Monday, February 24, 2025

અરીસો દેખાડનાર તમે કોણ?

બિચારા કાર્ટૂનિસ્ટો! તેમની સાવ છેવાડાની વ્યંગ્યસભર કલ્પનાઓ લોકો હવે સાચી પડી રહી છે. આવા માહોલમાં તેઓ દોરી દોરીને શું દોરે! કરી કરીને શી કલ્પના કરે! પહેલાં તેઓ જે પંચલાઈન કાર્ટૂનમાં લખીને હાસ્ય નીપજાવતા હતા એ હવે અખબારોમાં હેડલાઈન બનીને ચમકે છે. આટલું ઓછું હોય એમનાં દોરેલાં કાર્ટૂનો પર તવાઈ આવે. વક્રતા એ છે કે આવી તવાઈ સીધેસીધી રાજકીય નહીં, પણ વિવિધ પ્રકારનાં લાગણીદુભાઉ સમુદાયો તરફથી ઊતારવામાં આવે છે. એક બાજુ રાજકારણીઓનાં આવાં કરતૂતોને કારણે તેમની નોકરી ખતરામાં આવી પડી છે, એટલે કે મોટા ભાગના અખબારોમાં 'સ્ટાફ કાર્ટૂનિસ્ટ' હવે ભૂતકાળ બની રહ્યા છે. બીજી તરફ તેઓ સોશ્યલ મિડીયા પર ફ્રી લાન્સર તરીકે કાર્ટૂન મૂકે તો લાગણીદુભાઉ જૂથો તેમની પર તવાઈ ઊતારે છે. વક્રતા આ નથી. વક્રતા એ છે કે જનતાના એક મોટા અને બોલકા હિસ્સાને એમ લાગે છે કે એ તો એમ જ હોય. 'અચ્છે દિન' હોય કે 'મેઈક અમેરિકા ગ્રેટ અગેઈન'નો વાયદો, આપણા અનેક મૂર્ધન્ય અને જઘન્ય હાસ્યકારો વરસોથી કહેતા આવ્યા છે, 'હાશ્ય તો ગમે ન્યાંથી મળી આવે. જોવાની દ્રશ્ટિ હોવી જોઈએ.' તેઓ કેટલી કરુણ રીતે સાચા પડી રહ્યા છે!

'વૉશિંંગ્ટન પોસ્ટ'નાં સ્ટાફ કાર્ટૂનિસ્ટ એન ટેલ્નેસ/ Ann Telanaes દ્વારા બનાવાયેલું એક કાર્ટૂન પ્રકાશિત કરવાનો અખબાર દ્વારા ઈન્કાર કરવામાં આવ્યો. 2008થી 'વૉશિંગ્ટન પોસ્ટ' સાથે સંકળાયેલાં એન સાથે આવું પહેલવહેલી વાર બન્યું છે. આ કારણે તેમણે પોતાનો હોદ્દો ત્યાગી દીધો છે. એવું તે શું હતું એ કાર્ટૂનમાં?

તોફા કુબૂલ કરો, જહાંપનાહ!

અમેરિકન પ્રમુખ ટ્રમ્પને ચરણે વિવિધ ટેક અને મિડીયાના માલિકો નાણાંકોથળી ધરી રહ્યા છે. સ્વાભાવિકપણે જ પોતાની તરફદારી કરવા માટેનો આ 'ચઢાવો' છે. આ જૂથમાં ફેસબુક અને મેટાના સ્થાપક- સી.ઈ.ઓ માર્ક ઝકરબર્ગ, એ.આઈ.ના સી.ઈ.ઓ. સામ અલ્ટમેન, એલ.એ.ટાઈમ્સના પ્રકાશક પેટ્રિક સૂ-શિઓંગ, વૉલ્ટ ડિઝની કમ્પની તથા એ.બી.સી.ન્યુઝ અને વૉશિંગ્ટન પોસ્ટના માલિક જેફ બેઝોસ સામેલ છે.

કાર્ટૂનનું પ્રકાશન નકારવામાં આવ્યું, પણ અહીં 'કાર્ટૂન મુવમેન્ટ'ના સૌજન્યથી એ કાર્ટૂનનું પ્રાથમિક ડ્રોઈંગ મૂકવામાં આવ્યું છે.

એને આ અગાઉ પ્રમુખ ટ્રમ્પનાં કે બીજાં અનેક રાજકીય કાર્ટૂનો ચીતરેલાં છે, પણ એ ભૂતકાળ હતો. હવે સમય બદલાયો છે. અહીં એનનાં બનાવેલાં બીજાં કેટલાંક કાર્ટૂન જોઈએ. કાર્ટૂનિસ્ટો ઓછામાં ઓછા શબ્દોથી કે એક પણ શબ્દ વિના, ચિત્રાંકનથી કેવું આબાદ નિશાન પાર પાડે છે એનો અંદાજ આ કાર્ટૂનો જોઈને આવી શકશે.

ટ્રમ્પની ટાઈ

વર્લ્ડ પ્રેસ ફ્રીડમ દિન, 2022

ટ્રમ્પની 'ફૂટપ્રિન્ટ'

ઘોડાના કંકાલ પર સવાર પુતીન

Sunday, February 23, 2025

ગાર્ડન ઑફ એડેનિયમ

આદમ અને ઈવનું સર્જન કરીને તેમને ગાર્ડન ઑફ ઈડનમાં મૂકેલા એવી વાયકા છે. જો કે, એ અગાઉ 'ઈડન ગાર્ડન'નો એક જ અર્થ મારે મન હતો, અને એ હતો કલકત્તાનું ક્રિકેટ સ્ટેડિયમ. રેડિયો કમેન્ટેટર સુશીલ દોશીના શબ્દો હજી કાનમાં ગૂંજે છે, 'અસ્સી હજાર દર્શકોં સે ખચાખચ ભરા હુઆ કલકત્તા કા ઈડન ગાર્ડન સ્ટેડિયમ.'

ખેર! પછી તો ક્રિકેટ છૂટી- રમવાની નહીંં, સાંભળવા-જોવાની. પછીના વરસોમાં બાગબાની પકડાઈ. એ સાવ છૂટી તો નથી, પણ સક્રિયતા ઘટી, અને એનો મુખ્ય હવાલો કામિનીએ જ સંભાળ્યો. પહેલાં ભોંયતળિયે છોડ રોપ્યા. પણ કોવિડના સમયગાળામાં રોજેરોજ ધાબે ચાલવા જતા. એટલે પછી ધીમે ધીમે ધાબે એને વિકસાવ્યો. એમાં મુખ્યત્વે એડેનિયમના રોપા. એડેનિયમને 'સીંગાપુરી ચંપો', 'ડેઝર્ટ રોઝ' વગેરે નામે ઓળખવામાં આવે છે. એના દેખાવની વિશેષતા એ કે એનું પ્રકાંડ ખૂબ જાડું વિકસી શકે, અને ડાળીઓ ઓછી. ફૂલ બેસે ત્યારે સરસ લાગે, અને એ વિના પણ. એને પાણી અને તાપ બન્ને જોઈએ, પણ વધુ પડતા પાણીથી એ 'વીરગતિ કો પ્રાપ્ત' યાનિ કિ 'ટેં' થઈ શકે. શરૂઆતમાં અધીરાઈથી પાણી પાતાં અમુક એડેનિયમ વીરગતિને પ્રાપ્ત થયેલા પણ ખરા. નર્સરીમાંથી ખરીદીએ તો એ અન્યોની સરખામણીએ મોંઘાં જણાય. પ્રકાંડની જાડાઈ અનુસાર એની કિંમત હોય એમ અમને લાગે છે.

ફૂલોથી શોભતાં એડેનિયમ

એડેનિયમ પર બેઠેલી શિંગ

ગાર્ડન ઑફ એડેનિયમનો એક નાનકડો હિસ્સો

ભોંયતળિયેથી તમામ એડેનિયમને ધાબે લાવ્યાં એટલે એમને ભરપૂર તાપ મળતો થયો. એ ફાલવા લાગ્યાં. એમને ફળ (શિંગ) અને ફૂલો બેસવા લાગ્યાં. શિંગમાંથી નીકળતાં બીજમાંથી કામિની રોપા (ધરુ) ઉછેરવા લાગી. સહેજ મોટા થયેલા ધરુને પછી અલગ કૂંડામાં રોપવાનું શરૂ કર્યું. ધીમે ધીમે વસ્તાર વધવા લાગ્યો.

બે-ત્રણ મહિના પહેલાં કુતૂહલવશ મેં ધાબે રહેલા એડેનિયમની ગણતરી કરી તો નેવું જેટલા ગણી શકેલો- ભૂલચૂક લેવીદેવી. સામાન્ય રીતે અમારે ત્યાં કોઈ આવે તો સ્વાભાવિકપણે જ એની નજર નીચે મૂકાયેલાં કુંડા પર જાય. ધાબે મૂકેલાં કુંડા સુધી જવાનું ન બને. પણ બાગાયતના ખરેખરા પ્રેમી હોય તો અમે ઘણી વાર ધાબે જવાની ઑફર મૂકીએ ખરા. આપણા ઘણા ગુજરાતીઓનો બાગાયત માટેનો લગાવ જોઈને આપણું દિલ ક્યારેક 'બાગ બાગ' થઈ જાય. એ શી રીતે? તેમના અમુક મુખ્ય સવાલ હોય, જેના જવાબની એમને અપેક્ષા ન હોય. તદ્દન નિષ્કામભાવે તેઓ કામિનીને પૂછે, 'આમાં તારો કેટલો બધો સમય જાય?' હું વ્યાવસાયિક અનુવાદક પણ ખરો, એટલે આ સવાલનો અનુવાદ મનમાં કરું, 'આ તો બધું નવરા લોકોનું કામ.' અમુક પૂછે, 'આટલા બધા કૂંડાને પાણી પાતાં કેટલી વાર લાગે?' અનુવાદ આગળ મુજબ. કોક વળી અર્ધજાણકાર હોય, થેન્ક્સ ટુ રીલ્સ, એટલે એ કહે, 'આ છોડ તો બહુ મોંઘા આવે છે. નર્સરીમાં એનો ભાવ ખબર છે? દોઢસો-બસોનો એક નાનો છોડ આવે.' અનુવાદ: 'તમે, મારા બેટાઓ ! લાખોનું 'રોકાણ' કરીને બેઠા છો ને અમને કહેતાય નથી?' અમુક આત્મીયજનો હકભાવે જણાવે, 'અમારા માટે એક છોડ તૈયાર કરજો.' એમના માટે કામિની તૈયાર કરે, પણ એના માટે મુદત માગીને.

