાં :
શિલ્પકાર જો ડેવિડસન 
"અમે દાખલ થયા ત્યારે બ્લેન્કેટમાં વીંટળાયેલા ગાંધીજી ભોંય પર ભીંતને અઢેલીને બેઠા હતા. સામે ચરખો પડ્યો હતો. એ જોઇને મારા મનમાં પહેલી છાપ પડી : ‘આ માણસ કેટલો નિરાંતમાં છે.’ તેમના ચહેરામાં કાન અલગ તરી આવતા હતા અને આગળનો દાંત પડેલો હતો. એ હસતા હતા ત્યારે દાંતની જગ્યાએ ખાલી જગ્યા દેખાતી હતી. આ છબી ક્ષણભર જ ટકી. અચાનક ગાંધી મને સુંદર જણાવા લાગ્યા.
શિલ્પ માટે હું ગાંધીની થોડી તસવીરો લઇ ગયો હતો. એ જોઇને ગાંધીજીએ કહ્યું,’હું જોઉં છું કે તમે માટીમાંથી મહાનુભાવો સર્જો છો.’
મેં પણ વળતી રમૂજ કરી, ’હા, અને ક્યારેક એનાથી ઉલટું પણ.’
ગાંધી હસ્યા અને બીજા દિવસે મને સિટિગ આપવા તૈયાર થયા. મારી અસલ યોજના ફક્ત તેમના માથાનું શિલ્પ બનાવવાની હતી, પણ મેં સફેદ વસ્ત્રોમાં ગાંધીજીને ચરખો ચલાવતા જોયા ત્યારે મને થયું કે તેમનું પૂરા કદનું શિલ્પ બનાવવું જોઇએ. એ નીતાંત પવિત્ર પુરૂષ લાગતા હતા.
એ સાંજે હોટેલ પર જઇને મેં પૂરા કદનું શિલ્પ ઊભું કરી શકાય એવું આર્મેચર બનાવ્યું. બીજા દિવસે સવારે હું કામે પહોંચ્યો. શરૂઆતમાં મહાત્મા મારી હાજરીથી અસવસ્થ જણાતા હતા. જ્યારે પણ અમારી આંખો મળે ત્યારે તેમની આંખમાં વ્યથા દેખાતી હતી. પણ એમણે વચન આપ્યું હોવાથી તે કંઇ બોલ્યા નહીં.
લોકોની અવરજવર ચાલુ રહી અને હું કામ કરતો રહ્યો. ગાંધી એવી રીતે વર્તતા હતા, જાણે રૂમમાં – અરે, રૂમમાં તો શું, અમસ્તું પણ મારું અસ્તિત્ત્વ જ ન હોય. તેમણે મારી અવગણના ચાલુ રાખી. શિલ્પ બનાવવામાં બન્ને પક્ષોની સામેલગીરી જરૂરી છે, પણ આ કિસ્સામાં બધું મારે જ કરવાનું હતું, કારણ કે મારા વિષય તરફથી મને કોઇ જ સહકાર મળતો ન હતો.... સાંજ સુધીમાં હું આખું ફીગર ઊભું કરી શક્યો... એને મેં રૂમના ખૂણે ગોઠવ્યું. એ બહુ નાજુક હતું. માટી હજુ લીલી હતી અને આર્મેચર પણ મજબૂત ન હતું. મેં તેને ઉતાવળે અને ઉત્તેજનાપૂર્ણ મનોદશામાં તૈયાર કર્યું હતું.  મેં એને હળવેથી એવી રીતે ઢાંક્યું, જેથી હવા અંદર જઇ શકે અને તે સુકાય તો બીજા દિવસે તેની અવસ્થા સારી બને. તેની પર મેં ‘પ્લીઝ ડુ નોટ ટચ ઓર મૂવ’ ની નિશાની મૂકી અને ભારતીયોને (ગાંધીજીના સાથીદારોને) વિનંતી કરી કે મહેરબાની કરીને તેને અડતા નહીં...
બીજા દિવસે સવારે હું પહોંચ્યો ત્યારે બારણામાં જ ગાંધીજીના પુત્ર દેવદાસ/Devdas Gandhi મળ્યા. તેમણે કહ્યું, ‘તમારા માટે એક ખરાબ સમાચાર છે.’ એ સાંભળીને મારું હૈયું એક ધબકાર ચૂકી ગયું. મને થયું કે દેવદાસ કહેશે કે તેમના પિતાએ (સિટિંગ આપવા અંગેનો) વિચાર બદલી નાખ્યો છે. હું દાદર ચડીને દેવદાસની સાથે ગયો. જોયું તો મારું તૈયાર કરેલું માળખું રૂમની વચ્ચોવચ્ચ હતું અને તેની ઉપરથી માથું ગબડીને ભોંયતળીયે પડ્યું હતું. હું નિરાશ થઇને ઊભો હતો. એવામાં ગાંધી આવ્યા.
ગાંધી ત્યાં ઊભા હતા ત્યારે મને પહેલી વાર ખ્યાલ આવ્યો કે એ કેટલા ટચૂકડા અને દુબળા હતા.
‘યુ સી. તમારે આ ન કરવું જોઇએ.’ એમણે કહ્યું.
મેં જવાબ  આપ્યો, ‘યુ આર ક્વાઇટ રાઇટ, સર.  હું હવે ફક્ત બસ્ટ કરીશ.’...
ફરી કામ શરૂ થયું... ગાંધીએ મને કહ્યું,’તમે રૂમમાં બહુ જગ્યા રોકો છો. હું કેવળ વામનજી છું ને તમે મને ભીંસી નાખશો. તેમ છતાં, મારું તમારે જે કરવું હોય તે કરો. (ડુ વીથ મી એઝ યુ લાઇક)’.
ગાંધીનો ચહેરો એકદમ ચંચળ હતો, દરેક રેખાતો ધ્રુજતી હતી અને વાત કરતી વખતે સતત તેમનો ચહેરો બદલાતો હતો. મેં કામ કર્યું ત્યાં લગી તેમણે મારી પર પેસિવ રેઝિસ્ટન્સનો પ્રયોગ કર્યો...મારી સામે એક વાર પણ જોયું નહીં. પણ હું કામ વચ્ચે શ્વાસ ખાવા માટે તેમની સાથે બેસતો ત્યારે તે એકદમ સરસ રીતે વાત કરતા. મુલાકાતીઓનો પ્રવાહ સતત ચાલુ હતો... કેટલાક તેમને વિચિત્ર સવાલ પણ પૂછતા. એકે ‘મહાત્મા’નો અર્થ પૂછ્યો, ત્યારે એમણે કહ્યું હતું, ‘નગણ્ય માણસ.’..
**** **** ****
પોતાના 'વિષય'ને ન્યાય આપતા ડેવિડસન 

