Sunday, June 12, 2011

કોંકણ ડાયરી-1


-         
 પેટ ભરાય, પણ આંખ ન ધરાય.  


મારિયો મિરાન્ડાની નજરે કોંકણ રેલ્વે  
 
કોઁકણ નામ કાને પડતાં જ મોટા ભાગના લોકોને કોંકણ રેલ્વે યાદ આવી જાય. કોંકણ જઇ આવ્યા એમ સાંભળતાની સાથે જ ઉત્સાહપૂર્વક સામો સવાલ પૂછાઇ જાય, તો તો તમે કોંકણ રેલ્વેમાં બેઠા હશો, કેમ? કેમ જાણે કોંકણ રેલ્વેના રૂટ પર ચાલતી ટ્રેનમાં બેસવું કોઇ મોટું પરાક્રમનું કામ ન હોય?ખરેખર તો,અન્ય કોઈ પણ રુટ પર ચાલતી હોય એવી જ આ ટ્રેનો છે. અને એવી જ હોય ને? ખરી મઝા છે કોંકણ રેલ્વેના રૂટ પરથી પસાર થવાની. સિનીયોરીટી મુજબ જોઇએ તો કોંકણ રેલ્વે બારેક વરસ જેટલી જ જૂની છે. પણ અ‍નેક રીતે તે આગવી છે. પહેલી વાર કોંકણ રેલ્વેમાં મુસાફરી કરવી હોય તો બે બાબતો ખાસ ધ્યાનમાં રાખવા જેવી છે. પહેલું તો એ કે મુસાફરી માટે બને ત્યાં સુધી દિવસનો સમય પસંદ કરવો. કેમ કે આ વિસ્તારનું સૌંદર્ય માણવા માટે દિવસનું અજવાળું અત્યંત આવશ્યક છે. બીજી વાત એ કે મોસમ અનૂકુળ હોય તો મુસાફરી માટે સેકન્ડ ક્લાસ પસંદ કરવો. કેમ કે આવા કોચમાં બારીઓના કાચ ઉપર ચડાવી શકાશે અને બારીની બહારનું પ્રાકૃતિક સૌંદર્ય બરાબર માણી શકાશે. ઉપલા વર્ગની મુસાફરીમાં કદાચ સુવિધા જળવાય,પણ બારીઓ પર લગાડેલા ફીક્સ્ડ કાચને કારણે આ પ્રદેશના અદભૂત સૌંદર્યથી વંચિત રહી જવાની પૂરેપૂરી શક્યતા. બીજા વર્ગની મુસાફરીમાં ખાધે પીધે કશી જ અગવડ નથી. જાતભાતની સ્વાદિષ્ટ, ગરમાગરમ, સુગંધીદાર ખાદ્યચીજો સતત આવતી જ રહે. બસ, બારીની બહારનું સૌંદર્ય જોઇને આંખ ભરો અને ડબ્બામાં મળતી ચીજો ખાઇને પેટ ભરો. કોંકણ રેલ્વેમાં મુસાફરી આ બન્ને વિના અધૂરી ગણાય. અને છતાંય પેટ ભરાશે, પણ આંખ નહીં ધરાય.
ઘર સે બહુત દૂર હૈ સ્ટેશન


