Saturday, September 15, 2012

કૃષ્ણકાન્‍ત: છ દાયકાનાં સંભારણાં હવે બે પૂંઠાંની વચ્ચે




વાત બહુ જૂની નથી. 
એપ્રિલ, ૨૦૦૯માં તેમની વિશેષ મુલાકાત સુરત ખાતે લીધી હતી. અને તે મુલાકાત પર આધારિત લેખ અહા!જિંદગીના મે, ૨૦૦૯ના અંકમાં પ્રકાશિત થયો હતો. એ લેખના અંતમાં તેમની છ દાયકાની ફિલ્મકારકિર્દીને સંભારણારૂપે ગ્રંથસ્થ કરવાનું સૂચન કરેલું. એ લેખ વાંચ્યા પછી તેમનો ફોન આવ્યો અને તેમણે જણાવ્યું, “તમે આ લખ્યું એ બરાબર છે, પણ ગુજરાતમિત્રમાં મારાં સંભારણાં ધારાવાહિક સ્વરૂપે પ્રકાશિત થઈ ચૂક્યાં છે.” કૃષ્ણકાન્‍ત ઉર્ફે કે.કે.એ આમ જણાવીને એ સંભારણા અંગે વાત કરી ત્યારનો મારા મનમાં સળવળાટ ચાલી રહ્યો હતો કે તેને ગ્રંથસ્થ કરવાનું કામ કરવા જેવું છે.
"આ વાત ક્લીયર થઈ ગઈ. હવે આગળ..." 
આ કામ માટે સૌ પ્રથમ અને સ્વાભાવિક પસંદગી સુરતનિવાસી મિત્ર બકુલ ટેલર જ હોય. બકુલભાઈએ એક તબક્કે આ કામ શરૂ પણ કરેલું. થોડું આગળ વધાર્યું. દરમ્યાન એકાદ પ્રકાશક સાથે આ લખાણને પુસ્તકરૂપે પ્રકાશિત કરવાની વાત શરૂ થઈ અને આગળ વધે એ પહેલાં જ અમુક કારણોસર પડી ભાંગી. બસ, એ પછી કે.કે.સાહેબે પણ મનોમન એ કામ અભરાઈ પર ચડાવી દીધું. કે.કે. સાથે નજીકથી સંકળાયેલા અને લેખનક્ષેત્રના હોય એવા અમારા સૌની એક જ લાગણી કે આ કામ આપણામાંથી કોઈ પણ કરે, પણ કામ થવું જોઈએ. 
સમય વીતતો ગયો અને એક યા બીજા કારણસર વાત ઠેલાતી ગઈ. પણ સાગર મુવીટોન અંગેના પુસ્તક (એની વાત વખત આવ્યે) માટેના મારા સંશોધન દરમ્યાન એક વાર ખાસ કે.કે.ને મળવા માટે જ સુરત જવાનું બન્યું અને ફરીથી આ વાત ઉખળી. પછી તો રીતસર તેમની પાછળ પડીને કહ્યા કર્યું કે- તમારા મનમાં જે ગૂંચવણ, મૂંઝવણ, શંકા-કુશંકા હોય એ જણાવો, તેનું નિરાકરણ કરીએ, પણ આ પુસ્તક કરીએ. એક તબક્કે એવી મીઠી ધમકી પણ આપી કે તમે કશું નહીં કરો તો અમે તેને તમારી મંજૂરી વિના છપાવી દઈશું. ફોન, રૂબરૂ મુલાકાત આ સૌએ અસર કરી. અને છેવટે આ વરસના જૂલાઈમાં કે.કે.એ ગુજરાતમિત્રમાં પ્રકાશિત થયેલાં પોતાનાં લખાણો પુસ્તકસ્વરૂપે પ્રકાશિત કરવા મંજૂરી આપી.
એક નકલ મને વડોદરા મોકલી આપી એ પછી શરૂ થયું તેનું વાંચન. કે.કે. રોજ બપોરે સાડા ચારે ફોન કરે, તે સુરતમાં અને હું વડોદરામાં લખાણની ફાઈલ લઈને બેસીએ, કે.કે. એકે એક લીટી વાંચતા જાય, છાપભૂલો સુધરાવતા જાય, હું મારી નકલમાં તે સુધારતો જાઉં અને અન્ય માહિતી પૂછતો જાઉં. રોજ લગભગ કલાક-સવા કલાક સુધી આ બેઠક ચાલે. આમ, વીસેક દિવસમાં પ્રાથમિક વાંચન પૂરું થયું. કે.કે.નો આગ્રહ એવો કે પુસ્તક પહેલા પુરુષ એકવચનમાં લખાયું છે, અને પોતે સાવ સરળ ભાષામાં તે લખ્યું છે, માટે ભાષા સાથે છેડછાડ ન કરવી. પ્રથમ વાંચન દરમ્યાન જ ખ્યાલ આવ્યો કે આખા પુસ્તકની ગોઠવણી નવેસરથી કરવી પડશે, કેમ કે એ લખાણ ધારાવાહિકરૂપે હતું, જ્યારે પુસ્તકની જરૂરિયાત અલગ હોય છે.