વચ્ચે ઈશાને અને મેં વિચાર્યું કે આપણે આ એડેનિયમનું વેચાણ ચાલુ કરીએ. ઈશાને સ્થાનિક ડિલીવરી સેવા આપતી એજન્સીઓની પણ તપાસ કરી. મેં નિષ્ણાતની અદાથી 'કોસ્ટિંગ'ની ગણતરી માંડી. મને નજીકથી ઓળખનારા સમજી ગયા હશે કે આનું પરિણામ શું આવે! પણ એવું કશું ન થયું, કેમ કે, પોતે ઉછેરેલા એડેનિયમને વેચવાનો કામિનીનો જીવ ન ચાલ્યો. એણે, જો કે, 'મને ટાઈમ નથી', 'ડિલીવરી આપવા જતાં ડાળીઓ તૂટી જાય તો?' વગેરે જેવાં બહાનાં આગળ ધર્યાં. એટલે પછી અમારું એ બિઝનેસ મોડેલ ફન્ક્શનલ ન બની શક્યું. નહીંતર મેં તો ભવ્ય યોજનાઓ બનાવી રાખેલી કે એક વાર આ એડેનિયમનો બિઝનેસ બરાબર ચાલવા લાગે તો ધીમે ધીમે હું વ્યાવસાયિક ચરિત્રલેખનને સંપૂર્ણપણે 'માટીમાં મેળવી' દઉં અને એમાંથી રોટલા કાઢું.

પણ ધાર્યું 'ધણિયાણી'નું થાય!

Saturday, February 22, 2025

માતૃભાષાનું ગૌરવ લેવું કે ગર્વ?

વડોદરાની સાહિત્યસંસ્થા 'સાહિત્યસમીપે' અંતર્ગત 22-2-25 ને શુક્રવારની સાંજના સાડા પાંચથી સાત દરમિયાન 'ગોષ્ઠિ-125'નું આયોજન હતું. દર શુક્રવારે યોજાતી આ સાહિત્યિક ગોષ્ઠિનો આરંભ થયો ત્યારે 'ગોષ્ઠિ-1'માં જયેશભાઈ ભોગાયતા દ્વારા મને આમંત્રણ મળેલું. એ પછી અવારનવાર અહીં જવાનું બનતું રહ્યું છે. આને કારણે અહીંના મોટા ભાગના શ્રોતાવર્ગ સાથે નામનજરનો પરિચય છે એમ કહી શકાય.

નિશાબહેનના ગાનથી આરંભ
આ ગોષ્ઠિમાં જયેશભાઈ ઉપસ્થિત નહોતા. અકાદમી દ્વારા પોંખાયેલા તેમના પુસ્તકના પારિતોષિક સમારંભમાં તેમણે ગાંધીનગર જવાનું હતું. હર્ષદભાઈ દવે અને નિરંજનભાઈ પંડ્યાએ કાર્યક્રમનું સંચાલન સંભાળેલું. યોગાનુયોગે આ દિવસ 'વિશ્વ માતૃભાષા દિન' હતો, આથી સ્વાભાવિકપણે જ માતૃભાષા અંગે વાત થઈ. કાર્યક્રમનો આરંભ નિશાબહેનના સ્વરે ગવાયેલા ઉમાશંકર જોશીના ગીત ' 'મળી મને માતૃભાષા ગુજરાતી'થી થયા પછી નિરંજનભાઈએ સંચાલનનો દોર સંભાળ્યો અને ગુજરાતી ભાષાનાં કેટલાક સર્જકોના લખાણની ચખણી કરાવી. એ પછી હર્ષદભાઈ દવેએ ગુજરાતી ભાષા અને તેના ઉદ્ભવ અંગેની ભૂમિકા બાંધી આપી. ગુજરાતી ભાષાના વિવિધ તબક્કા તેમણે દર્શાવ્યા. એ પછી મારા વક્તવ્યનો વારો હતો.
નિરંજનભાઈએ સંભાળ્યો
 સંચાલનનો દોર
સ્વામી આનંદ લિખીત પુસ્તક 'ધરતીની આરતી' વિશે મારે બોલવાનું હતું, પણ એમાં મેં ત્રણ પેટાવિભાગ કર્યા. સૌ પ્રથમ માતૃભાષા વિશે થોડી વાત કરી. એ પછી સ્વામી આનંદનો ટૂંકો પરિચય આપ્યો. અને પછી 'ધરતીની આરતી' પુસ્તક વિશે કહ્યું. અહીંનો સજ્જ શ્રોતાગણ આ પુસ્તકથી સુપરિચીત હતો. હિમાલયનું વર્ણન ગમે એટલું કરીએ, પણ હીમાલયને પ્રત્યક્ષ જોવાની તોલે કશું ન આવે એ ન્યાયે પુસ્તક વિશે ટૂંકાણમાં વાત કર્યા પછી પુસ્તકમાંના કેટલાક ગદ્યખંડનું પઠન કરીને સ્વામી આનંદના ભાષાવૈભવનો સીધો પરિચય કરાવ્યો.
પુસ્તકની બહાર, પણ વિષયની અંદર રહીને કેટલીક વાત થઈ, જેમાં સ્વામી આનંદના પુસ્તક 'જૂની મૂડી'નો ઉલ્લેખ કર્યો. વિવિધ વ્યવસાયના પારિભાષિક શબ્દો વિશે પણ વાત થઈ. સ્વામી આનંદના લેખ 'માનવી અને ભૂગોળ'માં માનવના રહનસહન અને પ્રકૃતિ પર થતી ભૂગોળની અસર વિશે કહેવાની મજા આવી.
હર્ષદભાઈએ બાંધી આપેલી પૂર્વભૂમિકા
વક્તવ્ય પછી પ્રતિભાવનો વારો હતો. ઉપસ્થિત શ્રોતાસભ્યોએ વારાફરતી ટૂંકમાં પણ વિષયને અનુરૂપ પોતપોતાના અનુભવો રજૂ કર્યા અને મુખ્ય સામગ્રીમાં મૂલ્યવૃદ્ધિ કરી.
નિરંજનભાઈએ આભારદર્શન કરીને કાર્યક્રમનું સમાપન કર્યું. આ વર્તુળની મજા એ હોય છે કે અહીં મર્યાદિત સંખ્યા હોવાથી વક્તવ્યને બદલે વાતચીત કરતા હોઈએ એમ લાગે, એને કારણે યાંત્રિકપણાને બદલે સહજપણે વાત થઈ શકે છે, અને આનુષંગિક અનેક વાતો યાદ આવતી રહે છે. કાર્યક્રમ પૂરો થયા પછી પણ હળવામળવાનો અને વાતોનો આનંદ અહીં હોય છે.પાર્થિવભાઈ દેસાઈ સાથેનો પરિચય આનંદદાયક બની રહ્યો, તો મિત્ર ખુમાણભાઈ રાઠોડ ખાસ આ કાર્યક્રમ માટે આવ્યા એનો આનંદ.
દર સપ્તાહે નિયમીતપણે યોજાતી આ ગોષ્ઠિનો આ સવાસોમો પડાવ હતો. આગામી દીર્ઘ સફર માટે સૌને શુભેચ્છાઓ.
હળવી ક્ષણને માણતા હર્ષદભાઈ અને નિરંજનભાઈ

માતૃભાષા, સ્વામી આનંદ અને
'ધરતીની આરતી' વિશે વાત
(તસવીર સૌજન્ય: જયેશ ભોગાયતા)

Friday, February 21, 2025

જૂની મૂડી (2)

(સ્વામી આનંદે પોતાના દીર્ઘ લેખનવાચન દરમિયાન જૂના અને ભરપૂર અભિવ્યક્તિવાળા, છતાં ચલણમાંથી નીકળી ગયેલા શબ્દો, રૂઢિપ્રયોગો, કહેવતો, ઓઠાંઉખાણાં વગેરે એકઠા કર્યા હતા. તેમના અવસાન પછી 1980માં આ તમામનું સંપાદન મૂળશંકર મો. ભટ્ટ અને ન.પ્ર.બુચ દ્વારા 'જૂની મૂડી'ના નામે પુસ્તકસ્વરૂપે પ્રકાશિત કરવામાં આવ્યું. પ્રકાશક હતા એન.એમ.ત્રિપાઠી પ્રા.લિ; મુમ્બઈ. હવે તો આ પુસ્તક પણ અપ્રાપ્ય બન્યું છે. પ્રસ્તુત છે આ પુસ્તકમાંથી ચખણીરૂપે કેટલાક શબ્દપ્રયોગો. મૂળ જોડણી યથાવત્ રાખવામાં આવી છે.) 

- વેઠતાં વનવાસ ને સેવતાં ઘરવાસ એમાં અંતે લાભ = દુ:ખના દિવસ વેઠી લેતાં અને ગૃહસ્થાશ્રમ સેવતાં છેડે શુભ જ થાય એવી આસ્થાનું સૂચક

- સફેદનો લોપ થાય ત્યારે જ કપડું રંગાય = સફેદ એટલે કે અહંકારરૂપી મૂળ પોત ન ટળે ત્યાં સુધી જ્ઞાનવૈરાગ્યનો રંગ પાકો ન ચડે એ અર્થ
- વાટ્યું ઓસડ ને મૂંડ્યો જતી = આ બન્નેનાં મૂળની ખબર ન પડે, એ ન પરખાય
- પારકે પાદર માવજીભાઈ કાંધાળા = બીજાનો ધનમાલ વપરાતો હોય ત્યાં ઉદાર થાય તેવા માણસો માટે વપરાય છે પારકે ઘેર માવજીભાઈ પો'ળા
- સો વાર બકો ને એક વાર લકો (લખો) = બોલેલું યાદ ન રહે, તેથી એ વિશે ખાતરી ન રાખી શકાય કે આમ જ કહ્યું હતું, પણ લખેલું તો સો વરસેય જેમનું તેમ વંચાય, માટે લખેલું હોય તે જ પાકું ગણવું
- વૈદો વઢે એમાં માંદાનો મરો (અર્થ સ્પષ્ટ છે), When doctors differ, patients suffer
- લૂણી ધરોને તાણી જાય = વ્યાજનો લોભ મુદ્દલ, મૂડીને ડુબાડે. લૂણીની ભાજી ઉગાડનારા ધરોની જોડે લૂણી ઉગી હોય ત્યારે લૂણીને ઉપાડતાં ધોળી ધ્રોને પણ ઉખાડી નાખે તે પરથી
- કુલડીમાં રાંધ્યું ને કોડિયામાં ખાધું = આજકાલનાં માણસોનાં ચકલાચકલી જેવાં પોપલાં ખાનપાન, જેમાં એક પણ અતિથિ-આગન્તુક ન સમાય
- ઊંટે ચડી બકરાં હાંકવાં = 'જા બિલ્લી કુત્તેકુ માર', જાતે કશું ન કરતાં બીજા બધું કામ બરાબર અંકે કરી આપે તેવી અપેક્ષા રાખવી
- મથુરાનો પેંડો ન્યારો = અલગારી માણસ માટે કહેવાય છે (મથુરાનો પેંડો અસાધારણ મોટો, સામાન્ય પેંડા કરતાં અલગ પડે તેવો હોય છે)
(સૌજન્ય: જૂની મૂડી, સ્વામી આનંદ)

(નોંધ: આવા વધુ શબ્દો ધરાવતી એક જૂની પોસ્ટ મારા બ્લૉગ પર અહીં વાંચી શકાશે.