કામ પૂરું થયા પછી ડેવિડસને એક પત્રમાં લખ્યું હતું, "હું ઘણાને મળ્યો છું અને ઘણાને (શિલ્પમાં) ઢાળ્યા છે, પણ આવા માણસને હું પહેલી વાર મળ્યો. He merely allowed himself to be `done` And in the end it is I who was ‘done’. " [પોતાની જાતને (શિલ્પમાં) ઢાળવાની તેમણે મને ફક્ત પરવાનગી જ આપી હતી (બીજો કોઇ સહકાર નહીં), છતાં અંતે તો હું જ ઢાળિયો થઇ ગયો.] 
આ તસવીર એસોસિએટેડ પ્રેસના એક ફોટોગ્રાફરે, (ડેવિડસનના લખ્યા પ્રમાણે) કેમેરા કરતાં પણ મોટો લેન્સ વાપરીને મકાનની બારીમાંથી લીધી હતી. કારણ કે ગાંધી રૂમમાં ફોટોગ્રાફર કે ફ્લેશલાઇટ માટે પરવાનગી ન આપતા. કલાકારોના  મામલે  ગાંધીજીને બરાબરના ઓળખી ગયેલા ડેવિડસને જણાવ્યું છે, ‘મને ખાતરી છે કે આ ફોટો વિશે ગાંધીને ખબર ન હતી.’  (નહિ તો?)
ખેર, ડેવિડસને તો માત્ર ગાંધીજીનો અસહકાર જ વેઠવાનો આવ્યો. પણ કોઈએ તેમની આકરી અકળામણનોય ભોગ બનવું પડ્યું હોય, એવું કલ્પી શકાયહા, લાઠી કે બંદુકને સામી છાતીએ ઝીલતા ન ડગતા ગાંધીજી કેમેરાના ફ્લેશથી ક્યારેક ગુસ્સે થઈ જતા તો ક્યારેક ભારે અકળાઈ  જતા. 
યે લડકી....
હોમાય વ્યારાવાલા દિલ્હીમાં 
ભારતના પ્રથમ મહિલા ન્યુઝ ફોટોગ્રાફર હોમાય વ્યારાવાલા/ Homai Vyarawalla નેપોતે દિલ્હીમાં જ રહેતા હોવાના કારણે ગાંધીજીની તસવીર લેવાના પ્રસંગો બનતા રહેતા. ગાંધીજી સાથે તેમનું ખરું એન્‍કાઉન્‍ટર થયું દિલ્હીની ભંગી કોલોનીમાં. અહીં યોજાયેલી પ્રાર્થનાસભામાં ગાંધીજી ઉપસ્થિત રહેવાના હતા. તેમની તસવીરો લેવા માટે હોમાયબેન પહોંચી ગયાં. શિયાળાના દિવસો. સાંજે અંધારું વહેલું થઈ જતું હોવાથી કુદરતી પ્રકાશમાં તસવીરો લેવી શક્ય નહોતી. ફ્લેશગનનો ઉપયોગ ફરજિયાત કરવો પડે એમ હતો. એ સમયની ફ્લેશગન એટલે મીની પાવરહાઉસ જ જોઈ લો. તેના ઝબકારાથી આંખો રીતસરની અંજાઈ જાય. ગાંધીજી પ્રાર્થનાસભામાં પ્રવેશ્યા ને   સાથે   હોમાયબહેને  ઉપરાઉપરી બે ફોટોગ્રાફ લઈ લીધા. ફ્લેશગનના આંજી દેતા ઉપરાઉપરી બે ઝબકારા થયા. 