એકાદ પ્રકરણનું પુન:આયોજન અને પૂરક લેખન નમૂનારૂપે કરીને કે.કે.ને મોકલ્યું અને બે-ચાર નાના સુધારાને બાદ કરતાં તેમણે તે સહર્ષ મંજૂર રાખ્યું. એ પછી વાસ્તવિક કામ શરૂ થયું. જુલાઈના છેલ્લા સપ્તાહમાં સમગ્ર લખાણનું ટાઈપીંગ શરૂ થઈ શક્યું. ટાઈપીંગ શરૂ કરતાં પહેલાં મનોમન વિચાર્યું કે ૧૫ મી સપ્ટેમ્બર, ૨૦૧૨ પહેલાં મેન્યુસ્ક્રીપ્ટ ફાઈનલ થઈ જાય તો ઉત્તમ, કેમ કે એ દિવસનું વિશેષ મહત્વ છે. આના માટે સમયસર અને સુઘડ ટાઈપીંગ થાય, તેને હું વાંચતો જાઉં, પુન:ગોઠવણ કરતો જાઉં, એ કરીને તેની પ્રિન્‍ટ કે.કે.ને મોકલું, તે લખાણ વાંચે અને જરૂરી સુધારા ફોન પર જણાવે. આ સમગ્ર ઘટનાક્રમ એવો હતો કે જેમાં વાસ્તવિક સમય આપવો પડે. એટલે ટાઈપીંગ બહારના કોઈ વ્યક્તિને આપવાને બદલે એવી સમર્પિત વ્યક્તિ કરે કે જે આ કામની અગ્રતા સમજે, અને નિયત સમયમર્યાદામાં કામ પૂરું કરે.
સુરતની મુલાકાત દરમ્યાન: (ડાબેથી) પરેશ પ્રજાપતિ, કે,કે,
ભરતકુમાર ઝાલા 
મિત્ર ભરતકુમાર ઝાલા અને પરેશ પ્રજાપતિ સાથે આ બાબતે વાત થઈ અને તેમણે નિયત સમયમર્યાદામાં કામ પૂરું કરી આપવાની ખાતરી આપી. આ બન્ને મિત્રો પાછા કે.કે.સાહેબના ચાહક પણ ખરા,એટલે તેમણે આનંદપૂર્વક કામ ઉપાડી લીધું. અમારી પાસે આશરે દોઢ મહિનો હતો, જેમાં ટાઈપીંગ, સુધારા, પુન:આયોજન વગેરે બધું જ કરતાં જવાનું હતું. બન્ને મિત્રોએ અતિશય ઝડપે કામ કરવા માંડ્યું. મારી પાસે ટાઈપ થયેલું મેટર આવવા લાગ્યું એટલે મેં પણ બીજાં કામોને હડસેલીને (બ્લોગનું પણ) આ કામને અગ્રતા આપી અને તેને સરખું કરીને કે.કે.ને મોકલવા માંડ્યું. અમે સૌ આ રીતે મચી પડ્યા, પછી કે.કે. પાછળ રહે? અમારા બધામાં સૌથી જુવાન તો એ જ. છેલ્લા ચાર-પાંચ મહિનાથી તેમને વધી ગયેલી મણકાની તકલીફ છતાં એક બેઠકે તે વાંચી લે અને ફોન પર સુધારા સૂચવતા જાય. તેમની સાબૂત સ્મૃતિને કારણે બીજી અનેક આનુષંગિક વાતો યાદ આવે તે ઉમેરતા જઈએ અને કામ આગળ ચાલે. આ કામ પતાવવાનું સૌ પર જાણે કે ઝનૂન સવાર હતું. અમને ત્રણેયને એમ હતું કે મહિનામાં એ પૂરું થાય તો દોઢ મહિનો પણ નથી કરવો.
અને ખરેખર, બધાની મહેનત રંગ લાવી. ઓગસ્ટ મહિનામાં તો જોતજોતાંમાં આ કામ સંપન્ન થઈ ગયું. કે.કે.એ પણ સમગ્ર વાંચન પૂરું કર્યું અને ગુણવત્તા બાબતે સંતોષ વ્યક્ત કર્યો. એ પછી એક વાર સુરતની મુલાકાત લઈને વિવિધ બાબતો અંગે રૂબરૂ ચર્ચા પણ કરી લીધી. 
આ આખી કથા આજે માંડવાની જરૂર એટલા માટે છે કે આજે ૧૫ મી સપ્ટેમ્બર, ૨૦૧૨ના રોજ કે.કે.સાહેબ નેવું વર્ષ પૂરાં કરીને એકાણુમા વર્ષમાં પ્રવેશી રહ્યા છે, ત્યારે સૌ ચાહકો વતી જન્મદિનની આ ભેટ તેમને પાઠવતાં અતિશય આનંદ થાય છે. આ ભેટ ભલે અત્યારે આપણે કે.કે.ને પાઠવીએ છીએ, પણ હકીકતમાં આપણને સૌને કે.કે.તરફથી મળનારી આ અણમોલ ભેટ બની રહેશે એ નક્કી છે.