Thursday, February 20, 2025

દેખને મેં ભોલા હૈ, દિલ કા સલોના

થોડા સમય પહેલાં વહીદા રહેમાનની પહેલી તેલુગુ ફિલ્મ 'રોજુલુ મરાઈ' (1955)નું ગીત 'એરુવાકા સાગારૂ રન્નો ચિન્નન્ના' સાંભળ્યું, જેના પરથી 'બમ્બઈ કા બાબુ'નું 'દેખને મેં ભોલા હૈ' પ્રેરીત હોય એમ લાગ્યું. ગૂગલ પર વધુ તપાસ કરતાં જાણવા મળ્યું કે અસલમાં આ 'અય્યો કયોડા' શબ્દો ધરાવતી એક તેલુગુ લોકધૂન છે. તેનો પહેલવહેલો ફિલ્મમાં ઉપયોગ 'શ્રી લક્ષ્મમ્મા કથા' નામની તેલુગુ ફિલ્મના ગીત 'ઓરય્યો કયોડા'માં થયેલો.

ત્યાર પછી ૧૯૫૫માં તેલુગુ ફિલ્મ 'રોજુલુ મરાઈ'માં આ ધૂનનો ઉપયોગ થયો. તેના પછી ૧૯૫૬માં આવેલી 'મદુરાઈ વીરન'ના ગીત 'સુમ્મા કીદન્‍તા'માં પણ આ ધૂન વપરાઈ. આ ગીતમાં આરંભિક બે લીટીઓ છે, પણ બર્મનદાદાએ ત્રીજી લીટીની ધૂનને મુખડું બનાવ્યું છે અને ગીતની શરૂઆત ત્યાંથી કરી છે. 'બમ્બઈ કા બાબુ' છેક ૧૯૬૦માં રજૂઆત પામ્યું હતું. બર્મનદાદાએ પણ આ ધૂનમાં હિન્દી શબ્દો 'દેખને મેં ભોલા હૈ, દિલ કા સલોના' મૂકાવ્યા, જે મજરૂહસાહેબે લખ્યા હતા. 'બમ્બઈ કા બાબુ'માં આ ગીત પંજાબી ગીત હોવાની છાપ ઉપસાવે છે અને તેને સાંભળવાની મઝા ઓર છે.

Wednesday, February 19, 2025

જામનગરના જાંબુ લાયા ફાલ...સા

દર ઊનાળાની બપોરે અમારા મહેમદાવાદમાં આ બૂમ સંભળાય. એમાં પછી ઉમેરાય, 'મીઠા ને મેવા લાયા ફાલ...સા'. 'ફાલ..' પછીનો 'સા' સાઈલન્ટ રહેતો. ચશ્મા પહેરેલા એક કાકા માથે ટોપલો મૂકીને નીકળતા અને આવી બૂમ પાડતા. ટોપલામાં ફાલસા હોય અને નાનકડું ત્રાજવું. અમે એમની બૂમની રાહ જોતા હોઈએ. મમ્મી એમને ઊભા રહેવાનું કહે. તેઓ અમારે ઓટલે ટોપલો મૂકે અને બેસે. લોટામાં એમને પાણી પણ ધરીએ. તેઓ પાણી પીવે અને પછી એક કે બે રૂપિયાના ફાલસા તેઓ જોખે. એમ લાગતું કે ફાલસા ત્યારે પણ મોંઘા હતા. હજી ઊનાળામાં મહેમદાવાદ જવાનું થાય ત્યારે ત્યાં ફાલસા લેવાના જ. હવે જો કે, એ લારીમાં મળે છે. ગળ્યા અને ખાટા ફાલસા ખાતાં એમાંના બીયાને ચાવતાં જે અવાજ આવે એને મજા જ જુદી. હવે જો કે, ફાલસાનું શરબત પીવાનું વધુ બને છે, છતાં ફાલસા એ ફાલસા.

વચ્ચે કોઈક લારીવાળાને કહેતા સાંભળેલા કે 'હવે ફાલસાનાં ઝાડ જ ઓછા થઈ ગયા છે.' જો કે, કદી એવો વિચાર નહીં આવેલો કે ફાલસાનાં ઝાડ ક્યાં હોય? કોણ એ ઉછેરે? અને એ કેવું દેખાય?

ગયા વરસે દમણ જવાનું થયું ત્યારે ઉદવાડામાં આવેલી એક નર્સરીની મુલાકાત લીધી. વાહન કરીને ગયેલા હોવાથી સૌએ વિવિધ રોપા ખરીદ્યા. કામિનીએ એમાં ફાલસાનો રોપો પણ ખરીદેલો. ઘેર આવીને અમારા ધાબે તેણે એ રોપાને એક ડ્રમમાં રોપ્યો. બીજા પણ રોપ્યા.

આ સાત-આઠ મહિનામાં ફાલસાના એ રોપા પર પહેલી વાર ફૂલ બેઠાં છે. એની પર ફાલસા આવે ત્યારની વાત ત્યારે, અત્યારે તો રોજેરોજ આ ફૂલ જોઈને અમે હરખાઈએ છીએ.

સૌથી પહેલું ફાલસાનું ફળ બેસશે ત્યારે એની ઊજવણી બાબતે વિચારીશું.

ફાલસાને બેઠેલાં ફૂલ


મબલખ પાક ઊતરવાની એંધાણી

ફાલસાનો છોડ

Tuesday, February 18, 2025

સેમિનારની સમાંતરે....

નડિયાદની ઝઘડીયા પોળમાં આવેલા, ગોવર્ધનરામ ત્રિપાઠીના નિવાસસ્થાન એવા 'ગોવર્ધનરામ સ્મૃતિ મંદીર'માં 19 ફેબ્રુઆરી, 2023ને રવિવારના રોજ એક અદ્ભુત કાર્યક્રમનું આયોજન હતું. 'ગુજરાતી સાહિત્યનાં યુગપ્રવર્તક નગરો' વિષય પરના પરિસંવાદમાં ગુજરાતી સાહિત્યના કેન્દ્ર સમાં રહી ચૂકેલાં વિવિધ નગરોની વાત વિદ્વાન વક્તાઓ દ્વારા કરવામાં આવી. પ્રાધ્યાપક બિરાદરી અને વિદ્યાર્થીઓ ઉપરાંત અનેક સાહિત્યરસિકોએ સવારથી સાંજના આ પરિસંવાદમાં ભાગ લીધો. પરિસંવાદની વિગતો વિશે તેમાં ભાગ લેનારાઓ પોતપોતાની રીતે લખશે, પણ આ સમગ્ર ઉપક્રમમાં ઊડીને આંખે વળગે એવું તેના આયોજનનું પાસું હતું. પ્રા. ડૉ. હસિત મહેતાના માર્ગદર્શનમાં થયેલા આ આયોજનમાં અનેક વિદ્યાર્થીઓ સ્વયંસેવક તરીકે સંકળાય એ જોઈને આંખ ઠરે એવું હતું. સવાસો-દોઢસો વર્ષના આ મકાનમાં જાણે કે હજી એ કાળનાં સ્પંદનો અનુભવી શકાય છે.

આ સ્મૃતિમંદીરને સતત કાર્યરત રાખવામાં આવ્યું છે, અને તેમાં વિવિધ સામયિકોની લાયબ્રેરી બનાવવામાં આવી છે. રસિકજનો તેનો ઉપયોગ કરી શકે છે. તેના વિશે વધુ વિગત થોડા સમયમાં જણાવીશ.
આ કાર્યક્રમમાં પ્રત્યેક વક્તાના ફાળે ત્રીસ મિનીટ ફાળવવામાં આવી હતી અને તેનું પાલન ચુસ્તતાપૂર્વક કરવામાં આવતું.
આ કાર્યક્રમમાં વક્તવ્યને માણતાં માણતાં એક ખૂણે રહીને, એક નાનકડા પેડમાં, ઝડપભેર કેટલાંક સ્કેચ/કેરીકેચર મેં બનાવ્યા. એમ જ હોય, કેમ કે, આ મુખ્ય કાર્યક્રમની સમાંતરે ચાલતી 'ઈતર પ્રવૃત્તિ' હતી. ઘણાના ચહેરા ઓળખાઈ જાય એવા છે, તો અમુકને ઓળખવામાં મુશ્કેલી પણ પડે. હું બેઠો હતો એ સ્થાનેથી મને દેખાયા એવા એ ચહેરા મેં ચીતર્યા છે.
આમાંના કેટલાક અહીં મૂકું છું.

સ્વાતિબહેન જોશી

સિતાંશું યશચંદ્ર

રાજેશ પંડ્યા

બાબુ સુથાર

પ્રબોધ પરીખ (પી.પી.દાદા)

Monday, February 17, 2025

સબસે બડા રૂપૈયા

કોઈ સંવાદ યા પંક્તિ પિતાએ પડદે ઉચ્ચારી હોય અને એ અત્યંત સફળ થઈ હોય, એનાં વરસો પછી પુત્ર પણ એ જ પંક્તિ ઉચ્ચારે અને એ પણ એટલી જ સફળ થાય એવી શક્યતા ઓછી! કેમ કે, જમાનો બદલાઈ ગયો હોય, દર્શકોની પેઢી અને તેની સાથે રસરુચિ પણ બદલાઈ ગઈ હોય. આવા જૂજ કિસ્સામાં પિતા-પુત્ર મુમતાઝ અલી અને મહેમૂદને યાદ કરવા પડે. 1950માં રજૂઆત પામેલી 'સરગમ'માં ગીતકાર-દિગ્દર્શક પી.એલ. (પ્યારેલાલ) સંતોષીનાં ગીતોને સી. રામચંદ્રે સંગીતબદ્ધ કરેલાં. રાજ કપૂર અને રેહાનાને ચમકાવતી આ ફિલ્મમાં મુમતાઝ અલી, ઓમપ્રકાશ જેવા હાસ્યકલાકારોની પણ મહત્ત્વની ભૂમિકા હતી. ફિલ્મના એક ગીતના શબ્દો છે: 'બાપ ભલા ન ભૈયા, ભૈયા સબસે ભલા રૂપૈયા....' આ ગીત પડદા પર રાજ કપૂર અને મુમતાઝ અલી રજૂ કરે છે, જેને અનુક્રમે મ.રફી અને ચીતલકરે સ્વર આપ્યો છે. ફિલ્મનાં તમામ ગીતો ખૂબ લોકપ્રિય થયેલાં. આ ગીત પણ એમાંનું એક.

