Wednesday, December 15, 2021

કેરિકેચર

 કેરિકેચરમાં જે તે વ્યક્તિના ચહેરાના કેટલાક ભાગ સાથે રમત કરવાની હોય છે. આને કારણે એમ બનતું હોય છે કે દેખીતું કશું સામ્ય ન હોવા છતાં કેરિકેચરીસ્ટ દ્વારા દોરાતા, સાવ અલગ હોય એવી બે વ્યક્તિઓના ચહેરામાં સામ્ય જણાય. કર્ણાટકના એક સમયના મુખ્યપ્રધાન રામકૃષ્ણ હેગડે અને ભારતના એક સમયના વડાપ્રધાન ચંદ્રશેખર બન્ને દાઢી રાખતા હતા. કેરિકેચરીસ્ટ તેમનો ચહેરો દોરતી વખતે સામાન્ય રીતે દાઢીને પ્રાધાન્ય આપે. એમ કરવામાં સહેજ ચૂક થઈ જાય તો એ કેરિકેચર કોનું છે એ ખ્યાલ ન આવે. આવું જ ભૂતપૂર્વ વડાપ્રધાન નરસિંહ રાવ અને સરદાર પટેલના કેરિકેચર બાબતે બને છે. તેમના ચહેરામાં આમ કશું સામ્ય નથી. વિશિષ્ટ નાક અને હોઠને કારણે નરસિંહરાવનું કેરિકેચર બનાવવું અતિ સરળ લાગે, જ્યારે સરદાર પટેલના ચહેરામાં એવી ખાસ વિશેષતા ન હોવાથી તેમનું કેરિકેચર બનાવવું પ્રમાણમાં અઘરું છે. આમ છતાં માથાના અમુક જ ભાગમાં વાળ, પહોળા હોઠ અને ખભે નંખાયેલા ખેસને કારણે બન્નેના અમુક કેરિકેચરમાં ઘણું સામ્ય જણાય છે.

નરસિંહ રાવ વડાપ્રધાનપદે હતા ત્યારે એક એડ કેમ્પેઈનમાં તેમનો ચહેરો ડૉ. આમ્બેડકરની ઝલકવાળો, અને બીજા કેમ્પેઈનમાં સરદાર પટેલની ઝલકવાળો ચીતરાયો હતો- અને એ કેરિકેચર નહીં, પણ હોર્ડિંગમાં! એ ફોટોસ્ટોરી 'ધ ઈકોનોમિક ટાઈમ્સ'માં હતી.
કેરિકેચરની આ જ મઝા છે. એમાં ચહેરાને અત્યંત સરળ કે અતિશય જટિલ કરીને જે રમત કરવામાં આવે છે તેને કારણે કશું સામ્ય ન હોય એવી વ્યક્તિઓના ચહેરામાં સરખાપણું લાગે છે.

ચંદ્રશેખર 

રામકૃષ્ણ હેગડે 

નરસિંહરાવ 

સરદાર પટેલ