કેવા મોટા ગજાના ફિલ્મરસિયાઓનો આમાં સહયોગ મળ્યો! ભગવતીકુમાર શર્માની દૃષ્ટિની તકલીફ એટલી બધી છે કે હવે તો તે સાવ નહીંવત જોઈ શકે છે, છતાં કે.કે. માટેના ભાવને લઈને તેમણે આ પુસ્તકની પ્રસ્તાવના લખવાનું સહર્ષ સ્વીકાર્યું, તો આવકારવચન લખવા માટે સ્વાભાવિક પસંદગી રજનીકુમાર પંડ્યા હતા. આ બન્ને સાહિત્યકારો પોતાના ફિલ્મપ્રેમ માટે જાણીતા છે. ફિલ્મઉદ્યોગમાં કુલ છ દાયકાની પ્રલંબ કારકિર્દી પછી પોતાનાં સંભારણાં પહેલા પુરુષમાં લખી રહ્યા હોય એવા કે.કે. સંભવત: પ્રથમ ગુજરાતી અભિનેતા- દિગ્દર્શક છે. એ રીતે આ પુસ્તકનું ઐતિહાસિક મહત્વ પણ છે. અનેક અભિનેતા, અભિનેત્રી, દિગ્દર્શકો તેમજ અન્ય લોકો સાથેનાં અંગત સંભારણા વાંચવાનો કોઈ પણ ફિલ્મરસિયાને જલસો પડશે એ નક્કી છે.
કે.કે.ના અભિનયની, તેમની કારકિર્દીનો લાંબો પટ દર્શાવતી કેટલીક વીડીયો ક્લીપ્સ તેમજ કે.કે.નું પ્રદાન દર્શાવતી ફિલ્મોગ્રાફી ગયે વરસે આ જ દિવસે મૂકી હતી. અહીં http://birenkothari.blogspot.in/2011/09/blog-post_14.html પર ક્લીક કરવાથી તે જોઈ શકાશે. આજે આ પુસ્તકના પ્રકરણમાંથી લીધેલો એક અંશ અહીં કેવળ આસ્વાદ માટે મૂકવાનો ઈરાદો છે, જેથી સમગ્ર પુસ્તકની સામગ્રીનો કંઈક અંદાજ મળી શકે.
એક તો કે.કે.ની પોતાની સ્મૃતિ ટકોરાબંધ, એમાં હરીશ રઘુવંશી જેવા સહૃદયી અને અમારા સૌના માનદ્‍ વીજીલન્‍સ ઓફિસર (ફિલ્મલેખન પૂરતા)ની ચાંપતી નજર, રજનીકુમારની હૂંફ, ઉર્વીશની સતત અપડેટ્સ, બકુલ ટેલરનો સદ્‍ભાવ, ભરત અને પરેશનો આદરયુક્ત પ્રેમ અને તત્પરતા.. આ બધાનો સ્વાદ આ પુસ્તકમાં ભળેલો છે.
આ પુસ્તક 'ગુઝરા હુઆ ઝમાના' હાલ મેન્યુસ્ક્રીપ્ટના સ્તરે તૈયાર છે. બીજા તબક્કાના ભાગરૂપે હવે તેના માટે પ્રકાશકનો સંપર્ક કરવાનો છે. બધું સમુંસૂતરું પાર ઉતરે તો આ વરસના અંત સુધીમાં આ પુસ્તક સૌના હાથમાં આવી જશે એવી ધારણા છે. એ વખતે તેના આગમનની વધાઈ પણ અહીં જ આપવામાં આવશે.
દરમ્યાન પુસ્તકના એક પ્રકરણ પોસ્ટ બોક્સ ૯૯૯: મેરે દિલમેં હૈ એક બાતનો એક અંશ અહીં આસ્વાદરૂપે.
**** **** ****
     શૂટીંગ દરમ્યાન એક દિવસ સુનીલ દત્ત સવારથી જરા ગંભીર જણાયો. ચોક્કસપણે કહું તો દિવસ હતો ૧૧મી માર્ચ,૧૯૫૮નો. તેને કારણ પૂછતાં સંતોષકારક જવાબ મળ્યો. તેણે કામ ચાલુ કર્યું. સાંજે પાંચ વાગે અચાનક સુનિલે શૂટિંગ પેક-અપ કરાવડાવ્યું. સૌ દ્વિધામાં પડી ગયા કે શું થઈ ગયું હશે સુનિલને? સુનિલે મને કહ્યું,હીરો, તુમ મેકઅપ ઉતાર કે તૈયાર રહો. તુમ્હેં મેરે સાથ ચલના હૈ.” હું કંઈ સમજ્યો નહીં. મને અંદાજ પણ નહોતો કે વાત શી હતી. સુનિલે કહ્યા મુજબ હું તો દસ મિનીટમાં તૈયાર થઈ ગયો. તેની કાર પાસે પહોંચ્યો. પણ ઓચિંતો એનો વિચાર બદલાયો. મને કહે,  હિરો, તુમકો સાથ નહીં લે જા રહા હૂં, અકેલા હી જા રહા હૂં. હું કંઈ કહું, સમજું પહેલાં કારમાં ગોઠવાઈ ગયો અને સડસડાટ સ્ટુડિયોની બહાર નીકળી ગયો. રવિન્દ્રભાઈ મને પૂછતા રહ્યા કે શું થયું ? હીરોઈન શકીલા સહિત આખું યુનિટ વિચારમાં પડી ગયું. પણ કોઈની પાસે આનો જવાબ નહોતો. અને જવાબ હોય પણ ક્યાંથી? કેમ કે, તો બીજે દિવસે મળવાનો હતો.