સંતોષીસાહેબને કદાચ 'રૂપિયા'વાળી પંક્તિ પસંદ આવી ગઈ હશે કે ગમે એમ, પણ તેમણે 'સબસે બડા રૂપૈયા' નામની એક ફિલ્મનું દિગ્દર્શન કર્યું અને તેમાં ગીતો લખ્યાં. દત્તા ધર્માધિકારી નિર્મિત આ ફિલ્મ 1955માં રજૂઆત પામી, તેમાં સાથે મજરૂહ સુલતાનપુરીનાં લખેલાં ગીતો પણ હતાં. આ ફિલ્મમાંના આઠ ગીતોમાંનું એક ગીત હતું આશા અને રફીના સ્વરે ગવાયેલું 'સબસે બડા હૈ જી, સબસે બડા હૈ, સબસે બડા રૂપૈયા.' આ ફિલ્મના નિર્માણ દરમિયાન બનેલી કેટલીક ઘટનાઓનું રસપ્રદ બયાન કે.કે.એ પોતાનાં સંભારણાં 'ગુઝરા હુઆ ઝમાના'માં કર્યું છે.

એ પછી 1976માં મહેમૂદે 'સબસે બડા રૂપૈયા' નામે ફિલ્મનું નિર્માણ કર્યું. મજરૂહસાહેબે તેના માટે ગીત લખ્યું, 'બાપ બડા ન ભૈયા, ભૈયા સબસે બડા રૂપૈયા'. ગીતનો કેન્દ્રવર્તી સૂર એ જ હતો કે 'The whole thing is that....'
'સબસે બડા રૂપૈયા'નું દિગ્દર્શન એસ. રામનાથને કરેલું. આ ફિલ્મમાં 'ના બીવી ના બચ્ચા, ના બાપ બડા ના ભૈયા, ધ હોલ થિંગ ઈઝ ધેટ કિ ભૈયા સબસે બડા રૂપૈયા.' મહેમૂદ અને સાથીઓ દ્વારા ગવાયેલું.

ઉલ્લેખનીય છે કે 2005માં રજૂઆત પામેલી અભિષેક બચ્ચન અને પ્રિયંકા ચોપરાને ચમકાવતી ફિલ્મ 'બ્લફ માસ્ટર'ના ટાઈટલ સોંગ તરીકે 'સબસે બડા રૂપૈયા'ને જ શબ્દશ: વાપરવામાં આવ્યું હતું.

બીજી એક નોંધવાલાયક વાત એ કે, 'સબસે બડા રૂપૈયા' ગીતની ધૂન 1933 માં રજૂઆત પામેલી અંગ્રેજી ફિલ્મ '42nd street'ના ટાઈટલ ગીત In the heart of little old New York You'll find a thoroughfare ની ધૂન સાથે ઘણું સામ્ય ધરાવે છે.

Tuesday, February 11, 2025

મારા જીવનનો આ બીજો અકસ્માત કે જેનાથી હું અભિનેતા બની ગયો

 - અમોલ પાલેકર

1966માં હું બૅન્ક ઑફ ઈન્ડિયામાં કામ કરતો હતો અને મારાથી ત્રણ વર્ષ નાની બહેન ઉન્નતિ મુંબઈની સેન્ટ ઝેવિયર કૉલેજમાં ભણતી હતી. તેની કૉલેજના વાર્ષિકોત્સવના ભાગરૂપે તે એક નાટકમાં કામ કરી રહી હતી. એક રીહર્સલમાં હાજરી આપવા માટે તેણે મને નોંતર્યો. ત્યાં તેની સાથે કામ કરતી મિત્ર ચિત્રા મુર્દેશ્વરને હું મળ્યો. તેનો સ્વાવલંબી અને ઊર્જાવાન અભિગમ મને ગમ્યો. અમે નજીક આવ્યા અને આજીવન સંબંધનો પાયો નંખાયો. એ અરસામાં 'ફિલ્મ ફોરમ' નામે સમાંતર સિનેમાના આંદોલને એમ.એસ.સથ્યુ, બાસુ ભટ્ટાચાર્ય, બાસુ ચેટરજી અને શ્યામ બેનેગલને હોલીવુડની મુખ્ય ધારાની ફિલ્મોથી અલગ વિવિધ વિદેશી ફિલ્મો દર્શાવવા માટે પ્રેર્યા. મરીન ડ્રાઈવ પર આવેલા તારાબાઈ હૉલ થિયેટરમાં એ દર્શાવાતી. ચિત્રાએ અને મેં નિયમીતપણે એ સાંજના શોમાં હાજરી આપવા માંડી.
એક દિવસ સત્યદેવ દુબે ચિત્રાને મળવા સેન્ટ ઝેવિયર કૉલેજ પર આવ્યા. પોતાના નાટક 'યયાતિ'માં તેમણે ચિત્રાને ભૂમિકાની દરખાસ્ત કરી. આ ભૂમિકા માટે ચિત્રાનું નામ જાણીતાં અભિનેત્રી સુલભા દેશપાંડેએ સૂચવેલું. પેડર રોડ પર મહાલક્ષ્મી મંદિર પાસે આવેલા ઈન્ડિયન નેશનલ થિયેટર (આઈ.એન.ટી.)ના વેરહાઉસમાં દુબે પોતાના નાટકોનાં રીહર્સલ કરાવતા. પહેલી વાર ચિત્રા સાથે હું રીહર્સલમાં ગયો ત્યારે સખત વરસાદ વરસી રહ્યો હતો. ટીશર્ટ અને ચડ્ડી પહેરેલા એક બટકા માણસને મેં જોયો. એના વાંકડિયા વાળ સત્ય સાંઈબાબાની યાદ અપાવે એવા હતા. ચિત્રા મારા કાનમાં ગણગણી, 'પેલા છે એ દુબે.' પોતાની કાંડા ઘડિયાળમાં જોઈને એમણે કહ્યું, 'તું પાંચ મિનીટ વહેલી આવી એ સારી વાત છે.' ચિત્રાએ મારો પરિચય 'મિત્ર' તરીકે કરાવ્યો. એ ફર્યા એટલે મેં એમના હાથમાં એક મોટી લાકડી જોઈ. 'અમારું રીહર્સલ બે કલાક ચાલશે.' તેમણે મને જણાવ્યું, મતલબ કે મારે ત્યાં હાજર રહેવાનું નહોતું. ભવિષ્યમાં મને તેમનો વધુ પરિચય થતો ગયો એમ મેં તેમને અલગ અલગ મૂડ અને અવતારમાં જોયા. દર વખતે લાકડી તેમના હાથમાં રહેતી, જેનો તેઓ વિવિધ મુદ્રાઓ માટે ઊપયોગ કરતા.
થોડા દિવસ પછી એક દિવસ રીહર્સલ પતાવીને ચિત્રા બહાર નીકળી ત્યારે દુબે તેની પાછળ આવ્યા. મારા વિશે ટૂંકી પણ સઘન પૂછતાછ પછી સાવ અણધાર્યા તેમણે મને નાટકમાં અભિનય કરવા બાબતે પૂછ્યું. તેમણે તરત ઉમેર્યું, 'એમ ન માનતો કે મેં તારામાં કોઈ મોટી અભિનયપ્રતિભા જોઈ લીધી છે. આ તો તારી પાસે પુષ્કળ સમય હોય છે એટલે હું પૂછું છું.' આમ, 'ચૂપ! કોર્ટ ચાલુ આહે'માં પોંક્શેની ભૂમિકામાં મને નીમવામાં આવ્યો.
મારા જીવનનો આ 'બીજો અકસ્માત', જેના પ્રતાપે 'અભિનેતા'ના કશા લેબલ કે અપેક્ષા વિના હું અભિનેતા બની ગયો. ત્રેવીસની વયે અચાનક જ 'ચિત્રકાર અમોલ પાલેકર' બની ગયો 'અભિનેતા અમોલ પાલેકર'. એક વાર મુંબઈના તેજપાલ ઓડિટોરીયમમાં મારા સૌ પ્રથમ નાટકનો શો પત્યો કે હું વાલચંદ ટેરેસ હૉલમાં ગયો, ત્યાં બેઠો અને સુખદ ક્ષણો વાગોળી રહ્યો હતો. દુબે આવ્યા અને મારા હાથમાં 'ટાઈમ્સ ઑફ ઈન્ડિયા'ની નકલ થમાવી. નાટકના ખ્યાતનામ સમીક્ષક જ્ઞાનેશ્વર નાડકર્ણીએ એમાં લખેલી નાટકની સમીક્ષા એમણે મને મોટેથી વાંચવા કહ્યું. નાડકર્ણીના લેખમાં મારી રજૂઆતને 'શિષ્ટ' તરીકે બિરદાવવામાં આવી હતી. એમના શબ્દોને સમજવા મને મુશ્કેલ લાગ્યા. દુબેએ કહ્યું, 'હવે તું અભિનય શીખવા તૈયાર છું, પણ સૌથી પહેલાં મૂળભૂત બાબતો શીખ. મંચ પરની તારી ઉપસ્થિતિ પર કામ કર. તું આટલો અક્કડ કેમ ઊભો રહે છે? તારા ખભાને રીલેક્સ કર. તાણને ઓછી કર.' આરંભિક સૂચનાઓ આપ્યા પછી તેમણે વધારાનો આદેશ છોડ્યો, 'એક પગ પર ઊભો રહેવા પ્રયત્ન કર.' મારા કામને બીરદાવવાની એમની આ રીત હતી. વાલચંદ ટેરેસ હૉલમાં એક થાંભલા પછવાડે ઊભેલા યુવાન દુબેની છબિ મારી સ્મૃતિમાં જડાઈ ગઈ છે.
(View finder, a memoir by Amol Palekar, Westland books, 2024)

Monday, February 10, 2025

પુનર્મિલનનો આનંદ

'મિલના-બિછડના'ની કથા માટે હવે કુંભમેળો હોવો બિલકુલ જરૂરી નથી, પણ કુંભમેળાની મોસમમાં જ 23 જાન્યુઆરી, 2019ના રોજ આવો એક મસ્ત સંયોગ રચાયો. જેમના સંપર્કમાં આમ છીએ જ, તેઓ અમારી વાતોમાં અને સ્મૃતિમાં ઉપસ્થિત જ છે, છતાં રૂબરૂ મળવાનું ઓછું થાય એવો એક પરિવાર એટલે અમારા સદ્ગત પાઉલભાઈ સાહેબનો પરિવાર.