કોંકણ એ કોઇ એક ચોક્કસ જગા કે સ્થળનું નામ નથી. મહારાષ્ટ્ર રાજ્યના ચાર જિલ્લા- થાણે, રાયગઢ, રત્નાગિરિ અને સિંધુદુર્ગ- કોંકણ તરીકે ઓળખાય છે. અહીંનું ભૂપૃષ્ઠ અત્યંત વિશિષ્ટ છે, જેમાં દરિયો – અરબી સમુદ્ર છે, સાંકડા મેદાનો છે અને ઉચ્ચ પ્રદેશ પણ છે. માછીમારીના ઉદ્યોગને કારણે મુસ્લિમોની વસ્તી દરિયાકિનારાના વિસ્તારોમાં વધુ જોવા મળે છે, તો બ્રાહ્મણોની વસ્તી અ‍ન્ય વિસ્તારોમાં વધુ છે. આ વિસ્તારમાં રેલવેનું આગમન થયું ત્યાર પછી પ્રવાસીઓની સંખ્યા સતત વધી રહી છે, પણ એ અગાઉ બધો વ્યવહાર જમીનમાર્ગે (રોડ દ્વારા) હોવાથી પ્રવાસીઓ અત્યંત મર્યાદિત હતા. અત્યારે પરિસ્થિતિ એવી છે કે કોંકણ રેલ્વેના માર્ગમાં આવતા કોઇ સ્ટેશન પર ઉતરીએ તો ત્યાંથી ગામ કે નગર ઘણું દૂર લાગે. કેમ કે હજી સ્ટેશન નવાં હોવાથી તેની આસપાસના વિસ્તારોનો વિકાસ થઇ રહ્યો છે. પણ બહુ ઝડપથી આ પરિસ્થિતિ બદલાશે એમ લાગે છે. પ્રવાસીઓ માટે કોંકણમાં મોટે ભાગે બે અંતિમો જેવી સ્થિતિ સર્જાય છે.
અમુક વિસ્તારોમાં રહેવા-જમવાનું અત્યંત મોંઘું છે, જ્યારે ઘણા વિસ્તારો એવા છે, જ્યાં હજી વ્યાવસાયિકતા પ્રવેશી નથી અને કિફાયત ભાવે રહેવા-જમવાની સુવિધા મળી રહે છે. કોંકણ વિસ્તારને ટુરીઝમના હોટ સ્પોટ તરીકે પ્રમોટ કરવા માટે મહારાષ્ટ્ર સરકાર પ્રયત્નો કરી રહી છે અને જે રીતે પ્રવાસભૂખ્યા લોકો આ વિસ્તારને ધમરોળી રહ્યા છે, એ જોતાં પ્રવાસીઓથી આ વિસ્તાર ઉભરાતો થઇ જાય એ દિવસો દૂર નથી. અને છતાંય એવા ઘણા વિસ્તારો છે, ખૂણાખાંચરાના રમણીય સ્થાનો છે, જ્યાં નિરાંતે રજાઓ ગાળી શકાય.
ભાગોળે છે દાભોળ
દાભોળની ભાગોળ
દાપોલી તાલુકો કોંકણમાં આગવું મહત્વ ધરાવે છે. દાપોલીમાં ખેતીવાડી કોલેજનું જબરદસ્ત કેમ્પસ છે, ઉપરાંત આર્ટસ અ‍ને કોમર્સ કોલેજો પણ ખરી. ડૉ. આંબેડકર, સાને ગુરુજી અને મહર્ષિ ઘોંડો કેશવ કર્વેનું બાળપણ આ વિસ્તારમાં વીતેલું. જો કે, અહીંના ઘણા લોકોને લાગે છે કે આ મહાનુભાવોની જન્મભૂમિને (અથવા તો બાલ્યાવસ્થા વીતી હોય એવી ભૂમિ) બદલે કર્મભૂમિ અહીં હોત તો આ વિસ્તારનો વિકાસ યોગ્ય રીતે થઇ શક્યો હોત.  
ખેડ રેલ્વે સ્ટેશને ઉતરીને વાયા દાપોલી આગળ જતાં ડાભોલ આવે છે, જે અહીં તેના શુદ્ધ ઉચ્ચાર દાભોળ તરીકે ઓળખાય છે. આ નામ પડતાં જ એનરોન યાદ ન આવે તો જ નવાઇ! આ વિસ્તાર પૂરતો દાભોળને જમીનમાર્ગનો ડેડ એન્ડ કહી શકાય, કેમ કે જમીનમાર્ગે ત્યાંથી આગળ જઇ શકાતું નથી. જમીનમાર્ગે ક્યાંય જવું હોય તો પાછા દાપોલી આવવું પડે. દાભોળ નદીકિનારે નહીં, પણ ખાડીકિનારે છે, જે ટુરીઝમની ભાષામાં બેકવોટર્સ તરીકે ઓળખાય છે. પર્વતીય પ્રદેશના ઢાળ ઉતરતાં સમુદ્રકિનારો નજદીક આવતો જાય તેમ હવામાં માછલીઓની ગંધની તીવ્રતા વધવા લાગે છે. મચ્છીમારીનું અહીં મોટું કેન્દ્ર હોવાથી ખાડી પર બનાવેલી જેટી પર કેટલીય માછલીઓનો વેપાર થાય છે. લસણ-ડુંગળીની વાસને પણ સહી ન શકનારા લોકો દાભોલની જેટી પર જાય તો માછલીઓની ગંધથી જ બેભાન થઇ જાય. અહીં સનસેટ વખતે બેકવૉટરમાં ફરવા જવાનો વિચાર આકર્ષક લાગે, પણ કિનારે પહોંચતાં જ તમામ ઉત્સાહ ઓસરી જાય એમ બનવાની શક્યતા ખરી. માછલીઓને કારણે કિનારા પર કાગડા અને સમડીઓની ચીલઝડપ જોવા મળે છે, તેમ કૂતરાં પણ દેખાય છે. બીજી બધી રીતે તદ્દન ભિન્ન અને અજાણી જણાતી આ ભૂમિમાં કાગડા અને કૂતરાની હાજરીને કારણે થોડું પોતીકાપણું લાગે એવી સંભાવના ખરી.
ડીમ થયેલો અર્થતંત્રનો પાવર