ફ્લેશનો ઝબકારો થયો અને... 

ગાંધીજી અકળાઈ ગયા અને બોલ્યા, “યે લડકી મુઝે અંધા નહીં બનાયેગી, તબ તક નહીં જાયેગી.” ગાંધીજીનો ગુસ્સો જોઈને તેમની ટેકણલાકડીઓમાંની એક દોડીને હોમાયબહેન પાસે આવી અને સમજાવટના સૂરે કહ્યું, “તમે હમણાં ફોટો ન લેતાં. નહીં તો એ ગુસ્સે થઈ જશે તો કેમેરા પણ તોડી નાંખશે.”
હોમાયબહેને આમ પણ કેમેરા મ્યાન કરી દીધો હતો. પોતાને જોઈતી તસવીરો તેમને મળી ગઈ હતી. એટલે તે નીકળી ગયાં.
ત્યાર પછી થર્ડ જૂન પ્લાન’/Third June Plan તરીકે ઓળખાતી દેશના વિભાજન માટેનો મત લેવા યોજાયેલી મીટિંગના આગલે દિવસે ઓલ ઈન્‍ડીયા કોંગ્રેસ કમિટી/ All India Congress Committee એ આ બાબતે ચર્ચા કરવા માટે મીટીંગ બોલાવેલી. આ એવી મીટીંગ હતી, જેનું પરિણામ ચર્ચા પહેલાં જ નક્કી હતું. આ મીટીંગમાં હોમાયબહેન ઉપરાંત બીજા એક જ ફોટોગ્રાફર પી.એન.શર્મા/ P.N. Sharma હાજર હતા. કોંગ્રેસના તત્કાલીન પ્રમુખ આચાર્ય કૃપલાણી/ Acharya Kripalani મીટિંગમાં હાજર રહેલા ફોટોગ્રાફર બાબતે નારાજગી વ્યક્ત કરતા હતા. રામમનોહર લોહીયા/ Ram manohar Lohia, જયપ્રકાશ નારાયણ/ Jayaprakash Narayan થી લઈને મૌલાના આઝાદ/ Maulana Azad, ખાન અબ્દુલ ગફારખાન/Khan Abdul Ghaffar Khan અને ગાંધીજી પણ મીટિંગમાં ઉપસ્થિત હતા. ગાંધીજી અને ખાન અબ્દુલ ગફારખાન ડૉ. સુશીલા નાયર/ Dr. Sushila Nayar ની સાથે મીટિંગમાં આવી રહ્યા હતા ત્યારે હોમાયબહેને તેમની તસવીર લીધી હતી.