પાઉલભાઈ અમારા સહિત મહેમદાવાદના અનેક પરિવારોના વિદ્યાર્થીઓના પ્રિય શિક્ષક બની રહેલા, એટલું જ નહીં, એ દરેક પરિવારના પણ તેઓ આત્મીય પરિવારજન બની રહેલા. બિપીનભાઈ શ્રોફનાં સંતાનો શેખર અને ગાર્ગી, ઈન્દ્રવદનકાકા ચોકસીનો દીકરો મૌલિક ચોકસી, અરવિંદભાઈ 'ઓહડીયા'ની દીકરી યત્ના સહિત અનેક પરિવારો આજે પણ તેમને એટલા જ ભાવથી યાદ કરે છે. પાઉલભાઈ અમારા કનુકાકાના હાથ નીચે પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે નોકરી કરતા હતા, ત્યાંથી તેઓ આગળ વધ્યા, ભણ્યા અને એમ.એ., એમ.એડ. સુધી પહોંચીને ઉચ્ચતર માધ્યમિકના શિક્ષક બન્યા, પણ પોતાની આ યાત્રામાં મદદરૂપ થનાર સૌને તેઓ કાયમ સ્મરતા.
પાઉલભાઈનાં પત્ની શાંતાબેન, તેમનાં સંતાનો સરોજબેન, જસુ, બીરેન અને (સદ્ગત) બીમલ- પણ એક રીતે અમારા સૌનો વિસ્તૃત પરિવાર કહી શકાય. પાઉલભાઈના પિતાજી સીમોનભાઈ (જેઓ સુમનભાઈના નામે ઓળખાતા), બહેનો ઉષાબેન (જેઓ જર્મનીમાં સ્થાયી થયેલાં) અને શારદાબેન (જેઓ નન હતાં) - આ સૌ સાથેનો સંપર્ક અને પરસ્પર ભાવ એવો હતો કે જ્યારે મળવાનું બને ત્યારે આનંદ જ આવે.
જસુ મારાથી એકાદ બે વરસે નાનો, જ્યારે સરોજબેન મારાથી મોટાં, પણ પાઉલભાઈ પાસે અમે સાથે જ ભણવા બેસતાં. સરોજબેનની મને બહુ જ શરમ આવતી. રક્ષાબંધનના દિવસે તે રાખડીની સાથે કંકાવટી લઈને મને રક્ષા બાંધવા આવતાં ત્યારે હું ત્રીજે માળે જઈને સંતાઈ જતો. સરોજબેનની ઈચ્છા પણ પોતાનાં ફોઈની જેમ 'નન' (સાધ્વી) બનવાની હતી, અને તેઓ એ માર્ગે ગયાં. પાઉલભાઈનો પરિવાર પણ પછી નડીયાદ સ્થાયી થયો. અલબત્ત, સંપર્ક રહેલો. સરોજબેન શ્રીરામપુર નર્સિંગ કૉલેજનાં આચાર્યા બન્યાં, અને ત્રીસ વર્ષની એકધારી સેવા પછી નિવૃત્ત થયાં. હવે તેઓ વસઈની એક હોસ્પિટલમાં સેવારત છે.
સરોજબેન સાથે ફેસબુક પર ફરી મેળાપ થયો એ એવી જ આનંદદાયક ઘટના. બીજો સુખદ યોગાનુયોગ એ કે છેલ્લા થોડા સમયમાં મિત્ર ગિરીશ મકવાણા સાથે પરિચય થયો. ગિરીશભાઈ પાછા પાઉલભાઈના નડિયાદના પડોશી.
સરોજબેન વડોદરા આવવાનાં હતાં, અને જણાવેલું કે મને મળવા આવશે. એ મુજબ તેમનો ફોન આવ્યો અને સાંજે તેઓ ઘેર આવ્યાં. પણ તેઓ એકલાં નહોતાં. સાથે શાંતાબેન, જશુ, (જશુનાં પત્ની) સ્મિતા અને (જશુની દીકરી) મૈત્રી પણ હતાં. સૌને સાથે જોઈને અમે આશ્ચર્યચકિત થઈ ગયાં.
તેઓ માંડ અડધા કલાક પૂરતું બેઠા હશે, પણ એ અડધા કલાકમાં અમે અમારા જીવનનો અડધોઅડધ હિસ્સો યાદ કરી લીધો એમ કહું તો અતિશયોક્તિ નહીં. ઝીણીઝીણી વાતો, અવનવા પ્રસંગો યાદ કરીને બહુ જ હસ્યાં, બહુ જ આનંદ કર્યો. કેટકેટલાં પાત્રો, તેમની લાક્ષણીકતાઓ, તેમના સંવાદો યાદ કર્યાં. ગિરીશભાઈ અને તેમનાં બહેન મનીષા (સોલંકી)ને પણ યાદ કર્યાં. જીવનનો એક હિસ્સો ખરા અર્થમાં જીવંત થઈ ઉઠ્યો. ખડખડાટ હાસ્ય સતત ગૂંજતું રહ્યું.
મારું લેખક તરીકેનું ઘડતર રજનીકુમાર પંડ્યા દ્વારા થયું, પણ સાવ કુમળી વયે ભાષા પ્રત્યેનો લગાવ સીંચવામાં પાઉલભાઈનું મોટું પ્રદાન છે.
અહીં એ ખુશમિજાજ ક્ષણોની તસવીરો મૂકી છે. જો કે, તસવીરોમાં એ ક્ષણો આબેહૂબ ઝીલાવી મુશ્કેલ છે.

સરોજબેન સાથે

(આગળથી પાછળ-ડાબેથી જમણે)
કામિની -શચિ, શાંતાબેન-સરોજબેન, બીરેન, સ્મિતા અને જસુ

મૈત્રી દ્વારા લેવાયેલો ગૃપ ફોટો

Sunday, February 9, 2025

ગુજરાતમાં, ગુજરાતીમાં થઈને વિસરાઈ ગયેલી એક ચર્ચા અંગ્રેજીમાં...

 અંગ્રેજીમાંથી ગુજરાતીમાં ઘણાં પુસ્તકોના અનુવાદ થતા રહ્યા છે. સરખામણીએ ગુજરાતીમાંથી અંગ્રેજીમાં ઓછા. આવામાં કોઈ પુસ્તકને બદલે ચોક્કસ વિષય આધારિત લેખોનો અનુવાદ થાય તો નવાઈ લાગે. પણ વિષય જ એવો રસપ્રદ છે!

'ક્માર'નું ગુજરાતી સામયિક જગતમાં એક સમયે આગવું સ્થાન હતું. ગુજરાતની બે-ત્રણ પેઢીના સંસ્કાર ઘડતરમાં આ સામયિકની ભૂમિકા મહત્ત્વની બની રહી. અનેકાનેક વિષયો આ સામયિકમાં આલેખાતા. ખાસ કરીને બચુભાઈ રાવતના સંપાદક તરીકેના સમયગાળામાં આ સામયિકે આગવાં શીખર સર કર્યાં.
તેમાં વાચકોની સામેલગીરી સક્રિયપણે રહેતી. 'વાચકો લખે છે' વિભાગમાં ઘણી વાર 'કુમાર'માં પ્રકાશિત લેખોની પૂરક વિગતો વાચકો પૂરી પાડતા.
1959થી 1964 અરસામાં તેમાં એક વિશિષ્ટ ચર્ચા ચાલતી રહી. 'કુમાર'માં પ્રકાશિત થયેલા છ લેખોની ફરતે ચર્ચા થતી રહી, જેમાં અનેક વાચકોએ પોતાની રીતે ભાગ લીધો. આ ચર્ચામાં એક છેડે હતા કરાચીના કળાપ્રેમી સજ્જન ફિરોઝશા મહેતા, અને બીજી બાજુ હતા વડોદરાના કળાકાર, તસવીરકાર અને કળા વિદ્યાલયના પ્રાધ્યાપક જ્યોતિ ભટ્ટ.
આખી ચર્ચાનો મૂળ વિષય હતો કળામાં આધુનિકવાદ (Modernism) અથવા તો આધુનિક કળા (Modern Art). યુરોપનાં વિવિધ કળા સંગ્રહાલયોની મુલાકાત લઈ ચૂકેલા કળારસિક સજ્જન ફિરોઝશાએ 'મોડર્નિઝમ'ને 'સાડાપાંચિયો' (સાડા પાંચ અક્ષરનો બનેલો શબ્દ) તરીકે સંબોધીને મૌલિકતા, નવિનતા અને અનન્યતાને નામે ચાલી રહેલી શૈલીની ટીકા કરી હતી અને આ રોગને 'શૈલીઘેલછા' તરીકે ઓળખાવ્યો હતો. પોતાની ટીકાના સમર્થનમાં તેમણે અનેક ઉદાહરણો ટાંક્યાં હતાં. Modernismને તેમણે Murdersim ગણાવ્યું હતું.
જ્યોતિ ભટ્ટે એવી દલીલ રજૂ કરી હતી કે આધુનિકતા કંઈ આજકાલની દેન નથી. એ તો કળાનાં મૂળભૂત મૂલ્યો સાથે પહેલેથી જ સંબંધિત છે. માત્ર ને માત્ર મુદ્દા આધારિત આ ચર્ચામાં અનેક વાચકો પણ ભાગ લેતા રહ્યા. જ્યોતિ ભટ્ટે અત્યંત સકારાત્મક રીતે પોતાના મુદ્દાઓને વિસ્તારીત કરીને સચિત્ર સમજાવ્યા. છ અંકમાં પ્રકાશિત લેખો પર થયેલી આ ચર્ચા આટલા લાંબા અંતરાલ સુધી ચાલતી રહે એ સૂચવે છે કે એમાંથી કેવું નવનીત નીતર્યું હશે.
મહેમદાવાદનિવાસી મિત્ર વાસવી ઓઝા વડોદરામાં કળાશિક્ષણ પામીને, હૈદરાબાદ ખાતે પીએચ.ડી. કર્યા પછી બંગલૂરુમાં સંશોધન અને કળાશિક્ષણ સાથે સંકળાયેલી છે. તેણે 'કુમાર'ના અંકોમાંની આ સામગ્રીને ખંતપૂર્વક એકઠી કરી. તેને સંકલિત કરી. તેનો અંગ્રેજી અનુવાદ કરીને એક જુદા જ વાચકવર્ગ સમક્ષ એ રજૂ કરવાનું નક્કી કર્યું. તેના આ પ્રયાસને Reliable copy નામના પ્રકાશકે પુસ્તકસ્વરૂપે પ્રકાશિત કર્યો.
11 સપ્ટેમ્બર, 2022ના રોજ વડોદરા ખાતે આ પુસ્તકના વિમોચન નિમિત્તે એક સુંદર કાર્યક્રમ યોજાયો. આમ, એક ગુજરાતી સામયિકમાં ધરબાઈ ગયેલી અનોખી વિગતો લોકોની સમક્ષ આવી. અત્યંત સુઘડ, નયનરમ્ય લેઆઉટ અને ડિઝાઈનવાળા આ પુસ્તકમાં કળારસિકો માટે મહત્ત્વની કહી શકાય એવી વિગતોને ઉપલબ્ધ કરવામાં આવી છે. ગુજરાતમાં સુદ્ધાં ભૂલાઈ ગયેલા 'કુમાર'માંના આ વિષયને ગુજરાતી ઉપરાંતના વાચકો સુધી લઈ જવા બદલ વાસવી અને પ્રકાશક અભિનંદનને પાત્ર છે.
(પુસ્તકની વિગત: Modernism/Murderism: The Modern Art Debate in Kumar
Jyoti Bhatt, Pherozeshah Rustomji Mehta, and the readers of Kumar
Translated by Vasvi Oza, ₹ 950)