ભૂલાયેલો ભૂતકાળ એનરોન 
દાભોળ જેના માટે પ્રખ્યાત છે, અથવા તો કુખ્યાત છે, તે પાવર પ્રોજેક્ટ હકીકતમાં ખાડીને સામે કાંઠે આવેલા અંજનવેલ ગામ નજીક છે. દાભોળથી સામે કાંઠેના વેદ્લોર ગામ સુધી ફેરી બોટ સર્વિસ ચાલે છે. અહીં પણ ખાનગી ફેરી સર્વિસવાળા સરકારી ફેરી સર્વિસ સાથે હરીફાઇ કરે છે. સરકારી ફેરી સર્વિસ એનો સમય થાય એટલે ઉપડી જ જાય, જ્યારે ખાનગી ફેરી સર્વિસવાળા દૂરથી કોઇ સવારીને આવતી જુએ તો તેની રાહ જુએ. જો કે, સરકારી ફેરી સર્વિસમાં જવાનો ફાયદો એ કે તેની સાથે એસ.ટી.બસનું કનેક્શન છે. દાભોળથી આવતી સરકારી બોટના પેસેન્જરની રાહ જોયા પછી જ એસ.ટી. બસ ઉપડે છે. આ ફેરી બોટમાં મુસાફરો તો ઠીક, કારના માલિકો પણ પોતાની કાર સહિત ખાડી ઓળંગે છે. વેદ્લોરથી પચ્ચીસેક કિલોમીટરે ગુહાગર આવેલું છે, જે જમીનમાર્ગે દાભોળથી સીત્તેરેક કિલોમીટર જેટલું થાય. પાવર પ્રોજેક્ટને કારણે જે તે સમયે દાપોલી અને દાભોલનું આખું અર્થતંત્ર ઉંચકાઇ ગયું હતું. તમારે ક્યાં ખિસ્સામાંથી ચૂકવવાના છે! તમને તો કંપની જ આપે છે ને! આ મંત્ર સ્થાનિક વેપારીઓ છૂટથી ઉચ્ચારતા. વડોદરાની આસપાસના તેમજ વડોદરાના બજારોમાં રિફાઇનરી,આઇ.પી.સી.એલ (હવે રીલાયન્સ), જી.એસ.એફ.સી;જી.એ.સી.એલ. જેવી કંપનીઓને કારણે હજીય આ મંત્ર ઘણે અંશે ચલણી છે. જો કે, પાવર પ્રોજેક્ટ ખોરંભે પડ્યો અને ત્યાર પછી એનરોન કંપનીએ દેવાળું કાઢ્યું એ પછી ફરી પાછી યથાવત સ્થિતિ થઇ ગઇ છે. છેલ્લે છેલ્લે રત્નાગિરિ ગેસ એન્ડ પાવર પ્રા.લિ. દ્વારા પણ આ કંપની શરૂ કરવાનો આરંભ કરાયો, પણ એક યા બીજા કારણોસર તેમાં અડચણો આવતી જ રહે છે. આરંભથી જ રાજકારણનું ગ્રહણ આ પ્રોજેક્ટને નડ્યું ત્યાર પછીય તેના માટે અમાસની રાત જેવો સમયગાળો ચાલુ જ રહ્યો છે. આ અંધકારમાં કોઇ લાઇટ (પ્રકાશ)ની સંભાવના નજીકમાં તો દેખાતી નથી. પાવર પ્રોજેક્ટના ભૂંગળાં અત્યારે ટુરીઝમ સ્પોટ તરીકે દૂરથી દેખાડાય જ છે, પણ આ પરિસ્થિતિ રહી તો કદાચ હેરીટેજ સાઇટનો દરજ્જો પણ તેને મળી જાય તો નવાઇ નહીં. (ક્રમશ:) 
(તસવીરો: બીરેન કોઠારી)  