સુનિલ દત્ત સાથે કૃષ્ણકાન્‍ત (ડાબે ચશ્માવાળા) 

   બીજે દિવસે સવારે તો સુનીલદત્ત- નરગીસના લગ્નના સમાચાર વાયુવેગે આખા હિન્દુસ્તાનમાં  પ્રસરી ગયા હતા. સૌ મોં વકાસીને જોતા રહી ગયા. નરગીસનો રાજ કપૂર સાથેનો પ્રણયસંબંધ જગજાહેર હતો. પણ મધર ઈન્ડીયાના શૂટિંગ વખતે એક દૃશ્યમાં લગાવાયેલી આગમાં નરગીસ સાચેસાચ ફસાઈ ગયેલી. ફિલ્મમાં નરગીસનો દીકરો બનતા સુનિલદત્તે જાનના જોખમે નરગીસને બચાવી લીધી હતી. બનાવ પછી નરગીસ સુનિલદત્ત તરફ ઢળી હતી. જો કે, મધર ઈન્ડીયા’(૧૯૫૭) રજૂ થઈ ત્યારે વાત ગુપ્ત રાખવામાં આવેલી. પરદા પર મા-દીકરાની ભૂમિકા કરતા કલાકારોને વાસ્તવ જીવનમાં પતિ-પત્ની તરીકે લોકો કદાચ સ્વીકારી શકે તો ફિલ્મ પર અવળી અસર થાય. મધર ઈન્ડીયાના પ્રિમીયરમાં પણ સુનિલ દત્ત ગેરહાજર રહ્યો હતો. તેમણે લગ્ન તો ત્યાર પછી ૧૧ માર્ચ, ૧૯૫૮ના દિવસે કર્યા.
બીજા દિવસે એટલે કે ૧૨મી માર્ચ,૧૯૫૮ના દિવસે શૂટીંગ રાબેતા મુજબ અંધેરીના મોડર્ન સ્ટુડિયોમાં રાખવામાં આવેલું હતું. રવિન્‍દ્રભાઈ સહિત સૌને હતું કે સુનીલ તે દિવસે શૂટીંગ માટે નહીં આવે. મનોમન શૂટીંગ કેન્‍સલ કરવાની તૈયારી રવીન્દ્રભાઈએ રાખેલી. પણ શું? સૌના આશ્ચર્ય વચ્ચે સુનીલ સવારે બરાબર નવ વાગે રોજની જેમ શૂટીંગ માટે હાજર થઈ ગયો. બધાએ તેને અભિનંદન આપ્યા. મેં પણ તેને અભિનંદન આપ્યાં. તેણે ફોડ પાડતાં કહ્યું,ગઈ કાલે બહુ ટેન્‍શન હતું. એટલે પહેલાં તને લઈ જવાનો વિચાર કર્યા પછી મેં તને સાથે આવવાની ના પાડી.”
થોડા દિવસ પછી સુનીલે મને અને સી.એમ.ઠક્કરને પોતાના નેપીયન સી રોડના ફક્ત એક રૂમ- કીચનના ફ્લેટ પર નિમંત્ર્યા. અમે સૌ નરગીસના હાથનું બનાવેલું સ્વાદિષ્ટ ડીનર જમ્યા.
સુનિલ દત્ત અને નરગીસનું લગ્ન ખરા અર્થમાં ઐતિહાસિક અને તેમનું લગ્નજીવન દંતકથારૂપ બની રહ્યું હતું.  
**** **** ****