Saturday, February 8, 2025

કરુણાંતિકાનો વ્યંગ્યાત્મક દસ્તાવેજ

કરુણ પરિસ્થિતિમાં આંસું વહી આવવાં ઘણાખરા લોકો માટે સામાન્ય બાબત હોય છે, જ્યારે ઘણા લોકોની આંખો સાવ કોરી રહી જાય એમ પણ બનતું હોય છે. પણ કરુણ પરિસ્થિતિ એટલે કેવી પરિસ્થિતિ? ચલચિત્ર જ્યારે ફક્ત સિનેમાના પડદે જ જોવા મળતાં ત્યારે એવો મોટો વર્ગ હતો કે જે પડદા પરનાં દૃશ્યો જોઈને આંસુ વહાવતો. ખાસ આવા વર્ગ માટે જ અંગ્રેજીમાં જેને Tearjerker કહે છે એવી ફિલ્મ કે ફિલ્મમાંનાં દૃશ્ય લખવામાં આવતાં. જેનું જીવન છે એનું મૃત્યુ નિશ્ચિત છે એ અફર સત્ય સૌ જાણતાં હોવા છતાં મૃત્યુ સામાન્ય રીતે કરુણ પરિસ્થિતિનું જનક બની રહે છે. તેનું કારણ છે તેની આકસ્મિકતા.

એક જણનું આકસ્મિક મૃત્યુ કરુણ લાગે, તો અનેક લોકોની ઈરાદાપૂર્વક કરેલી હત્યાને કઈ શ્રેણીમાં મૂકવી? યુદ્ધમાં થતો સંહાર આપણને કોઠે પડતો રહ્યો છે, પણ સાવ નિ:શસ્ત્ર અને નિર્દોષ લોકોના સંહારને શું કહેવું! આમ છતાં, વિશ્વભરમાં તેનું પુનરાવર્તન થતું રહે છે. સમયગાળો ચાહે કોઈ પણ હોય! જલિયાંવાલા બાગનો હત્યાકાંડ હોય, યહૂદીઓનો સામૂહિક જનસંહાર હોય કે બોસ્નિયનોનો સંહાર કરતો સ્રેબ્રેનિત્ઝા હત્યાકાંડ હોય! મનુષ્યની આ આદિમ વૃત્તિ તે આટલો સુસંસ્કૃત બન્યો હોવા છતાં બદલાઈ નથી, જેનો પરચો જગતને વખતોવખત મળતો રહે છે.
ઘણાને ચીનના ટીઆનનમેન (ટાઇનામેન) ચોકનો હત્યાકાંડ યાદ હશે. 1989માં ચીનના આ જાહેરસ્થળે એકઠા થયેલા હજારો વિદ્યાર્થીઓ પર શાસકોએ લશ્કરી ટેન્કથી ધડબડાટી બોલાવી હતી. આ ઘટનાના પડઘા વિશ્વભરમાં ગૂંજ્યા હતા.
ઠેકઠેકાણે તેની વિરુદ્ધ પ્રદર્શનો થયાં હતાં, પણ એ તમામ વિરોધ દુર્ઘટના થઈ ગયા પછીનો હતો. જવાબદાર શાસકોના પેટનું પાણીય તેનાથી હાલે નહીં.
આ ઘટનાની ઝાઝી વિગતોની જાણ નહોતી કે હકીકતમાં શો મુદ્દો હતો અને શેના વિરોધમાં વિદ્યાર્થીઓ રસ્તા પર આવી ગયેલા. ખબર હશે તો પણ સમયના વીતવા સાથે ભૂલાઈ ગયેલી.
આ હત્યાકાંડની પચીસમી તિથિએ એટલે કે 2014માં તેને અનોખી રીતે તાજો કરવામાં આવ્યો. સિંગાપોરમાં જન્મેલા, ચીનથી આકર્ષાઈને તેનાથી પરિચીત બનેલા, 'ફાર ઈસ્ટર્ન ઈકોનોમિક રીવ્યૂ' (FEER) માસિક સાથે સંકળાયેલા કાર્ટૂનિસ્ટ મોર્ગન ચૂઆ/ Morgan Chua ઘણો સમય સુધી ચીનની નીતિઓના પ્રશંસક રહ્યા. તેમનાં કાર્ટૂનોમાં પણ તેમનું આ વલણ પ્રતિબિંબીત થતું રહ્યું. પણ ટીઆનનમેન ચોકના નિષ્ઠુર હત્યાકાંડે તેમને હચમચાવી મૂક્યા અને ચીનના શાસકોએ પોતાના દેશવાસીઓની જેમ મોર્ગનને પણ છેહ દીધો હોય એવું તેમણે અનુભવ્યું. એ પછી તેમનાં કાર્ટૂન વખતોવખત ચીનની નીતિની આકરી ટીકા કરતાં રહ્યાં. અને આ બધામાં વખતોવખત ટીઆનનમેન ચોકનો સંદર્ભ આવતો રહ્યો.

પુસ્તકનું મુખપૃષ્ઠ

આ હત્યાકાંડના પચીસમા વર્ષે મોર્ગને ટીઆનનમેનને લગતાં કાર્ટૂનોને સંપાદિત કર્યાં અને એને પુસ્તકાકારે પ્રકાશિત કર્યાં. આ પુસ્તકનું નામ જ 'TIANANMEN' છે. તેના મુખપૃષ્ઠ પર લાલ, કાળા અને સફેદ રંગનો ઉપયોગ કરીને તેમણે આ ઘટનાની ભયાવહતા પ્રતિપાદિત કરી.
આ પુસ્તક હવે 'નવયાન'/ Navayana પ્રકાશનગૃહ દ્વારા ભારતમાં ઉપલબ્ધ બનાવાયું છે, અને જે ઑનલાઈન ઓર્ડર દ્વારા પણ મેળવી શકાય છે. પુસ્તકનો ઉપક્રમ અદ્ભુત છે. તેમાં આ હત્યાકાંડને લગતાં વિવિધ કાર્ટૂનો છે, પણ સાથેસાથે સમગ્ર ઘટનાની પૃષ્ઠભૂમિ, તેની સાથે સંકળાયેલાં મુખ્ય પાત્રો, અને તેમની હત્યાકાંડ પછીની ગતિવિધિ વિશે કાર્ટૂન દ્વારા જ માહિતી આપવામાં આવી છે.
આટલા નિષ્ઠુર અને કરુણ હત્યાકાંડને આ રીતે વ્યંગ્યચિત્રોના માધ્યમથી પુસ્તકાકારે રજૂ કરવાનું કામ નોંધપાત્ર કહી શકાય એવું છે. આ હત્યાકાંડ વિશે કદાચ અનેક પુસ્તકો લખાયાં હશે, પણ આ પુસ્તક આગવી ભાત પાડનારું છે.

ઘટનાક્રમ

મુખ્ય પાત્રો વિશે

પાત્રોનું પછી શું થયું?
"અકળાશો નહીં. અમે એક બીગ પરેડ'ની સિક્વલનું
 ફિલ્માંકન કરી રહ્યા છીએ."

"અને માર્યા ગયેલા સ્ટુડન્ટ એકસ્ટ્રા હતા!"

આપણા દેશમાં આવા છૂટકછૂટક પ્રયત્નો થયા છે. અબુ અબ્રાહમે કટોકટી પછી તેને લગતાં કાર્ટૂનોનું સંકલન પુસ્તકરૂપે પ્રકાશિત કરેલું. તો સુધીર તેલંગે 'નો, પ્રાઈમ મિનીસ્ટર'ના નામે તત્કાલીન વડાપ્રધાન મનમોહનસિંહ પર ચીતરેલાં કાર્ટૂનો પુસ્તકમાં સંપાદિત કરેલાં. બાબાસાહેબ આમ્બેડકરને કાર્ટૂનમાં દર્શાવીને તેમને ઉતરતા બતાવાયા હોવાનું પ્રતિપાદિત કરતું ઉન્નમતિ શ્યામસુંદરનું પુસ્તક 'નો લાફિંગ મેટર', ઈન્દીરા ગાંધીના કાર્યકાળને દર્શાવતાં સૂરજ શ્રીરામ 'એસ્કે'નાં કાર્ટૂનોનો સંગ્રહ 'ઈન્દીરા ગાંધી, ધ ફાઈનલ ચેપ્ટર', વિમુદ્રીકરણના ગાળાનાં કાર્ટૂનોનું પુસ્તક 'રુપી ઓર નૉટ રુપી' તેમજ કોરોનાકાળનાં કાર્ટૂનોનો સંચય 'ગો કોરોના ગો' (બન્ને સતીશ આચાર્યનાં) આનાં ઉદાહરણ છે.
અલબત્ત, આવા ભયાનક હત્યાકાંડ પરનાં વ્યંગ્યચિત્રોનો સંચય ધરાવતું આ પુસ્તક અનેક રીતે આગવું બની રહ્યું છે.
(TIANANMEN, 25th Anniversary edition, by Morgan Chua, પ્રકાશક: Navayana)


Friday, February 7, 2025

મિલનના એક કાંકરે સર્જાઈ કંઈક સ્મરણોની છાછર

પાંચમા ધોરણથી છેક દસમા અને બારમા ધોરણ સુધી સાથે ભણેલા અમે દસેક મિત્રોનું જૂથ 'ઈન્ટેલિજન્‍ટ યુથ ક્લબ'ના અનૌપચારિક નામે અમે ઓળખાવીએ છીએ. મુકેશની વિદાયે હવે નવ રહ્યા છે. મજાકમાં એમ પણ કહીએ કે હવે એમાંથી માત્ર 'ક્લબ' જ રહ્યું છે. એટલે કે ખાણીપીણી ને હળવુંમળવું. પાંચમા ધોરણ પહેલાં પણ અમે સૌ એકમેકને ઓળખતા હતા, પણ અમુકના વર્ગો જુદા, તો અમુકની સ્કૂલ જુદી. એકથી ત્રણ ધોરણની 'બ્રાન્‍ચ કુમાર શાળા'ની ત્રણ શાખાઓ હતી. હનુમાન મંદિરમાં, વારાહી (અમે એને 'વેરઈ માતા' કહેતા) માતાના મંદિરમાં અને વળાદરાની વાડીમાં. 