થર્ડ જૂન પ્લાનની મીટીંગ વખતે આગમન
ગાંધીજીની ડાબે ડૉ. સુશીલા નાયર અને જમણે બાદશાહખાન 

ગાંધીજીની સામે જઈને તેમને નડે એ રીતે તસવીર લેતાં તે અકળાઈ જાય એમ ઘણી વાર બનતું. પણ ચૂપચાપ, પોતાની જગાએ ઉભા રહીને જોઈતી તસવીર લઈ લેતા ફોટોગ્રાફરને ખાસ વાંધો આવતો નહીં.
આમ લેવાઈ એ અમર તસવીર
આવું જ બન્યું હતું ગાંધીજીની અનેક યાદગાર તસવીરો ઝડપનાર સ્વાતંત્ર્યસેનાની ફોટોગ્રાફર જગન મહેતા/ Jagan Mehta સાથે. તેમના જ શબ્દોમાં એ બયાન વાંચીએ:
જગન મહેતા 
‘1947ના માર્ચ મહિનાનું છેલ્લું અઠવાડિયું હતું. ગાંધીજી ત્યારે બિહારના જહાનાબાદ/Jahanabad માં તોફાનોનો શિકાર બનેલા લોકો વચ્ચે ફરતા હતા. તેમનો ઉતારો ડો. સૈયદ મહેમૂદના બંગલે હતો. ગાંધીજી કયા સમયે ક્યાં ફરે છે, તેનું હું બરાબર ધ્યાન રાખતો હતો. મળસ્કે ફરવા જવાનો તેમનો રૂટ પણ મેં જોઇ લીધો હતો. આ બધું જાણી ગયા પછી એક સવારે હું બરાબર સજ્જ થઇને ગાંધીજીના મોર્નિંગ વોકના માર્ગ પર પહોંચી ગયો અને મારી પોઝિશન લઇને ગોઠવાઇ ગયો. કયા એન્ગલથી દૃશ્ય લેવું અને ફ્રેમમાં શું આવશે, એ તો મેં વિચારી રાખ્યું હતું. મનમાં થોડા ફફડાટ સાથે હું ગાંધીજીની રાહ જોતો હતો અને ભગવાનને પ્રાર્થના કરતો હતો કે મને સારો ફોટો મળે તેમ કરજો. વાતાવરણમાં પરોઢિયાનો ધુમ્મસમિશ્રિત પ્રકાશ છવાયેલો હતો. નક્કી સમયે મનુબહેન-આભાબહેનના ખભે હાથ મૂકીને મક્કમ ડગલાં ભરતા ગાંધીજી દૃષ્ટિમાન થયા. સાથે પહાડ જેવા પડછંદ પઠાણ બાદશાહખાન હતા. ચાલતાં ચાલતાં જેવા એ લોકો મારી કલ્પેલી ફ્રેમમાં આવ્યા કે તરત મેં ચાંપ દાબી. ત્યાર પછી આ સ્થળે અને સમયે જુદા જુદા દિવસોએ મેં પાંચ-છ ક્લિક કરી. સદ્‍નસીબે તેમાંથી બે-ત્રણ તસવીરો ખરેખર માસ્ટરપીસ થઇ.’
        જગનદાદાની આ શ્રેણીની તસવીર એટલે જેના વિના કોઇ પણ ગાંધીસંગ્રહાલય અધૂરું ગણાય એવી ‘ટોવર્ડ્ઝ ધ લાઇટ’/Towards the light (પ્રકાશભણી). ગાંધીજીની શાંતિયાત્રાની ચુનંદી આઠ તસવીરોનો એક સંપુટ પ્રસિદ્ધ થયો. તેના પ્રારંભમાં કાકાસાહેબ કાલેલકરે/Kakasheb Kalelkar લખ્યું હતું, ‘ચિત્રકાર જગન મહેતા કો ભારતવર્ષ કી ઓર સે ધન્યવાદ મિલના ચાહિયે.’
આ તસવીર વિના કોઈ પણ ગાંધી સંગ્રહાલય અધૂરું ગણાય. 
એક વાત છે કે, ગાંધીજીનાં પૂતળાં તેમના જીવતેજીવ બનવા લાગ્યાં હતાં. કદાચ જાહેર સ્થાનોએ મૂકાવાના શરૂ ન થયાં હોય એમ બને. આટલા કલાકારોમાંથી મોટા ભાગનાના અનુભવ પરથી લાગે કે શું ગાંધીજીએ બધા કલાકારોને પણ જાણે  અંગ્રેજો હોય એમ સમજીને 'અસહકાર' કર્યે રાખ્યો? એનો એક શબ્દનો જવાબ ત્વરિત ના હોય અને ઊંડાણપૂર્વકનો જવાબ હોય, જેમાં કલાકારો અને ગાંધીજી બંનેના દૃષ્ટિકોણનો સમાવેશ હોય
૧૯૪૭ની સાલએ સમયે મુંબઈમાં દસ લાખના ખર્ચે તેમનું પૂતળું તૈયાર કરાવીને મૂકવાની હિલચાલ થઈ રહી હતી. આ બાબતે શું માનતા હતા ગાંધીજી પોતે?