આવી તો અનેક ફર્સ્ટ હેન્‍ડ વાતો, કિસ્સાઓ, આડમાહિતીઓ અને ઐતિહાસિક વિગતો આ પુસ્તકનું આકર્ષણ બની રહે એમ છે.
હાલ સુરતમાં નિવાસ કરતા ગુજરાતના ખરા અર્થમાં ગૌરવરૂપ આ અભિનેતા-દિગ્દર્શકને આજે એકાણુમા વરસમાં પ્રવેશ નિમિત્તે હાર્દિક શુભેચ્છાઓ.
તેમને  ફોન દ્વારા શુભેચ્છા પાઠવવા ઈચ્છતા મિત્રો-શુભેચ્છકો +૯૧- ૨૬૧- ૨૨૫૯ ૩૦૯ (ભારતમાંથી ફોન કરનાર મિત્રો માટે ફક્ત ૦૨૬૧- ૨૨૫૯ ૩૦૯) પર પાઠવી શકે.  

9 comments:

  1. શ્રી બીરેન ભાઈ,
    શ્રી કે.કે.ને જન્મદિવસના અભિનંદન અને તેમનું સ્વાસ્થ્ય સુખદાયી રહે તેવી શુભેભચ્છા.
    તમારા કે.કે(કૃષ્ણ કાન્ત)વિશેના લેખને ખુબજ મઝાથી વાંચ્યો,તમારી વિનવણી અને સલાહ માની
    તેઓએ આ એક આત્મકથા જેવી 'મટીરીઅલ્સ' પૂરી પાડીને એક ગુજરાતી કલાકારે અનોખો ચીલો
    પાડ્યો છે,ભલે તેમણે કોઈ એવું અગત્યનું પાત્ર હિન્દી ફિલ્મોમાં ના ભજવ્યું હોય અને લાઇમ લાઈટમાં
    નાં આવ્યા હોય પણ તેઓ પોતાના હિન્દીફિલ્મ ઉદ્યોગના સંભારણા/અનુભવો ભવિષ્યની પેઢીના
    ફિલ્મોના ચાહકો માટે રાખી જાય છે તે અગત્યની વાત છે,બહુજ એવા ઓછા હિન્દી ફિલ્મોના એકટરો છે
    તેમણે પોતાના સંસ્મરણો લખ્યા હોય,જુના હિન્દી ફિલ્મી અદાકારોએ કોઈએજ કઈ લખ્યું નથી બેચાર અપવાદ સિવાય.
    દાખલા તરીકે આજે કેટલાય વર્ષોથી સાંભળીએ છીએ કે એક્ટર દિલીપ કુમાર પોતાની આત્મકથા
    લખે છે પણ પછી શું થયું તેની ખબર નથી,જે લોકોએ હિન્દીફિલ્મોમાં ફાળો આપ્યો છે.
    તેમણે પોતાના અંગત અનુભવો લોકો સમક્ષ રજુ કરવા જોઈએ.
    તેમનો અનુભવ અને સફળતાની સફર કબર કે રાખમાં જવાથી શું ફાયદો એતો તેજ જાણે !!
    લી.પ્રભુલાલ ભારદિઆ
    ક્રોયડન,લંડન.

