Sunday, September 10, 2023

અર્પણનો આનંદ

દરેક પુસ્તકના આરંભે તેમાં અર્પણનું એક પાનું હોય છે, જેમાં લેખક યા સંપાદક દ્વારા જે તે પુસ્તક કોઈને અર્પણ કરવામાં આવ્યું હોય છે. આ એક પ્રકારની ભાવનાત્મક ચેષ્ટા છે. કેમ કે, તેના માટે એક આખું પાનું ફાળવવામાં આવે છે. તેનું મહત્ત્વ કદાચ વાંચનારને મન, કે પ્રકાશકને મન એટલું ન પણ હોય એમ બને.

આ કારણે જ પુસ્તક કોને અર્પણ કરવું એ બાબતે લેખકના મનમાં કેટલીક બાબતો સ્પષ્ટ હોય છે. પુસ્તકના વિષય, તેની અંદરની સામગ્રી સાથે તે સંબંધિત હોઈ શકે, યા પોતાના જીવનમાં અગત્યની હોય એવી વ્યક્તિને પણ તે અર્પણ કરાયું હોઈ શકે. એમાંય પહેલવહેલું પુસ્તક હોય ત્યારે આ અવઢવ ઘણી બધી હોય છે.
જો કે, મારી બાબતે એમ નહોતું. અત્યાર સુધીના મેં લખેલા પુસ્તકો મને સોંપાયેલા કામ જેવા હતા, જેથી તે કોને અર્પણ કરવું એ મને કામ સોંપનારની ઈચ્છાને આધિન હતું. તેમાં અલબત્ત, મારા સૂચનો રહેતાં. 'ગુર્જરરત્ન' પુસ્તકનું મહત્ત્વ મારા માટે ભાવનાત્મક હતું. મને લેખનક્ષેત્રે લાવવામાં જેમનું મોટું પ્રદાન છે એ ગુરુ રજનીકુમાર પંડ્યા, મારી જીવનસફરનો અભિન્ન જોડીદાર ઉર્વીશ કોઠારી, જીવનસંગિની કામિની કોઠારી કે મારા મમ્મી-પપ્પાનું નામ પહેલું સૂઝે. પણ એવું ન બન્યું. આ પુસ્તક અર્પણ કરવા માટે મારા મનમાં પહેલેથી, એટલે કે પુસ્તક તૈયાર થયું નહોતું ત્યારનું એક નામ નક્કી હતું.
ડાહીબહેનને અર્પણ કરાયેલું પુસ્તક 
સૌથી નવાઈની વાત એ હતી કે તેમની સાથેનો કુલ પરિચય માંડ ચારેક વરસનો જ રહ્યો. રૂબરૂ મુલાકાત માત્ર ને માત્ર એક જ વાર થઈ. આમ છતાં, લગભગ હક્કદાવે તેમણે આ પુસ્તકના અર્પણ સંબંધે મારા મનમાં સ્થાન કાયમ કરી લીધું હતું. એ હતાં કુકેરીના ડાહીબેન પી. પરમાર. તેઓ આ પુસ્તક જોવા માટે હયાત નથી, પણ મને ખાત્રી છે કે તેઓ હોત તો પુસ્તક વાંચીને તરત ફોન આવ્યો હોત, "બીરેનભાઈ, તમને હું કેઉં...! તમે મારા વિશેનો લેખ આમાં ની મૂક્યો હોત તો ની ચાલત?"
લેખમાં લખ્યું છે એ જ દોહરાવું તો - આવા વાચકોને લેખકોની હોય, એના કરતાં વધારે ગરજ લેખકોને આવા દુર્લભ વાચકોની હોય છે. વધુ ખુશીની વાત એ છે કે ડાહીબેન સાથેનો સંબંધ તેમનાંં પરિવારજનો સુધી પણ વિસ્તર્યો છે.
(પુસ્તક ઓનલાઈન મંગાવવા માટેની લીન્ક https://www.instamojo.com/.../fbb5b436a8e74a7ae942a1b883.../
અથવા વ્હોટ્સેપ નંબર: 98252 90796/ કાર્તિક શાહ)



પુસ્તકનો અનુક્રમ 
પુસ્તકમાંના લેખનું પહેલું પાનું 


No comments:

Post a Comment