મારું પૂતળું?
" મુંબઈમાં મારું પૂતળું કોઈ જાહેર જગ્યામાં દસ લાખ રૂપિયાના ખર્ચે મુકવાની વાત ચાલી રહી છે. તે બાબત મારી ઉપર ઠીક તીખા કાગળ આવ્યા છે. કેટલાક વિનયવાળા છે; કેટલાક એવા રોષવાળા છે કે કેમ જાણે હું મારું પૂતળું બનાવરાવી ખડું કરવાનો ના હોઉં! કાગનો વાઘ તો થયા કરવાનો. મૂળમાં કેટલું તથ્ય છે વિચારવાનું કામ શાણાનું છે.... મારે કહેવું જોઈએ કે મને તો મારો ફોટો લેવાય પણ પસંદ નથી. ફોટો કોઈ ખેંચે છે તો તે ગમતું નથી. પણ કોઈ કોઈ ખેંચી લે છે. બાવલાં પણ બન્યાં છે. છતાં મારા વિચાર ઉપર પ્રમાણે હોઈ મારું પૂતળું પૈસા ખર્ચીને ખડું કરવાની વાત મને ગમે તેવી નથી. અને કાળે જયારે લોકોને ખાવાના સાંસાં છે, પહેરવાનાં કપડાં ના મળે. આપણાં ઘરમાં, ગલીઓમાં ગંદકી હોય, ચાલોમાં માણસ જેમ તેમ ખડકાય, ત્યાં શહેરોના શણગાર શા? એટલે મારું ખરું બાવલું મને ગમતાં કામો કરવામાં હોય. દશ લાખ રૂપિયા ઉપરનાં કામોમાં ખર્ચવાથી લોકોની સેવા થાય ને ખર્ચાયેલા પૈસા ઊગી નીકળે. તેથી મને આશા છે કે મજકૂર પૈસા એથી વધારે લોકસેવાનાં કામોમાં વપરાય. એટલા રૂપિયા નવું અનાજ પેદા કરવામાં વપરાય તો કેટલા ભૂખ્યાનું પેટ ભરાય?”

(સંપૂર્ણ)

4 comments:

  1. ભરતકુમાર ઝાલાOctober 7, 2012 at 10:58 PM

    પ્રિય બિરેનભાઈ,ઉર્વિશભાઈ અને કેતનભાઈ- તમારી ત્રિપુટીને ખૂબ જ અભિનંદન. ગાંધી અને આદર્શોની વાત બહુ વાંચી હતી, પણ ગાંધી અને કળાની જુગલબંધી પહેલી જ વાર માણી. ઈતિહાસના એક નવા જ પાસાની ઓળખાણ કરાવવા બદલ જે લાગણી થઈ, એના માટે 'સરસ' શબ્દ અપૂરતો છે.

    ReplyDelete
  2. બિરેનભાઈ,ઉર્વિશભાઈ
    NA KHAJANA MO BAHU MALL CHE
    JUST WAIT AND WATCH AND ALSO ENJOY IT,
    AND ALSO REMIND IT SO WE ARE TAKE CHANCE ALL THE MATTER CAN WE READ IT.
    GREAT SUBJECT APPROACH.........
    DRPATEL
    ==============================

    ReplyDelete
  3. આભાર...........
    ગાંધીજીના સ્મરણોને તાજા કરવા એ માનવતા ભણી જતા રસ્તા પરનું એક પગલું છે. આ પગલાં થકી દરેક વાચક માનવતાની નજીક આવતો જશે. રસસભર-પ્રમાણિક જાણકારી બદલ અભિનંદન.

    ReplyDelete
  4. આ એક અદભુત અને થીમેટિક સંકલન છે. બધું જ કલ્પના બહારનું છે.. ગાંધીજીનું આ પાસું અલગ અલગ કલાકારો દ્વારા રજુ થયું તેને લીધે વાંચનારાના મનમાં ગાંધીજીનુ જે "શિલ્પ" નિપજે છે તે તેમના સર્વવિદિત સ્વરૂપથી તદ્દન નિરાળું છે. અભિનંદન.અભિનંદન!

    ReplyDelete