    ReplyDelete
  2. આનંદ...આનંદ...કેટલાંક થવા જેવાં કામ પણ સમય આવ્યા વિના - અને કોઇના બરાબર પાછળ પડી ગયા વિના- થતાં નથી. કેકેસાહેબનાં સંભારણાંની પ્રતીક્ષા છે.

    ReplyDelete
  3. કેકેસાહેબનાં સંભારણાંની પ્રતીક્ષા છે
    drpatel

    ReplyDelete
  4. ભરતકુમાર ઝાલાSeptember 16, 2012 at 12:12 PM

    કે.કે સાહેબના ફિલ્મ અંગેના રસપ્રદ સંભારણાઓથી ભર્યા પુસ્તકનિર્માણમાં સંકળાવું એ મારે માટે એક ગૌરવપ્રદ ઘટના છે. ગુજરાતી ફિલ્મ 'વિસામો' જોઈને જે કલાકારની હ્યદયદ્રાવક અભિવ્યક્તિ માટે ધ્રુસકે ને ધ્રુસકે રડ્યા હોઈએ એ જ કલાકારને વર્ષો પછી રુબરુ મળવાનું બન્યું એની ખુશી તો અવર્ણનીય જ હોય. કે.કે સાહેબના આભિજાત્યપુર્ણ વ્યવહારે સમજાવ્યું કે આ માણસ કલાકાર તરીકે જેટલો ઉત્તમ છે,એટલો જ સ્વભાવે પણ શાલીન અને સંસ્કારી છે. કે.કે સાહેબે એક નાટક ઘાત માં વિલનની ભૂમિકા ભજવેલી. કે.કે સાહેબ એટલા તો ભદ્ર વ્યક્તિ છે કે આ ભૂમિકા એમણે ભજવેલી, એવું મળ્યા પછી માનવાનું મન ન થાય. આ જ વાત જ્યારે એમની સમક્ષ મૂકી ત્યારે એ બાળક જેવું હસી પડેલા- આ બધી ક્ષણો મારી મૂડી છે. ગુજરાતી ફિલ્મો અને હિંદી ફિલ્મો વચ્ચેની ગરિમાપૂર્ણ કડી જેવા કે.કે સાહેબ તમે જેટલું પણ જીવો, આનંદપ્રદ અને ખુશહાલ જીવો એવી શુભેચ્છા.

    ReplyDelete
  5. કે.કે.ની કલમે... લખેલું વાંચ્યું અને મુલાકાત થઈ, કેરેક્ટર એક્ટર વિષેની અનેક ગેર માન્યતાઓ દૂર થઈ.

    બસ હવે તો પુસ્તકની જ અધીરાઈ ...

    ReplyDelete
  6. રજનીકુમાર પંડ્યાSeptember 17, 2012 at 9:45 PM

    બહુમુખી પ્રતિભા સાથેની દીર્ઘ અને બેદાગ કારકિર્દી ધરાવતા આપણા આ હિરો અને હિરાની વિનમ્રતા અને સૌજન્યને સલામ. પુસ્તકની આવકારનોંધ લખી આપતા આનંદ થશે, બલ્કે એ મારું સદભાગ્ય ગણાશે.

    ReplyDelete
  7. Wonderful news about turning KK to 91!

    ReplyDelete
  8. dying to read your book....

    ReplyDelete