15 comments:

  1. Congratulations and welcome to the blog world! :)

    And it is also a privilege to post a first comment... :)

    હવે તાત્કાલિક અસરથી કોંકણ જવું જ પડશે. વાહ! ધમાકેદાર શરૂઆત, બિરેનભાઈ! મજા આવી ગઈ... લગે રહો..

    ઋતુલ

    ReplyDelete
  2. આપ ગયા હો તો જણાવશો કે મુશાફરી કયા સ્ટેશનથી શરુ કરવી અને કયાં પુરી કરવી? જો ટરેઈનમાંથી ધોધ જોવો હોય તો?

    ReplyDelete
  3. મુસાફરીનો આરંભ મુંબઈથી જ ઠીક રહે. જો કે, અમદાવાદથી ગોવા,એર્નાકુળમ વગેરે શહેરો તરફ જતી ટ્રેનો પણ કોંકણ રેલ્વેના રૂટ પર જ જાય છે.એટલે રૂટ પરનું (ધોધ સહિત)સૌંદર્ય તો માણી શકાય.પણ કોંકણ વિસ્તારમાં ફરવું હોય તો ખેડ ઊતરીને અનેક સ્થળે જઈ શકાય. અહીં કૃષિ પર્યટન પણ ચાલુ થયું છે,પણ તેમાં પર્યટન વધુ,કૃષિ ઓછી હોય છે.'ગણપતિપુળે'નો બીચ મહારાષ્ટ્ર ટુરીઝમે વિકસાવ્યો હોવાથી ત્યાં અવરજવર ઘણી રહે છે, પણ એ સિવાયનાં અનેક બીચ છે, જે દાપોલી-દાભોળની આસપાસ છે. આવા જ એક ગુહાગરના બીચ વિષે ઝડપથી વાંચવા મળશે ભાગ-૨માં.

    ReplyDelete
  4. Welcome to the World of Web - BLOG.

    ReplyDelete
  5. Interesting piece. Welcome to the world of blogs!

    ReplyDelete
  6. Harish Raghuwanshi-SuratJune 13, 2011 at 9:08 PM

    Dear Birenbhai

    Congratulations.

    ReplyDelete
  7. Uttam-Madhu GajjarJune 13, 2011 at 9:15 PM

    વહાલા ભાઈ બીરેન,
    મોડે મોડે પણ તમારું ઉમળકાભેર સ્વાગત છે બ્લોગજગતમાં..
    ઘણું આપવા જેવું છે તમારી પાસે ભાઈ ઉર્વીશની જેમ..
    અમારી શુભેચ્છા સ્વીકારશો.. નવું કશું મુકો ત્યારે જાણ કરતા રહેશો.

    ReplyDelete
  8. કળાને લગતું નિયમિત મળતું રહે એવા ગુજરાતી ભાષાના બ્લોગની આપણે ત્યાં ખોટ વર્તાતી હતી, એ હવે પૂરી થશે.
    ખૂબ ખૂબ અભિનંદન.

    ReplyDelete
  9. Welcome to the blog world Birenbhai. Interesting start.

    ReplyDelete
  10. બ્લોગજગતમાં હાર્દીક સ્વાગત છે...

    ReplyDelete
  11. Good start.. Congratulations..

    Lata J Hirani

    ReplyDelete
  12. હીરોની એન્ટ્રી તો હવે થયી છે, બ્લોગ સ્ટુડીઓમાં..... જો જો કોમેન્ટ્સ વતી કેટલાક વિલનનો પણ સામનો થયી શકે છે. સાવધાન...... લગે રહો બિરેનભાઈ......

    ReplyDelete
  13. I ENJOYED LITTLE JOURNEY OF KOKAN THROUGH YOUR WORDS.
    KEEP IT UP. VERY NICE.

    -Dhaval Bhagatji

    ReplyDelete
  14. રસપ્રદ..

    વર્ષો પછી અભિનંદન

    ReplyDelete