કનુકાકા એટલે કે કનુભાઈ નટવરલાલ પંડ્યા આ ત્રણેના હેડ માસ્તર. જેના ઘેરથી જે શાળા નજીક પડે ત્યાં એ જતું હશે. 

મારા ઘરથી નજીક હનુમાનના મંદિરવાળી શાળા હતી. એથી સહેજ દૂર વળાદરાની વાડી. એ બન્ને એક જ દિશામાં, જ્યારે વારાહી માતાના મંદિરવાળી શાળા વધુ દૂર અને જુદી દિશામાં. મેં પહેલું અને બીજું ધોરણ 'વાડી' તરીકે ઓળખાતી વળાદરાની વાડીમાં કરેલાં, જ્યારે ત્રીજા ધોરણમાં હું હનુમાનના મંદિરવાળી શાળામાં હતો, જે 'દરવાજે' એટલે કે નડિયાદી દરવાજે આવેલી. મારી સાથે ત્રીજા ધોરણમાં વિપુલ રાવલ, પંકજ ઠક્કર, મયુર પટેલ, યોગેશ શાહ, કરસન દેસાઈ હતા. આ ઉપરાંત અન્ય એક વિદ્યાર્થી હતો ધવલ ભગવાનદાસ દલાલ. એ વખતે શાળાના રજિસ્ટરમાં સૌનાં આખાં નામ લખાતાં અને એ મુજબ જ બોલાતાં. અમારા વર્ગશિક્ષક હતા ભાનુભાઈ દરજીસાહેબ. (થોડા સમય પહેલાં જ તેઓ સ્વર્ગવાસી થયા. મારા ઘરની પાસે જ રહેતા, અને જ્યારે મળે ત્યારે પ્રેમથી બોલાવતા). 

વિપુલ અને પંકજ વાઘજી પોળમાં રહેતા, હું લુહારવાડમાં, જ્યારે ધવલ, મયુર, યોગેશ નવજીવન સોસાયટીમાં. આ સમયગાળાની બીજી ખાસ વાતો યાદ નથી, પણ બે-ત્રણ બાબતો સજ્જડપણે, કોઈ છબિની જેમ મનમાં ચોંટી ગઈ છે. 

એ સમયે કોઈ છોકરો સ્કૂલે ન આવે તો એને 'બોલાવવા' જવાનો રિવાજ. એની આસપાસ રહેતા, કે એને ઓળખતા યા એનું ઘર જોયું હોય એવા છોકરા સામે ચાલીને સાહેબને પૂછતા, 'સાહેબ, હું બોલાવી આવું?' બોલાવવા માટે એક જણ એકલો કદી જાય નહીં. એનો જોડીદાર હોય જ. એ બહાને શાળાની બહાર ફરવા મળે એ મુખ્ય આકર્ષણ. પંકજ ઠક્કર ઘણી વાર મોડો પડતો. એના ઘરનાને મોડા જાગવાની ટેવ. ખાસ કરીને શનિવારે સવારની સ્કૂલ હોય ત્યારે વિપુલ આવી ગયો હોય અને પંકજ દેખાય નહીં. આમ તો, એ બન્ને સાથે આવતા. એક વખત એ ન આવ્યો એટલે વિપુલ એને 'બોલાવવા' ગયો. એની સાથે હું જોડાયો. અમે બન્ને એને ઘેર ગયા. એને ઘેર જઈને બૂમો પાડી. થોડી વાર પછી બારણું ખૂલ્યું. પંકજ જાગ્યો, નાહ્યો અને પછી અમે ત્રણે સાથે સ્કૂલે આવ્યા. 

બીજી એક વાત યાદ રહી ગઈ છે. વિપુલને એ સમયે નસકોરી બહુ ફૂટતી. એના નાકમાંથી લોહી વહેતું હોય, એ વર્ગના ઓટલા પાસે માથું નમાવીને ઊભો હોય અને મોટે ભાગે કોઈ શિક્ષક એના માથે પાણી રેડતા હોય એ દૃશ્ય મનમાં છપાઈ ગયું છે. 

ત્રીજી છબિ પણ એવી જ મનમાં રહી ગઈ છે. ધવલ એક વાર સફેદ રંગનું ચોકડીવાળું શર્ટ પહેરીને આવેલો. એના શર્ટ પર કંઈક પડ્યું હશે કે બીજું કંઈક થયું હશે, પણ એણે ચાલુ ક્લાસે શર્ટ કાઢ્યું, કાઢીને શર્ટને આમતેમ ફેરવીને જોયું અને પછી પાછું પહેરી લીધું. (સલમાન ખાનની શોધ ત્યારે થઈ ન હતી) 

ત્રીજા ધોરણ પછી છેક વિરોલ દરવાજે આવેલી તાલુકા શાળામાં સૌએ ભણવા જવાનું રહેતું, જે ત્યારે ઘણી દૂર લાગતી. ચોથા ધોરણમાં સૌ અલગ અલગ વર્ગમાં હતા. એમાં હું શાંંતાબહેનના વર્ગમાં, પંકજ અને ધવલ યાસીનભાઈના વર્ગમાં, વિપુલ બીજા વર્ગમાં એમ વહેંચાઈ ગયેલા. ચોથા ધોરણમાં અમે સૌએ સ્કોલરશીપની પરીક્ષા આપેલી. એ આપવા અમને લઈને બંસીભાઈ શાહસાહેબ નડિયાદ ગયેલા. એ વખતે કદાચ સભાનતામાં પહેલવહેલી વાર નડિયાદ જોયું હશે. આ પરીક્ષા ત્યારે પણ ઘણી અઘરી લાગેલી. અમારી આખી તાલુકા શાળામાંથી ફક્ત ત્રણ જ વિદ્યાર્થીઓ પાસ થયેલા. શાળામાં પ્રાર્થના સમયે આ ત્રણે વિદ્યાર્થીઓનાં નામ બોલાયાં અને એમને પોતાના સ્થાન પર ઊભા થવા જણાવાયું. એ વિદ્યાર્થીઓ એટલે પ્રદીપ પંડ્યા, વિપુલ રાવલ અને ધવલ દલાલ. 

ચોથું ધોરણ પત્યા પછી હાઈસ્કૂલમાં જવાનું રહેતું, અને મોટા ભાગના લોકો મહુધા રોડ પર આવેલી 'શેઠ જે.એચ.સોનાવાલા હાઈસ્કૂલ'માં પ્રવેશ લેતા. એ ક્રમમાં અમે સૌ પાંચમા ધોરણમાં ગયા અને એક જ વર્ગમાં અમે સૌ આવ્યા. એમાં અજય પરીખ, વિપુલ રાવલ, પ્રદીપ પંડ્યા, મયુર પટેલ, મુકેશ પટેલ, મનીષ શાહ (મંટુ), તુષાર પટેલ ઊપરાંત પંકજ ઠક્કર અને હું પણ ખરો. આ સૌ મિત્રો પછી તો આજીવન મિત્રો બની રહ્યા. પણ ધવલ દલાલ? 

ધવલ દલાલના પપ્પા ભગવાનદાસ દલાલ એન્‍જિનિયર હતા. તેઓ મહેમદાવાદમાં સ્ટેશનની પાછળ આવેલા ઈન્‍ડસ્ટ્રીઅલ એસ્ટેટની એક ફેક્ટરી 'એ.બી.સી.લેમિનેટ્સ'માં હતા. તેમને બીજે જવાનું થયું એ સાથે જ ધવલનો પરિવાર અમદાવાદ સ્થળાંતરિત થયો. પરિવારમાં મમ્મી લતાબહેન, અને મોટી બહેન ઉર્વી. ધવલની છાપ એક તેજસ્વી વિદ્યાર્થી તરીકેની. પણ ચોથા ધોરણ પછી તે ગયો એ ગયો. એટલે કે મહેમદાવાદમાં એ માત્ર બે જ વરસ ભણ્યો. એ પછી વિપુલ સાથે એનો સંપર્ક ચાલુ રહેલો. તેઓ પત્ર લખતા. અમે દસમામાં હતા એ અરસામાં એ આખો પરિવાર વિપુલને ઘેર મહેમદાવાદમાં આવેલો એ વાત વિપુલે કરેલી. એ પણ ખબર પડેલી કે વિપુલને બારમા પછીની તૈયારી માટે ધવલે અમદાવાદના કોઈક મિત્રનું નામ સૂચવેલું. ધવલે આઈ.આઈ.ટી, મુંબઈમાં પ્રવેશ લીધો એ પણ સમાચાર વિપુલે આપેલા. પણ એ પછી એ બન્નેનો સંપર્ક પણ ખોરવાયો. ત્યારથી ધવલના નામનું પાનું અમારા સૌના મનમાં સ્થિર થઈને રહી ગયું. કદીક વાતોમાં ઊલ્લેખ થાય, પણ એ રીતે કે પછી એના કોઈ સમાચાર નથી. 

સૌનો અભ્યાસ પૂરો થયો, અલગ અલગ કારકિર્દીમાં સૌ જોડાયા. લગ્ન થયાં, સંતાનો થયાં, સંતાનો પણ મોટાં થયાં, ભણતાં ગયાં, પરણ્યાં અને સૌ મિત્રો સાઠને આળેગાળે આવી પહોંચ્યા. નોકરી કરતા હતા એવા મિત્રોએ વયનિવૃત્તિ લીધી. 

આ બધામાં 2006ની આસપાસ એક વાર મહેમદાવાદથી ઉર્વીશનો ફોન આવ્યો. હું ત્યારે નોકરી પર હતો. તેણે મને કહ્યું, 'તમારી સાથે ભણતો હતો એ ધવલ આપણે ઘેર આવ્યો છે. વાત કર એની સાથે.' ત્રીસેક વર્ષના સમયગાળા પછી અચાનક ધવલ? ફોન પર એનો અવાજ સાંભળ્યો. અમે વાત કરી. શી વાત થઈ એ યાદ નથી, પણ આટલાં વરસે એને મહેમદાવાદ યાદ હતું એ જાણીને મજા આવી. ત્યારે એ બેંગ્લોર હતો એમ જાણ્યું. એ પછી તેણે મહેમદાવાદમાં ત્યારના કેટલાક સ્નેહીઓની મુલાકાત લીધી, જેમાંના એક હતા બિપીનભાઈ શ્રોફ. વિપુલ સાથે પણ તેણે ઉર્વીશ દ્વારા વાત કરેલી. પણ ધવલે ઉર્વીશનો પત્તો શી રીતે મેળવ્યો? ઉર્વીશ તો મારાથી છ વરસે નાનો એટલે ધવલ મહેમદાવાદ છોડીને ગયો ત્યારે તો ઉર્વીશનો જન્મ પણ નહીં થયો હોય! અથવા તો સાવ નાનો હશે! 

આખો કોયડો એ રીતે ઊકલ્યો કે ઉર્વીશ ત્યારે 'આરપાર' સાપ્તાહિક સાથે સંકળાયેલો. એના તંત્રી મનોજ ભીમાણી ધવલના સહાધ્યાયી હતા. મનોજભાઈએ એક વાર ઉર્વીશ સમક્ષ એના વિશે જણાવેલું, 'બહારથી એક છોકરો અમારા ક્લાસમાં આવેલો. મોઢા પરથી માખ ન ઊડે. હજી તો કોઈ એને બરાબર જાણતું પણ ન હતું. પણ પરીક્ષા આવી અને પરિણામ જાહેર થયું ત્યારે પહેલો નંબર ધવલનો. એટલે બધા પૂછવા લાગ્યા કે આ ધવલ કોણ છે? આવી રીતે ધવલની એન્‍ટ્રી થયેલી.' ધવલ અને મનોજભાઈ સંપર્કમાં હતા, એટલે એ રીતે પછી ધવલે ઉર્વીશ દ્વારા મહેમદાવાદનું અનુસંધાન મેળવ્યું હશે. પણ ફોન પર સાંભળેલા એ અવાજ પછી વળી પાછો ધવલ ગુમ. એ અમેરિકા જવાનો હતો એવી કંઈક વાત થયેલી, પણ પછી સંપર્ક રહેલો નહીં. એ વાતનેય વીસેક વરસ વીત્યાં.

જાન્યુઆરી, 2025ની આખરમાં ઉર્વીશ પર અચાનક ધવલનો સંદેશો આવ્યો કે પોતે અમુક દિવસે મહેમદાવાદ આવવા માગે છે. ઉર્વીશે મને પૂછાવ્યું. એ પછી વિપુલ સાથે પણ ધવલનો સંદેશાવ્યવહાર થયો. તે અને એનાં મમ્મી અમેરિકાથી આવેલાં છે, અને મહેમદાવાદ આવવા માગે છે, તો વિપુલને અને મને ક્યારે ફાવે એમ છે? પરસ્પર અનુકૂળતા મુજબ અમે બુધવાર, 5 ફેબ્રુઆરી, 2025નો દિવસ નક્કી કર્યો. સમય માંડ કલાક દોઢ કલાકનો જ હતો. હું અને કામિની વડોદરાથી આવ્યા અને વિપુલ સાથે જોડાયા. અમે ત્રણે ઊપડ્યાં મહેમદાવાદ. 

ધવલ એમના વરસો જૂના સ્નેહી રજનીકાન્‍તભાઈ ગજ્જરને ત્યાં આવેલો. એમનો દીકરો સંજય ઉર્વીશનો સહાધ્યાયી. અમે પહેલી વાર સદેહે મળ્યા! પચાસ પચાસ વરસના લાંબા અંતરાલ પછી. અમને એકમેકના બાળપણના ચહેરા યાદ હતા. એ પછી સીધા અત્યારે મળ્યા ત્યારે એ જ જૂનો અણસાર શોધવાનો પ્રયત્ન અનાયાસે થયો. ધવલની ઈચ્છા મહેમદાવાદમાં પગપાળા ફરવાની હતી. અમે સૌ પ્રથમ નવજીવન સોસાયટીથી ભીમનાથ મહાદેવવાળા રસ્તે હનુમાનની શાળાએ થઈને મારા ઘેર ગયા. હનુમાનનું મંદિર હજી છે, પણ શાળાને બદલે શોપિંગ સેન્‍ટર બની ગયું છે. ઉર્વીશ સાથે ધવલની મુલાકાત થઈ. અજય ચોકસીને પણ અમે ત્યાં જ બોલાવી લીધેલો. એ પણ આવી ગયેલો. જો કે, અજયનો એને ખ્યાલ નહોતો. અમે બેઠા હતા ને મંટુ (મનીષ) અચાનક આવી ચડ્યો. તેની સાથે પણ પરિચય કરાવ્યો.

ચાપાણી સાથે બાળપણ તાજું કરવાનો આનંદ 

(ડાબેથી): અજય, વિપુલ, બીરેન, ધવલ, મનીષ અને ઉર્વીશ 

ચા-પાણી પછી વિપુલ, મનીષ, ધવલ અને હું ચાલતાં વારાહી માતાના મંદિરે ગયાં. ત્યાં પણ મંદિર 'વિકસ્યું' છે. શાળા નથી રહી. 

વારાહી માતાના મંદિર આગળ ધવલ, વિપુલ અને બીરેન 

અહીંથી અમે તાલુકાશાળાએ પહોંચ્યા. રસ્તામાં કન્યાશાળા, મોટી પોસ્ટ ઓફિસ, સરકારી દવાખાનું, પુસ્તકાલય વગેરે જૂનાં સ્થળોને યાદ કર્યાં. એ સમયે આ વિસ્તારમાં અલગ તરી આવતી તાલુકા શાળા હવે શોપિંગ સેન્‍ટરની દુકાનો વચ્ચે ખોવાઈ ગઈ લાગે, પણ અંદરનું પ્રાંગણ જોઈને બહુ આનંદ થયો. 

તાલુકા શાળાને ઓટલે
(ડાબેથી: બીરેન, ધવલ અને વિપુલ) 

અહીંથી ચાલતા અમે બજાર તરફ ગયા. ત્યાં પંકજ ઠક્કરની દુકાન 'વસંત વૉચ' હતી. પંકજ બેઠેલો જ હતો. એ સૌને જોઈને નવાઈ પામ્યો. ધવલને જો કે, પંકજ વિશે ખાસ યાદગીરી નહોતી. અમે એને પૂછ્યું, 'આને ઓળખે છે?' સ્વાભાવિક છે કે પંકજને ઓળખાણ ન પડે. અમે કહ્યું, 'આ ધવલ છે.' એટલે એની આંખો આશ્ચર્યથી પહોળી થઈ અને બોલ્યો, 'ધવલ ભગવાનદાસ દલાલ?' આ સાંભળીને ધવલ નવાઈ પામી ગયો. વચ્ચે કાઉન્‍ટર હોવા છતાં એ એકમેકને પ્રેમથી ભેટ્યા. પંકજ કહે, 'અરે યાર, તારા નામથી તો મેં મારા દીકરાનું નામ પાડ્યું છે. મારા માટે તો ધવલ એટલે હોંશિયાર છોકરો. એટલે જ મેં મારા છોકરાનું નામ ધવલ રાખ્યું.'  મનીષ પંકજની દુકાને રોકાયો. 

પંકજની દુકાને (ડાબેથી): પંકજ, ધવલ,
વિપુલ, બીરેન અને મનીષ 

પંકજને મળીને અમે આગળ વધ્યા. રસ્તામાં સુખડિયાની દુકાન અને બિપીનભાઈની જૂની દુકાન યાદ કરી. અજયની દુકાને એને મળીને પાછા નડિયાદી દરવાજા તરફ વળ્યા. બાળપણની અમારી સહિયારી સ્મૃતિઓ કંઈ એટલી બધી નહોતી, પણ એ સમયને યાદ કરવાનો રોમાંચ જબરો હતો. એકમેકના પરિવાર વિશે સામાન્ય વાતચીત થઈ, કેમ કે, એટલો સમય નહોતો કે વિગતે વાત થઈ શકે. ધવલનાં પત્ની મેધા અને સંતાનો રુહી તેમજ નિહારનો અમે પ્રાથમિક પરિચય મેળવ્યો. 

આખું બજાર ફરીને, ભીમનાથ મહાદેવવાળા રસ્તે થઈને પાછા અમે રજનીકાન્‍તકાકાને ત્યાં આવી પહોંચ્યા. તેમના નીકળવાનો સમય થઈ ગયો હતો. બહુ ઝડપથી તેઓ નીકળ્યા. પણ આ બે કલાક દરમિયાન અમે સૌ પચાસેક વરસ પહેલાંના સમયગાળામાં ધુબાકા માર્યા. એ સમયના મહેમદાવાદને તાજું કર્યું. 

બાળપણના સહાધ્યાયીઓ મળે ત્યારે એ સમયમાં પાછા જવાની એક મજા હોય છે. પણ એમાં પછી વર્તમાન ભળે ત્યારે એ મજા ઘણી વાર સજા બની રહે છે. કેમ કે, મોટા ભાગનાઓ પોતાની વર્તમાન સિદ્ધિઓ (સંતાનોનું પેકેજ, કારનું મોડેલ, વેવાઈનું સ્ટેટસ વગેરે) જણાવવામાં પડી જાય છે. અમે સભાનપણે એ ઉપક્રમ ટાળ્યો અને એ સમયને યાદ કરવાનો પૂરો આનંદ લીધો. 

સાવ આછીપાતળી સ્મૃતિઓ સ્મરણરેખા તરીકે મનમાં દટાયેલી પડી હોય, પણ વરસો પછીની રૂબરૂ મુલાકાતે એ તમામ તાજી થઈ આવે ત્યારે ખ્યાલ આવે કે એ સ્મરણરેખાઓ મનમાં નકશાની જેમ અંકાયેલી હોય છે. 

(તસવીરો: મનીષ, કામિની)